વેદોમાં વીજ્ઞાન?

આદ્ય મુળભુત મનાતા વેદો(ધર્મગ્રન્થો)માં બાઈબલ, કુરાનમાં છે તેવી એકસુત્રતા બોધનો ચોક્કસ ઢાળ, આકાર જોવા મળે છે? વહાણો, વીમાનો વીશેની ટૅકનોલૉજી કે સન્દેશાવ્યવહાર માટે ટેલીગ્રાફીનું મીકેનીઝમ વેદકાળમાં હતું? શું વેદોમાં વીજ્ઞાન છે કે આકસ્મીક સ્ફુરેલી કલ્પનાઓ છે?

વેદોનું ચીત્ર

7

વેદોમાં વીજ્ઞાન?

–ડૉ. બી. એ. પરીખ

(આ પુસ્તકનો છઠ્ઠો લેખ (https://govindmaru.com/2019/08/05/dr-parikh-13/)ના અનુસન્ધાનમાં..)

હીન્દુ ધર્મમાં ચાર વેદો ‘ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ’ છે. આ ચારેય વેદો અતીશય પવીત્ર, પુજનીય, અપૌરુષેય વાણી ધરાવતા અત્યન્ત મહત્વના ધર્મગ્રન્થો તરીકે પુજાય છે; પરન્તુ પાયાની બાબત એ છે કે આ આદ્ય મુળભુત મનાતા વેદો(ધર્મગ્રન્થો)માં ખ્રીસ્તી કે ઈસ્લામના ધર્મગ્રન્થો બાઈબલ, કુરાનમાં છે તેવી એકસુત્રતા બોધનો ચોક્કસ ઢાળ, આકાર જોવા મળતો નથી. આ વેદો ઈ. સ. પુ. 3000થી 1100 સુધીના વર્ષોમાં અલગ અલગપણે જુદા જુદા ઋષીઓ દ્વારા રચાયા છે. દરેક વેદના વીષયવસ્તુ, હેતુ વારાફરતી તપાસીએ. સૌથી પ્રથમ તેમ જ સૌથી વધારે મહત્ત્વનો છે તે ઋગ્વેદ.

ઋગ્વેદ :

વેદોનો રચનાકાળ ઈ. સ. પુ . 3000નો. આ વેદ કોઈ એક જ ઋષી દ્વારા એકસુત્રમાં રચાયો નથી. ઋગ્વેદના રચયીતા બારેક ઋષીઓ છે. આ ઋગ્વેદમાં વીવીધ પ્રશ્રો, જાતજાતની ફીલસુફીઓ અનેક પ્રકારની સમસ્યાઓ, તેમના ઉકેલો, અનેકાનેક દેવો, તેમની પ્રાર્થના, પુજા–વીધીઓ વગેરે સુંદર શ્લોકો, સ્તોત્રોમાં રજુ થયા છે. ઋગ્વેદમાં તુટક તુટક આ બ્રહ્માંડની ઉત્પત્તી આદી વીશે રજુઆત છે. ઋગ્વેદમાં (10–121) ઋષી કહે છે કે હીરણ્યગર્ભ, સોનાના ઈંડામાંથી એક બાળકનો જન્મ થયો. તેણે આ બ્રહ્માંડની રચના કરી. આ બ્રહ્માંડમાં આકાશ, સુર્ય–ચન્દ્ર, ગ્રહો, પૃથ્વી વગેરેનું ધીમે ધીમે સર્જન થયું છે. આ બ્રહ્માંડના સ્વરુપને પ્રકૃતી(Nature) કુદરત કહીએ અને આ બ્રહ્માંડ, પૃથ્વી ઉપર દરેક ચીજ, સર્જન દૈવી અંશ છે. દરેક સર્જનનો કોઈ અધીપતી દેવદેવી હોય છે. 10–125 સુક્તમાં કહેવાયું છે કે જાતજાતના અનેકાનેક દેવદેવો એ ઈશ્વરનો અંશ છે અને તેઓ આ વીશ્વની ચીજોના સર્જક અધીપતી છે. આ રીતે અગ્ની, વરુણ(પાણી), યમ(મૃત્યુ), નદી, પર્વત, નાગ, વાઘ વગેરે તમામનો કોઈને કોઈ દેવ અધીપતી છે. ઋગ્વેદમાં આ દેવ–દેવીઓની પ્રાર્થના, પુજા, તેમના માટે યજ્ઞો કરવા તે કેવી રીતે કરવા તેનું વીગતવાર નીરુપણ કરવામાં આવ્યું છે. આ બ્રહ્માંડની રચના, વ્યવસ્થાના અધીપતી ત્રણ દેવો (દેવત્રયી) ગણાવ્યા છે. બ્રહ્મા–સર્જક, વીષ્ણુ–પાલક તેમ જ શીવ–મહેશ સંહારક. ઋગ્વેદમાં (129–10)માં કહેવાયું છે કે આ પૃથ્વી સ્થીર છે. સતપથ બ્રાહ્મણ 7–1–2–23 તેમ જ ગાયત્રી મન્ત્રમાં આ બ્રહ્માંડ વીશે કથન છે કે આ બ્રહ્માંડમાં ત્રણ લોક છે. પૃથ્વી, તેની ઉપર અન્તરીક્ષ અને તેની ઉપર સ્વર્ગ. વૈદીક સ્ત્રોતમાં એક ઠેકાણે એમ કહેવાયું છે કે આ બ્રહ્માંડ ગોળ, ગોળ ફરે છે અને તેનો આકાર ઈંડા જેવો છે.

સ્વામી દયાનંદ સરસ્વતી વેદોને અન્તીમ અધીકારશાસ્ત્ર માનતા. તેમણે ઈશ્વરની – દેવની મુર્તીપુજાને સ્થાને વેદોને અન્તીમ તત્ત્વ તરીકે સ્થાન આપ્યું. તેમના મતે વેદકાળમાં વહાણો તેમ જ વીમાનો વીશેની ટૅકનોલૉજી હતી. વળી, સન્દેશાવ્યવહાર માટે ટેલીગ્રાફીનું મીકેનીઝમ પણ વેદકાળમાં હતું.

ઋગ્વેદમાં એક મોટો ભાગ જુદા જુદા દેવદેવીઓ માટે તેમ જ વર્ષમાં જુદા જુદા સમયે કયા દેવ–દેવીઓનું પુજન અર્ચન કરવું તે માટેના યજ્ઞો કરવાની વીધીઓ કર્મકાંડો વીશે છે. ટુંકમાં પ્રકૃતીપુજા વીશે વીગતે વર્ણન વેદોમાં છે. ઋગ્વેદની રચના થવામાં જુદા જુદા ઋષીઓ પોતપોતાની રીતે આગવું ચીંતન કરતા હતા. તેમાં બ્રહ્માંડની ઉત્પત્તી વીશે એક ઋષીએ ઋગ્વેદ (129–5)માં કહ્યું છે કે,

को यद्धा वेदक ईह प्रयोजत ।
फुन आजाता कुत: इयं विसृष्टि ।।
वर्गाग्देवा अस्य विसर्जनेन ।
वा को वेद यत आबमूव ।।

આ પૃથ્વીની ઉત્પત્તી કેવી રીતે થઈ તે સાચી રીતે કોણ જાણે છે? અહીં કોણ જાહેર રીતે કહી શકે કે તે ક્યારે ઉત્પન્ન થઈ? દેવો તો વીશ્વની ઉત્પત્તી પછી અસ્તીત્વમાં આવ્યા અને તે (પૃથ્વી) ક્યારે ઉદ્ભવ પામી તે કોણ જાણે છે? ઋગ્વેદ (10–22–14) કહે છે કે, આ પૃથ્વીને હાથ–પગ નથી; છતાં તેનામાં ગતી છે. પૃથ્વી ઉપરના તમામ પદાર્થો તેની સાથે ગતીમાં રહે છે. પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. ઋગ્વેદ (10–149–1)માં કહેવાયું છે કે, સુર્ય પૃથ્વી અને અન્ય ગ્રહોને આકર્ષણથી બાંધી રાખે છે અને તેમને પોતાની આસપાસ ફેરવે છે. જેમ– ઘોડાઓને તાલીમ આપતો એક શીક્ષક, ઘોડાઓની લગામો પકડીને તેમને ગોળ ગોળ ફેરવે છે તેમ. એટલે કે ગુરુત્વાકર્ષણનો ખ્યાલ ઋગ્વેદના ઋષીને હતો એવું માની શકીએ. ઋગ્વેદ(8–12–28)માં ઋષી કહે છે કે, ઓહ, ઈન્દ્ર તારા પ્રકાંડ કીરણો કે જેમનામાં ગુરુત્વાકર્ષણ તેમ જ આકર્ષણના ગુણો છે, પ્રકાશ–ગતીના ગુણો છે તે સકળ બ્રહ્માંડને તેના આકર્ષણબળ દ્વારા નીયન્ત્રણમાં, નીયમનમાં રાખે છે. ઋગ્વેદ (1–6–5) તેમ જ (8–12–30)માં પ્રાર્થના છે કે હે પ્રભુ તે સુર્યને ઉત્પન્ન કર્યો છે, તારામાં અગાધ, અમાપ શક્તી છે. તું, સુર્ય અને બીજા ગોળાઓને તારી આકર્ષણની શક્તીના પ્રભાવથી મજબુત રીતે પકડી રાખે છે.

ઋગ્વેદ (1–35–9) કહે છે કે, સુર્ય તેના પોતાના પરીઘ–વર્તુળમાં ફરે છે, સાથે તે પૃથ્વી તેમ જ અન્ય આકાશી તત્ત્વોને એવી રીતે પકડી રાખે છે કે તેઓ આકર્ષણ બળે એકબીજા સાથે કદી ભટકાય નહીં. ઋગ્વેદમાં વીશ્વ રચના, વીશ્વ બ્રહ્માંડમાં કાર્યવીધી અને સમગ્ર બ્રહ્માંડ, પૃથ્વી વીશે જાતજાતની કેટલીક વાર પરસ્પર વીરોધી લાગે તેવી રજુઆતો થઈ છે. તેમાંથી આપણે કેવું સત્ય તારવવું?

એમ પણ કહેવાયું છે કે, એક વાર પૃથ્વીની રચના થયા પછી લાંબા ગાળે પ્રલય થયો. તેમાં સર્વ નાશ થયા પછી ભગવાન મનુએ આ પૃથ્વી–સૃષ્ટીનું તમામ પ્રકારના જીવો, વનસ્પતી, વાતાવરણનું સર્જન કર્યું અને આ પૃથ્વી ઉપર માનવજીવનના સંચાલન માટે માર્ગદર્શક નીયમો આપ્યા તે મનુસ્મૃતી.

યજુર્વેદ :

યજુર્વેદની રચના ઈ. સ. પુ . 1200માં થઈ હોવાનું કહેવાય છે. યજુર્વેદમાં મુખ્યત્વે યજ્ઞો, પુજા, હોમ હવન કરવાની વીધીઓ કર્મકાંડોનું તે પરત્વેના મન્ત્રોનું નીરુપણ થયેલું છે. દરેક દેવદેવી માટે અલગ અલગ પ્રકારના યજ્ઞો, હવન તે બાબતોના મન્ત્રો, આપવાની આહુતીઓ વીશે વીગતે વર્ણન છે. યજુર્વેદના ગ્રન્થને સંહીતા, બ્રાહ્મણો નામના વીભાગોમાં વહેંચવામાં આવ્યો છે.

સામવેદ :

સામવેદને ભારતીય સંગીતના શાસ્ત્ર વીશેનો આદી ગ્રન્થ કહેવામાં આવે છે. પ્રાર્થના પુજાના શ્લોક, સ્તોત્ર કે સ્તુતી કેવી રીતે, કેવા રાગ, કેવા ઉચ્ચારો અને આરોહ–અવરોહ સાથે રટણ થાય, ગાન થાય તેની શાસ્ત્રીય વીગતો સાથે રજુઆત કરવામાં આવી છે. એટલે સામવેદને રટણ, ગાનના શાસ્ત્રનો ગ્રન્થ કહેવામાં આવે છે. ભારતીય શૈલીના સંગીતનું મુળ આ વેદમાં છે.

અથર્વવેદ :

અથર્વવેદ એ પ્રાર્થના, પુજા, દેવોની સ્તુતીના ગ્રન્થ કરતાં વીશેષ રીતે દુન્યવી બાબતો, જીવનરીતી વીશેનું નીરુપણ કરતો ગ્રન્થ છે. માણસોની જીજીવીષા પ્રબળ છે. આયુષ્ય મર્યાદા હોય છે તો આ બાબતે શું થઈ શકે તે પરત્વેની પુજા, કર્મકાંડની વીધીઓ બતાવવામાં આવી છે. વળી, સાંસારીક જીવનની સમસ્યાઓ ટાળવી, દુ:ખ, આપત્તીઓમાંથી ઉગરવું, કમનસીબ, દુર્ભાગ્યને ટાળવું, સત્તા, ધન, સમ્પત્તી મેળવવી આ તમામ માટેના સ્તોત્રો અથર્વવેદમાં છે. વળી, રોગોનો ઉપચાર, રોગોને ટાળવા માટે ઔષધો, અમરત્વની પ્રાપ્તી, સ્વર્ગપ્રાપ્તી માટેના ઉપાયો પણ અથર્વવેદમાં બતાવવામાં આવ્યા છે.

શું વેદોમાં વીજ્ઞાન છે? :

આવો પ્રશ્ન પુછવો તે જ અર્થહીન છે. વેદો જે સમયગાળામાં રચાયા ત્યારે જે તે ઋષીમુનીઓએ તેમાં પ્રદાન કર્યું. તેમનો હેતુ કેવળ ધાર્મીક અને આધ્યાત્મીક જ હતો, જે વેદોનું અધ્યયન કરતાં સ્પષ્ટ ઉપસી આવે છે. ઋગ્વેદમાં તો પ્રકૃતીપુજા કેન્દ્રસ્થાને છે, યજુર્વેદમાં કર્મકાંડોનું વૈવીધ્ય છે, સામવેદ સંગીતનું શાસ્ત્ર સમજાવે છે અને અથર્વવેદમાં દુન્યવી પીડા, આપત્તીઓ સામે ઉપચારો કેન્દ્રસ્થાને છે.

વળી, ઋગ્વેદમાં ઋષી સૃષ્ટીસર્જન વીશે જણાવે છે; પરન્તુ તેમાં વીગતે વીશ્લેષણ કરવામાં આવ્યું નથી. બીજા એક ઠેકાણે નાસદીય સુક્ત 10–18માં કહેવાયું છે કે આ વીશ્વનું સર્જન કોણે કર્યું? તેની ખરેખર જાણ કોઈને નથી. અને તે જાણી શકાશે પણ નહીં, દેવો પણ નહીં; કારણ કે દેવોનું સર્જન તો પાછળથી થયું છે. પૃથ્વીની ગતી વીશે ઋગ્વેદના સુત્ર 129–10માં એક ઋષી કહે છે કે પૃથ્વી સ્થીર છે અને પછી બીજા સુત્ર (10–12–14)માં બીજા ઋષી કહે છે કે પૃથ્વી ગતી કરે છે, સુર્યની આસપાસ ફરે છે. વળી, ઋગ્વેદમાં ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ છે, સુર્ય પૃથ્વી તેમ જ અન્ય ગ્રહોને જકડી રાખે છે વગેરે. આવા કથનો જોઈને તે વીશે ઉંડી તપાસ, વીવેકવીચાર કર્યા વગર ‘આપણી સંસ્કૃતી’ વીશે મીથ્યાભીમાન કરનારા કહેશે કે ન્યુટનના સમયથી વર્ષો પહેલાં અમારા ભારતમાં ‘ગુરુત્વાકર્ષણ’નો ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. વેદોમાં વીજ્ઞાન છે જ.

હવે વીચારો કે એક જ ગ્રન્થમાં પરસ્પર વીરોધી વીધાનો કેમ? આની સમજ સ્પષ્ટીકરણ એ હોઈ શકે કે જે તે ઋષીએ પોતાને જે સુઝ્યું તે તેણે તે સમયે લખ્યું. ઋગ્વેદ એકસુત્ર તેમ જ સળંગ નથી એટલે પરસ્પર વીરોધી વીચારો હોઈ શકે. ટુંકમાં વીજ્ઞાનમાં જેમ એક જ મુદ્દા વીશે જુદા જુદા વીજ્ઞાનીઓ સળંગ તેમ જ સામગ્રીકપણે વીચારે છે. તેમ જે તે કાળમાં થયેલા ઋષીએ આગળના કાળના ઋષીના લખાણો સુત્રો તપાસ્યાં નથી. એક કાળના વીજ્ઞાનનું કાર્ય પહેલાંના વીજ્ઞાનના કાર્યને આગળ લઈ જાય છે, એવું વેદોમાં નથી જ, નથી. કારણ કે વેદો એ વીજ્ઞાનના ગ્રન્થો નથી. વેદોમાં જ્ઞાન–વીજ્ઞાનની સાધના નથી. વળી, દરેક ઋષીના ધ્યાન, તપનું કેન્દ્ર અને ધ્યેય તો ‘મોક્ષ’ જ હોય. તેને કોઈ સીદ્ધાન્ત રચનામાં રસ ન હોય. આ તો જે તે ઋષીને જે પ્રાસીંગક, આકસ્મીક અનુભવો થયા, વીચારો સ્ફુર્યા, તુક્કાઓ સુઝ્યા, ઘટનાઓ જોઈ તે વીશે તાત્કાલીક જે તે લખી નાંખ્યું. આમ જેને આપણે વેદોમાં કે પછી ઉપનીષદ, પુરાણો, દર્શનોમાં વૈજ્ઞાનીક કથનો કહીએ છીએ એ બધાં કંઈ તપાસના અન્તે તારવેલાં તારણો નથી; પરન્તુ આકસ્મીક સ્ફુરેલી કલ્પનાઓ છે. આ તો તરંગ, કપોળ કલ્પના જ કહેવાય. વૈજ્ઞાનીક કથન નથી.

આ વીશ્વની, પ્રકૃતીમાં બનતી ઘટનાઓ, પ્રકૃતીની ગતીવીધીઓ સમજવી, તેનાં કારણો શોધવા, તેમાં નીયમો તારવવા, આ નીયમોના આધારે ઉપકરણો બનાવવા એ જે વીજ્ઞાનનું ધ્યેય છે એ તો વેદોનું ધ્યેય હતું જ નહીં, છે જ નહીં. વેદોમાં વીજ્ઞાન શોધવું, તેમને વીજ્ઞાનના ગ્રંથો કહેવા એ મીથ્યાભીમાન, અજ્ઞાન ને ફુલણજી વેડા છે.

(ક્રમશ:)

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 –મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 36થી 40 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક : ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત – 395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02/09/2019

4 Comments

  1. “પરન્તુ પાયાની બાબત એ છે કે આ આદ્ય મુળભુત મનાતા વેદો(ધર્મગ્રન્થો)માં ખ્રીસ્તી કે ઈસ્લામના ધર્મગ્રન્થો બાઈબલ, કુરાનમાં છે તેવી એકસુત્રતા બોધનો ચોક્કસ ઢાળ, આકાર જોવા મળતો નથી.”
    –ડૉ. બી. એ. પરીખ.
    મારી ડૉ. બી. એ. પરીખ ને નમ્ર વિનંતી છે કે ફ્રાન્સ ના એક સમયના જગ પ્રખ્યાત અભ્યાસી અને વિદ્વાન ડોક્ટર મોરિસ બુકાઇલ (Dr. Maurice Bucaille) ના પુસ્તક The Bible, The Quran and Science વિષે પણ પોતાના વિચારો જણાવે જેમાં લેખકે બાઇબલ તથા કુરાનમાં વિજ્ઞાન વિષે શું જાણકારી છે તે વિષે દાખલાઓ આપીને લંબાણપૂર્વક વિગતો આપેલ છે. મેં એ લેખકની સાથે મુલાકાત કરેલ છે, અને મારી પાસે તેના હસ્તાક્ષર કરેલા તેના પુસ્તકની નકલ પણ છે, અને મેં તેની સા થે પત્રવ્યવહાર પણ કરેલ છે.
    ________________________________

    Like

  2. વેદોમાં વિજ્ઞાન ?
    ડો. પરીખનો લેખ વાંચ્યો.
    પશ્ચિમના વિજ્ઞાન અને વિજ્ઞાનીકોઅે ગુરુત્વાકર્ષણના પાકા સમીકરણો આપ્યા.જેનો ઉપયોગ કરીને આજના અવકાશ વિજ્ઞાનને તેના કાર્યમાં સાચા રસ્તાઓ આપીને સફળતા અાપી છે. વેદોમાં, ડો. પરીખનું કહેવું છે કે, પાકા સમીકરણો નથી જેનો ઉપયોગ કરીને વિજ્ઞાનને બીજી દિશાઓમાં પણ પ્રગતિ કરી…સફળતાપૂર્વકની પ્રગતિ.
    બીજા વેદોના સર્જનમાં રહેલા વિષયોનું જ્ઞાન પણ ‘ વિજ્ઞાન ‘ કહેવાય કે કેમ ?
    સરસ લેખ જે વાચકને વૈજ્ઞાનિક રીતે વિચારતા કરે છે…..હાં વૈજ્ઞાનીક રીતે વિચારતા કરે છે.

    જે સત્ય છે તેની કબુલાત કરી લઇઅે., તો ૨૧ મી સદીમાં દુનિયાના બીજા દેશોની હરોળમાં વિજ્ઞાનના વિષયમાં ચાલી શકીશું…

    .ભારતે અને ભારતના આજના વિજ્ઞાનીઓઅે તે સાબિત કરી બતાવ્યુ છે જ. ચંદ્ર ઉપર પહોચવાની સફળતા વિજ્ઞાનના આજે મળતાં સમીકરણોની …નિયમોની … આંગળી પકડીને જ જઇ શકાયુ છે તે ૧૦૦ ટકાની વાત છે. ફીઝીક્સ કે કેમીસ્ત્રીના નિયમો ….સાબિતી સાથેના નિયમો આજે થયેલી વૈજ્ઞાનિક પ્રગતિની સાબિતિ છે.
    હમારે જમાને મેં…….તો…..????????
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Please sir if possible,will u send me my email Kalika mataji article,Patai
    king has caught her hand that had rumored etc…I have found on past ur
    articles but unable to found it so please send me

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s