‘એનોરેક્સીયા નર્વોઝા’

શું યુવાન છોકરીઓ છોકરી પાતળી થવા અને વજન ઉતારવા સખત પરીશ્રમ કરે છે? સ્ત્રીઓ પોતાની સ્થુળતા તથા સૌંદર્ય અંગે વધુ પડતી સજાગ અને સંવેદનશીલ છે? સ્ત્રીઓ દાંતોનું વાયરીંગ, મોંની સાઈઝ ઘટાડવાથી માંડીને ‘લાઈપોસકશન’ જેવી ચરબી કાઢનાર સર્જરી કરાવવાના અખતરાઓ કરે છે? ‘એનોરેક્સીયા નર્વોઝા’ વીશેની માહીતી, સમજ અને જાણકારી પ્રસ્તુત છે.

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

એનોરેક્સીયા નર્વોઝા

–ડૉ. મુકુલ ચોકસી

શનીવારે સાંજે ઘરના બધા જ ભેગા ડીનર લઈ રહ્યા હતા ત્યારની વાત છે. બધા પોતપોતાની વાતોમાં મશગુલ હતા; પરન્તુ રેખાબહેનની નજર તેમની યુવાન પુત્રી શેફાલી ઉપર જ મંડાયેલી હતી. છેલ્લા કેટલાક દીવસથી તેમને લાગતું હતું કે શેફાલી કંઈક મુંઝવણમાં છે. તેનું શરીર સુકાતું જતું હતું અને વર્તન સમજી ન શકાય એવું બનવા માંડ્યું હતું.

અચાનક રેખાબહેન ચોંકી ઉઠ્યા. તેમણે જોયું કે શેફાલીએ તેની ડીશમાંથી કેટલીક પુરીઓ, ટેબલ પર પડેલા બાઉલમાં પાછી મુકી દીધી અને બે રસગુલ્લા બાજુમાં બેઠેલા તેના ભાઈની થાળીમાં સરકાવી દીધા. શેફાલીએ એટલી સીફ્તપુર્વક આ કર્યું કે કોઈની નજરમાં ન આવ્યું. રેખાબહેનને નવાઈ લાગી; પણ તેઓ કંઈ વીચારે તે પહેલાં તો તેઓ વધુ જોરથી ચોંકી ઉઠ્યા. આ વખતે શેફાલીએ તેની ડીશમાં મુકેલી મીઠાઈ ઉંચકીને ધીમેથી પોતાના ખોળામાં મુકેલા પર્સમાં સન્તાડી દીધી.

પછીની વીસ મીનીટ સુધી શેફાલીની ભોજન પ્રક્રીયાનું; સતત નીરીક્ષણ કરીને રેખાબહેને નોંધ્યું કે તેમની લાડકી પુત્રીએ પુરી ચાલીસ મીનીટ સુધી થાળી સામે બેસી રહેવા છતાં ભાગ્યે જ કશું ખાધું હશે. તે વારંવાર ખાદ્ય પદાર્થોના વગર કારણે ટુકડા કર્યા કરતી હતી. તેનો હાથ મોઢામાં વારંવાર જતો હતો; પણ હાથમાં ભાગ્યે જ કશો ખોરાક તે રાખતી. એક બ્રડના તો તેણે સાઠથી સીત્તેર ઝીણા ઝીણા ટુકડા કર્યા હશે.

રેખાબહેનને શેફાલીની ચીંતા થઈ આવી. તેમને સમજાયું નહીં કે તે આવું કેમ કરતી હશે. બધા જમીને છુટા પડી રહ્યા હતા. શેફાલી ઝડપથી હાથ ધોઈને પોતાના રુમમાં ચાલી ગઈ. રેખાબહેને વીચાર્યું કંઈ નહીં. સાંજે એના પપ્પાને વાત કરી જોઈશ; પણ પાંચ જ મીનીટ પછી તેઓના સતર્ક કાનોએ કંઈક સાંભળ્યું અને તેઓ ત્વરાથી શેફાલીના રુમમાં ગયા. અન્દર જઈને જોયું તો બેઝીનની સામે ઉભી રહીને શેફાલી મોમાં આંગળી નાખીને ઉલટી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. અને મમ્મી તેની પાસે પહોંચે તે પહેલા તો તેણે મોટી ઉલટી કરી નાખી.

હેબતાઈ ગયેલા રેખાબહેને તેને પથારી પર સુવડાવી અને વાંસે હાથ ફેરવ્યા કર્યો. તે દરમીયાન તેઓની નજર શેફાલીના રુમમાં ફરતી રહી. યુવાન પુત્રીના રુમમાં તેમને ભાગ્યે જ આવવાનું થતું. આજે કદાચ પહેલી જ વાર તેઓ રુમની એકેએક વસ્તુઓનું ઝીણવટપુર્વક નીરીક્ષણ કરી રહ્યાં હતા. તેમણે જોયું કે સામેના ખુલ્લા કબાટના ખુણામાં કેડબરીનું એક મોટું પેક પડેલું હતું. બાજુમાં પડેલા ટેબલના ડ્રોઅરમાં પણ ચોકલેટની એક આખી કોથળી પડેલી હતી. વળી ખુણામાં મીઠાઈનો એક ડબ્બોય દેખાતો હતો. જેમ જેમ તેઓ આ બધું જોતા ગયા તેમ તેમ તેઓની મુંઝવણ વધતી જ ગઈ. તેમને સમજાયું નહીં કે એક તરફ શેફાલી ભોજનમાં ભાવતી વાનગીઓ હોવા છતાં ભુખી રહે છે અને બીજી તરફ તેના રુમમાં બધે ખોરાકના પેકેટો જ દેખાય છે. તેમને બીજી મુંઝવણ એ થતી કે શેફાલી મોઢામાં આંગળી નાખીને સામે ચાલીને ઉલટી શા માટે કરતી હશે!

તે રાત્રે રેખાબહેને ચીંતાતુર સ્વરે શેફાલીના પપ્પાને પુછ્યું, ‘તમને ખબર છે શેફાલીની તબીયત બગડી છે તે?’

શેફાલીના પપ્પા પંકજભાઈ બીઝનેસમેન હતા અને એ જ રીતે તેમણે જવાબ આપ્યો. ‘શું થયું છે! દવા લાવી આપજે.’

પણ રેખાબહેનની અકળામણ ઓછી ન થઈ. ‘તમે આમ વાતને ઉડાવી ન દો. શેફાલી વીચીત્ર રીતે વર્તી રહી છે. તે માંદી ન પડી જાય તો સારું.’ તેમણે અચકાતાં અચકાતાં કહ્યું. તરત જ પંકજભાઈએ હળવા સ્વરે જવાબ આપ્યો, ‘તેને રોજ મળસ્કે ચાર વાગે ઉઠીને કસરત કરવાની શું જરુર છે? પછી શરીર ન બગડે તો બીજું શું થાય?’ અને રેખાબહેન આ સાંભળી દંગ રહી ગયા. તેમને ખબર જ નહોતી કે તેમની લાડકી પુત્રી રોજ મળસ્કે પોતાની રુમમાં હાથ, પગ, પેટ, કમરના સ્નાયુઓની જાતજાતની અનેક કસરતો, યોગ, પ્રાણાયામ, દંડ–બેઠક વગેરે પુરા ત્રણ કલાક સુધી નોનસ્ટોપ કરે છે અને તેય છેલ્લા એક મહીનાથી.

બીજે દીવસે મળસ્કે ચાર વાગે શેફાલીના રુમના દરવાજે ટકોરો પડ્યો. પહેલા તો શેફાલીએ એના તરફ ધ્યાન ન આપ્યું પણ ફરી ટકોરો થયો. તેણે દરવાજો ખોલ્યો. સામે તેની મમ્મી ઉભી હતી. ‘મમ્મી! તું આટલી વહેલી ઉઠીને શું કરે છે?’ શેફાલીએ પહેલો પ્રશ્ન કર્યો. ‘તારી ચીંતા કરું છું બેટી! હું છેલ્લા કેટલાક દીવસથી જોઈ રહી છું, તું એકલી એકલી જ રહે છે. ગઈ કાલે તને ઉલટીઓ થતી હતી. તું બરાબર ખાતીપીતી નથી. તારું શરીર તો જો! કેવું લેવાઈ ગયું છે! હવે આવા વખતે તને આવી એક્સરસાઈઝ કરવાની સલાહ કોણે આપી? ચાલ, જલદીથી લાઈટ બન્ધ કરી સુઈ જા જોઉં!’

‘તારા પપ્પા જાગી જશે. સવારે વધારે વાતો કરશું’ આટલું કહીને મમ્મી તેના રુમમાં જતાં રહ્યાં.

રેખાબહેને જતાં જતાં જોયું કે શેફાલીની રુમની લાઈટો બન્ધ થઈ ગઈ હતી; પણ તેમને નહોતી ખબર કે અન્ધકારમાં પણ શેફાલી એક્સરસાઈઝ કરી રહી હતી. એ જ રીતે અને એટલા જ જોરથી.

બીજે દીવસે સવારે બ્રકફાસ્ટના સમયે પંકજભાઈ શેફાલીની રાહ જોતા બેઠા હતા. તેમણે શેફાલી સાથે તેની તબીયત અને તેના વર્તન અંગે વાતચીત કરવાનું નકકી કર્યું હતું; પણ શેફાલી કોફી માટે ડાઈનીંગ રુમમાં આવી જ નહીં. છેવટે અકળાઈને પંકજભાઈએ શેફાલીના નામની બુમ પાડી. તો એના નાના ભાઈ બીટ્ટુએ જવાબ આપ્યો. ‘દીદીની તબીયત સારી નથી ડેડ! તેને લેટ્રીન થયા કરે છે! તે કોફી પીવાની ના પાડે છે.’ પંકજભાઈને હવે ગુસ્સો આવવા માંડ્યો હતો. જો શેફાલીની તબીયત ખરાબ હોય તો તે મને જણાવતી કેમ નથી? આટઆટલા ડૉક્ટરો શું કામના છે? અને આવી હાલતમાં ભુખ્યા રહીને એક્સરસાઈઝ કરવાની શી જરુર છે?

પંકજભાઈ ત્યાંથી ઉઠીને સીધા શેફાલીની રુમમાં પહોંચી ગયા. તેમને એમ હતું કે તેમની દીકરી માંદી હોવાથી ઉંઘતી હશે; પણ તેમને નવાઈ લાગી કે શેફાલીનું મોઢું તો મરકતું હતું. તે વજનકાંટા પર ઉભી હતી અને તેનું ધ્યાન નીચે હતું. તે કંઈક બોલવા જતી હતી; પણ પપ્પાનું ગુસ્સાવાળું મોઢું જોઈને ચુપ થઈ ગઈ. ‘હું તારી સાથે કેટલીક અગત્યની વાત કરવા આવ્યો છું. તાત્કાલીક. મને લાગે છે કે તું જાણી જોઈને તારી તબીયત બગાડી રહી છે. તારે કંઈ કહેવું છે?’ પપ્પાએ કરડાકીભર્યા સ્વરે પુછ્યું.

‘ના’, શેફાલીએ બને એટલી નમ્રતાથી જવાબ આપ્યો. અને ઉમેર્યું, ‘હું મારી તબીયત નથી બગાડી રહી… ઉલટી વધારે કાળજી રાખી રહી છું.’ અને પપ્પાનો રોષ ઉછળી આવ્યો. ‘કાળજી રાખી રહી છે? આને તું કાળજી કહે છે?’ એમ કહીને તેમણે ગજવામાંથી નાની શીશીઓ કાઢીને શેફાલીના પલંગ પર ફેંકી. ‘આ દવાની બાટલીઓ તારા પર્સમાંથી નીકળી છે.’ એમાં ‘ડલકોલેક્સ’ નામની ગોળીઓ છે. જે કબજીયાત મટાડવા વપરાય છે અને વધુ માત્રામાં લેવાથી વધુ પડતા જુલાબ થાય છે. આ બીજી બાટલીમાં ‘ઈપીકાક’ છે જેનાથી ઉલટીઓ થાય છે. તને એવો કયો રોગ થયો છે કે તારે વધુ પડતા જુલાબ અને ઉલટીઓ કરવાની જરુર પડી? અને તેય ટીકડીઓ ખાઈને? તે વળી પાછું ડૉક્ટરની સલાહ વગર? તારે સ્કુલે ન જવું હોય અને ભણવું ન હોય તો ના પાડ; આમ શરીર બગાડવાની જરુર નથી.’

શેફાલી શાંત ચીત્તે પપ્પાનો પ્રકોપ સાંભળતી રહી; પછી આટલું જ બોલી. ‘મેં હજુ સુધી એક પણ દીવસ સ્કુલ પાડી નથી; હું હજુય પહેલા જેટલું જ વાંચું છું અને પહેલે નમ્બરે જ પાસ થાઉં છું.’

‘પણ તો પછી હાથે કરીને ઝાડા–ઉલટીઓ કરીને, ભુખી રહીને અને કસરતો કરીને શરીરને કેમ બગાડે છે?’ પપ્પાનો ગુસ્સો હજુ ઠંડો નહોતો પડ્યો.

‘વજન ઉતારવા.’ શેફાલી બોલી અને એ જવાબ સાંભળીને પંકજભાઈ વધુ છેડાઈ પડ્યા. તેઓ ખુરશીમાંથભી ઉભા થઈ ગયા.

‘શું કહ્યું? વજન ઉતારવા? તારું ચસકી તો નથી ગયું ને? કયા ગધેડાએ તને આવી સલાહ આપી? કેટલું વજન છે તારું? ચાલ, ઉભી રહે આ કાંટા ઉપર અને મને બતાવ જોઉં!’ શેફાલી અનીચ્છાએ વજનકાંટા પર ઉભી રહી અને પપ્પાના મોઢામાંથી અવાજ નીકળ્યો. ‘ચાલીસ કીલોગ્રામ; સેન્ડલ ને સ્વેટર સાથે.’

ત્યાર પછીના પાંચસાત દીવસો શેફાલીને કડક નજરબન્ધી હેઠળ રાખવામાં આવી. તેના કબાટમાંથી ડાયેટીંગ અંગેનું તમામ સાહીત્ય લઈ લેવામાં આવ્યું. રુમમાંથી પણ એ પ્રકારની તમામ સામગ્રીઓ ખસેડી લેવામાં આવી. શેફાલી તેની સ્લીમીંગ સેન્ટર અને બ્યુટી પાર્લર ચલાવતી ફ્રેન્ડઝને ન મળી શકે એનું ધ્યાન રાખવામાં આવ્યું. શેફાલી ચતુર હતી, તો પપ્પા બમણા ચતુર હતા. બીજે અઠવાડીયે તેમણે જાહેર કર્યું. ‘શેફાલી બબ્બે કલાક બાથરુમમાં નહાવાને બહાને ભરાઈ રહે છે તે નહીં ચલાવી લેવાશે. તેણે પન્દર જ મીનીટમાં સ્નાન પુરું કરવું પડશે.’ અને આમ બાથરુમમાં ઉઠ–બેસ કરી શરીર ઉતારવાનો કાર્યક્રમ પણ નીષ્ફળ બનાવી દેવામાં આવ્યો.

આ વાતને પન્દરેક દીવસ થયા હશે. એવામાં એક બપોરે પંકજભાઈનો નોકર તેમની ઑફીસે દોડતો દોડતો આવ્યો. તે હાંફતો હાંફતો બોલતો હતો. ‘સાહેબ, શેફાલીબહેનને માથમાં વાગ્યું છે. તેમને હૉસ્પીટલમાં દાખલ કર્યા છે.’ પંકજભાઈએ હૉસ્પીટલ પહોંચતા પહેલા, શું બન્યું અને કેવી રીતે બન્યું તેની જાણકારી મેળવી અને તેમને જબ્બર આઘાત લાગ્યો.

શેફાલી સવારથી ઘરેથી નીકળી હતી. દસ કીલોમીટર દુર આવેલી સ્કુલે તે ચાલતી ગઈ હતી અને ત્યાંથી ચાલતી પાછી ફરી રહી હતી. રસ્તામાં ચક્કર આવવાથી તે પડી ગઈ હતી અને એક પથ્થરની ધાર તેના કપાળે વાગી હતી. સૌએ પહેલા તો માન્યું કે ભુખે પેટે આટલું ચાલી હોવાથી તેને ચકકર આવ્યા હોવા જોઈએ; પણ પછી તેના પર્સમાંથી જે મળ્યું તે જોઈને સૌ સડક થઈ ગયા. શેફાલી પડી ગઈ તેનો અડધો કલાક પહેલા ‘રક્તદાન’ કરીને આવી હતી, જેનું કાર્ડ તેના પર્સમાં પડ્યું હતું. પંકજભાઈ વીચારી જ નહોતા શકતા કે તેમની છોકરી વજન ઘટાડવા માટે ‘રક્તદાન’ કરવા જેવું પગલું પણ લઈ શકે. તેમનું મગજ શુન્યમનસ્ક થઈ ગયું હતું.

અલબત્ત, શેફાલીને ગમ્ભીર ઈજા નહોતી પહોંચી. સાંજે તેને હૉસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી. હૉસ્પીટલ છોડતી વખતે તેઓ એ જ ગડમથલમાં હતા કે શેફાલીનું શું કરવું. એવામાં ત્યાના ચીફ ડૉક્ટર સીંહાએ જ તેમને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને વાત શરુ કરી. ‘જુઓ મીસ્ટર પંકજ જાની! હું તમારી પુત્રીની સ્થીતી વીશે તમારી સાથે થોડી વાત કરવા માંગું છું. ઈફ યુ ડોન્ટ માઈન્ડ!’

પંકજભાઈ તરત જ પ્રત્યુત્તર આપ્યો, ‘હું આપનો આભારી થઈશ. ડૉક્ટર! મને શેફાલીની ખુબ જ ચીંતા થાય છે!’

‘તો તમે બને એટલા જલદી શેફાલીને કોઈ સાઈકીઆટ્રીસ્ટને બતાવજો. હું માનું છું ત્યાં સુધી તેને ‘એનોરેક્સીયા નર્વોઝા’ નામનો માનસીક રોગ થયો છે.’ ડૉક્ટરે કહ્યું.

‘મને જરા વીગતે કહો પ્લીઝ! શેફાલીને શું થયું છે?’ પંકજભાઈના સ્વરમાં અધીરાઈ હતી. ડૉ. સીંહા ધીમા અવાજે બોલ્યા, ‘એનોરેકસીયા નર્વોઝા’ તરીકે ઓળખાતો આ રોગ શેફાલી જેવી યુવાન છોકરીઓને થાય છે. તેમાં છોકરી પાતળી થવા અને વજન ઉતારવા સખત પરીશ્રમ કરે છે. તેઓ એવું માનતી હોય છે કે તેઓ વધુ વજનવાળી, જાડી અને બેડોળ દેખાય છે. કેટલીક વાર તેઓ ખુબ ભુખી થયા પછી ખોરાક ખાઈ લે છે; પણ પછી ભુલ થઈ ગઈ એમ માની ઉલટીઓ કરે છે. પહેલાના જમાનામાં આ રોગ ઓછી માત્રામાં થતો હતો; પણ આજની છોકરીઓ વધુ પડતી ‘બ્યુટી કૉન્શીયસ’ અને ‘વેઈટ કૉન્શીયસ’ બનવાથી આ રોગ સમાજના ઉંચા વર્ગમાં અને પાશ્ચાત્ય સંસ્કૃતીના પ્રભાવવાળા કુટુમ્બોમાં વધુ જોવા મળે છે. અમુક કીસ્સાઓમાં આ રોગ સારો થઈ શકે છે; પણ દર્દીની કાળજી એટલા માટે લેવાવી જોઈએ કે આ રોગ ક્યારેક મૃત્યુ સુદ્ધાં નોતરી શકે છે. હું આશા રાખું છું કે તમે શેફાલી માટે સાઈકીઆટ્રીસ્ટને કન્સલ્ટ કરશો અને આ રોગ વીશે વધુ તો તેઓ જ કહેશે ખરુંને!’

એનોરેક્સીયા નર્વોઝા

કીશોરીઓને થતો આ માનસીક રોગ શું કામ થાય છે તે અંગે જાતજાતની થીયરીઝ ઘડી કાઢવામાં આવી છે. અમુક સાઈકીઆટ્રીસ્ટો માને છે કે આજનો યુગ એ ‘ડાયેટીંગ ઍન્ડ સ્લીમીંગ એરા’ છે. સ્ત્રીઓ પોતાની સ્થુળતા તથા સૌંદર્ય અંગે વધુ પડતી સજાગ અને સંવેદનશીલ છે, જે તેમને પાતળા બનવા માટે, દાંતોનું વાયરીંગ કરાવી મોંની સાઈઝ ઘટાડવાથી માંડીને ‘લાઈપોસકશન’ જેવી ચરબી કાઢનાર સર્જરી કરાવવાના અખતરાઓ સુધી લઈ જાય છે. અને આમ સૌંદર્ય પ્રત્યેની અતીશય સભાનતા તથા ચીંતા જ તેમને આ રોગ તરફ દોરી જાય છે.

તો અમુક મનોચીકીત્સકો માને છે કે આ રોગ સ્ત્રીઓના શરીરમાં થતા હોર્મોન્સના ફેરફારોને કારણે થાય છે. આવું માનવા પાછળનું કારણ એ છે કે ‘એનોરેક્સીયા નર્વોઝા’ના દર્દીઓના લોહીમાં એફ.એસ.એચ, એલ.એચ., જી.એચ. જેવા હોર્મોન્સના પ્રમાણ બદલાયેલા જોવા મળે છે. અને તે સ્ત્રીનો માસીકસ્ત્રાવ ઓછો, નહીંવત્ અથવા બન્ધ થઈ જતો જોવા મળે છે.

કારણ જે હોય તે, આ રોગ એક વાર થયા પછી ઝટ પીછો નથી છોડતો. દર્દીનું વજન ઘટીને અડધું અને ક્યારેક તો એથીય ઓછું થઈ જાય છે. અને છતાં ખુબીની વાત તો એ છે કે દર્દી તો પોતાને હજુય પહેલા જેટલી જાડી તન્દુરસ્ત જ માનતી હોય છે! આને ‘બોડી ઈમેજ ડીસ્ટર્બન્સ’ કહેવાય છે.

જો પુરતી કાળજીપુર્વક સારવાર ન કરવામાં આવે તો આ છોકરીઓ એટલી હદે ખાવાપીવાનું ઓછું કરીને ભુખે મરે છે કે ક્યારેક તેઓ ગમ્ભીર માલન્યુટ્રીશન, ડીહાઈડ્રેશન, એસીડોસીસ કે મૃત્યુનોય ભોગ બનતી હોય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું  મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 23થી 27 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

7 Comments

  1. હા બહુજ સાચી વાત છે જે લેખ માં લખવા માં આવી છે આજ કાલ આ એક જાત ની ફેશન બની ગઈ છે અને બહુજ વ્યાપક પ્રમાણ માં જોવા પણ મળે છે ખાસ કરી ને સ્ત્રી અને યુવતીઓ માં વધારે બીજી બાજુ યુવાનો અને પુરુષો માં પણ બોડી બનાવવા માટે મોંઘા પ્રોટીન બહુજ મોટા પ્રમાણ માં લેવામાં આવી રહિયા છે જે પણ નુકશાન રૂપ થવા ના છે

    Liked by 1 person

  2. સ્નેહીશ્રી ગોવિંદભાઇ અને ડો. મુકુલ ચોકસી,
    તમારો બન્નેનો હુદયપૂર્વકનો આભાર…આ લેખ છાપવા માટે.
    આ લેખની અેક અેક કોપી જે ઘરોમાં દિકરીઓ હોય જે ૧૫ વર્ષની ઉમરની કે તેથી મોટી ઉમરની હોય, તે ઘરોમાં પહોંચતી કરાય. અને સાથે સાથે દરેક હાયશ્કુલમાં છોકરીઓને ટીચરો દ્વારા સમજાવવામાં આવે.
    ખૂબ જ સરળ ભાષામાં સોગ વીશે અને તેના અણઘડ ઉપચારો વીશે સમજાવાયુ છે.
    અભિવ્યક્તિને અેક સુંદર સમાજોપયોગી રસ્તો મળ્યો છે જે આવતી પેઢીના બાળકોને કામ લાગે. કુમળૂ ઝાડ વાળીયે તેમ વળે….ઘરડા કે સિનીયરોને સમજાવવાનો અર્થ નથી….સમાજને મજબુત બનાવવો હોય તો આવતી પેઢીને ઉપયોગી લખાણને પ્રાઘાન્ય આપીઅે. પ્રયત્નો ચાલુ જ રાખજો.
    હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. માહીતિ માટે આભાર!
    આ બીમારી વિષે ખ્યાલ તો હતો પણ નામ નહોતી ખબર! ખોરાક પ્રત્યે વધુ પડતી જાગ્રુતિ ક્યારેક અવળી દિશામાં લઇ જાય!

    Liked by 1 person

  4. આ એક બહુ ભયંકર / ખતરનાક life threatening બીમારી છે,
    મારા માટે તો Too late છે, પણ કોઈ બીજી દીકરી બચી જાય એટલે લખું છું
    માતાઓ ? તમારી Beauti માટે Over cautious -દીકરીઓ ના Eating -Behavior
    પર ધ્યાન આપો,
    મારી movie star જેટલી Beautiful દીકરી આનો ભોગ બની 4th stage cancer મા
    લપટાઈ ગઈ છે,- Years of mal-nutrition can bring any kind of illness,
    મારી story તો બહુ લાંબી છે——
    ડો મુકુલભાઈના લેખો હું અવારનવાર વાંચું છું —- કોઈ એક દીકરીની Health બચી જાય ?
    તો worth છે

    Liked by 1 person

  5. મિત્રો,
    આ બિમારી, થોડો વિચાર કરતાં સમજાયુ કે, પૈસાવાળાઓના ઘરે કે મીડલક્લાસવાળા ઘરે વઘુ થતી હશે…કારણ કે તે ઘરોમાં દિકરીઓને પેસાની વઘુ છુટ હોય છે અને તેમને ‘ કોસ્મેટીક્સ ‘ માં વઘુ રસ હોય છે.
    જનમથી જ ‘ હેન્ડ ટુ માઉથ ‘ જીવન જીવતા હોય તેને તો કુદરતી રીતે માના પેટમાંથી જે મળ્યુ તે લઇને સંતોષ થી જીવવાનું હોય છે. કદાચ જન્મથી જ તે દિકરી માલન્યુટરીશન પામી હોય. રોજિન્દુ જીવન જીવતી હોય.
    મા બાપની ફરજ પહેલી બને છે કે દિકરી…હાં ખાસ કરીને દિકરીઓને ઉત્સાહમાં અને વઘુ પડતા પ્રેમમાં બાળપણથી વઘુ ખોરાક નહિ આપે અને તે દિકરીના દૈનિક જીવન ઉપર વઘુ ઘ્યાન આપે. દિકરાને પણ…પરંતું દિકરીનું જીવન દિકરાના શારિરિક બંઘારણ કરતાં દિકરીઓનું શારિરિક બંઘારણ અને યુવાવય પછી ખૂબ જુદુ હોય છે. માતાઅે વઘુ કાળજી લેવી જોઇઅે. આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં નહિ પરિણમે તેનું ખાસ ઘ્યાન રાખવું જ જોઇઅે. દિકરીઓના જીવનના દરેક દિવસ ઉપર તેની માતાઅે સીરીયસલી ઘ્યાન આપવું જ જોઇઅે. ઇવન આ રોગ પુરતું નહિ….ઇવન રોજીંદા સામાજીક જીવન માટે પણ.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. ડૉ. મુકુલ ચોકસીએ ‘એનોરેક્સીયા નર્વોઝા’અંગે સરળ ભાષામા ઘણી અગત્યની માહિતી આપી તે બદલ ધન્યવાદ શેફાલી જેવી છોકરીઓ અમારા કુટુંબમા જોઇ છે તેમને પ્રેમપૂર્વક સમજાવવી પડે છે .જો કેસ વધુ ગુંચવાડાવાળો હોય તો આવા તજજ્ઞની સલાહ પ્રમાણે વહેલી તકે સારવાર કરવી જોઈએ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s