મંછા ભુત ને શંકા ડાકણ!

કોઈ વૈજ્ઞાનીક આધાર મળતો ન હોવા છતાં ભુતનું અસ્તીત્વ હોવાની માન્યતા આટલી મજબુત, આટલી વ્યાપક હોવા પાછળનું કારણ શું? શું સામાન્ય માણસની બુદ્ધીમાં બેસે એના કરતા જરા ઉપલા લેવલનું આ વીજ્ઞાન છે? ચાલો, આપણે ‘ભુતકથા’ પાછળનું વૈજ્ઞાનીક તથ્ય સમજીએ…

(ચીત્ર સૌજન્ય : લેખકની એફબી ટાઈમલાઈન)

ભુતકથા – 3

મંછા ભુત ને શંકા ડાકણ!

–જ્વલંત નાયક

(‘ભુતકથા–2  https://govindmaru.com/2020/01/20/jwalant-naik-2/ ­­­­­­­નાં અનુસન્ધાનમાં..)

પ્રાથમીક દૃષ્ટીએ મનુષ્ય કોઈ પણ બાબતને સમજવા–અનુભવ કરવા માટે આંખ (દ્રશ્ય), કાન (શ્રવણ), નાક (ગન્ધ–સુગન્ધ), ત્વચા (સ્પર્શ)નો ઉપયોગ કરે છે. આ રીતે અનુભવેલી બાબતો ભાગ્યે જ ખોટી પડતી હોય છે. એટલે જ્યારે આપણે નરી આંખે કશુંક ન સમજાય એવું જોઈએ ત્યારે ઝાઝો તર્ક લગાવ્યા વીના એને સાચું માની લઈએ છીએ. હકીકતમાં આપણે જોયેલો કોઈ વીચીત્ર આકાર, ઓળો, પડછાયો કે પ્રકાશ… એ બધું માત્ર આપણા મગજનો ભ્રમ હોઈ શકે છે. એવું જ સ્વાદ, ગન્ધ, સ્પર્શ અને ધ્વનીની બાબતમાં થાય છે. ન હોય એ દેખાય, કોઈકે સ્પર્શ કર્યો હોય કે કોઈક અદ્રશ્ય રહીને વાતચીત કરતું હોવાનો ભ્રમ થવો એ સામાન્ય ઘટનાઓ જ ગણાય, જો તમે એની પાછળના વૈજ્ઞાનીક કારણો સમજતા હોવ તો! બાકી તમે જો ડરી જાવ, તો તમે આ પ્રકારની ભ્રાંતીને ‘ભુતીયા અનુભવો’ જ ગણી લો! ગત લેખમાં આપણે લોકોને નરી આંખે દેખાતા ભુત પાછળના ખરા કારણ વીષે વાત કરેલી; પરન્તુ કેટલાક ‘ખેરખાં’ઓ માત્ર ભુત જોયાનો જ નહીં; પણ એની સાથે વાતચીત કર્યાનો પણ દાવો કરતા ફરે છે, બોલો!

ભુત સાથે ‘વાતચીત’ કરવાનો અનુભવ :

તમે ગામને ચોરે કે સોસાયટીનાં નાકે ભુતનાં કીસ્સાઓ વીશેની વાત માંડશો એટલે હાજર રહેલા પાંચ–સાત જણ પૈકી એકાદ તો એવું નીકળશે જ, જે ભુત સાથે રીતસરનો વાર્તાલાપ થયો હોવાનો દાવો કરશે. ક્યાંતો એણે પોતે અથવા એના કોઈ સગા–ઓળખીતાએ ભુત સાથે વાતચીત કરી હોવાનું ઉદાહરણ એ આપશે. અને તમને સામી ચેલેન્જ પણ આપશે, કે આટલા સોલીડ પ્રત્યક્ષદર્શી અનુભવનો ઈનકાર થઈ શકે એવો કોઈ જવાબ વીજ્ઞાન પાસે હોય તો જણાવો! આવા કીસ્સાઓમાં બે શક્યતાઓ હોવાની. પહેલી, એ વ્યક્તી ગપ્પાંબાજી કરતો હોય અથવા એ પોતે કોઈકની ગપ્પાંબાજીનો ભોગ બનેલ ભોળીયો જણ હોય છે. અને બીજી, વીજ્ઞાન દ્વારા અનુમોદન પામેલી શક્યતા, હેલ્યુસીનેશન (hallucination) – એટલે કે ભ્રાંતીની. આવી મેડીકલ કન્ડીશન ‘ઓડીટરી વર્બલ હેલ્યુસીનેશન’ (AVH) તરીકે ઓળખાય છે. AVHનો ભોગ બનેલા વ્યક્તીને સારા–નરસા કોઈ પણ પ્રકારના અવાજો સંભળાઈ શકે છે. આવું બને ત્યારે મોટા ભાગના લોકો એને ‘ગેબી અવાજ’માં ખપાવે છે. એક સર્વે મુજબ સ્ક્રીઝોફેનીયાનાં દર્દી હોય એવા 70 ટકા લોકો AVHનો શીકાર પણ હોય જ છે. આ સીવાય બાયપોલર મુડ સ્વીંગીંગ, ઉન્માદ (dementia), વાઈ–ફેફરું (epilepsy) જેવી બીમારીઓ અને કોઈક દુર્ઘટનાનાં પ્રભાવ હેઠળ પીડાતા (પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ સીન્ડ્રોમ) લોકોમાં AVHનું લક્ષણ બહુ સામાન્ય ગણાય. AVH માટે મગજના એક ચોક્કસ હીસ્સામાં (Frontotemporal Regions) થતી ગરબડને જવાબદાર ગણવામાં આવે છે. હવે જરા વીચારો, એક તરુણ ક્રીકેટ રમી રહ્યો છે. રમત દરમીયાન એ અચાનક ઢળી પડે છે, ધ્રુજવા માંડે છે અને વીચીત્ર વર્તણુંક કરવા માંડે છે. થોડા સમય પહેલા આ જ તરુણે પોતાને ‘ગેબી અવાજો’ સંભળાતા હોવાની વાત પણ કરેલી. આવી ઘટના બને ત્યારે આજુબાજુના લોકો એવું ધારી લેતા હોય છે કે નક્કી આ તરુણનો પગ ‘કુંડાળા’માં પડી ગયો હશે, પરીણામે તે ‘વળગાડ’નો ભોગ બન્યો છે! હકીકતમાં મુળ તકલીફ વળગાડ–ફળગાડની નહીં; પરન્તુ વાઈ–એપીલેપ્સી અને AVHની હોય છે. ખોટા વહેમમાં જીવતર બગાડવાને બદલે સમયસર સારા ડૉક્ટરને બતાવવામાં આવે તો આ બન્ને બીમારી કાબુ કરી શકાય છે.

ઘણી વખત કેટલાક લોકોને ‘દૈવી આજ્ઞા’ સંભળાતી હોવાનો કે પછી કોઈક અગોચર શક્તી દ્વારા ‘હુકમ’ કરાતો હોવાનોય દાવો કરાય છે. આવી વ્યક્તીઓ પણ (જો ખોટું ન બોલતી હોય તો) AVHનો જ ભોગ બનેલી હોય છે. એને જે ‘આજ્ઞા’ કે ‘હુકમ’ સંભળાય છે એ મોટે ભાગે એના પોતાના ગમા–અણગમા–ઈચ્છાનું જ શાબ્દીક સ્વરુપ હોવાનું!

…પણ એક વાર ભુતે મારો ખભો થપથપાવેલો, એનું શું?

ઘણા લોકો એવા ઉદાહરણો આપે કે તાર્કીક દલીલ કરનાર માણસ પણ બે ઘડી ચુપ્પી સાધી લે! ભુત દેખાયું એ વહેમ હોઈ શકે, અવાજ સંભળાવો એ ભ્રાંતી હોઈ શકે; પરન્તુ ભુત આવીને તમારો ખભો થપથપાવે કે હાથ પકડી લે તો એ કંઈ મગજનો વહેમ તો ન જ હોય ને! તમને આ દલીલ પહેલી નજરે સાચી લાગશે; પણ હકીકતે આ ટેકટાઈલ હેલ્યુસીનેશનનો એક પ્રકાર છે, જેમાં કોઈ તમને સ્પર્શી રહ્યું હોવાનો અથવા કોઈ જીવ–જન્તુ તમારા શરીર પર ચાલી રહ્યું હોવાનો આભાસ થાય છે. વીવીધ પ્રકારના નશામાં ગળાડુબ રહેનારા નશેડીઓને આવું થવાના ચાન્સીસ ખરા! કોઈક વાર તદ્દન નોર્મલ માણસને પણ આવો અનુભવ થઈ શકે છે. કેટલાકને તો પોતાના જ શરીરના આંતરીક અંગો શરીરની અન્દર હલન–ચલન કરતા હોવાનો અનુભવ પણ થાય છે. કશુંક જોશપુર્વક શરીરની બહાર આવવા મથી રહ્યું હોય, એવો અનુભવ ટેકટાઈલ હેલ્યુસીનેશનમાં સામાન્ય ગણાય! ‘કોગ્નીટીવ બીહેવીઅરલ’ થેરાપી દ્વારા તબીબો આવી તકલીફની સારવાર કરતા હોય છે.

કહેવાય છે કે માનવમન અગાધ છે. આપણે હજી એના વીશે બહુ ઓછું જાણીએ છીએ. મગજની શક્તીઓ અને એમાં ઉદ્ભવતી ખામીઓને સમજવામાં આપણને હજી કેટલાય દાયકાઓ લાગશે. અનેક ઘટનાઓ–બાબતો અગોચર લાગશે પણ આજે નહીં તો કાલે, વીજ્ઞાન થકી એનો ઉત્તર મળશે જ. બાકી, ગુજરાતીમાં તળપદી કહેવત છે, ‘મંછા ભુત ને શંકા ડાકણ’. અર્થાત્ ઘણી વાર તમારી દબાયેલી–કચડાયેલી–અધુરી રહી ગયેલી ઈચ્છાઓ જ તમને ઈન્દ્રીયાતીત અનુભવો કરાવે છે. અને તમારા મનમાં રહેલો ડર–શંકા જ તમને જ્યાં–ત્યાં ભુતના દર્શન કરાવી દે છે. બાકી ડરવું જ હોય તો મરેલા કરતા જીવતા માણસથી વધુ ડરવા જેવું ખરું. પુછી જો જો કોઈક ‘અનુભવી’ને!

અસ્તુ.

–જ્વલંત નાયક

‘દીવ્ય ભાસ્કર’ દૈનીક, સુરતની  ‘રસરંગ’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સીમ્પલ સાયન્સ’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખકના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :
શ્રી. જ્વલંત નાયક, સેલફોન : +91 98256 48420 ઈ.મેઈલ : jwalantmax@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

6 Comments

  1. આભાર જ્વલંતભાઇ.
    સરસ સમજ આપી. ગમ્યું.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. આવા એવીએચના દર્દીઓએ શાસ્ત્રો લખ્યા હોય કે ઉપરથી જ્ઞાન ઉતર્યુ છે કે ભગવાને લખાવ્યું છે.

    Liked by 1 person

  3. મંછા ભુત ને શંકા ડાકણ! મા જ્વલંત નાયક દ્વારા સ રસ લેખ.તેઓએ જાણીતી વાત કરી કે ‘વીજ્ઞાન દ્વારા અનુમોદન પામેલી શક્યતા, હેલ્યુસીનેશન (hallucination) – એટલે કે ભ્રાંતીની. આવી મેડીકલ કન્ડીશન ‘ઓડીટરી વર્બલ હેલ્યુસીનેશન’ (AVH) તરીકે ઓળખાય છે. AVHનો ભોગ બનેલા વ્યક્તીને સારા–નરસા કોઈ પણ પ્રકારના અવાજો સંભળાઈ શકે છે. ‘
    આ વિજ્ઞાનના સિધ્ધાંતો પણ બદલાતા રહે છે.સ્વામી સચ્ચિદાનંદજી વારંવાર કહે છે કે અંધશ્રધ્ધા દૂર કરવી જરુરી છે તેવી રીતે અનુભવહીન એક પક્ષીય નકારાત્મિકતા પણ દૂર કરવી જરુરી છે.જેમ ગુરુત્વાકર્ષણ જોઇ શકાતું નથી છતા તેને સ્વીકારાય છે તેમ આ અનુભવાતી વાત વિષે પણ અભ્યાસ કરી જણાવવું જોઇએ.જેનો અભ્યાસ ન હોય તેવી બાબતે ખબર નથી તેમ જણાવી પોતાનો વિચાર રજુ કરવો જોઈએ.આવા અનેક સંતો જેને ખોટુ બોલવા કારણ નથી તેની વાત સમજવા પ્રય્ત્ન કરવો જોઇએ.સાથે ખોટુ તારણ કાઢતા વૈજ્ઞાનિકો જેમ આમા પણ ઠગો હોય છે તેને તાંત્રિકો માનવાની જરુર નથી
    આયુર્વેદ વિજ્ઞાન છે તે પ્રમાણે ૧૮ પ્રકાર નાભૂત હોય છે વગેરે…
    ભૂતનો અર્થ છે વીતેલો સમય.તંત્ર શાસ્ત્ર પ્રમાણે મૃત્યુ બાદ અને નવા જન્મથી પહેલાંના સમયમાં, પૂર્ણ ન થઈ હોય એવી ઈચ્છાઓના કારણે મનના સ્તર પર ફંસાયેલા જીવાત્માને જ ભૂત કહેવામાં આવે છે. તેત્રશાસ્ર પ્રમાણે વ્યક્તિ પોતાના પંચ તત્વથી બનેલા શરીરને છોડ્યા બાદ અંતિમ સંસ્કારથી લઈને પિંડ દાન વગેરે ક્રિયાઓ પૂર્ણ થાય ત્યાર સુધી જે અવસ્થામાં રહે છે તે પ્રેત યોની કહેવાય છે. જીવિત મનુષ્યનું શરીર પાંચ તત્વોથી બનેલું છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ. માનવ શરીરમાં સૌથી વધુ તત્વની માત્રા પૃથ્વી ની હોય છે. આ તત્વ નક્કર હોય છે એટલે જ મનુષ્યનું શરીર સહેલાઈથી જોઈ શકાય છે. ભૂત-પ્રેતનાં શરીરમાં વાયુ તત્વ વધુ હોય છે. વાયુ તત્વને જોવું મનુષ્ય માટે શક્ય નથી આનો માત્ર આભાસ કરી શકાય છે. તેત્રશાસ્ર પ્રમાણે ખાસ સાધના બાદ તેમને જોઈ શકાય છે.
    ESP વિજ્ઞાન અંગે કોક વાર વિસ્તારથી..

    Liked by 1 person

  4. જ્વલંત નાયક સાહેબ,
    આપે ખુબજ સુંદર રીતે ભૂત કથા , અગોચર વિશ્વ મનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ થી આંકલન કર્યું.ખૂબ ખૂબ ધન્યવાદ.
    મન માં પ્રશ્ન ઉદભવે છે કે તમે પણ જોયું હશે કે હિંદુ સમાજ માં ઘણી બધી જગ્યા યે માતાજી ના “માંડવા” કરવામાં આવે છે.સમાજ એકત્ર થાય છે ને માતાજી નો કોઈ ભૂવો હોય છે તે ત્યાં ધૂણે છે.સાથે બીજા અન્ય દેવી દેવતા ના ભૂવાઓ પણ ધુણતા હોય છે.લોકો ને પણ એવી શ્રદ્ધા બેસી ગઈ હોય છે કે ભુવા ની વાત સીધી માતાજી જોડે થઈ રહી હોય છે.ભુવા સમસ્યા નું સમાધાન કરતાં નજરે ચડે છે તો આં બધા ની પાછળ પણ કંઇક વૈજ્ઞાનિક કારણ હોય છે.તેને તેને વિસ્તૃત મા સમજાવશો.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s