(1) થેન્ક્યુ, કોરોના! અને (2) કોરોનીયસ રૅશનલ સભા

ઈશ્વરના નામે આપણને હમ્મેશાં માત્ર અને માત્ર ગુમરાહ જ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. આ કડવું સત્ય ‘કોરોના’ વાયરસે સંસારને સમજાવ્યું છે. લેખક શ્રી. રોહીત શાહે ‘કોરોના’નો શા માટે આભાર માન્યો? તે તેમ જ  રૅશનાલીસ્ટ શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલે દુનીયામાં ભારતનું નામ રોશન કરવા માટે આપણાં રુપીયા ક્યાં વાપરવા જોઈએ…? તે અંગે તેઓ શું કહે છે તે સાંભળીએ, વીચારીએ અને અમલ કરીએ…

થેન્ક્યુ, કોરોના!

© રોહીત શાહ

‘નોવેલ કોરોના (COVID19) વાયરસે આજે ફરીથી આપણને ‘વીજ્ઞાન’ અને ‘ઈશ્વર’ની બરાબર વચ્ચે ખડા કરી દીધા છે. આપણે વીજ્ઞાનના ખોળામાં બેસવું કે ઈશ્વરના ભરોસે રહેવું – એ વીશે તાર્કીક રીતે વીચારવા મજબુર કરે એવી પરીસ્થીતી આજે છે. એક વાત તો સ્વીકારવી જ પડશે કે સાધુ–સન્તો અને કહેવાતા મોટા મોટા ભક્તો પણ કોરોના વાયરસથી બચવા માટે ‘ડૉક્ટર’ નામના ભગવાનની પ્રાર્થના કરવા માટે ‘હૉસ્પીટલ’ નામના મન્દીરમાં જવાનું પસન્દ કરે છે. સોશીયલ મીડીયા પર હજારો મેસેજ ફરતા થઈ ગયા છે કે આપણે ધર્મસ્થાનોમાં ડોનેશન આપવાને બદલે હૉસ્પીટલમાં આપવાની જરુર છે. કોઈકે એમ પણ કહ્યું કે મન્દીરના ઝુમ્મર કરતાં હૉસ્પીટલનું વેન્ટીલેટર વધારે મહત્ત્વનું છે! પલાંઠી વાળીને મન્ત્રજાપ કરનાર મહંતો અને મૌલવીઓ કરતાં મૌનપણે દર્દીની સારવાર કરી રહેલાં નર્સ–ડૉક્ટરમાં સૌને ઈશ્વરનાનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે. નર્સ કે ડોક્ટરમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે આપણું આસ્તીક કે નાસ્તીક હોવું કશું જ અનીવાર્ય નથી… આપણું સમજણભર્યું માણસ હોવું જ ઈનફ છે.

ઈશ્વરની ભક્તી કરીશું તો જીવનમાં કોઈ સંકટ નહીં આવે એવા ઘેનમાં સદીઓથી આપણને રાખવામાં આવ્યા છે; પરન્તુ જ્યારે ખરેખર કોઈ વીકટ સંકટ આવે છે ત્યારે આપણને કાં તો સુરક્ષાબળના સૈનીકોની સહાય મળે છે અથવા પોલીસ કે નર્સડૉકટર વગેરેની સહાય મળે છે. જીવનભર જેમની પ્રેરક વાણી સાંભળીને આપણે ધર્મઘેલા બની જઈએ છીએ અને લાખો–કરોડો રુપીયાનાં ડોનેશનો જેમના ચરણે ધરી દઈએ છીએ, તેઓ આપણા સંકટ વખતે ક્યારેય આપણી સાથે હોતા નથી. સુનામી આવે ત્યારે કોઈ સન્ત આપણને બચાવતા નથી, વાવાઝોડું ફુંકાય ત્યારે કોઈ વૈરાગી આપણી વારે આવતો નથી, ધરતીકમ્પ થાય ત્યારે કોઈ ધર્મગુરુ આપણને બચાવતો નથી, કુદરતી કષ્ટ આવે ત્યારે કોઈ કથાકાર આપણી સમ્ભાળ લેતો નથી. દુષ્કાળ આવે ત્યારે કોઈ વેશધારી ‘મહાત્મા’ આપણને મદદ કરતા નથી. ઈશ્વરના નામે આપણને હમ્મેશાં માત્ર અને માત્ર ગુમરાહ જ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. આ કડવું સત્ય સંસારને સમજાવી દેવા બદલ થેંક્યુ, કોરોના!

પૃથ્વીલોક પર આવ્યા પછી માણસે પોતાના અસ્તીત્વની પરવા કરી હોય કે ન કરી હોય, પણ ઈશ્વરના અસ્તીત્વની પરવા ભરપુર કરી છે. મેં અગાઉ એક લેખમાં લખ્યું હતું કે ઈશ્વરે માણસને બનાવ્યો છે કે નહીં એની કોઈ ખબર કે ખાતરી નથી; કીન્તુ માણસે ઈશ્વરને બનાવ્યો છે એ બાબતે કોઈ શંકા પણ નથી! મેં એમ પણ લખ્યું હતું કે ઈશ્વરની શોધ માણસે કરી છે એટલે ઈશ્વરનો આકાર પણ લગભગ માણસને મળતો આવે છે. સપોઝ, ઈશ્વરની શોધ હાથીએ કરી હોત તો આપણને સુંઢવાળો ઈશ્વર મળ્યો હોત. સપોઝ, કાનખજુરાએ ઈશ્વરની શોધ કરી હોત તો અનેક પગવાળો છતાં ક્યારેય ઉભો ન થઈ શકનારો ઈશ્વર આપણને મળ્યો હોત. સાપ અને અજગરે ઈશ્વરની કલ્પના કરી હોત તો પેટ વડે ઘસડાઈને ચાલનારો ઈશ્વર આ જગતને મળ્યો હોત. માછલીએ ઈશ્વરની શોધ કરી હોત તો માત્ર પાણીમાં જ એના અસ્તીત્વનો સ્વીકાર થયો હોત. ખેર, માણસે ઈશ્વરની શોધ કરી એટલે એણે પોતે બનાવેલી મુર્તી કે પ્રતીમાને વીવીધ વસ્ત્રો અને આભુષણો પહેરાવ્યાં. માણસને ખુદની ખુશામત ખુબ ગમતી હોય છે, એટલે એણે ઈશ્વરની ખુશામત માટે સ્તવનો–પ્રાર્થનાઓ, સ્તુતીઓ અને અઢળક ભજનો વગેરેની રચના પણ કરી!

–રોહીત શાહ

તા. 25, માર્ચ, 2020ના રોજ લેખક શ્રી. રોહીત શાહની ‘ફેસબુક’ પોસ્ટ (https://www.facebook.com/profile.php?id=100012319322210) માંથી લેખક, વક્તા, ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

વીડીયો વક્તા : શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલ, Scranton, Pennsylvania (USA) સેલફોન : +1 570 885 3399 મેઈલ : brsinh@live.com   વેબસાઈટ : http://raolji.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ :  govindmaru@gmail.com

 

6 Comments

  1. Very true sir..
    સરકારે પણ આ બાબત વિચારવી જોઈએ કે લોકો હોસ્પિટલને મંદિર સમજીને ત્યાં દાન આપવાનું ચાલુ કરે. પથ્થરને મૂર્તિ બનાવીને પૂજવા કરતા જીવતા માણસો જે સતત આપણને બચાવવા મહેનત કરી રહ્યા છે તેને support કરે.

    Liked by 1 person

  2. રોહિતભાઇના લખાણનું પહેલું વાક્ય ઇશ્વર ઉપરના ‘ ભરોસા‘ ને છતું કરે છે. કોઇ અેક વખત અેક શ્લેષ વાંચેલો…
    ‘ હમારા તુમારે પે ભરોસા થા ઘણા,
    ઓર…..
    ભરોસાની ભેંસને પાડા જણા.‘
    …..સરકારે પણ આ બાબત વિચારવી જોઇઅે..અેવું લખવાવાળા મિત્રને કહેવાનું કે સરકાર પુરા દેશની અને દેશના બઘા જ ઘર્મોને માટે બનેલી હોય છે. મંદિરને બદલે હોસ્પિટલ બનાવવાનું કર્મ તો દર અેક ઘર્મનું અને તે ઘર્મના માનનારાઓનું હોય છે. સરકાર મદદ કરે. હાં, દર અેક ઘર્મના વાહકોનું હોય છે મંદિર, મસ્જીદ, ચર્ચ, બનાવવા કરતાં હોસ્પીટલો બનાવો. ઘર્મસ્થાનો બનાવવામાં જે ખર્ચ કરો તે બઘા જ પૈસા હોસપિટલો બનાવવામાં વાપરો. દરેક ઘર્મની પોતાની હોસ્પીટલ બનાવવી હોય તો તે રીતે કરો. બઘા ઘર્મો સાથે મળી હોસ્પીટલ બનાવવા ઇચ્છે તો તે રીતે કર્મ કરો. પણ લોકસેવાના સ્થાનો ઉભા કરો. હોસ્પીટલોમાં , જો પોતપોતાના ઘર્મની હોય તો પોત પોતાના દેવનું નાનુ સ્થાન બનાવો. સારવાર લેવા આવનારાઓ ત્યાં પોતાની યથાશક્તિ જે પેસા મુકી જાય તેને હોસ્પીટલના ખર્ચમાં વાપરો. અબજોપતી કે કરોડોપતી મંદિરોના ભોંઇરામાં પડી રહેલી સંપત્તી શા કામની ? પુજારીઓ આર્થિક અને શારિરિક રીતે મોટા થતાં જાય છે.લોકસેવા અને દેશસેવા કરતી હોસ્પીટલો જેવા ઉત્તમ મંદિરો આ દુનિયામાં કશે નહિ જડે. તેમાં સેવા કરતાં ડોક્ટરો, નર્સો, અને બીજા કાર્યકરો જેવાં જીવંત દેવ દેવીઓ પત્થરની મૂર્તિઓમાં નહિ મળે. વચન આપીને ક્યાં અટવાઇ ગયા હોય તેને શોઘવાના કામમાં સમય બગાડવાનું હવે નહિ પાલવે. જીવંત દેવ દેવીૌ જ્યાં સારવાર માટે ખડેપગે હાજર હોય તો પછી જાગતા થઇઅે….જાગીઅે અને બીજા સુતેલા
    બાપુની વાત હંમેશા સમાજોપયોગી જ હોય. તેમની વાતો સાથે હંમેશા સહમત.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સત્ય તો એ છે કે No religion is greater than humanity –”માનવતા કરતા કોઈ મોટો ધર્મ નથી”. અત્યારે માનવતા ના કાજે એટલે કે માનવ જીવ બચાવવા માટે મંદિરો, મસ્જિદો અને ચર્ચો માં સમૂહગત પ્રાથના ( સ્તુતિ – બંદગી) પર રોક લગાવી દેવામાં આવેલ છે

    મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન ના બે શ્લોકો ૨:૮૩ અને ૨:૧૭૭ માં માનવતાની સેવાને સ્તુતિ – બંદગી નમાઝ પર પ્રાથમિકતા આપવામાં આવેલ છે. એક શ્લોક ૫:૩૨ માં તો એ કહેવામાં આવેલ છે કે એક વ્યક્તિ નો જીવ બચાવવો એ સમસ્ત માનવજાત નો જીવ બચાવ્યા સમાન લેખાશે. જગત ના લગભગ દેશો માં મસ્જિદો માં સમૂહગત બંદગી – નમાઝ બંધ કરી દેવામાં આવેલ છે, તેમ છતાં પાકિસ્તાન ના મુલ્લાઓ મસ્જિદો માં સમૂહગત બંદગી – નમાઝ ચાલુ રાખવાનો અનુરોધ કરી રહ્યા છે. આ ધર્મઝનૂનીઓ ને માનવ જાત ના જીવ ની બિલકુલ પરવા નથી.
    આ અનુસાર કોરોના એ આપણ ને શીખવાડી દીધેલ છે કે માનવતા એ જ સૌ થી મોટો ધર્મ છે.

    Liked by 1 person

  4. કોરોના લેખમા અંધશ્રધ્ધા ધુતારા તરફ વધારે ધ્યાન દોર્યું
    ટુંકમા હાલ જીવના જોખમે સેવા કરતા કરતાને અનેક રીતે
    મદદ રુપ થવાનુ છે…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s