માણસની જીન્દગીમાં સમય, જીવનનું એક અંગ બની ગયો છે. આવો, આ ‘સમય’ શું છે તે સમજવાની આપણે કોશીશ કરીએ…
પ્રકરણ : 06
સમય
– મુરજી ગડા
આજના માણસની જીન્દગીમાં સમય, જીવનનું એક અંગ બની ગયો છે. આ ‘સમય’ શું છે તે સમજવાની કોશીશ કરીએ, તે પહેલાં આપણી હાલની સમય ગણવાની પદ્ધતીનો ઈતીહાસ અને વીકાસ જાણવો જરુરી છે. શરુઆત આપણે સમય વીશેના આદીમાનવના દૃષ્ટીકોણથી કરીને આગળ વધીએ.
પ્રાણીઓને સમયની સમજ નથી હોતી. એમનું ખાવું, પીવું, સુવું વગેરે કુદરતી ક્રીયાઓ શરીરમાંથી મળતા સંકેતો પ્રમાણે થતી હોય છે. એમને સમયના એકમાત્ર એકમ, દીવસ–રાત્રીનો ફરક વરતાય છે, આ ઉપરાંતની અન્ય બધી સમય ગણનાઓ માણસે બનાવી છે. જે માત્ર એને જ લાગુ પડે છે. માણસે મેળવેલું કુદરત વીશેનું બધું જ્ઞાન અવલોકન અને એના આધારે કરેલાં તારણો પરથી મેળવેલું છે. આપણી સમય ગણના એનું એક દૃષ્ટાંત છે.
પૃથ્વીવાસીઓ માટે સમયના માત્ર ત્રણ કુદરતી ચક્ર છે. એમને ધ્યાનમાં રાખીને, એમની સાથે તાલ મીલાવીને બાકીની બધી સમય ગણના માણસે પોતાની જરુરીયાત પ્રમાણે બનાવી છે.
(1) દીવસ અને રાત :
જાણવા અને સમજવા માટે સૌથી પહેલું અને સહેલું ચક્ર છે દીવસ અને રાતનું. આદીમાનવ પ્રાણીઓથી એક ડગલું આગળ વધીને આકાશમાં સુર્યનું સ્થાન તેમ જ પડછાયાની વધતી ઘટતી લમ્બાઈ પ્રમાણે દીવસના સમયનું અનુમાન કરતો થયો. ચન્દ્રોદયના સમયની અનીશ્ચીતતાને લીધે એ રાત્રી સમય નક્કી કરવામાં ખાસ ઉપયોગી નહોતો થતો. તેથી રાત્રીના સમયનું અનુમાન, એ તારાઓના સ્થાન પરથી લગાવતો હશે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોવાથી દીવસ અને રાત થાય છે, એની સમજ માણસને બહુ મોડી આવી છે, માત્ર 400 વર્ષ પહેલાં જ.
(2) ચન્દ્રની કળા :
સમયનું બીજું કુદરતી ચક્ર છે, ચન્દ્રની કળાનું વધવું અને ઘટવું. ચન્દ્રને પોતાનો પ્રકાશ નથી. ચન્દ્રની સપાટી પરથી પરાવર્તીત થયેલા સુર્યના પ્રકાશને લીધે એ આપણને પ્રકાશતો દેખાય છે. પૃથ્વીની જેમ જ ચન્દ્રનો પણ સુર્ય તરફનો અડધો ભાગ જ પ્રકાશીત હોય છે. ચન્દ્ર પૃથ્વીની પ્રદક્ષીણા કરતો હોવાથી અવકાશમાં એનું સ્થાન બદલાતું રહે છે. પરીણામે આપણને એની વધતી – ઘટતી કળા દેખાય છે. ચન્દ્રની આ બદલાતી કળાઓના એક ચક્રને માણસે મહીનાનું નામ આપ્યું. દુનીયાની બધી સંસ્કૃતીઓએ બનાવેલાં શરુઆતનાં બધા કેલેન્ડર ચન્દ્ર આધારીત હતા, જેને ‘ચાંદ્ર પંચાંગ’ (Lunar Calendar) કહે છે. એમાં રહેલી ઘણી ખામીઓનો ખ્યાલ માણસને પાછળથી આવ્યો હતો.
(3) સુર્યની ફરતે પૃથ્વી અને ચન્દ્રની જોડીની પ્રદક્ષીણા :
આ ત્રીજા ચક્રને ઓળખવું અને માપવું પ્રમાણમાં અઘરું હતું. એનો પહેલો ખ્યાલ આવે છે, બદલાતી ઋતુઓ દ્વારા અને વસ્તુઓના પડછાયાની બદલાતી દીશા દ્વારા. સ્થાયી થઈને ખેતી અને પશુપાલન કરતા માણસ માટે ઋતુઓની ચોક્કસ જાણકારી અગત્યની બની. આ એક પુર્ણ ચક્રને એક વર્ષનું નામ અપાયું અને એના પરથી સમયાંતરે સુર્ય આધારીત કેલેન્ડર બન્યું, જેને આપણે ‘સૌર વર્ષ’ (Solar Calendar) કહીએ છીએ.
આજે આપણી પાસે તૈયાર કેલેન્ડર હોવાથી કુદરતના આવા સુક્ષ્મ અને ધીમી ગતીએ થતાં ફેરફારો જોવાની અને સમજવાની જરુર નથી રહી. સંસ્કૃતીની શરુઆતમાં માણસોએ કેટલી ધીરજથી બધાં અવલોકનો કરીને સમયની ગણના કરી હતી, એનો ખ્યાલ ત્યારે જ આવે અથવા એમની મહેનતની કદર ત્યારે જ થાય, જ્યારે આપણને ઘડીયાળ અને કેલેન્ડર વીના લાંબો સમય જંગલમાં કે મધદરીયે વીતાવવો પડે. આટલે પહોંચતાં આપણા પુર્વજોને વર્ષો કે દાયકાઓ નહીં; પણ સદીઓ લાગી હતી. એની પાછળ હજારો બુદ્ધીશાળી અને મહેનતું ખગોળશાસ્ત્રીઓ/વૈજ્ઞાનીકોનું યોગદાન રહેલું છે.
આ ત્રણ કુદરતી ચક્રો એકબીજા સાથે બન્ધબેસતાં નથી; કારણ કે અવકાશીપીંડોનો ભ્રમણ સમય કુદરતના નીયમને આધીન છે, આપણી સગવડ માટે નથી, ચન્દ્રનો મહીનો 291/3 દીવસનો થાય છે. આમ ચન્દ્રના 12 મહીના (એક વર્ષ) 354 દીવસના થાય છે. જ્યારે સુર્યનું વર્ષ 3651/4 દીવસનું થાય છે. આમ ચન્દ્રનું વર્ષ 11 દીવસ વહેલું પુરું થાય છે. એટલે કે સુર્યના એક વર્ષમાં ચન્દ્રના 121/3 (મહીના) ચક્ર પુરા થાય છે.
આ બધા વચ્ચે મેળ બેસાડવો જરુરી હોવાથી માણસે એ પણ કર્યુ. સુર્યના કેલેન્ડરનું મહત્ત્વ સ્વીકારીને ચન્દ્રના કેલેન્ડરને એની સાથે મેળવવા માટે જરુરી ફેરફાર કરાયા. પરીણામે દર ત્રણ વર્ષે ‘ચાંદ્ર વર્ષ’માં (આપણા દેશી વર્ષમાં) એક અધીક માસ ઉમેરવામાં આવે છે. ઉપરાંત, દર વર્ષે ‘સૌર વર્ષ’માં 6 કલાક બચે છે, એટલે દર ચાર વર્ષે 24 કલાક (એક દીવસ) ઉમેરી દેવાય છે. એટલે એ વર્ષ 366 દીવસનું બને છે. આને ‘લીપ વર્ષ’ (Leap Year) કહે છે; પરન્તુ આટલું પુરતું નથી.
હમણાં સુધી આપણે જે વાત કરી તે તો જાણીતી છે. એક ઓછી જાણીતી વાત એ છે કે પૃથ્વી પોતાની ધરી ફરતે એક ચક્ર 24 કલાકમાં નહીં; પરન્તુ 23 કલાક અને 56 મીનીટમાં પુરું કરે છે. સમ્પુર્ણ વર્તુળ 360 ડીગ્રીનું બને; પણ પૃથ્વી 24 કલાલમાં 360 ડીગ્રીથી આગળ વધીને 361 ડીગ્રીનું અન્તર કાપે છે! આથી એક દીવસ 361 ડીગ્રીનો બને છે. આ કરવા પાછળનું એક કારણ તારા ઉદયના સમયના ભોગે સુર્યોદયના સમયને સાચવવાનો છે. એટલે આપણને દરરોજ તારા 4 મીનીટ મોડા ઉગતા દેખાય છે, જે અવકાશમાં એક ડીગ્રીનું અન્તર છે.
શરુઆતમાં દરેક પ્રદેશના પોતાના આગવા કેલેન્ડર હતા, જે મુખ્યત્વે સમયના આ ત્રણ ચક્રોના આધારે બનાવેલાં હતા. યુરોપમાં 355 દીવસના રોમન કેલેન્ડરો ચાલતા હતા. ઈ.સ. પુર્વે 46માં જુલીયસ સીઝરને 365 દીવસનું ‘સૌર વર્ષ’ લાગું કર્યું. એમાં સાત દીવસના તો નામ હતા; પરન્તુ સપ્તાહનો ખ્યાલ હજી નહોતો વીકસ્યો. રોમનો દીવસની ગણતરી Aથી H સુધીના આઠ દીવસથી કરતાં. આમાં H આઠમો દીવસ ‘બજારનો દીવસ’ મનાતો. ‘જુલીયન કેલેન્ડર’માં લીપ વર્ષની બાબતમાં ગુંચવણ હતી. સોળમી સદીમાં પોપ ગ્રેગરીના હસ્તક્ષેપથી દર ચાર વર્ષે એક દીવસ ઉમેરવાનું શરુ થયું. જે આજે પણ અમલમાં છે. આ સાથે જ યુરોપીય સંસ્થાનવાદ પણ ફેલાવા લાગ્યો. એને કારણે બધા દેશોએ કાળક્રમે યુરોપમાં પ્રચલીત ‘ગ્રેગરીયન કેલેન્ડર’ અપનાવવાનું શરુ કર્યું. જેમાં સાત દીવસનું એક નવું એકમ પણ ઉમેરાયું હતું. ભારતમાં સપ્તાહ (આહ = દીવસ)નો ખ્યાલ જુનો છે. આમ છતાં ગુજરાતી સપ્તાહ માટે ‘અઠવાડીયું’ (આઠ વારનું) શબ્દ વપરાય છે! આઠ દીવસના સમુહનો ખ્યાલ તો રોમનોનો છે. ગુજરાતમાં આ શબ્દ કેમ વપરાય છે તેનો ખુલાસો ઈતીહાસકારો અને ભાષાશાસ્ત્રીઓ જ આપી શકે.
સત્તરમી સદીમાં ઘડીયાળની શોધ થયા પછી દીવસના 24 કલાક, કલાકની 60 મીનીટ, મીનીટની 60 સેકંડ એવા સમયની ગણતરીના નાના માપ બનાવાયાં. હવે તો માણસ સેકંડ ઉપરાંત મીલી સેકંડ, માઈક્રો સેકંડ અને નૅનો સેકંડની પણ ગણતરી કરવા લાગ્યો છે. આ બધા માપ આપણી જરુરીયાત માટે છે, કુદરતના કોઈ ચક્ર પર આધારીત નથી.
આખી દુનીયાએ સ્વીકારેલાં ને હાલમાં વપરાતાં આ કેલેન્ડરમાં ઘણી ક્ષતીઓ છે. મહીનાના દીવસ 30 કે 31 હોય, તેમ છતાં ફેબ્રુઆરીમાં 28 દીવસ જ હોય એની પાછળ વાજબી કારણ નથી. આપણા પુર્વજોએ કુદરતી ચક્ર સાથે તાદાત્મ્ય સાધવા કેલેન્ડરમાં ખુબ સમજણથી જરુરી ફેરફાર કર્યા હતા, જે ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનીકોને આભારી છે. પ્રગતીશીલ ગણાતા આધુનીક માનવે આટલું ક્ષતીપુર્ણ કેલેન્ડર એના મુળ સ્વરુપે અપનાવી લીધું એ શરમની વાત છે; કારણ કે હવે એ વાત વૈજ્ઞાનીકોના હાથમાં નથી રહી, બલકે સત્તાધારીઓના હાથમાં આવી છે.
હાલમાં કેલેન્ડરને ‘યુઝર ફ્રેન્ડલી’ બનાવવાનાં કેટલાક સુચનો કરાયા છે. એક સુચન એવું છે કે દરેક મહીનો ચાર સપ્તાહનો, એટલે કે 28 દીવસનો રાખવો. જેથી ચોક્કસ તારીખે ચોકકસ વાર આવે. આને લીધે વરસના 12 ને બદલે તેર મહીના ને વરસના 364 દીવસ થાય. વરસના છેલ્લા એક કે બે દીવસને કોઈ વીશીષ્ટ નામ આપી શકાય. વર્ષની શરુઆત પણ 1 જાન્યુઆરીને બદલે 21મી માર્ચ અથવા 21મી સપ્ટેમ્બરથી કરાય; કારણ કે ફક્ત આ બે દીવસોએ જ આખી દુનીયામાં દીવસ અને રાત સરખાં, બન્ને 12 કલાકના હોય છે.
આ એક વીશફુલ થીન્કીંગ માત્ર છે. આવા ફેરફારો કરવાનું રાષ્ટ્રસંઘ માટે અશક્ય નથી. ઓછામાં ઓછું 31 દીવસના કોઈ બે મહીનામાંથી એક દીવસ ઓછો કરી ફેબ્રુઆરીને 30 દીવસનો કરી શકાય. તેમ છતાં આવું થવાની શક્યતા લાગતી નથી.
કોઈના મનમાં એવો પ્રશ્ન જાગ્યો હશે કે શાળામાં ભણાવવામાં આવતી સમયની આવી સામાન્ય માહીતીનું આ પુસ્તકમાં સ્થાન ખરું? આ વાતનો ખુલાસો કરવો જરુરી છે. સમય હોય કે બીજું જે પણ કુદરત સાથે સંકળાયેલું હોય, એ બધાની સમજ, શરુઆતમાં લખ્યું છે તેમ, માણસે અવલોકન, તારણો, પ્રયોગો વગેરે દ્વારા મેળવી છે. આ જ તો વીજ્ઞાનની વ્યાખ્યા છે. આંખો બન્ધ કરીને, ઝાડ નીચે બેસીને કે પર્વતની ટોચ પર બેસીને ધ્યાન ધરવાથી કુદરતના નીયમ વીસ્તારથી સમજી ન શકાય. હા, સમાજને લગતા, આચાર સંહીતા, નીયમો (કાયદા કાનુન) સત્તાધારી માણસ બેઠાંબેઠાં વીચારી કે ઘડી શકે છે. આપણે એને સમાજશાસ્ત્ર કહીએ છીએ, એ વીજ્ઞાન નથી. કુદરતના નીયમ સમજવા માટે કેટલી મહેનત કરવી પડે છે, તે સમજાવવાનો આ પ્રયાસ છે. તે ઉપરાંત આટલી મહેનત કરીને આપણા જીવનને સગવડભર્યું બનાવનાર હજારો વીજ્ઞાનીઓને અંજલી પણ છે.
આ બધી સમય ગણના માત્ર પૃથ્વીવાસીઓને લાગુ પડે છે. દરેક ગ્રહ કે ઉપગ્રહના દીવસ અને વર્ષ તદ્દન અલગ હોવાથી એમની સમય ગણના આપણાથી તદ્દન ભીન્ન હશે. તારાવીશ્વ માટેની તો વાત કરવી એ પણ આપણા માટે વ્યર્થ છે. આમ છતાં સમગ્ર બ્રહ્માંડને લાગુ પડે એવી ‘વીશીષ્ટ સમય ગણના’ પણ છે, જેની વાત હવે આવે છે.
(તા. 07 સપ્ટેમ્બર, 2020ના રોજ ‘સમય’નો બીજો અને અન્તીમ ભાગ પ્રગટ થશે.)
–મુરજી ગડા
લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 26થી 30 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક–વ–પ્રકાશક–સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 સેલફોન : 972 679 9009 ઈ.મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com
Very impressive information!
LikeLiked by 1 person
બહુજ ઉપયોગી લેખ, સમય ને સમજવા માટે.
એક બીજી ઉપયોગી માહિતી:
પૃથ્વી સૂર્ય ની ફરતે એક ચક્ર ૩૬૫ દિવસ, ૬ કલાક, ૯ મિનિટ અને ૧૩ સેકન્ડ માં પૂર્ણ કરે છે.
પૃથ્વી પોતાની ધરી ફરતે એક ચક્ર ૨૩ કલાક, ૫૬ મિનિટ અને ૪ સેકન્ડ માં પૂર્ણ કરે છે.
સમય કેટલો શક્તિશાળી છે તેના માટે હિન્દી માં એક કહેવત છે:
સમય સમય બલવાન હે, નહિ મનુષ્ય બલવાન,
સમય જ કરોડપતિ ને કંગાળ અને કંગાળ ને કરોડપતિ બનાવી દે છે.
LikeLiked by 1 person
સમય વિષે એક ઐતિહાસિક સત્ય
સપ્ટેમ્બર ૧૭૫૨ ના મહિના માં થી ૧૧ દિવસ કાઢી નાખવામાં આવેલ હતા, એટલે કે બુધવાર ૨ તારીખ પછી ગુરુવાર ના ૧૪ તારીખ આવેલ હતી. કારણ એ હતું કે‘સૌર વર્ષ’ (Solar Calendar) અને ‘ચાંદ્ર પંચાંગ’ (Lunar Calendar) માં જે ૧૧ દિવસ નો તફાવત છે તે તફાવત તે સમય ના ઇંગ્લેન્ડ ના રાજા એ કાઢી નાખવાનો હુકમ આપેલ હતો.
LikeLiked by 1 person
“ગુજરાતમાં આ શબ્દ ‘અઠવાડીયું’ કેમ વપરાય છે તેનો ખુલાસો ઈતીહાસકારો અને ભાષાશાસ્ત્રીઓ જ આપી શકે.”
મારો ખ્યાલ તો એવો હતો કે આઠમા દીવસે એ જ વાર આવે છે આથી અઠવાડીયું. આઠમા દીવસે જે એનો એ જ વાર આપે છે તે અઠવાડીયું.
સરસ માહીતી જાણવા મળી. હાર્દીક આભાર મુરજીભાઈ અને ગોવીન્દભાઈનો.
LikeLiked by 1 person
મુરજીભાઇ ગડા અેક વિજ્ઞાની ઇન્જીનીયર છે. તેમણે ‘ સમય ‘ નો ઇતિહાસ સરસ રીતે સમજાવ્યો.
મારે અેક…બે વિચારો શેર કરવા છે.
આદીમાનવ……મગજઘારી ખરો પરંતું વિજ્ઞાન કે જીવનના કે શરીરના કોઇપણ જ્ઞાનથી વંચીત. મગજને તેણે ઓબ્ઝર્વેશન ની યુનિવર્સિટીમાં વાપરવા માંડયુ. વિજ્ઞાન અને વિજ્ઞાનીક બનવાની આ શરુઆત. ભણતર, વિજ્ઞાન, શબ્દો, વાક્યો, બનાવવાનું બઘુ જ ઓબ્ઝર્વેશનને આઘારે થતું. કેટલો ‘ સમય ‘ લીઘો હશે…..આ પૃથ્વિ અને તેની ઉપરના જીવનને સમજવા માટે ? તો પછી વિશ્વ અને તારામંડળને સમજવા કેટલો સમય લીઘો હશે ? અેક સમજને બીજા પ્રશ્નને સમજવા જોડીને સમજ કેળવી હશે. અને પછી…..આપણે તો કદાચ છેલ્લા ૫૦૦૦ કે ૧૦, ૦૦૦ વરસોથી શું થયું તે જ જાણીઅે છીઅે….યુનિવર્સિટીઓ….આશ્રમો…..બન્યા….અને વિશ્વને વઘુ સારી રીતે સમજતા થયા…..થોડા થોડા વરસો સુઘી વઘુ નોલેજ જેમ જેમ મળતું ગયું તે નોલેજને સાબિત કરતાં થયાં ત્યારે આજના જ્ઞાન સુઘી પહોંચ્યા….જેમાં નવી નવી રીસર્ચ વઘુ સારું નોલેજનો ઉમેરો કરે છે.
ચંન્દ્ર સમય અઅ ને સૂર્ય સમય…ઇસ્લામ ઘર્મ ચંન્દ્ર સમયને માને છે અને બીજા દરેક ઘર્મો સૂર્ય સમયને માને છે.
વિજ્ઞાન પણ સૂર્ય સમયને માને છે.
વિજ્ઞાને સમયના જ્ઞાનને અેટલો પરફેક્ટ બનાવી લીઘો છે કે તે ચન્દ્ર, મંગળ ઉપર પણ ગણત્રી મુજબ ઉતરી શકે છે….ત્યાંથી પાછા પણ આવી શકે છે.
વિજ્ઞાન કહે છે કે…..વિજ્ઞાનનું કોઇપણ જ્ઞાન પરફેક્ટ નથી….દરેક વિષયમાં નવી નવી શોઘો થતી જ રહે છે અને વઘુ સારા પરિણામો મળતા રહે છે…..ઘેર ઇઝ નો અલટીમેટ……..
મુરજીભાઇને અભિનંદન…વાચકોના જ્ઞાનમાં વઘારો કરતાં રહેવા માટે….આભાર ગોવિંદભાઇ….
અમૃત હઝારી.
LikeLiked by 1 person
” ઇસ્લામ ઘર્મ ચંન્દ્ર સમયને માને છે ”
— શ્રી અમૃત હઝારી
પૂરુ સ્ત્ય ઍ છે કે ઇસ્લામ ઘર્મ મા રોજીંદા ની સ્તુતિ ( બંદગી — નમાઝ ) સુર્ય ના સમય અનુસાર કરવા મા આવે છે અને દિવસો ના અનુસાર સમય બદલાતો રહે છે. અલબત્તા મહિનાઓ ના દિવસો ની ગણત્રિ ચંદ્ર ના અનુસાર કરવામા આવે છે
મુસ્લિમ ધર્મશાસ્ત્ર ના પ્રકરણ ૫૫ ના શ્લોક ૫ માં કહેવામા આવેલ છે કે “ સુર્ય અને ચંન્દ્ર ઍક ચોક્કસ ગણત્રિ થી બંધાયેલા છે. “
પ્રકરણ ૧૦ ના શ્લોક ૫ માં કહેવામા આવેલ છે કે “ તેણે સૂર્ય ને તેજસ્વી બનાવ્યો અને ચંદ્ર ને અજવાળુ આપ્યુ જેથી તમે વર્ષો અને તારીખો નો હિસાબ જાણી શકો.”
LikeLiked by 1 person
Beautifully explained.
LikeLiked by 1 person
સ્નેહી શ્રી કાસીમભાઇ,
ખૂબ આનંદ થયો, તમે આપેલી વિગતોને વાંચીને અને સમજીને.
મારું નોલેજ આટલી વિગતોથી ભરેલું ન્હોતું.
ાાઆભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Very informative knowledge condensed at one place- thx Muraji bhai and Govind bhai
LikeLiked by 1 person
મૂળજીભાઈ અને ગોવિંદભાઇને ખુબ ખુબ ધન્યવાદ.
સરસ વિષયને ઉજાગર કર્યો.
હું કોલેજમાં ભણતો ત્યારે (1984માં) એક વૈશ્વિક કેલેન્ડરનો વિચાર કર્યો હતો. જે સરખા રાત દિવસ ને કારણે 21 માર્ચથી શરૂ થતો હતો.
સફારી મેગેઝીનને પણ મોકલ્યો હતો.
ટૂંકમાં કહું તો….
દરેક મહિનાના ૩૦ દિવસ રાખવા જેથી માસિક પગાર અને દૂધ વગેરેનો હિસાબ કરવામાં સરળતા રહે. વરસના અંતે પાંચ કે છ દિવસ ગ્રેસ દિવસ ગણવા.
અઠવાડિયાના દિવસ 7 અને 6 પણ રાખી શકાય.
દિવસ 24 કલાકને બદલે 20 કલાકનો રાખવો. રાત્રિના 10 કલાક અને દિવસના 10 કલાક… મેટ્રિક્સ સીસ્ટમ.
100 સેકન્ડની એક મિનિટ અને 100 મિનીટની એક કલાક. જેથી સમયને ગણવાની સરળતા રહે. જેમ કે 5.50 કલાક એટલે સાડા પાંચ કલાક. જ્યારે અત્યારે 5.30 થાય છે.
મહિનાના નામ તેની સંખ્યા બતાવી શકે તેવી રીતે રાખેલા.
1, વનેમ્બર 2, ટોએમ્બર 3, થરડેમ્બર 4, ફોર્થેમ્બર 5, ફિફથેમ્બર 6, સીક્સ સેમ્બર 7, સપ્ટેમ્બર 8, ઓક્ટોબર 9, નવેમ્બર 10, ડિસેમ્બર 11,જાન્યુઆરી. 12, ફેબ્રુઆરી 13, માર્ચ (5 કે 6 gres day).
આવી છે મારી સમ જણ.
-વીનોદ વામજા
ઉપલેટા જી. રાજકોટ.
LikeLiked by 1 person
મા મુરજી ગડાનો સમય અંગે અભ્યાસુ લેખ
આપણે જો પ્રગતિ કરવી હોય તો સમય સાથે તાલ મિલાવી ચાલવું જ પડે છે નહિતર સમય આપણને તણખલાની માફક રસ્તામાં પાછળ છોડીને બહુ આગળ નીકળી જાય છે.
ટીક ટીક કરતી રહતી હૈ સમય કી હર ઘડી,
ભાગે ના ખુદ, ભગાએ સભી કો,
તમાશા દેખે ખડી,
પાબંદ હે સારી દુનિયા ઉનકી,
સમય સબસે બલવાન હૈ,
સમય કો કિસકી પડી?
LikeLiked by 1 person