વલસાડના ડૉ. બી. જી. નાયક સાહેબે ઉપહાસભાવે પણ જે પ્રશ્ન કર્યો, સુચન કર્યું; એ ઘણું લોકહીતકારી તથા આવશ્યક સમજાવાથી રૅશનાલીઝમ અને માનવીય સદગુણો તથા સદાચાર વીશે પ્રા. રમણભાઈ પાઠકે દાખલા–દલીલ સાથે કરેલી ચર્ચા પ્રસ્તુત છે.
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીઝમ અને માનવીય સદગુણો
–રમણ પાઠક (વાચસ્પતી)
તા. 20/09/1993ના ‘ગુજરાતમીત્ર’માં પ્રગટ થયેલા ડૉ. બી. જી. નાયકના ચર્ચાપત્ર ‘રૅશનાલીઝમમાં ચમત્કાર’એ ભારે ગેરસમજ જન્માવી છે. ઘણા વાચકમીત્રોએ એને ગમ્ભીર લેખી, રમણ પાઠક તથા રૅશનાલીઝમની સાચી પ્રશંસા માની, મને બીરદાવ્યો કે, ‘વાહ! ડૉ. નાયકે પણ તમારાં વખાણ કર્યાને કાંઈ!’ જ્યારે અન્ય ઘણાએ એને કટાક્ષ તથા ઠેકડીરુપ ગણાવ્યો.
જો કે આવો ઉગ્ર યા ઉપહાસરુપ વાદવીવાદ તો ચાલ્યા કરે, ગેરસમજોય જન્મવાની જ, એનાં ઉત્તરો યા ચોખવટો અત્રે લખવાની હોય જ નહીં; પરન્તુ ડૉ. નાયકે ઉપહાસભાવે પણ જે પ્રશ્ન કર્યો છે, સુચન કર્યું છે; એ ઘણું લોકહીતકારી તથા આવશ્યક સમજાવાથી જ અત્રે રૅશનાલીઝમ અને માનવીય સદગુણો તથા સદાચાર વીશે થોડી વધુ ચર્ચા કરવા પ્રેરાયો છું. ડૉ. નાયકનો એ પ્રશ્ન છે : ‘રૅશનાલીઝમ પાસે રીઝન ઉપરાંત બીજો કોઈ કીમીયો હોવો જોઈએ… તેઓએ– રમણ પાઠકે સમાજના હીતાર્થે પ્રકાશ પાડવો જોઈએ; કારણ કે ધર્મ પાસે તો આવી કોઈ જડીબુટ્ટી હોય એમ લાગતું નથી…’
વાચકમીત્રોમાં ભલે ગેરસમજ પ્રકટી હોય, મારા મનમાં એવી કશી ગેરસમજ નથી જ. કારણ કે, ચમત્કાર, કીમીયો, જડીબુટ્ટી જેવા શબ્દપ્રયોગો અને ‘રમણભાઈ પોતે સાચા રૅશનાલીસ્ટ હોવાથી સ્થીતપ્રજ્ઞ બન્યા હશે…’ તેમ જ ‘ભ્રષ્ટાચાર પણ દુર થાય’ જેવાં અતીશયોક્તીપુર્ણ વીધાનો સ્પષ્ટ સુચવે છે કે, તેઓનું ચર્ચાપત્ર કટાક્ષ–ઠેકડી જ છે તથા એક દુષ્પ્રાપ્ય કે અપ્રાપ્ય સીદ્ધી પ્રાપ્ત કરવાના દાવાને એમાં શંકા સહીત ઠપકારવામાં આવ્યો છે.
ખેર, એ વાતનું કશું મહત્ત્વ નથી. રૅશનાલીઝમનો આશક તો આવા વાદવીવાદથી ખુશ જ થાય; કારણ કે, ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ:’ – એ ન્યાયે એથી સમાજને તો લાભ જ છે. માટે તો નવસારીના શ્રી. આર. કે મહેતા, જેઓ મારા પરમ મીત્ર તથા પ્રશંસક છે; તેઓને મેં આગ્રહપુર્વક સમજાવ્યું કે, મારા વીચાર બાબત મતભેદ હોય તો એની વીરુદ્ધ લખો, જરુર જાહેરમાં જ લખો! કારણ કે સમાજના હીતાર્થે જ આપણે આ બધો શ્રમ ઉઠાવી રહ્યા છીએ. શંકાશીલો શ્રી. મહેતાને પુછી, ખાતરી કરી શકે છે(ર.પા. અને આર.કે. મહેતા સાહેબની જ્ઞાનસભર પત્ર–ચર્ચાઓ અને ચર્ચાપત્રો આ લખનારે મહેતાસાહેબના ઘરે વાંચ્યા હતા. –ગો. મારુ). તેઓ પ્રસંગોપાત મને પત્ર લખી, મારા લેખની ભુલો ચીંધતા. ત્યારે મેં તેઓને વીગતે સમજાવ્યું કે, એથી ખાસ લાભ નથી. જાહેરમાં લખો અને લોકોને વીચારવા દો, નીર્ણય તારવવા દો! હું ખોટો ઠરું છું કે જાહેરમાં મારું ખરાબ દેખાય છે – એવા ભયથી એક રૅશનાલીસ્ટ તરીકે હું સમ્પુર્ણ મુક્ત છું.
તો હવે, ડૉ. નાયકે ઉઠાવેલ મુદ્દાની લોકહીતાર્થે છણાવટ કરીએ :
ધર્મનાં એકંદરે ચાર મુખ્ય અંગો કે વીભાગો પાડી શકાય, (1) ઈશ્વરભક્તી, (2) તત્ત્વચીંતન, (3) કર્મકાંડ અને (4) આચારસંહીતા અર્થાત્ સદાચાર. ઈશ્વરભક્તી એટલે દૈવી, ચમત્કારીક, ભયપ્રેરક યા ઉપકારક લાગતાં તત્ત્વોની આરાધના તથા પ્રાર્થના. તત્ત્વચીંતનમાં કીમ્ ઈદમ્ સર્વમ્ – આત્મા, પરમાત્મા તથા વીશ્વ શું છે, કેવું છે, શા માટે છે? – આદીની જીજ્ઞાસા પ્રેરીત વીચારણા આવે. જ્યારે કર્મકાંડ મહદંશે અતાર્કીક, અવીવેકપુર્ણ એવા અનીષ્ટ વીધીઓ, કવચીત્ નીષેધો પણ છે.
જ્યારે સામે પક્ષે, સદાચાર એ ધર્મનો સૌથી વધુ કે કદાચ એક માત્ર રૅશનલ, વીવેકપુર્ણ અંશ છે, કે જે આદી મનીષીઓએ, લોકનાયકોએ, ઋષીમુનીઓએ સમાજ ટકી રહે અને સુવ્યવસ્થીત ચાલે એ માટે, પુરા વીચારપુર્વક તથા તર્કબદ્ધ રીતે પ્રયોજેલો છે. સદાચાર અર્થાત્ સામાજીક આચારસંહીતા પરત્વે ધર્મ અને રૅશનાલીઝમ – વીવેકબુદ્ધીવાદ વચ્ચે ભાગ્યે જ કશો મતભેદ સમ્ભવે, હકીકતે છે જ નહીં; કારણ કે સદાચાર એ નાગરીકત્વના જ નીયમો છે. દા.ત., સત્યં વદ! – સત્ય બોલવું જોઈએ. આ સદાચાર બાબતે ભાગ્યે જ કોઈ બે ધર્મો વચ્ચેય મતભેદ જોવા મળશે. હું નથી માનતો કે, વીશ્વના કોઈ પણ ધર્મે એવો બોધ પ્રચાર્યો હોય કે, ‘સત્ય બોલશો નહીં, જુઠ જ બોલો!’ એ જ પ્રમાણે અદ્યાપી કોઈ વીખ્યાત રૅશનાલીસ્ટે એવો પ્રચાર કર્યો જાણ્યો નથી કે ‘જુઠું બોલો! જુઠું બોલવાથી જ લાભ થશે.’
અલબત્ત, સદાચારના ઉપદેશ યા પ્રચાર બાબતે બન્નેના માર્ગો અવશ્ય અલગ અલગ છે; એને મહત્ત્વ આપવું હોય તો ભલે કોઈ આપે. બાકી તો, ‘પ્રભીન્ને પ્રસ્થાને… નૃણામેકો ગમ્ય: ત્વમસી પયસાં અર્ણવમીવ’ – આમ ધ્યેય તો એક જ છે. પ્રસ્તુત ઉપદેશ આ પ્રમાણે છે : ધર્મ કહેશે, સાચું બોલવાથી પુણ્ય મળે, સ્વર્ગ મળે, તમારો રથ જમીનથી અધ્ધર ચાલે વગેરે. જ્યારે રૅશનાલીઝમ કહેશે, સત્ય ઉદ્ગાર તથા વ્યવહારથી સમાજ સુવ્યવસ્થીત ચાલે; અનેક મીથ્યા ચીંતા, આપત્તીઓથી લોકો મુક્ત થાય; ઘણી બીનજરુરી વ્યવસ્થાઓ, સાવચેતીઓ દુર કરી શકાય વગેરે. આ બાબતે મારો અંગત મત એવો ખરો કે, પાપપુણ્ય જેવો બોધ એ હકીકતે ધમકીઓ તથા લાલચો જ છે; જ્યારે કોઈ પણ મુદ્દાની સાચી, તાત્ત્વીક, યથાર્થ સમજ એ વીવેકપુત એવો વધુ કામીયાબ માર્ગ કહેવાય; છતાં લોકના સ્તરભેદ અનુસાર બન્ને ઈલાજો સમજપુર્વક અપનાવી શકાય, ધ્યેયસીદ્ધીને અગ્ર સ્થાન આપવું ઘટે; એ પછી સમાજની કક્ષા અનુરુપ બનતાં, તત્ત્વ કે સત્યની સમજ આપી શકાય. વીશ્વભરમાં વૈચારીક ક્રાંતીઓ આ જ રીતે થતી આવી છે. દા.ત., ગંગાનાં પાણીના સ્નાન કે પાનથી પુણ્ય મળે ને સ્વર્ગ – એમ પ્રતીતીપુર્વક માનનારાની સંખ્યા આપણા સમાજમાંથી દીનપ્રતીદીન ઘટતી જાય છે. એને બદલે હવે સમજદાર શીક્ષીત વર્ગ ગંગાજળના ગુણાવગુણનું વૈજ્ઞાનીક પૃથક્કરણ કરવા લાગ્યો છે.
સદાચાર જેવો બોધ ધર્મગુરુઓ આપે છે, બરાબર એવો જ ઉપદેશ પ્રખર રૅશનાલીસ્ટો પણ આપે છે. ડૉ. નાયકને તો ખબર હશે જ; એટલે કેવળ સમાજની જાણકારી માટે જણાવું કે, જગવીખ્યાત રૅશનાલીસ્ટ વીચારક બર્ટાન્ડ રસેલે એક લેખ લખ્યો છે : ‘આઈડીયાઝ ધેટ હેવ હાર્મડ મેનકાઈન્ડ’. નામ કંઈક આવું જ છે, બરાબર યાદ નથી; છતાં એનો અર્થ તથા ઉપદેશ તો આ જ છે કે, માનવજાતને હાની પહોંચાડનારા વીચારો; જે છોડાવા જોઈએ, સદવીચારક તથા સદાચારી બનવું જોઈએ. આ પુસ્તકમાં રસેલ ઈર્ષ્યાની લાગણી વીરુદ્ધ પણ લખ્યું જ છે. આ લેખ વાંચીને કોઈ રસેલની એવી ઠેકડી ઉડાવે કે, રસેલ તો સ્થીતપ્રજ્ઞ થઈ ગયો હશે! તો એ બાલીશ કટાક્ષ જ કહેવાય. ‘જાનામી ધર્મમ્ ન ચમે પ્રવૃત્તી: એ એકલા દુર્યોધન માટે જ નહીં, માનવમાત્રના સમ્બન્ધે સત્ય છે.
મેં તા. 14/08/1993ના લેખમાં લખેલું, જે ડૉ. નાયકે ટાંક્યું છે, તે તો એ છે કે, સાચો રૅશનાલીસ્ટ ઈર્ષ્યા, દ્વેષ આદી વીકારોથી બહુધા મુક્ત હોય… આ વીધાનમાં ‘સાચો’ શબ્દ ઉપર જે ભાર છે, એ જો ડૉ. નાયકે નોંધ્યો હોત તો કદાચ તેઓ આવી ઠેકડી ઉડાવવા ન પ્રેરાયા હોત. બીજી બાજુ, હું તો ધાર્મીકો બાબતે પણ આ જ વીધાન પ્રતીતીપુર્વક કરું કે, સાચો ધાર્મીક જ કામક્રોધાદી વીકારોથી બહુધા મુક્ત હોય. આના પુરાવારુપે આપણે નરસીંહ મહેતા કે સંત જ્ઞાનેશ્વર જેવા વીરલાના દાખલા ટાંકીય શકીએ.
ડૉ. નાયકે મારા પર સીધો પ્રહાર કર્યો છે; એટલે મારી જ જુબાની પ્રસ્તુત કરું તો, હું સ્થીતપ્રજ્ઞ નથી, નથી ને નથી જ. સારા–સદાચારી બનવા માટે આપણે સતત જાગ્રત તથા પ્રયત્નશીલ રહેવું ઘટે; પરન્તુ એથી સો ટકા એવા થઈ જ જવાય– એવો કોઈ અફર નીયમ નથી. મારો જ દાખલો ખુબ સંકોચપુર્વક ટાંકું તો, હું કદીય ક્રોધ કરતો નથી; પ્રતીતીપુર્વક જાણું છું કે એ મીથ્યા તથા ખુદને જ હાની કરનારી અશોભનીય પ્રાકૃત લાગણી છે; છતાં બેએક વર્ષ પુર્વે, ટ્રેનમાં ચઢઉતરની ધક્કામુક્કીમાં મને ઉતરતાં રોકતા એક પ્રવાસીને મેં ક્રોધે ભરાઈને માર્યો; પરન્તુ નીચે ઉતર્યા બાદ મને પારાવાર પસ્તાવો થયો. હવે અહીં જ ધાર્મીક અને વીવેકબુદ્ધીવાદી વીચારસરણી વચ્ચેનો ભેદ આવે છે. મારી જગ્યાએ કોઈ ધર્મપરસ્ત જન હોત તો વીચારત કે, ‘ક્રોધ એ માણસનો પોતાનો શત્રુ છે; એને જીતવો જોઈએ. ક્રોધ કરવાથી પાપ લાગે વગેરે… વગેરે.’ એને બદલે મેં એમ વીચાર્યું કે, એ બીચારાને મેં અમસ્તો માર્યો… એમાં એ મજબુર માણસનો શો દોષ? આ પછાત દેશ, બેફામ વસ્તી, તંગી તથા અભાવો, ભંગાર જેવી ખડખડપાંચમ વ્યવસ્થાઓ, હકીકતે અવ્યવસ્થાઓ, અભણ લોક, બેવકુફ, બીનકાર્યક્ષમ, લાપરવાહ વહીવટ વગેરે વગેરે… એમાં લોકો બીજું કરેય શું? મારે આમ ક્રોધ ન કરવો જોઈએ…. બસ, ત્યાર પછી આજપર્યન્ત મેં ક્રોધ કર્યો નથી. જો કે બીજી રીતે મારું એ જન્મજાત લક્ષણ જ છે; જેની પાછળ કદાચ મારું ડરપોકપણું અમુક અંશે કારણભુત હોય; કારણ કે ક્રોધ તો વીરતાનો જ સ્થાયી ભાવ કહેવાય ને? આમ છતાં, ક્રોધના કારણને વીવેકબુદ્ધીથી સમજવા મથીએ, તો એ મહદંશે ટાળી શકાય, એટલું તો સ્પષ્ટ જ છે.
હવે ડૉ. નાયક સાથેનો જ એક પ્રસંગ હોવાથી અને વળી તે જાહેર હોઈ, તેમ ટાંકું : મેં વલસાડ જેવી નાની નગરીમાં વીદ્વાન સાક્ષરોની મોટી સંખ્યા દર્શાવતી યાદી એક લેખમાં પ્રગટાવી; કારણ કે એ ખરેખર આશ્ચર્યની સુખદ ઘટના કહેવાય… ખરેખર જ, કારણ કે હજી તો ઉક્ત યાદીમાં વધુ નામ ઉમેરી શકાય. પ્રસ્તુત યાદીમાં મેં ડૉ. બી. જી. નાયકનો પણ ઉલ્લેખ કર્યો. એથી તેઓએ મને પત્ર લખી, મારી નીખાલસતાને બીરદાવી.
હવે, આ નીખાલસતાનાં મુળ, જે મારી રૅશનલ વીચારણામાં રહેલાં છે એ સ્પષ્ટ કરું : જો હું વલસાડના વીદ્વાનોની યાદી જ પ્રગટ કરતો હોઉં, તો એમાં ડૉ. નાયક સાધીકાર સમાવીષ્ટ થાય જ; ભલે પછી અમારી વચ્ચે બહોળો તથા તીવ્ર મતભેદ હોય. તેઓ વીજ્ઞાન તથા અમુક પ્રકારના ચીંતનના પ્રખર અભ્યાસી છે– એ હકીકત જાણવા છતાં; હું એની ઈતર ઈરાદાસર અવગણના કરું; તો એ પોતાની જાત સાથેની જ છલના બની રહે. અને જો મારા એવા કૃત્યને હું કશા તર્ક વડે ન્યાયી ઠરાવું; તો જ મને ડૉ. નાયકે ટાંકેલું પેલું ઓશો રજનીશજીનું વીધાન લાગું પડે કે, ‘માણસની રીઝન શક્તી કેવળ એની અંદર જે બીલકુલ અબૌદ્ધીક છે, તેને ન્યાયસંગત કરવાની કોશીશમાં લાગી રહે છે.’ અત્રે જાહેર કરું કે, ઓશોના આ મત સાથે હું બીલકુલ સમ્મત થતો નથી. જો કે આ વીધાન ટાંકવા પાછળ પણ નાયકસાહેબનો ઈરાદો મારા પર કટાક્ષપ્રહારનો જ છે; છતાં કહું કે આ વીધાન સદન્તર ખોટું જ છે. જે માણસ પોતાનામાં રહેલી અબૌદ્ધીકતાને પીછાણી જ ના શકતો હોય, તે મુર્ખ છે; જ્યારે જાણવા છતાં એને તર્કવીવેક વડે ન્યાયસંગત ઠેરવતો હોય, તો તે પોતાની જાતને છેતરનારો યા ધુર્ત અને દમ્ભી કહેવાય. તેને કદાપી રૅશનાલીસ્ટ કહી જ ના શકાય.
પુન: પુન: કહું કે વ્યક્તી સાચી રૅશનાલીસ્ટ બને; એથી તેને ખુદને તો બેહદ લાભ છે; પરન્તુ સમાજનેય તે ઉપકારક બની રહે છે. આવા અનેક દાખલા છે, જેવો એક જ ટાંકું તો, બર્ટ્રાન્ડ રસેલ. એને કોઈ જાતને છેતરનાર, ધુર્ત યા દમ્ભી કહી શકે?
ટુંકમાં, જો સમસ્ત સમાજ સાચો ધાર્મીક બની રહે અને સારા નાગરીક તરીકેની આચારસંહીતાનું ધર્મભાવે પાલન કરે તો ભ્રષ્ટાચાર અચુક નાબુદ થાય અને દુનીયા ઘણી વધુ જીવવા જેવી લાગે. એ જ રીતે, જો સમગ્ર જનતા, દેશની યા દુનીયાની, સાચી રૅશનાલીસ્ટ બની રહે, અને વીવેકબુદ્ધીથી, ફરજભાવે ઉત્તમ નાગરીકત્વનું પાલન કરે, તો પણ ભ્રષ્ટાચાર ની:શક નાબુદ થાય અને બહેતર જીવન સર્જાય; કારણ અગાઉ કહ્યું તેમ, ધર્મ અને રૅશનાલીઝમ વચ્ચે નાગરીક આચાર પરત્વે બહુધા પુરી સમાનતા છે… તેમ છતાં; અમુક ચોક્કસ આચાર, આચારઅંશ યા વીધીનીષેધ બાબતે, તે ઉચીત કે અનુચીત? એવો માન્યતાભેદ રહે, જોવા મળે જ છે; કારણ કે ધર્મ ગુરુપ્રમાણની ઑથોરીટીને અનુસરે છે, જ્યારે રૅશનાલીઝમ કેવળ તર્ક પ્રામાણ્ય ને વીવેકબુદ્ધી પ્રામાણ્યને જ સ્વીકારે છે.
પરન્તુ આદરણીય નાયકસાહેબ, ધર્મ કે રૅશનાલીઝમ યા ત્રીજો કોઈ વાદ – એ સર્વના પુરસ્કર્તાઓ જો પ્રામાણીક હોય તો, આખર યથાશક્તી–યથામતી માનવજાતનાં હીતાર્થે જ ઝઝુમતા હોય છે ને? એ દૃષ્ટીએ, આપણે સૌનો મુળભુત ઉદ્દેશ એકસમાન જ ગણાય. ત્યારે, તો અમે ધર્મવાળા હાર્યા, હવે તમે રૅશનાલીઝમવાળા કીમીયા અને જડીબુટ્ટીઓ બતાવો!’ એવી પરસ્પર ઠઠ્ઠામશ્કરી ઉડાવવી ના જ શોભે. એથી શો લાભ…? અલબત્ત, આપણે સૌએ એક દુ:ખદ વાસ્તવીકતા સ્વીકારીને જ ચાલવું રહ્યું કે, સંસારમાં સાચા ધાર્મીકો હમ્મેશાં નાની લઘુમતીમાં જ રહેવાના; એ જ રીતે, સાચા રૅશનાલીસ્ટોની સંખ્યા તો વળી એથીય નાની, અલ્પ જ રહેવાની. પરીણામે ‘વો સુબહ કભી તો આયેગી’ – એ આશા અત્યારે તો સ્વપ્નવત જ સમજવી.
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના ચતુર્થ પ્રકરણનાં પૃષ્ઠક્રમાંક : 56થી 60 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક :
અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
સ્નેહીજનો,
Rational = બુઘ્ઘિવિષયક. સમજુ. વિવેકબુઘ્ઘિ.
Rationalism = બુઘ્ઘિસ્વાતંત્ર્યવાદ.
Rationalist = બુઘ્ઘિસ્વાતંત્ર્યવાદી, બુઘ્ઘિપૂર્વક વિચારીને ખરા, ખોટાની ચકાસણી કરીને નિર્ણય લેનાર.
ાાઆપણે ગુજરાતીઓ ગુજરાતીમાં આ વિષયની ચર્ચા કરીઅે ત્યારે પણ આ અંગ્રેજી શબ્દનો જ ઉપયોગ કરીઅે છીઅે. આપણી પાસે ઇવન ઓછું ભણેલાઓ પણ આ ‘ રેશનાલીઝમ‘ નો અર્થ પોતાના જીવનમાં કેવી રીતે સમજવો તેને વિષે પર્યાય શબ્દ છે….વિવેકબુઘ્ઘિ.
ડો. બી.જી.નાયક સાહેબ….મારા કેમીસ્ત્રીના વલસાડ કોલેજમાં…પ્રોફેસર. સીઘા, સાદા, ખાદીઘારી. ઓછું બોલનારા, સત્યના પાલક, મારે માટે તો સદા પૂજ્ય. ચર્ચાઓમાં તેમને ઉતરતાં મેં ભાગ્યે જ ઉતરતાં જોયા હશે.
હવે ‘ રેશનાલીસ્ટ ‘ શબ્દની વ્યાખ્યાને સમજવાની કોશીશ કરીઅે.
પૂ. રમણભાઇઅે અેક સુદર દાખલો આપ્યો છે અહિં આ લેખમાં……
રેલ્વેના ડબ્બામાં,ગીરદીના વાતાવરણમાં, ચઢતાં ગુસ્સામાં અેક સાથી પ્રવાસીને તમાચો મારી દીઘો. પાછળથી….ઘણા સમય બાદ….વિવેક નહિ આચરવાનો વિચાર આવતાં , તમાચો માર્યાનો ક્ષોભ થયો.
હવે ‘ રેશનાલીઝમ‘ વિવેક બુઘ્ઘિ વાપરીને …ડબ્બામાં…ગીરદી વચ્ચે …વિવેકબુઘ્ઘિ વાપરવા માટે કયું પગલું ભરીને વર્તવું તે નક્કિ કરવા સમય જોઇઅે…અને તે સમય વાપરીને ‘ રેશનાલીઝમ‘ ના ‘ આદર્શ ‘ પ્રમાણે વહેવાર કરવા રોકાયા હોત તો ?
પરિસ્થિતિ માણસને અને તેના વહેવારને ઘડે છે. આદર્શ…..હાં આદર્શ…..જીવનમાં કોઇ પાળી શક્યું નથી….પામી શક્યુ નથી….અેટલે લોકો ‘ પ્રેક્ટીકલ ‘ બનતા હોય છે.
નરસિહ મહેતાનું સૌથી આદર્શ ભજન…..જે વિવેકબુઘ્ઘિ વાપરતાં માનવીની જીવન વ્યાખ્યા છે તે દરેક હિન્દુનું અને પૂજ્ય ગાંઘીજીનું પણ પ્રિય ભજન હતું…. કેટલાં માનવીઓ આ ભજનને સર્વોત્તમ માને છે પરંતું ‘ રેશનલ‘ થઇને પોતાના દૈનિક જીવનાં ઉતારીને જીવે છે ?
શબ્દો છે…….
વૈષણવજન તો તેને રે કહીઅે, જે પીડ પરાઇ જાણે રે…..
સકળલોકમાં સૌને વંદે, નિદા ન કરે કેની રે…….
હવે ‘ સાચો ‘ રેશનાલીસ્ટ ?….ડો. નાયક સાહેબે વાપરેલો શબ્દ…..જેની ઉપર ચર્ચા થઇ……
માણસને માટે….સાચો છે કે સાચા હોવાનો ઢોંગ કરનાર છે ? સાઘુઓ, કથાકારો દુનિયાને લાગે છે કે ‘ રેશનલ ં હોય છે…પવિત્ર હોય છે….સાચુ બોલનાર અને કરનાર હોય છે….?????
હવે આ નાની કવિતા કે ગઝલ કે….પછી સત્ય બતાવનાર શબ્દો ઉપર વિચાર કરીે…..
‘ તૂં છોડ દે કોશિશે……..
ઇન્સાનોં કો પહેચાનને કી……
યહાં જરુરતોં કે હિસાબ સે…..
સબ બદલતે નકાબ હૈ !
અપને ગુનાહોં પર પરદે ડાલકર…
હર શખ્સ કહેતા હૈ……..
જમાના હરાબ હૈ….!
છેલ્લે……..‘ રેશનાલીઝમ ‘ બુઘ્ઘિસ્વાતંત્ર્યવાદ……વિવેકબુઘ્ઘિ …ખરા…ખોટાની ચકાસણી ???????????
He who is Rational ?
He who is possessing power of reasoning.
વિચારશક્તિ કે સમજશક્તિવાળું, તર્ક પર આઘારિત, તાર્કિક, બુઘ્ઘિગમ્ય, બુઘ્ઘિવાદી, બુઘ્ઘિગમ્ય, તર્કસંગત, સારાસાનો વિવેક, તાર્કિક રીતે પ્રતિપાદન કરવું કે સમજાવવુ
સત્ય તો માણસ માટે આ કર્મમાં છે…………..
‘ પોતાની ભૂલો માટે જ્યારે ચર્ચા કરવાની આવે ત્યારે , માણસ ‘ વકીલ ‘ બની જાય છે. અને જ્યારે બીજાની ભૂલોની ચર્ચા કરવાની આવે ત્યારે માણસ, ‘ જજ ‘ બની જાય છે.‘
અહિં વિવેકબુઘ્ઘિ કે સમજશક્તિ ક્યાં આવી ?
રેશનાલિઝમ અેક આદર્શ છે……પ્રેક્ટીકલ …..રોજીંદા જીવન જીવવા માટે ઇતિહાસ કહે છે કે……………રેશનાલીઝમ, મોટે ભાગે……
દેવોને, માનવીઓને કે દાનવોને કામ લાગ્યુ નથી.
વૈશણવજન અેટલે રેશનલ માનવી……
અમૃત હઝારી.
LikeLiked by 1 person
👌👌👌
પાઠક સાહેબની તો વાતો જ નિરાળી હોય છે, તેમની લેખિનીમાં જાદુ છે ને એ લેખિનીએ કંઈકને રેશનાલિઝમ તરફ વાળ્યા છે.
જમનાદાસ કોટેચાજી જુના લેખો(તેમની કોઈ અખબારમાં, લગભગ જનસત્તામાં કૉલમ આવતી તેના લેખો) મળી શકે તેમ હોય તો મૂકશોજી.
LikeLike
👌👌👌
પાઠક સાહેબની તો વાતો જ નિરાળી હોય છે, તેમની લેખિનીમાં જાદુ છે ને એ લેખિનીએ કંઈકને અંધશ્રદ્ધાના અંધારેથી રેશનાલિઝમના પ્રકાશપુંજ તરફ વાળ્યા છે.
જમનાદાસ કોટેચાજીના જુના લેખો (તેમની કોઈ અખબારમાં, લગભગ જનસત્તામાં કૉલમ આવતી હતી તેના લેખો) મળી શકે તેમ હોય તો મૂકશોજી.
LikeLiked by 1 person
રેશનાલીઝમ ના લેખો વાંચી ને ઘણું ઘણું જાણવા ને શીખવા મળે છે
LikeLiked by 1 person
Rationalism, may be defined as ANY SITUATION, is delt with, without any PERSONAL GAIN , Knowingly and consider Beneficial to everyone effected
LikeLiked by 1 person
આદરણીય નાયકસાહેબ વિદ્વાન તેમના હાથ નીચે ઘણા પી એચડી થયા અને મા રમણભાઇ બન્નેની વિચારશ્રેણીમા મતભેદ અને ચર્ચા કરવાની પધ્ધતિ જુદી હશે પણ એક વાત સામાન્ય છે કે બન્ને પ્રામાણીકપણે સામાન્યજન હીતાય વિચારતા અને પોતાની રીતે સેવા કરતા તો બીજી તરફ પરસ્પર ઠઠ્ઠામશ્કરી ઉડાવવી યોગ્ય નથી જ સાથે આપણે સૌએ એક દુ:ખદ વાસ્તવીકતા સ્વીકારીને જ ચાલવું રહ્યું કે, સંસારમાં સાચા ધાર્મીકો હમ્મેશાં નાની લઘુમતીમાં જ રહેવાના; એ જ રીતે, સાચા રૅશનાલીસ્ટોની સંખ્યા તો વળી એથીય નાની, અલ્પ જ રહેવાની. પરીણામે ‘વો સુબહ કભી તો આયેગી’ – એ આશા અત્યારે તો સ્વપ્નવત જ છે એટલે સાચા રેશનલ વાતે જન હીતાય વધુ કામ થાય.સાચા શબ્દ એટલા માટે કે સાંપ્રતસમયે કહેવાતા બુધ્ધિવાદીઓ અને આતંકવાદી સંગઠનોના ફંડવાળા રેશનલને નામે પ્રજાને ખોટી દિશામા દોરે છે.
LikeLike
રેશનાલિઝમ શબ્દ માટે વિવેક બુદ્ધિ વાદ કે બુદ્ધિ સ્વાતંત્ર્ય વાદ કરતા બુદ્ધિ પ્રામાંણ્ય વાદ શબ્દ વધુ સચોટ છે.આ વિષય વધુ વિગતવાર જાણવા માટે you tube માં shayam manav ચેનલ પર જઈ એ ભાષણ સાંભળવા વિનંતી.અમૃત હજારી સાહેબે ગઝલ સરસ મૂકી છે મજા આવી
LikeLiked by 1 person