ભારેલા અગ્નીના તણખા (રૅશનલ પંક્તીઓ)

વીચારશીલતા અને સ્વવીવેક દાખવવાનો અનુરોધ કરતી પ્રા. જે. પી. મહેતાની રૅશનલ પંક્તીઓ તા. 20 જુલાઈ અને 24 ઓગસ્ટના રોજ સાદર કરી હતી. વધુ 55 રૅશનલ પંક્તીઓ આજે પણ…

ભારેલા અગ્નીના તણખા
(રૅશનલ પંક્તીઓ)

–પ્રા. જે. પી. મહેતા

1
કહે કબીર પથ્થર પુજે પ્રભુ જો મળી શકે,
તો તો પર્વત પુજીને સ્વર્ગ જ મળી શકે.

2
શુભ દીવસ તીથીવાર જો પ્રભુએ સર્જેલાં,
અશુભ દીવસ તીથીવાર તો, રાક્ષસે સર્જેલાં?

3
સમુળી ક્રાંતી કરવી હો, તો ઘરમુળથી વીચાર,
સત્ય, ન્યાય ને પ્રેમને અનુસરી કરો પ્રચાર.

4
ગાયને માતા માનતો એઠું ખવડાવી,
ઉકરડે કાઢી મુકે, લાકડીએ દોડાવી!

5
મન્દીર–મસ્જીદના કરો, નીશાળ કેરા રુમ,
જ્ઞાનકેન્દ્ર ઉભાં કરી, અજ્ઞાન કરો ગુમ.

6
ધ્યાન, ધારણ, ધુન તે છે હવાતીયાં રુપ,
તેના તો અતીરેકથી તન–મન બને કુરુપ.

7
મારું તે સારું નહીં, સારું તે મારું,
આ અમુલ્ય વીચારથી જીવન બને પ્યારું.

8
શીવલીંગ પર ઉંદરો રાત્રે ચોખા ચણે,
તો દેવાધીદેવ પણ, કદી નહીં સળવળે?

9
ચોર ચોરતો મુર્તીના વસ્ત્રાલંકારો,
કાચની આંખેથી પ્રભુજી એ શું જુએ બીચારો?

10
નથી દીવ્ય કે નથી ભવ્ય, નથી કોઈ તારણહાર,
તારા ક્રોસ તણો સદા, તું જ ઉપાડીશ ભાર.

11
આગ્રહ, પુર્વગ્રહ, હઠાગ્રહો મેલી નીર્મળ થા,
પ્રેમ–સુખ ને શાંતીના ગીત હમ્મેશાં ગા.

12
જીવતાં રક્તદાન કર, મર્યા પછી દેહદાન,
તારા જીવન–કર્મની સદા રહેશે શાન.

13
સત્ય તણો વીકલ્પના, સત્ય નગ્ન છે સાવ,
મહાપ્રપંચી દુષ્ટના ચાલે ના ત્યાં દાવ.

14
તું કોઈનો ગુલામ ના, સ્વતન્ત્ર વીચાર કર,
મુક્ત અને મૌલીક બની, સત્ય આચરણ કર.

15
ગુરુ, માતા–પીતા તણાં જુઠનો કર વીરોધ,
સાચું શું તે સંશયે, સ્વયં કરી લે શોધ.

16
શંકાની ગુરુચાવીથી, ખુલે સત્ય–તાળાં,
પ્રશ્ન કરે તેના બધા મળશે સરવાળા.

17
આત્મા કે પરમાત્મા, કોઈએ જોયો જાણ્યો ના,
ધર્માંધોની ‘હા’ મહીં કેમ મેળવે ‘હા’?

18
કરોડની કીમ્મત તણું, તારું છે આ મગજ,
તારી રીતે વીચારીને તેને કેમ ના કસ?

19
પશ્ચીમ દુષ્ટ–બુરું જ છે તો યુવા પેઢી કેમ જાય?
શ્રેષ્ઠ–સુશીક્ષીત યુવાધન યુરોપમાં કેમ ઠલવાય?

20
પશ્ચીમ–પ્રવાસી લેખકોના ગ્રંથો વાંચો,
ત્યાંના ઉત્તમ જીવનનો ચીતાર મળે સાચો.

21
આપણે સુધરવું જ નથી? દુનીયા ગૈ બદલાઈ,
તારાથી શરુઆત કર, વહાલા વાચકભાઈ.

22
લોકશાહી અતીરેકનો વૈભવ ના પોસાય,
ભલે હવે ભારત મહી સમુળી ક્રાંતી થાય.

23
દરેક ધાર્મીક ગ્રંથમાં ચમત્કાર ભરમાર,
શક્ય નથી તે કેમ હો? શાણા કર વીચાર.

24
સંશય આત્મા વીનશ્યતી – ના,
સંશય આત્મા વીકસ્યતી – હા.

25
પરમકૃપાળુ પ્રભુજી છે, તો દુ:ખ શાને દે?
ઈશ્વર દુખદાતા જ છે, તો તેને કેમ પુજે?

26
અક્કલનો ઉપયોગ કર, મૌલીકતા કેળવ,
બધા જ ધર્મો છોડીને, સદૈવ મુક્તી મેળવ.

27
કોઈની કંઠી બાંધ ના, કંઠી એ જ ગ્રંથી,
નીજ ના મૌલીક માર્ગનો બની જજે પંથી.

28
એક જ સુત્ર અપનાવી લે, ઈશ્વર ના નહીં ધર્મ,
કર્મ કરી તું પામશે, સાચો જીવન મર્મ.

29
આચરવું અશક્યના જીવનમાં આ ચીંતન,
ઢીલાશ, આ બધી છોડીને મક્કમ કરી લે મન.

30
આ ભારેલા અગ્નીથી તારો ચુલો સળગાવ,
પકવ અન્ન પચાવીને, સુખી જીવન જીવી જાવ.

31
વૈકુંઠ – કૈલાસને, સ્વર્ગ અને જન્નત,
અલગ દેશ આકાશમાં? કોનું એ સર્જન?

32
હીન્દુ-ભુત, મુસ્લીમ-જીનાત, ખ્રીસ્તી કેરો ઘોસ્ટ,
આકાશે શું કદી હશે, અલગ મુકામ પોસ્ટ?

33
હીન્દુ સ્વર્ગસ્થ થયો, મુસ્લીમ જન્નતશીન,
નાસ્તીક કેરા આત્મા – શું ભટકે દેશ વીહીન?

34
‘બાપુ’ સારું બોલે તો સુવક્તા કહેવાય,
તેને ‘ઈશ્વર’ માનીને પગ ના પુજાય.

35
માંસ મચ્છી ખોરાક છે, ફાવે તે ખાય,
શાકાહારી વ્યસની હો, તો પાપી કહેવાય.

36
ભાવે, ફાવે ને ગમે, તેવું જીવ જીવન,
સુખાર્થે જ વાપર્યું, તે જ છે તારું ધન.

37
કોઈ માનવ આદર્શ ના, સૌ છે માટી પગા,
ખરે સમે જે મદદમાં, તે જ છે સાચા સગા.

38
બુદ્ધીમતાં વરીષ્ઠં જે હનુમંત કહેવાય?
સંજીવની ન ઓળખી, પર્વત ઉંચકી જાય?

39
ઉપરથી ઉતરે નહીં, ‘કુરાન’ હો કે ‘વેદ’,
માનવનું સર્જન બધું, કોઈ નહીં ત્યાં ભેદ.

40
નીરાકાર ઈશ્વર નથી તો આકાર ક્યાંથી હોય?
દીઠા હોય તો દાખવે, માઈના સપુત કોઈ!

41
‘બ્રહ્મ સત્ય, જગત જુઠું’ – જેણે લખ્યું હશે,
તે પણ ‘જુઠા’ જગતમાં, જન્મ્યો – જીવ્યો હશે!

42
ઝનુની ધાર્મીક હોય છે, માટે ધર્મ ઝનુન,
કોઈ જ રૅશનાલીસ્ટથી કદી થયા ના ખુન.

43
દેવોએ છળકપટથી અમૃત પીધું હોય,
તો આજે પણ પૃથ્વી પર દેખાય ન કોઈ?

44
અન્ધ, દેખતાં ને લંગડા પર્વત કુદી જાય,
તેની કૃપા જો હોય તો બાળભીક્ષુક કેમ થાય?

45
‘ઈશ્વર મરી ગયો’ કહે, શાણો નીત્શે જણ,
‘હતો નહીં, ક્યાંથી મરે?’ હું કહું છું ને પણ.

46
હતાં નહીં ને છે નહીં, હશે જ નહીં ઈશ્વર,
મુરખ, તેને દેખવાં, માથાં પછાડી ના મર.

47
પ્રકાશ ક્યાંથી આવીયો, ક્યાં એ ચાલ્યો જાય?
જન્મ અને મૃત્યુ તણું એ રહસ્ય સમજાય?

48
આજે પણ દક્ષીણમાં બોગસ હજારો ‘કલ્કી’ છે,
અન્ધશ્રદ્ધાળુઓને સુધારવા ડૉ. કોવુર પણ શું કરે?

49
ચમત્કાર ને ફ્રોડથી અસત્યવાદીઓ પુજાય,
ડૉ. કોવુર જેવા સત્યનીષ્ઠો દેશમાં હડધુત થાય.

50
રાજા રામમોહન તણી સતી પ્રથા બંધી,
હજીયે સતીઓ થાય છે, રુપ કુંવરો અન્ધી.

51
વેદઋષી અજ્ઞાનીઓ, સુર્ય, ચન્દ્ર દેવ ગણે,
ભ્રામક ખોટી વાતને માનવી કેમ આપણે?

52
મનોરથો, અભીષેકથી કોઈનું ભલું ન થાય,
ભોળાં–ધર્માંધોને લુંટી કોણ ભરપેટ ખાય?

53
પીતૃ કદી સંતાનને નડવા, ભુત બને?
મૃત પીતૃને તું શું, રાક્ષસ જેવો ગણે?

54
શ્રાદ્ધ તણાં દીવસે ભલાં, પીતૃ બને કાગડો?
રુઢી ત્યજવા જરાક તો કોમન સેંસ વાપરો.

55
ટેલીપથી ને પ્લાંચેટ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતીષ,
તન્દુરસ્તને મારવા, આ સૌ ધાર્મીક વીષ!

–પ્રા. જે. પી. મહેતા

સર્જક–સમ્પર્ક : પ્રા. જીતેન્દ્ર પી. મહેતા, બી/4, ‘પંચશીલ’, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર (ઈસ્ટ), મુમ્બઈ – 400 077 સેલફોન : 93210 29015 ઈ.મેલ : hemant@cahjmehta.com   

‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ) પુસ્તીકા (પ્રકાશક : પ્રા. જે. પી. મહેતા, બી/4, ‘પંચશીલ’, વીદ્યાભવન સ્કુલ સામે, ઘાટકોપર (ઈસ્ટ) મુમ્બઈ – 400 077 સેલફોન : 93210 29015 પાનાં : 24, મુલ્ય : રુપીયા 10/–)માંથી, સર્જક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

10 Comments

  1. ઘી તેલ ચઢાવો મંદિરોમાં, ને ચાદર ચઢાવો દરગાહોમાં
    દરિદ્રો બિચારા ભૂખે મરતા, જીવન વિતાવે આહોમાં

    Liked by 1 person

  2. પંડિત, સાધુ, મુલ્લા મોલવી, પકવાન થકી પૂજાય
    એક ટંક ના ભોજન માટે, દરિદ્રો ધક્કા ખાય

    Liked by 1 person

  3. –પ્રા. જે. પી. મહેતા ભારેલા અગ્નીના તણખા રૅશનલ પંક્તીઓ અસરકારક અને પ્ર્રેરણાદાયી

    Liked by 1 person

  4. highly practical and full of Rational thoughts. simple enough to put into day to day practice.
    Congratulations to Prof. Mehta and thanks to both the good Professor and Govindbhai.

    Liked by 1 person

  5. પ્રો.મહેતાઅે જૂના સદવાક્યોને અનુસરીને આજના જમાનાને અનુરુપ બનાવ્યા છે. સરસ છે.
    ઉત્તરભારતની લોકોક્તિ…..
    ‘ ભગત જગત કો ઠગત હૈ, ભગત હિં ઠગૈ સો સંત,
    જો સંતન કો ેગત હૈ, તિનકો નામ મહંત. ‘

    ( ભક્તો જગતને ઠગે છે., ભક્તોને જે ઠગે છે તેને સંત કહેવાય છે. અને જે કોઇ સંતને ઠગે છે તેને મહંત કહેવાય છે. )

    સાચા સ્વરુપમાં આ લોકોક્તિ આજે પણ સાચી છે અને હરેક મીનીટમાં વપરાસમાં દેખાય છે. છતાં લાખોની સંખ્યામાં લોકો ઠગાવા જાય છે.

    પ્રો. જે.પી. મહેતાને લોકજાગૃતિના પ્રયત્નો માટે હાર્દિક અભિનંદન.

    અમૃત હઝારી.

    Liked by 2 people

  6. બધી જ પંક્તીઓ ખુબ સરસ છે, પણ મને આ બહુ ગમ્યું:
    26
    અક્કલનો ઉપયોગ કર, મૌલીકતા કેળવ,
    બધા જ ધર્મો છોડીને, સદૈવ મુક્તી મેળવ.

    27
    કોઈની કંઠી બાંધ ના, કંઠી એ જ ગ્રંથી,
    નીજ ના મૌલીક માર્ગનો બની જજે પંથી.
    હાર્દીક આભાર પ્રો. મહેતા અને ગોવીન્દભાઈ આપનો.

    Liked by 1 person

    1. bahu j sachot panktio chhe . balpan ma badhu j bhanela pan jivan na anubhavo melviye tyare j a panktiyo no sacho bhavrtha samjay . sachej professor apne apna jivanna anubhavo parthi badhu lakhyu chhe akhre to manav ni j kimat chhe badha dharmothi upar manav dharm ane jivta j badhu chhe .

      Liked by 1 person

  7. all best–“ચમત્કાર ને ફ્રોડથી અસત્યવાદીઓ પુજાય,
    ડૉ. કોવુર જેવા સત્યનીષ્ઠો દેશમાં હડધુત થાય.”

    Liked by 1 person

  8. અન્ધ, દેખતાં ને લંગડા પર્વત કુદી જાય,
    તેની કૃપા જો હોય તો બાળભીક્ષુક કેમ થાય?
    ઉપરથી ઉતરે નહીં, ‘કુરાન’ હો કે ‘વેદ’,
    માનવનું સર્જન બધું, કોઈ નહીં ત્યાં ભેદ.

    Always we should think rationally, there is some reason behind every event ,we should apply scientific knowledge to know all this things.

    Liked by 1 person

Leave a comment