રહી રહીને એ સવાલ પજવ્યા કરે છે કે નાના બાળકને જે વાત સમજાય છે, એ વાત મોટા લોકને કેમ સમજાતી નહીં હોય? આપણા લેખકો–કવીઓ ગામડાના અલ્પશીક્ષીત લોકોની હૈયાસુઝ અને ડહાપણનું બાષ્પીભવન કેમ થઈ જાય છે? બ્રહ્મસ્વરુપ ખાદ્યાન્નનો ગુનાહીત બગાડ ક્યારે અટકશે? આ વેદના અરુણ્યરુદન ન બની રહેતાં આપણાં દીલ–દીમાગને થોડી ઢંઢોળશે એવી આશા રાખી શકાય કે?
ઘીનો ગુનાહીત બગાડ
–તુલસીભાઈ પટેલ
કમ્પ્યુટરની એક દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થીત રહેવાનું થયું. ઉદ્ઘાટન નીમીત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મન્ત્રોચ્ચાર થઈ રહ્યા હતા; ને હવનકુંડમાં હવીશ દ્રવ્યો : ઘી–જવ–તલ વગેરે હોમાઈ રહ્યાં હતા. હવનાગ્નીનો ધુમાડો ચારે તરફ ફેલાઈ રહ્યો હતો.
મારી બાજુમાં મારા એક મીત્રનો દીકરો સુમીત ઉભો હતો. આઠ–દશ વરસના આ બાળકે મને કહ્યું : ‘અંકલ, આ ધુમાડાથી તો આંખોમાં બળતરા થાય છે. તમારી આંખો નથી બળતી?’
‘બળે છે ને.’ મેં કહ્યું.
‘તો, ચાલોને અહીંથી થોડે દુર.’ પછી અમે બન્ને થોડેક દુર એક વૃક્ષની છાયામાં બેઠાં.
‘અંકલ, આ લોકો મોંઘા ભાવનું ઘી અને બીજી વસ્તુઓ આગમાં નાંખી રહ્યા છે. એથી શો ફાયદો? આ તો દેખીતું નુકસાન છે.’
સુમીતના પ્રશ્ને મને મુંઝવણમાં નાખી દીધો. મારી પાસે એનો સ્પષ્ટ જવાબ ન હતો : મેં ગોળ–ગોળ વાત કરી : ‘કોઈ ફાયદો તો હશે જ; પણ મને એ વીશે પુરી ખબર નથી. કોઈક જાણકાર પાસેથી એ વીશે માહીતી મળી શકે.’
‘પણ અંકલ! આ તો દેખીતી રીતે જ નુકસાન છે. આજે ઘી કેટલું બધું મોંઘું છે. આ રીતે ઘી બાળી નાખવામાં મને તો કંઈ ફાયદો લાગતો નથી. નર્યું નુકસાન જ છે. ઉપરથી આંખો બળે છે, એ વધારામાં!’
પછી તો જમવાનો સમય થયો, એટલે બધા ભોજનસ્થળ પર ધસી ગયા. મોટા ભાગના લોકને જમવામાં જ રસ હતો. હવનથી થતા લાભ–નુકસાન વીશે વીચારવાની કોઈને પડી ન હતી; પરન્તુ પેલા ચબરાક બાળકે મારા મગજમાં પ્રશ્નનો સળવળતો કીડો મુકી દીધો.
મને થયું કે દશેક વરસના એક છોકરાને ખબર પડે છે કે મોંઘા ભાવના ઘી–અનાજ વગેરે બાળી નાખવામાં દેખીતું નુકસાન જ છે. આ બાળકના મનમાં જે સવાલ થયો, એ મોટા કહેવાતા માણસોના મનમાં કેમ નહીં થતો હોય?
મોટા માણસને આવા સવાલ ન થાય. કેમ કે ઉમ્મર વધે છે એમ મુળગત વીચારશક્તી પર કાપ મુકાતો જાય છે. એક બાળક જેટલી મૌલીક સુઝ–સમજ ધરાવે છે, એટલી મોટા કહેવાતા વીદ્વાનો નથી ધરાવતા. બાળક પુર્વધારણાઓથી સદન્તર મુક્ત છે. એ સહજ રીતે જ સાચું વીચારી શકે છે. એની વીચારવાની પ્રક્રીયા અપ્રદુષીત છે. આપણા સામાજીક, ધાર્મીક પર્યાવરણમાં વીચારનું જે ભયાનક પ્રદુષણ પ્રવર્તી રહ્યું છે; એનાથી હજુ એ અસ્પર્શ્ય છે. ઉમ્મર વધતી જાય છે, સમાજનો સમ્પર્ક વધતો જાય છે. ધર્મ, સમ્પ્રદાય, સંસ્કૃતી સભ્યતા, પ્રથા વગેરેના નામે જે પરમ્પરીત ખ્યાલો–માન્યતાઓ સમાજમાં પ્રવર્તી રહ્યા છે, એની અસર થવાની હજુ બાકી છે.
ધર્મ, પ્રથા કે પરમ્પરાને નામે આપણે ત્યાં કેવા આયોજનો થઈ રહ્યાં છે! ગાંધીનગર પાસે આવેલ રુપાલ ગામમાં વરદાયીની માતાનું સ્થાનક છે. આસો સુદ આઠમ–દુર્ગાષ્ટમીના રોજ અહીં માતાની પલ્લી ભરાય છે. આ પલ્લીમાં દર વરસે હજારો મણ શુદ્ધ ઘી હોમાય છે. છાપામાં સમાચાર છે કે ગયા વરસે સવા ચાર લાખ કીલો ઘી હોમાયું હતું. આ વરસે છ લાખ કીલો ઘી ચઢાવવામાં આવ્યું! સારી એવી પ્રગતી થઈ!! એક કીલો ઘીના 170/- રુપીયા ગણતાં દશ કરોડ વીસ લાખ રુપીયાનો ધુમાડો કર્યો. (નવેમ્બર, 2007માં આ પુસ્તીકાનું પ્રકાશન થયું હોય તે સમયનો ભાવ અને રકમ ઉપર દર્શાવેલ છે. ‘સંદેશ’ દૈનીકના તા. 8 ઓક્ટોબર, 2019ના અંકમાં ગયા વર્ષે અંદાજીત 20 કરોડનું ઘી ચઢાવ્યું હોવાનું એક પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું. સ્ત્રોત : http://sandesh.com/gandhinagar-rupal-palli-in-4-lakh-kg-of-ghee-offered-to-vardayini-temple/) રુપાલ સીવાય પણ અનેક સ્થળે આવાં નાનાં–મોટાં આયોજનો થતાં હશે. એ બધાના આંકડા ક્યાં પહોંચે!
વૈજ્ઞાનીક અભીગમ અને સુધારામાં માનનાર લોકોએ આ પ્રથા દુર કરવા માટે પ્રયાસો કર્યા છે; પરન્તુ એમાં એમને સરીયામ નીષ્ફળતા મળી છે. વીજ્ઞાનજાથા જેવી પ્રગતીશીલ સંસ્થાઓએ આ પ્રથા દુર કરવા માટે સ્થળ પર આંદોલન કરવાની વાત કરી તો સામેથી ઝનુની પ્રતીકાર મળ્યો કે, અહીં આવો તો ખરા, તમારા ટાંટીયા જ ભાંગી નાંખીશું! આમ ઘીનો બગાડ તો બન્ધ ન થયો, બલકે સવા ચાર લાખ કીલોમાંથી છ લાખ કીલો સુધી પહોંચી ગયા! બગાડમાં ઘટાડો થવાને બદલે વધારો શાથી થયો, એ વીશે વીચારવું ઘટે.
માણસને પોતાની માન્યતા વહાલી હોય છે. એનાથી વીપરીત કોઈ વાત આવે તો એને ખોટું લાગે છે. એની લાગણી દુભાય છે. ભલે બીજાની વાત સાચી હોય; તેમ છતાં એનો અહમ્ ઘવાય છે. આવે વખતે સાચું–ખોટું બાજું પર રહી જાય છે, ને અહમ્ ની વાત મુખ્ય બની જાય છે. સવાલ પ્રતીષ્ઠાનો બની જાય છે. ‘તમે અમને સમજાવનાર કોણ? તમે શું અમને અણસમજુ માનો છો?’ આમ વાત જ્યારે ચડસાચડસી પર આવી જાય છે, ત્યારે શુદ્ધ બુદ્ધી કુંઠીત થઈ જાય છે. તટસ્થતા કે તાર્કીકતા નષ્ટ થઈ જાય છે. પ્રત્યાઘાત પેદા થાય છે, ને ડબલ જોરથી કુપ્રથા આચરવામાં આવે છે. આમ સુધરવાની વાત તો બાજુ પર રહી, બલકે પોતાની ખોટી માન્યતા દૃઢ થાય છે. મનોવીજ્ઞાન કહે છે કે તમે જેને સુધારવા માગતા હો, એને આઘાત આપીને કદાપી નહીં સુધારી શકો. આઘાતથી વાત વણસી જાય છે. એટલે જ કવીશ્વર દલપતરામે શીખ આપી કે સુધારાનો સાર ધીરે–ધીરે જ ગ્રહણ થાય છે.
બીજું, અન્ધશ્રદ્ધા કે જુઠી પરમ્પરની કોઈ અસરકારક દવા નથી. હા; દવા છે. જેમણે અન્ધ માન્યતાઓ કે જુઠી પ્રથાઓ પેદા કરવામાં ફાળો આપ્યો છે તેઓ જો ધારે તો એ દુર કરી શકે; પણ તેઓ શા માટે દુર કરે? ધર્મગુરુઓ, સ્વામીઓ, મુલ્લાઓ, મહંતો ધારે તો આ દુષણ દુર કરી શકે; પણ તેઓ એવું ધારશે નહીં, એ નકકી છે. એમાં જ એમની વાહ વાહ છે. મુલ્લા–મહંતો તો અન્ધવીશ્વાસ ને ગલત પરમ્પરાઓના પીતા ને પ્રચારકો છે. તેઓ એમાં વધારો કરવાનું બન્ધ કરે તોયે ભયોભયો!
સમજાવટથી જો કોઈ સમસ્યા હલ ન થાય તો પછી બીજો ઉપાય એ અંગે કાયદો કરવાનો છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરથી રુપાલ નજીક જ છે. આપણા રાજકર્તાઓ ઘીના આ બગાડથી અજાણ નથી. તેઓ ઈચ્છે તો કાયદો કરી શકે; પરન્તુ રાજકારણીઓ પાસે ઝાઝી આશા રાખવા જેવી નથી. મતદારોને તેઓ શા માટે નારાજ કરે? લોકને રાજી રાખવાથી મતપેટી છલકાતી હોય તો એમના હીત–અહીતની પરવા શીદ કરવી? પોતાનું તરભાણું ભરાય એટલે બસ. જનતા જાય જહન્નમમાં! લોકશાહીની આ મોટામાં મોટી મર્યાદા છે.
અખબાર, ટી.વી., ચેનલો વગેરે સમુહ–માધ્યમોનો જનસમુહ પર ઘણો પ્રભાવ છે; પરન્તુ તેઓ પણ જનસમુહને નારાજ કરવાની મુર્ખાઈ શા માટે કરે? એમને પોતાનો ધંધો બન્ધ કરવો નથી. ક્યારેક દબાયેલા સુરે તેઓ અન્ધશ્રદ્ધા વીરુદ્ધ વાત કરે છે ખરાં; પરન્તુ એ તો પોતે તટસ્થ છે, ને સામાજીક જવાબદારી અદા કરી રહ્યા છે, તેનો દેખાવ કરવા ખાતર. સુધારાની વાત તેઓ એક–બે લીટીમાં કરશે; પરન્તુ (અન્ધ)શ્રદ્ધાનાં ગુણગાન ગાતી, સો લીટીઓ ચીતરશે! તેઓ જનસમુહને ચમત્કાર, વહેમ, અન્ધશ્રદ્ધા વગેરેનો શરાબ પાવાનું બન્ધ કરે તો યે ગનીમત!
જે. કૃષ્ણમુર્તી વગેરે કહે છે તે પ્રમાણે જ્યાં સુધી માણસ પોતે અંદરથી બદલાશે નહીં ત્યાં સુધી ઉપદેશ કે કાનુન દ્વારા એને બદલવાનું અસમ્ભવ છે. એ બધા થીંગડાં છે. નકારાત્મક ઉપાય છે. બહારના દબાણ કે ભયથી કદાચ સુધારો થશે તો પણ દબાણ હટી જતાં હાડમાં ભળી ગયેલી અગાઉની આદતોનો દડો ડબલ જોરથી ઉછળશે.
રહી રહીને એ સવાલ પજવ્યા કરે છે કે નાના બાળકને જે વાત સમજાય છે, એ વાત મોટા લોકને કેમ સમજાતી નહીં હોય? હજારો માણસો એક એક કણ માટે ટળવળતાં હોય ત્યારે મહામુલા અન્નો બગાડ કરવાનો વીચાર કેવી રીતે આવી શકે? આપણે જાણીએ છીએ કે શાસ્ત્રમાં અન્ને બ્રહ્મસ્વરુપ માનવામાં આવ્યું છે. અન્નનો બગાડ કરવાને ઋષીમુનીઓએ પાપ કહ્યું છે. ‘અન્નં ન પરીચક્ષીત’ અર્થાત્ અન્નની અવહેલના ન કરો. જે સમાજ કે દેશ અન્નનું અપમાન કરશે એ ક્યારેય સુખી અને સમૃદ્ધ નહીં બને, આ આપણા ઋષીમુનીઓની ભવીષ્યવાણી છે. આ બધું આપણે જાણીએ છીએ; છતાં આપણું આચરણ એથી ઉલટું કેમ છે? અન્નનો બગાડ કરનારા, ગરીબ–ભુખ્યા માણસના મોંઢામાંથી કોળીયો છીનવી લેવાનું પાપ કરી રહ્યા છે. આપણે સાવ દયાહીન કેમ થઈ ગયા છીએ?
ભુતકાળમાં વસ્તીના પ્રમાણમાં અનાજનું ઉત્પાદન વધારે હશે, ત્યારે યજ્ઞો દ્વારા અન્ન અર્પણ કરીને દેવોનું ઋણ ચુકવવાનો ઉપક્રમ થતો હશે; પરન્તુ સમય, સંજોગ, દેશકાળ બદલાય તો પણ કાળગ્રસ્ત રુઢીઓમાં બદલાવ નહીં લાવવાનો? અત્યારે આપણી દશા કેવી તો દયનીય છે! એક તો આપણે દરીદ્ર છીએ, ને વળી કીમતી ખાદ્યાન્નને બાળી મુકીએ છીએ! આપણી મીણબત્તી બે છેડે સળગી રહી છે. આ સીધી–સાદી વાત આપણી સમાજમાં કેમ આવતી નથી? બુદ્ધી અને સમવેદનાના દરવાજા પર આપણે કેમ અલીગઢી તાળાં મારી દીધા છે!
આપણા લેખકો–કવીઓ ગામડાના અલ્પશીક્ષીત લોકોની હૈયાસુઝ અને ડહાપણનાં વખાણ કરતાં થાકતા નથી; તો પછી મોંઘેરા અન્નનો બગાડ કરતી વખતે એ લોકની હૈયાસુઝ અને ડહાપણનું બાષ્પીભવન કેમ થઈ જાય છે? તેઓ આવા હૈયાસુના કેમ છે? બ્રહ્મસ્વરુપ ખાદ્યાન્નનો ગુનાહીત બગાડ ક્યારે અટકશે?
આ વેદના અરુણ્યરુદન ન બની રહેતાં આપણાં દીલ–દીમાગને થોડી ઢંઢોળશે એવી આશા રાખી શકાય કે?
– તુલસીભાઈ પટેલ
લેખક સમ્પર્ક : શ્રી. તુલસીભાઈ પટેલ, 1, ઉદયનગર, મહેસાણા –384 002 સેલફોન : 00 ઈ.મેલ :
અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 22મો લેખ, પુસ્તકનાં પાન 62થી 65 ઉપરથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
” ‘અંકલ, આ લોકો મોંઘા ભાવનું ઘી અને બીજી વસ્તુઓ આગમાં નાંખી રહ્યા છે. એથી શો ફાયદો? આ તો દેખીતું નુકસાન છે.’ ”
— –તુલસીભાઈ પટેલ
સત્ય તો એ છે કે આ અન્ધશ્રદ્ધાળુઓ અબજો રૂપિયા નો ધુમાડો કરી રહ્યા છે એટલે કે અબજો રૂપિ આગ માં નાખી રહ્યા છે અને સાથે સાથે પોતાની અકલ ને પણ આગ માં નાખી રહ્યં છે..
અમારા મુસ્લિમ ધર્મ માં પણ વારે તહેવારે લાંબા લાંબા જુલૂસો કાઢીને તે ઉપર કરોડો નો ખર્ચ કરી ને મુસ્લિમો નાણાં નો ધુમાડો કરે છે.
કદાચ આ ધુમાડો કરવાવાળાઓ વિચારે કે અત્યારે ત્રીજી દુનિયા માં કરોડો દરિદ્રો ને એક ટંક નું ભોજન નથી મળતું, તો આ ધર્મ ના નામે દ્યુમાડો થતા નાણા ને માનવતા કાજે ખર્ચ કરવામાં આવે, કારણ કે માનવતા કરતા મોટો કોઈ ધર્મ નથી.
મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં બે શ્લોકો માં રિબાતી માનવતા ને રાબેતા ની બંદગી પર પ્રાથમિકતા આપવામાં આવેલ છે, એટલે કે Humanity First.
LikeLiked by 2 people
સ્નેહીશ્રી તુલસીભાઇ…..
તમને યાદ તો હશે જ…‘ તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ……..
તમને કહેવત પણ યાદ હશે જ….‘ ગાજરની પીપુડી છે….વાગી તો વગાડી, નહિ તો ખાવાના કામમાં તો આવે જ…‘
આપણા જીવનના આ સમયને કદાચ સેંકડો વરસો થયા હશે જે દિવસથી ‘ ઘી ‘ ના આ ગુનાહીત વ્યય વિરુઘ્ઘ સમાજસુઘારકો જીવનનું બલીદાન આપીને પરમપદ પામી ગયા હોય. પરંતું તેમની પ્રવૃત્તિ ગાજરની પીપુડી બનીને રહી ગઇ.
ચાલો અેકદમ તાજો દાખલો સમજીઅે…..
તમે જે દુકાનના ઉદઘાટનમાં ગયા હતાં તે દુકાન તો કોમ્પયુટરની હતી. કોમ્પયુટર અેટલે અત્યંત આઘુનિક જ્ઞાન…વિજ્ઞાન….હવે તો કોમ્પયુટરના મોલેજ થકી જ પૃથ્વિ ઉપરની જીંદગી ચાલે છે. લોકો આખી પૃથ્વિને પોતાના ગજવામાં લઇને ફરતા હોય છે. સેલફોનના સ્વરુપમાં. માણસ ચન્દ્ર અને મંગલની વિઝીટ કરી આવ્યો. તેને મંગલ કે ચન્દ્રની જ્યાતિષીના સારા કે ખરાબ અસરો નહિ નડી.
તમે લેખની શરુઆત અેક બાળકના મોઢેથી થયેલા સવાલથી કરી….તેની સમજની વાતથી કરી….અે મને અેક ‘ અેકલવીર ‘ જણાયો. ઘીના ગુનાહીત વ્યય અને બીજે મંદિરે દૂઘનો ગુનાહીત વ્યય….અેવાં કેટ કેટલાં જુદા જુદા વ્યયો થતાં હશે. ????????
આ દરેક વ્યયોમાં સૌથી વઘારે અેક્ટીવ ભાગ લેનારાઓ તો યંગ જનરેશન હોય છે. જુવાનીયાઓ…..સમજના નામનો અંઘાપો….વિચારો કરવાની પાબંઘી….ઘેટાશાહી…..( બીચારા ઘેટાને ખોટું નામ આપી દીઘુ લાગે છે. તેને…ઘેટાને… પૂછીને આ ઘેટાના નામથી કહેવત બનાવી છે ? ઘેટાં કોર્ટમાં બદનામીનો કેસ માંડે તો ?????)
આ યજ્ઞોની માહિતિઓ તો પાંચ હજાર વરસોના હિન્દુઓના ઘાર્મિક પુસ્તકોમાંથી મળે છે. મહાભારતમાં અને રામાયણમાં…અને ભગવદ્ ગીતામાં પણ હવન કે યજ્ઞ પ્રાથમીક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. કોઇપણ શુભ કાર્યની શરુઆત યજ્ઞ દ્વારા પોતાના દેવી દેવતાઓને કાર્યમાં મદદ માટે અને શુભાશિષો માટે બોલાવવામાં આવે છે.
આ કર્મ અને તેવા જ બીજા કર્મો દરેક જમાનાને અંતે બદલાતા રહ્યા…તેમની નવી આવૃત્તિઓ બહાર પડતી ગઇ…દરેક સો વરસે નવી આવૃત્તિ….૨૦૨૦ના વરસમાં….હજારો કીલો ઘી કે દૂઘ વેડફવાની આવૃત્તિ ચાલુ દેખાઇ….
જેને કુદરતે હૃદય અને મગજ આપ્યા છે તે તે બન્નેનો પોત પોતાની જરુરત મુજબ ઉપયોગ કરવો જોઇઅે. મગજને ભાડે આપીને મગજનો અંઘાપો જણીને ઘર્માંઘ લોકો જે કર્મો કરે છે તેના મૂળીયા માઇલો તેમના જીવનમાં ઊંડે સુઘી દબાયેલાં પડેલાં છે. તેને કોઇ બદલી નહિ શકે…
અમેરિકા આવનારને માટે અહિં જીવન સફળતાપૂર્વક જીવનારને માટે જનરલી અેવું માનવામાં આવે કે તેઓ…વૈજ્ઞાનિક સમયના સૌથી વઘુ આઘુનિક દેશમાં જીવી રહ્યા છે.
‘ ના ‘
વર્ણાશ્રમના ચાર વર્ણો…આજે પણ હિન્દુઓના ઘરો ગજવે છે. તેમનાં ઘાર્મિક ગુરુઓ પણ સીઘા નહિ તો આડકતરી રીતે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્રમાં પગલાં પાડતા હોય તેવું પણ બને.
અહિં પણ તેજ પુરાણા સમયનું મહાભારત કે રામાયણના સમયનું જ ‘ ભારત ‘ જીવાઇ રહ્યું છે.
કશેક વાંચેલું….‘ આ દુનિયા મગજ વગરનાં મૂર્ખાઓ કરતાં બુઘ્ઘિશાળી બદમાશોથી વઘારે હેરાન, પરેશાન, દુખી થાય છે.‘
કોઇકની કહેવાતી ‘ શ્રઘ્ઘા ‘ કદાચ બીજાને માટે ‘ અંઘશ્રઘ્ઘા ‘ પણ હોય ???????
સમાજ સુઘારવાની પ્રવૃત્તિ જરુરથી કરવી જોઇઅે…પરિણામ જે અાવે તે સ્વીકારવું જ રહ્યું.
આ સાથે શ્રી કાસીમ અબ્બાસભાઇઅે પોતાના ઘર્મનો પોતાનો અનુભવ વર્ણવ્યો છે તે પણ સમાજની ઇસ્લામની પરિસ્થિતિ બતાવે છે.
હાર્દિક શુભેચ્છાઓ.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
મા તુલસીભાઈ પટેલના રેશનલ લેખ અને વૈજ્ઞાનીક અભીગમ અને સુધારામાં માનનાર લોકોએ આ પ્રથા દુર કરવા માટે પ્રયાસો કર્યા તે બદલ ધન્યવાદ
જે. કૃષ્ણમુર્તી વગેરે કહે છે તે પ્રમાણે જ્યાં સુધી માણસ પોતે અંદરથી બદલાશે નહીં ત્યાં સુધી ઉપદેશ કે કાનુન દ્વારા એને બદલવાનું અસમ્ભવ છ અને મનોવીજ્ઞાન કહે છે કે તમે જેને સુધારવા માગતા હો, એને આઘાત આપીને કદાપી નહીં સુધારી શકો. આઘાતથી વાત વણસી જાય છે. એટલે જ કવીશ્વર દલપતરામે શીખ આપી કે સુધારાનો સાર ધીરે–ધીરે જ ગ્રહણ થાય છે.
આ અભ્યાસપુર્ણ વાતો પ્રમાણે સુધારો વધુ શક્ય છે
LikeLiked by 3 people
My apology for being absent on this platform lately. Blame that on my health and other commitments.
‘ A child is a father of man’
You all must have heard that before and in this case this child has asked a very reasonable question and there are many more like him/her who are equally inquisitive to find meaning of the World around them.
The other day I was asked, ” Tell me please why do people look up to the sky to ask God for help. God doesn’t live there because there’s only Space out there. I think humans are confused.”
Well, I did answer his question wisely but that’s another story.
There is lots of food wastage during Pooja, Havan, Hindora, Weddings etc
May be that’s why Coronavirus has arrived to teach us a lessson! Just saying.
To be fair, in the Western World all these Supermarkets waste tons of food on a daily basis. However, lately some Chefs have decided to collect all that food, cook it and distribute it to the Homelesss people or take it to the Refuge Centres.
Many farmers have surplus crops each season and what do they do? Dig up the soil and put it back!! I guess they should have given it to the poor! And if they do that there’s this problem of Health and Safety, allergies, Transport cost etc etc.
Going back to the Ghee and Milk wastage the Priests need to rethink their strategies of consumption. Can they not use only one cupful of Ghee or Milk for Pooja and give the rest as Prashad?? It can be done if the host allows it to make a point. This way both the parties are happy and even the God will be satisfied.
All these Places of Worship have become Corporate Businesses in this Century and people just follow the trend Blindfolded !
Is God for Sale?
Does God/Goddess expect us to waste the food Harvested to appease them?
Man has made all these Rituals so Man can rethink and replan.
‘Come on Humans:
‘Wake up
Open thou eyes
See with your Mind..
Touch your heart
That’s where God resides!’
That’s all for now…!!
LikeLiked by 2 people
આપણે ભારતીયો અને હિન્દુઓની જ વાત કરીઅે. હું હિન્દુ છું માટે હિન્દુઘર્મ વિષે જ મારા વિચારો લખીશ.
આપણે પ્રભુપ્રાર્થના…‘ પરમ સમીપે ‘ જવા માટે…પ્રભુની નજીક રહેવા માટે કરીઅે છીઅે. પ્રભુ કે દેવ દેવીઓઅે જે કોઇ આદેશો આપણને આપ્યા છે તેનું અક્ષરસ: પાલન કરવાની આપણે પ્રભુને ખાત્રી આપીઅે છીઅે. જો આપણે આપેલા વચનમાંથી ભમી જઇઅે તો પ્રભુ આપણને જે શીક્ષા કરે તે પ્રેમથી સ્વીકારીઅે છીઅે.
લેખિકા કુન્દનિકા કાપડીઆઅે અેક સરસ પ્રભુ પ્રાર્થનાનું પુસ્તક લખેલું છે…‘ પરમ સમીપે ‘.પ્રસ્તાના…‘ અંતરની વાણી ‘ ની શરુઆત આ શબ્દોમાં કરી છે….
આમ તો, પ્રાર્થના અે અંતરતમનો અંતર્યામી સાથેનો નીરવ સંવાદ છે; પણ ક્યારેક ભાવો અને લાગણીઓને પોતાની અભિવ્યક્તિ માટે શબ્દોનો આશ્રય લેવો પડે છે.
પહેલી પ્રાર્થના….. અસતો મા સદ્ ગમય, તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુોર્મા અમૃતં ગમય. અર્થાત : અસતમાંથી મને સતમાં લઇ જા, અંઘકારમાંથી મને પ્રકાશમાં લઇ જા અને મૃત્યુમાંથી મને અમરતામાં લઇ જા.
આપણે ત્રણ શબ્દોને સમજીઅે…..સત …. પ્રકાશ…. અને અમરતા…….
પહેલાં સત્યને જીવનમાં ઉતારીે…..અંઘશ્રઘ્ઘામાંથી પ્રકાશમય સત્યમાં વિચરીે….અને તેને જીવનમાં ઉતારીને…સમાજમાં અેક બીજાને મદદરુપ થઇને સમાજોપયોગી કર્મો કરીને , દુ:ખીઓના દુ:ખો દૂર કરીને……જરુરીઆતમંદોને મદદ પૂરી પાડીને…..અમરતામાં પ્રયાણ કરીઅે.
૨૦ મી પરર્થના સંત ફ્રાન્સિસની છે……
હે પરમાત્મા,
મને તારી શાંતિનું વાહન બનાવ.
જ્યાં ઘિક્કાર છે ત્યાં હું પ્રમ વાવું
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા
જ્યાં શંકા છે ત્યાં શ્રઘ્ઘા
જ્યાં હતાશા છે ત્યાં આશા
જ્યાં અંઘકાર છે ત્યાં પ્રકાશ જ્યાં શોક છે ત્યાં આનંદ……
આ વિનંતિ…‘પરમને‘ કરવામાં આવી છે…તેની પાસે આ શક્તિ માંગી છે…..
હવે….
ઘી કે દૂઘ ??????????
આપણે પોતાની જાતને પૂછીઅેકે માનવજાતિ, જે ‘ પરમ ‘ ની પ્રજા છે અને આપણે તેમાંના અેક છીઅે તો આપણી પોતાની ફરજ શું બને ? ‘પરમ ‘ના બાળકો કે જેઓ ાાપણા ભાંડુઓ છે તેમને મદદ કરીને ‘ પરમ ‘ ને પામવાનું પવિત્ર ગણાય ????
દૂઘ , ઘીને ‘ પરમ ‘ ના દુ:ખી બાળકોને મદદ તરીકે આપીને ‘ પરમ ‘ ને ખુશ કરીઅે તે જ સંદેશો મળે છે.
દૂઘ કે ઘી…‘પરમ‘ માગતા નથી…તેનું તો કહેવું છે કે…મારા દુ:ખી, જરુરીઆતમંદ બાળકોને આપીને મને આપ્યાનું ફળ મેળવો…..
દુઘ…ઘી….ને મંદિરની મૂર્તિ ઉપર રેડીને વ્યતીત કરવા કરતાં જરુરીઆતમંદોની મદદ કરો……
હું અેક માનવ તરીકેના મારા વિચારો લખી રહ્યો છું. સભાને સંબોઘીત નથી કરતો. સભામાં હું માનતો નથી. કદાચ તેમાં જઇને પાછા ઘોયેલાં મૂળાની જેમ ઘરે આવ્યે તે મને નહિ ગમે.
મને તો અખાજીનો ચાબખો ગમે…..
પોતે હરિને જાણે લેશ
અને કાઢી બેઠો ગુરુનો વેશ !
જ્યમ સાંપને ઘેર પરોણો સાપ,
મુખ ચાટી વળ્યો ઘેર આપ.
ભાઇઓ, બહેનો……કહેવતને સાચી સાબિત કરીઅે…….‘ જાત મર્યા શીવાય….સ્વર્ગે ના જવાય……માનવતાનો ઘર્મ જીવનમાં પાળીઅે…..
અમૃત હઝારી.
LikeLike
શ્રી ગોવિંદભાઇ તથા શ્રી તુલસીભાઇ,
રૂપાલ ની પલ્લી વખતે હજારો કિલો ઘી નો બગાડ થાય છે તે શું સરકાર કે સમાજના આગેવાનોને ખબર નથી??? આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે અને હું
છેલ્લા 70 વર્ષથી જોતો આવ્યો છું આ પ્રથામાં સુધારો થવાનું લગભગ અશક્ય છે.હું નિરાશવાદી નથી પણ જે રીતે આ રિવાજ ચાલે છે તે જોતા નજીકના
ભવિષ્ય્માં કોઈજ ફર્ક પડવાનો નથી.રાજ કારણીયો વોટબેન્ક ને નજરમાં રાખી આ રિવાજમાં દખલ કરવાની હિંમત કરી શકે તેમ નથી.ઉપરાંત થોડા ઘણા
રશનાલિસ્ટ વિચાર ધરાવતા લોકો અને લેખો કેટલા માણસો સુધી પહોંચી શકશે? અંધારા રૂપી અન્ધશ્રદ્ધાએ જનમાનસને એટલી હદે ઘેરી લીધેલ છે કે કોઈને
સુધારા રૂપી પ્રકાશ નું કિરણ જોવું પણ પસન્દ પડશે નહીં.
હજી ગઈ કાલેજ છાપામાં વાંચવામાં આવેલ છે કે રૂપાલની પલ્લી ની સરકાર દ્વારા મન્જુરી આપવામાં આવેલ ના હોવા છતાં પલ્લીની યાત્રા કાઢવામાં
આવેલ અલબત્ત આવખતે ઘી નો જરાપણ બગાડ કરવામાં આવેલ નથી.જે યાત્રા ચાર કલાક ચાલતી તે આવખતે ફક્ત 38 મિનિટમાંજ પતાવી દેવામાં આવેલ
ગામલોકોએ આખા ગામને ચારે બાજુ થી બન્ધ કરી બહારથી કોઈ આવી શકે નહીં તેવો બન્દોબસ્ત કરેલ.આવા રિવાજો બન્ધ કરાવવા હોય તો રાષ્ટ્ર લેવલે
એક જબરજસ્ત જુમ્બેશ ઉપાડવાની જરૂરિયાત છે દા.ત.કુટુંબ નિયોજન,શોચાલય બાંધવા,મેલેરિયા નાબુદી,શીતળા નાબુદી વી.વી.જેવી સરકારી કક્ષાએ
મોટા પાયે પ્રચાર કરવામાં આવે તો જ શક્ય છે અને તમામ મીડિયા ના માધ્યમો દ્વારા હાથ ધરવામાં આવે તો ફેર પડવાની શક્યતા છે બાકી મારા તમારા જેવા
આ બ્લોગ દ્વારા બૌદ્ધિક કસરત કરવાથી કોઈ સુધારો થવાની શક્યતા નથી.બધા વાંચી,પોતાનું મન્તવ્ય આપી ભૂલી જઈ બીજા વિષય ઉપર ચર્ચા કરતા થઈ
જશે.
રવિદ્ર ભોજક
તા.27-10-2020
LikeLiked by 1 person