આગામી વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં આંધ્રપ્રદેશના રૅશનાલીસ્ટ રવીપુડી વેંકટાદ્રી 100 વર્ષ પુરા કરશે. આ વડીલના કેટલાક અંગ્રેજી પુસ્તકોનો આધાર મેળવી, ‘માનવવાદ’ અને ‘રૅશનાલીઝમ’ને લગતા કેટલાક પાયાના ખ્યાલોની ચોખવટ કરવા તૈયાર કરેલ પુસ્તીકાના ‘સમ્પાદકોની વાત’ પ્રસ્તુત છે…
સમ્પાદકોની વાત
– અશ્વીન ન. કારીઆ
અને બીપીન શ્રોફ
અમે, ગુજરાતના રૅશનાલીસ્ટો સમક્ષ ‘માનવવાદ’ અને ‘રૅશનાલીઝમ’ને લગતા કેટલાક પાયાના ખ્યાલોની ચોખવટ કરવા એક પુસ્તીકા તૈયાર કરી છે. આ પુસ્તીકા તૈયાર કરવામાં અમને આંધ્રપ્રદેશના વડીલ રૅશનાલીસ્ટ રવીપુડી વેંકટાદ્રીના કેટલાક અંગ્રેજી પુસ્તકોનો આધાર મળ્યો છે. વડીલ સાથી વેંકટાદ્રીને આગામી વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં 100 વર્ષ પુરા થાય છે. આ પુસ્તીકાનું નામ ‘વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?’ રાખ્યું છે.
આ પુસ્તીકામાં અમે સ્વાતન્ત્ર્ય, ધર્મનીરપેક્ષ નીતી, નાસ્તીકતા, ઈશ્વરનો ઈન્કાર અને માનવીય ગૌરવ વગેરે મુદ્દાઓને ખુબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધા મુદ્દાઓ કેવી રીતે એક બીજા સાથે સંકળાયેલા છે તેની પણ આ પુસ્તીકામાં ચર્ચા કરી છે. ‘વીવેકબુદ્ધીવાદ’ ખરેખર કોને કહેવાય તે માટે આ ક્ષેત્રના જુદા જુદા વીષય નીષ્ણાતોએ જે વ્યાખ્યાઓ આપી છે તેની રજુઆત પણ ટુંકા ટુંકા વાક્યોમાં સરળ ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરીને સમજાવવાની કોશીશ કરી છે.
આ ઉપરાંત વીવેકબુદ્ધીવાદ અંગે કેટલીક ગેરમાન્યતાઓ જે પ્રચલીત છે તેનું ભ્રમનીરસન કરવાનો પણ અમે પ્રયત્ન કરેલ છે. દા.ત., સમાજમાં ચોફેર ફેલાયેલી અન્ધશ્રદ્ધાઓનો પ્રતીકાર એટલે વીવેકબુદ્ધીવાદ, ચમત્કારોનો પર્દાફાશ એટલે વીવેકબુદ્ધીવાદ, વીજ્ઞાન અને વાસ્તવીક પુરાવાના આધાર વીનાની ધાર્મીક પરમ્પરામાંથી ચાલી આવતી વીધીવીધાનોનો વીરોધ એટલે વીવેકબુદ્ધીવાદ.
અમે, માનવવાદ જેવી વીચારસરણીના ત્રણ અગત્યના મુલ્યો અનુક્રમે સ્વાતન્ત્ર્ય, વીવેકબુદ્ધીવાદ અને ધર્મનીરપેક્ષ નીતી કોને કહેવાય તેની વીગતે વાત કરી છે. પૃથ્વી પરના તમામ સજીવોની માફક માનવી ઈશ્વરીય કે દૈવી સર્જન નથી તેને ચાર્લ્સ ડાર્વીનની ઉત્ક્રાંતીવાદના સીદ્ધાંતો સમજાવીને સાબીત કરેલ છે. તેને આધારે ધર્મને વીકલ્પે ધર્મનીરપેક્ષ નૈતીકતા અને માનવીય અરસપરસ વ્યવહારો કેવા હોય શકે તે પણ સમજાવવાનો અમે પ્રયત્ન કરેલ છે.
માનવીય વીવેકબુદ્ધીએ અન્ય સજીવોની માફક જીજીવીષા ટકાવવાના સંઘર્ષ (Urge to exist)માંથી જ વીકસી છે. માનવીનો જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ ભૌતીક એટલે કુદરતી વાતાવરણ સામે હતો. મોક્ષ, મુક્તી કે સ્વર્ગ પ્રાપ્ત કરવાનો ક્યારેય ન હતો. કુદરતી પરીબળો નીયમબદ્ધ છે. (The universe is law governed). તે માનવીને તેની જીજીવીષા ટકાવવાની ઝંખનાએ શીખવાડ્યું હતું. આ ઝંખના એ જ માનવીય વીવેકબુદ્ધીનો સ્રોત છે. આમ માનવીની વીવેકબુદ્ધી તેના માટે સત્ય શોધવાની પદ્ધતી બની ગઈ. વીવેકબુદ્ધી આધારીત સત્ય હમ્મેશાં નવી માહીતી મળતાં બદલાતું હોય છે. માટે આવું સત્ય હમ્મેશાં પરીવર્તનશીલ હોય છે. જે લોકો કોઈ પણ સત્ય, વીચાર કે વર્તનને આખરી માનીને જીવન પસાર કરે છે તે બધા વીવેકબુદ્ધીવાદના મુળભુત વીરોધી જ હોય છે.
અમે આ પુસ્તીકામાં એ સમજાવવાનો પ્રયત્ન કરેલ છે કે માનવવાદી વીચારસરણીનું કેન્દ્ર માનવી છે. માનવી માટે સારું શું તે જ ખરું સુખ. માનવીના સુખનો ખ્યાલ ભૌતીક છે, સુખ આ જન્મમાં અને અહીંયા જ મેળવવાનું છે અને તેનો આનન્દ પણ અહીંયા જ માણવાનો છે. માનવીએ પોતાના સુખ માટે કુટુમ્બ, સમાજ, રાજ્ય જેવી અનેક સંસ્થાઓનું સર્જન કર્યું છે. આ બધી સંસ્થાઓ માનવ કલ્યાણ કે સુખ માટે છે; પણ માનવી તે બધી સંસ્થાઓની ઈચ્છા મુજબ કઠપુતળીની માફક નાચતું કોઈ રમકડું નથી. આ બધી સંસ્થાઓ માનવ સર્જીત હોવાથી તેના સુખનો ખ્યાલ બદલાતાં તેમાં ફેરફાર આવકાર્ય હોવો જોઈએ.
અમે આ પુસ્તીકામાં કદાચ રૅશનાલીસ્ટ ગુજરાતી સાહીત્યમાં જવલ્લે જ જોવા મળતી એક પાયાની વાત સમજાવી છે. દરેક માનવીમાં જૈવીક સંઘર્ષમાંથી જ સમ્ભવીત વીવેકબુદ્ધીશાળી બનવાની શક્તી અસ્તીત્વ ધરાવે છે. તેનો ઉપયોગ કરવાથી તે વીવેકબુદ્ધીશાળી બનવાની ક્ષમતા ધરાવે છે.
અમને આશા છે કે, અમારી આ પુસ્તીકા ગુજરાતમાં રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના પ્રચાર–પ્રસારમાં મદદરુપ થશે તેમ જ આ પ્રવૃત્તીમાં કામ કરતા સૌ કાર્યકર સાથીઓને બૌદ્ધીક માર્ગદર્શન પુરું પાડશે. આ પુસ્તીકા તૈયાર કરવામાં અમારા સાથી મીત્રો ગીરીશ સુંઢીયા, જયેશ ચૌહાણ તેમ જ વસંત યાદવે વીવીધ રીતે અમોને મદદ કરેલ છે. તેમનો ઋણ સ્વીકાર કરી તેમનો અમે આભાર માનીએ છીએ.
– અશ્વીન ન. કારીઆ
અને બીપીન શ્રોફ
સમ્પાદકો અશ્વીન ન. કારીઆ અને બીપીન શ્રોફે તૈયાર કરેલ પુસ્તીકા ‘વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?’ (પ્રકાશક : રૅશનાલીસ્ટ ગીરીશ સુંઢીયા, મહામન્ત્રી, બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, 69, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ વે, પાલનપુર – 385 001 સેલફોન : 942 666 3821 પ્રથમ આવૃત્તી : નવેમ્બર, 2020 પાનાં : 66 + 10, મુલ્ય : રુપીયા 50/-)માંથી, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
સમ્પાદક–સમ્પર્ક :
(1) અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામ વીહાર, એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 93740 18111
(2) શ્રી. બીપીન શ્રોફ, તન્ત્રીશ્રી, ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733/ 94296 55939 ઈ–મેઈલ : shroffbipin@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
શ્રી ગોવિંદભાઈ, માહીતી જાણીને આભાર નવી પુસ્તીકા અને પરદેશમાં પણ વાંચીએ અને પ્રચાર પ્રસાર કરવા મળે તે માટે ઈ. પુસ્તીકા પણ બહાર પાડવા મહેરબાની કરશો. ફરીથી આભાર ગોવિંભાઈ, બિપીનશ્રોફ, અશ્વિન કારીયા, અને રવિપુડી વેંકટાદ્રી, આપ સૌનો આભાર.
LikeLiked by 1 person
વહાલા પ્રકાશભાઈ,
આપના સુચનનું સ્વાગત છે. ‘વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?’ પુસ્તીકા હાલમાં જ પ્રગટ થઈ છે. આ નવી પુસ્તીકાનો ખર્ચ તેના પ્રકાશકને માથે ન પડે તે માટે તેની તમામ પ્રતો ખપી જાય પછી જ ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર તેની લેખમાળા પ્રગટ થશે. તે લેખમાળા સમાપ્ત થયે ‘મણી મારુ પ્રકાશન’ તેની ‘ઈ.બુક’ પ્રગટ કરી, મફત વહેંચશે.
ધન્યવાદ…
-ગોવીન્દ અને મણી મારુ
LikeLike
વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે? માટે અશ્વીન ન. કારીઆ અને બીપીન શ્રોફ અને રવીપુડી વેંકટાદ્રીને ધન્યવાદ
‘દરેક માનવીમાં જૈવીક સંઘર્ષમાંથી જ સમ્ભવીત વીવેકબુદ્ધીશાળી બનવાની શક્તી અસ્તીત્વ ધરાવે છે. તેનો ઉપયોગ કરવાથી તે વીવેકબુદ્ધીશાળી બનવાની ક્ષમતા ધરાવે છે.’
પાયાની વાત જાણી આનંદ
LikeLiked by 1 person
નમસ્તે ગોવીન્દભાઈ,
આ બુક પહેલાં કદાચ કંપ્યુટરમાં તૈયાર કરી હશે, આથી એની PDF કોપી બનાવી વેચી શકાય. જો એ મુજબ કરવામાં આવે તો જાણ કરવા વીનંતી, જેથી હું એ ખરીદી શકું.
લેખ ખુબ ગમ્યો. ધન્યવાદ અને આભાર આપનો તથા ભાઈ અશ્વિનભાઈ અને બીપીનભાઈનો.
LikeLiked by 1 person
મિત્રો,
મારા વિચારો.
વિવેકબુઘ્ઘિવાદ શું અને શા માટે ?
વિવેક : સારાસારની સમજણ, સભ્યતા, સંસ્કારિતા, લાજશરમ, લજ્જા, શિષટાચાર, બુઘ્ઘિ….
આ વિવેકબુઘ્ઘિવાદ. રેશનાલીઝમ…..ભાવાર્થ : બુઘ્ઘિસ્વાતંત્ર્યવાદ.
રેશનાલીષટના ગુણો ક્યા ?….નિરપેક્ષ, નિષપક્ષ, અલિપ્ત, પૂર્વગ્રહરહિત,
Rational : Possessing power of reasoning.વિચારશક્તિ કે સમજશક્તિવાળું, તર્ક પર આઘારિત, તાર્કિક, બુઘ્ઘિગમ્ય, બુઘ્ઘિવાદી, બુઘ્ઘિગમ્ય, તર્કસંગત, સારાસારનો વિવેક, તાર્કિક રીતે પ્રતિપાદિત કરવું કે સમજાવવું.
Lord Buddha said, ” Do everything you can to help others. If, that is too difficult, at least do not harm others, know the truth as truth and untruth as untruth.”
વિવેકબુઘ્ઘિવાદને જો તેના સાચા અર્થમાં સમજવું હોય તો ભક્ત મહાન, નરસિંહ મહેતાના આ ભજનના અેકે અેક શબ્દને જીવનમાં ઉતારીને જીવીઅે તો…વિવેકબુઘ્ઘિવાદ બની જઇઅે.
વિવેકબુઘ્ઘિવાદ શું અને શા માટે ?
જવાબ …………………
ં
વૈષણવજન તો તેને કહીઅે
જે પીડ પરાઇ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોઅે
મન અભિમાન ન આણે રે…..
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ના કરે કેની રે
વાચ કાચ મન નિશ્ચલ રાખે
ઘન ઘન જનની તેની રે
સમદ્રશ્ટિને તૃશ્ણા ત્યાગી,
પર સ્ત્રી જેને માત રે
જીવ્ખા થકી અસત્ય ના બોલે,
પર ઘન નવ ઝાલે હાથ રે……
મોહ માયા વ્યાપે જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોઘ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ અેકોતેર તાર્યા રે.
માનવતા……માનવતાવાદ
કવિ જનક દેસાઇ કહે છે કે….
‘ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં……પણ….
આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં………..‘
હવે આપણા પોતાના દૈનિક જીવનમાં…૨૦૨૦ના વરસમાં જીવન જીવવાના પ્રશ્નોને જીતવા માટે માણસે શું કરવું રહ્યું તેનો વિચાર દરેક વ્યક્તિ પોતે કરે છે…વિવેકબુઘ્ઘિવાદ , વૈશ્ણવજન, કેટલે અંશે મદદરુપ થાય તે પ્રશ્ન પુછવો રહ્યો. કેટલા ટકા કુલ માનવોના, માનવો રેશનાલીઝમ ની જીંદગી જીવી શકે છે ?
વૈજ્ઞાનિક ચાર્લસ ડાર્વિનનો નિયમ સમજવા જેવો છે. Science of Evolution. Born : Dec,06, 1856, United Kingdom. Died : June 28, 1928)
આભાર,
અમૃત હઝારી.
LikeLiked by 2 people
‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books પર ‘વીવેકબુદ્ધીવાદ શું અને શા માટે?’ પુસ્તીકાની પીડીએફ મુકવામાં આવી છે. રસ ધરાવતા વાચકમીત્રોને તે પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
worth reading and download e-book too at https://govindmaru.com/e-books/
LikeLiked by 1 person
લેખ માં ‘ સત્ય હમેંશા બદલાતું રહે છે ‘ એમ કહ્યું છે.પણ કુદરત ના નિયમો કે વૈજ્ઞાનિક સત્ય ક્યારેય બદલાતું નથી. એ એક વખત સાબિત થયા બાદ સમય જતાં વધુ ને વધુ ચોક્કસ થશે પણ ક્યારેય બદલાશે નહિ.thank you. તમારા જેવા કાર્યકર્તાઓ દ્વારા બધા લોકો ને વિનામૂલ્યે રેશનાલિષમ ની માહિતી મળે અને અંધશ્રદ્ધા માંથી નીકળી વૈજ્ઞાનિક વિચારસરણી ધરાવતા થાય.સાથે સાથે આ બધા વિષય ને લગતા મનોવિજ્ઞાન ની માહિતી આપતા લેખ પણ મૂકો.જેમકે નાનપણ થી જે સંસ્કારો અચેતન મન માં સ્ટોર થયા હોય એ રેશનલ માહિતી મળવા છતાં જ્યારે લોકો અંધશ્રદ્ધા માં માને એને જાતે બ્રેઈન પ્રોગ્રામ કરી દૂર કરી શકાય
LikeLiked by 1 person