ખાસ કરીને ગ્રામ્ય વીસ્તારમાં રહેતા લોકો અને જંગલની શીબીરોમાં ભાગ લેનાર શીબીરાર્થીઓ માટે સાપદંશથી બચવાના ઉપાયો પ્રસ્તુત છે.
સાપદંશથી બચવાના ઉપાયો
–અજય દેસાઈ
ગ્રામ્ય વીસ્તારમાં રહેતા લોકો માટે સાપદંશથી સમ્પુર્ણપણે બચવું અશક્ય છે. ખેતરોમાં કામ કરવું, પશુધન માટે ઘાસ, ખોરાક લાવવો, કાચા રસ્તાઓ, પગદંડી ઉપર અવરજવર કરવી, ઘરની આસપાસનાં ઝાડીઝાંખરા આ બધી એવી જગ્યાઓ છે, જ્યાં સાપનો ક્વચીત્ આમનોસામનો થવાનો જ. શહેરનાં સીમેન્ટ, કોક્રીટના જંગલોમાં, સાપના રહેઠાણો નષ્ટ પામ્યા હોવાથી સાપ રહે ક્યાં? જો આપણને સાપ રહેતા હોય તેવા વીસ્તારમાં જવું જ પડે તો કેટલીક સાવચેતી અને થોડું સાપ અંગેનું જ્ઞાન હોય તો સાપદંશથી મહદંશે બચી શકાય છે. અલબત્ત, આમ તો સાપદંશથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો સાપથી દુર રહેવાનો જ છે.
● તમારી આસપાસના વીસ્તારમાં થતાં સાપને ઓળખો. કયા સાપ ઝેરી છે અને કયા બીનઝેરી છે– તેની ઓળખ રાખો.
● તમારા બાળકને સાપના વીસ્તારથી દુર રહેવા જણાવો. તેમને સાપદંશની ભયાનકતાનો ખ્યાલ આપો.
● તમારા વીસ્તારમાં ઝેરી સાપ વારંવાર જોવાતા હોય તો તમારી નજીકના સરકારી દવાખાનામાં વીષપ્રતીરોધક રસી ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ કરતા રહો. જો ત્યાં ન મળતી હોય તો આવી રસી તમે વસાવો અને ઘરમાં, ફ્રીજમાં રાખો.
● સાપદંશની પ્રાથમીક સારવાર અંગે જાણકારી રાખો અને આવી સારવાર માટે જરુરી એવા સાધનો પાટો, રબ્બરની પટ્ટી, ડીસ્પોઝેબલ સીરીંજ વગેરે રાખો.
● સાપ આપણાથી વધુ ગભરાતા હોય છે અને તેને ઉશ્કેર્યા વગર કોઈને કરડતાં નથી. જ્યારે પણ સામસામે થવાના સંજોગો ઉભા થાય ત્યારે તેને છંછેડવા કરતાં તમે શાંતીથી, સ્થીરતાથી ઉભા રહેશો તો સાપ આપોઆપ પોતાના રસ્તે જતો રહેશે. સાપ શાંતીથી પડ્યો હોય તો પડી રહેવા દેવો, તેને છંછેડવો નહીં.
● મોટાભાગના સાપ નીશાચર છે, તેથી તેઓ સાંજ પછી જ વધુ પ્રવૃત્તીમય થતાં હોય છે. જો રાત્રીના સમયે તેમના વીસ્તારમાં જવું જ પડે તો બુટ પહેરવાના રાખો, સાથે બેટરી રાખો અને થોડો અવાજ કે ખખડાટ કરતાં ચાલો.
● ચોખ્ખા સાફસુફ રસ્તાઓ ઉપર, કેડીઓ ઉપર ચાલવાનું રાખો. ઝાડીઝાંખરા, ઘાસપાન ન હોય તેવા રસ્તા ઉપર ચાલવું.
● અવાવરુ જગ્યાઓમાં, ખુલ્લી જગ્યાઓમાં, ભોંય, જમીન ઉપર બેસવા કે સુવાનું ટાળો. બેસવું કે સુવું જ પડે તો પલંગનો ઉપયોગ કરો.
● છુટા પડેલા પથ્થરો, ઈંટોના ઢગલાઓ કે અવાવરુ જગ્યાઓમાં પડેલા લાકડાના ઢગલામાં (જ્યાં જોઈ ન શકાય તેવી જગ્યામાં) હાથ નાંખવો નહીં કે તેની ઉપર બેસવું નહીં.
● અન્ધારુ થયા પછી બળતણનાં લાકડા એકઠાં ન કરવા, કે ઢોરઢાંખર માટે ઘાસ ન હટાવવું.
● તરતના મરેલા સાપને હાથથી ઉંચકવો નહીં, તેને લાકડીથી ઉંચકીને હટાવવો.
● ઉંચા ઘાસમાં કે જ્યાં જમીન દેખાતી ન હોય ત્યાં ચાલવું નહીં કે બેસવું નહીં.
● ઘરની આજુબાજુ બીનજરુરી ઝાડીઝાંખરા રાખવા નહીં, ઘરની આજુબાજુની જગ્યા હમ્મેશાં સાફસુથરી રાખવી.
● ઘરની અન્દર કે ઘરની બહાર, આજુબાજુમાં, ઈંટોના ઢગલાં, ઘાસના પુળા રાખવા નહીં, ઉંદરના દર કે ઉધઈના રાફડા કે અન્ય પોલાણો પણ રાખવા નહીં. બળતણના લાકડાં તથા ઢોર માટેનું ઘાસ જમીનથી અધ્ધર રાખવું. ભીતોમાં પોલાણ રાખવા નહીં. મકાનની અન્દર તળીયાના ભાગમાં સીમેન્ટના ઝામરા કે પથ્થરો જડાવેલા રાખવા.
● ઘરની અન્દરથી પાણી બહાર જવાના જે રસ્તા હોય ત્યાં જાળી રાખવી. જેથી ત્યાંથી સાપ અન્દર આવે નહીં.
● પાણીની ટાંકીઓ ખુલ્લી રાખવી નહીં, તેને ઢાંકણથી ઢાંકીને રાખવી.
● ખુલ્લામાં સંડાસ જવું પડે તેમ હોય તો બેસતા પહેલાં આજુબાજુની જગ્યા સાવચેતીપુર્વક જોઈને પછી જ બેસવું.
● સંડાસની ટાંકીઓના પાણી બહાર નીકળતા હોય તેવા ખાનાઓ ઉપર જાળી રાખવી. જેથી સંડાસની આવી ટાંકીઓ દ્વારા સાપ સંડાસમાં આવી શકે નહીં.
● ગીચ જંગલમાં ચાલતા હોય ત્યારે માથે કેપ પહેરી રાખવી.
● ગરમીના દીવસોમાં પાણીની અછત હોય ત્યારે તમ્બુઓની આસપાસ કે કેમ્પસાઈટની આસપાસ પાણી ન રાખવું. જમીન ભીની ન કરવી.
● રાત્રીના આરામ દરમીયાન હેવરશેક, હંટરશુઝ, બગલથેલો, વોટરબેગને જમીનથી અધ્ધર મુકવા.
● રાત્રીના ભોજનનો વધેલો એંઠવાડ કે અન્ય ખાવાની વસ્તુઓ નજીકમાં રાખીએ કે તમ્બુમાં રાખીએ તો તે ખાવા ઉંદર આવશે અને ઉંદરને ખાવા સાપ પણ આવી શકે છે. આથી તેને વ્યવસ્થીત રીતે રાખવા.
● પર્વતારોહણ કરતી વખતે, ઉપરના ખડકો પર હાથ કે આંગળાઓની પકડ જમાવતા પહેલા ત્યાં સાપ છુપાયેલા છે કે નહીં તે અંગેની સાવચેતી રાખવી.
● ઉંદરના દર હોય કે લાકડાના ઢગલા હોય તે જગ્યાએ સુવું નહીં.
● રાત્રે ટેન્ટની અન્દર સુવા પહેલા ટેન્ટની નીચેના ભાગમાં એટલે કે જમીન સાથેનો ભાગ બધી બાજુએથી બંધ કરવો જોઈએ.
● વધુ સાપ હોય તેવા વીસ્તારમાં આવતા નદી, નાળા કે તળાવમાં નહાવું ન જોઈએ.
● સાપવાળા વીસ્તારમાં ક્યારેય એકલા ન જવું જોઈએ.
● રાત્રી દરમીયાન સંડાસ કે બાથરુમ જવું પડે તો કોઈને સાથે લઈને જવું. અને તે પણ બેટરીના અજવાળે જવું જોઈએ.
● યોગ્ય સાવચેતી અને પુરતી માહીતી વીના ક્યારેય સાપ પકડવા નહીં.
● જે વીસ્તારમાં કેમ્પસાઈટ હોય તે વીસ્તારમાં થતાં ઝેરી સાપ અને બીનઝેરી સાપ અંગેની જાણકારી રાખવી જોઈએ.
● શીબીર સ્થળ પર ફર્સ્ટએઈડની કીટ અને સ્નેક બાઈટની કીટ–વીષપ્રતીરોધક રસી સાથે રાખવી જોઈએ.
● શીબીર માટેના તમ્બુઓની જગ્યા નક્કી કરતાં પહેલાં, જગ્યાનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરવો. સાપના સમ્ભવીત રહેઠાણોથી દુર કેમ્પસાઈટ રાખવી અને જ્યાં તમ્બુ રાખ્યા હોય ત્યાં કોઈ પણ પ્રકારના પોલાણો હોય તો પુરી દેવા કે બંધ કરી દેવા જોઈએ.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
સરસ લેખ સાંપ થી બચવાના સરસ ઉપાયો જણાવ્યા આભાર
LikeLiked by 1 person
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી અજય દેસાઈના સાપદંશથી બચવાના ઉપાયો અભ્યાસક્રમમા ખાસ શીખવવા જોઇએ. ઝેરી સર્પદંશ વખતે વ્યવસ્થિત દેંશની સારવાર સાથે વીષપ્રતીરોધક રસીથી સારા થયેલા જોયા છે.
ધન્યવાદ
LikeLiked by 1 person
સરસ. હિન્દુ ઘર્મે જેને શિવજીના સાથી તરીકે સ્વીકાર્યો છે તે છે સાંપ. પરંતું અજયભાઇઅે સાપની ઓળખ અેજ્યકેશનના સ્વરુપે સરળતાથી આપી. આ જીવંત સત્ય છે. વિજ્ઞાન છે.
વિજ્ઞાને આપણને ૨૦૨૧ના વરસના વૈજ્ઞાનિક જગતમાં સત્ય સાથે જીવન આપ્યુ છે.
અજયભાઇ અને ગોવિંદભાઇનો આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Informative and logical!
LikeLiked by 1 person
Many thanks to Ajaybhai and Govindbhai for this educational article
LikeLiked by 1 person
ખેતીલાયક જમીનો ને બીનખેતીમાં રુપાંતરીત કરીને તે જમીનો ઉપર બનવેલ રેસીડન્સીસ એરીયામાં સાપ જેવા સરીસ્રુપો ઘણીવાર જોવા મળે છે, શું પશું-પંખીની માફક સાપ પણ સ્થળાંતર નહી કરતાં હોય?
પહેલાંના સમયમા મદારીઓ અલગ અલગ પ્રકારનાં સાપ લઇને આવતાં અને ખેલ બતાવતાં (જેના લીધે ભારત મદારીઓનો દેશ છે એવું કહેવાતું હતું), ખેલ જોવાથી લોકોમાં સાપ વીશેની ખોટી માન્યતઓ જતી રહેતી તથા સાપ પ્રત્યેનો ડર નીકળી જતો… અને મદારી ક્યા સાપો ઝેરી અને બીનઝેરી હોય છે એ સમજાવતા. હવે જ્યારે ખાસ સાપ કે મદારી જોવા નથી મળતા પરંતુ જ્યારે પણ સાપ દેખા દે ત્યારે લોકો પહેલી નજરે ઘબરાઇ જાય છે અને સાપને ઓળખ્યા વગર મારવા દોડે છે. (અહી કબીર સાહેબનો એક દુ:હો યાદ આવે છે જે ટાંક્યા વગર નહી રહું: माटी का एक नाग बना कर पूजे लोग-लुगाया,
जिन्दा नाग जब घर में निकले,ले लाठी धमकाया रे साधुभाई) હું માનું છું કે સાપ પણ કુદરતી ચક્રની એક કળી છે અને આપણે તેનું સાવધાનીપૂર્વક જતન કરીએ.
લોકમાનસમાંં સાપ વિશેની શંસોધન યુક્ત માહિતી પૂરી પાડવા બદલ લેખક શ્રી અજયભાઇ તથા લોકજાગ્રુતીનું ઉમદા કાર્ય કરતા શ્રી ગોવિંદભાઇનો ખુબ ખુબ આભાર.
LikeLiked by 1 person