મને સ્વર્ગ–નરકમાં દાખલ ન કર્યો,
પૃથ્વી પર પટકાયો
–ભગવાનજી રૈયાણી
80 વરસના આ લેખકને ઉંઘમાં એક સપનું આવ્યું, જે તેના જ શબ્દોમાં અહીં ઉતારે છે :
હું મુમ્બઈમાં મરી જાઉં છું, પણ મારો આત્મા તો પુષ્પક વીમાનમાં બેસીને સ્વર્ગદ્વારે પહોંચે છે. ત્યાં ટોલ–ટૅક્સરુપે 1000 સોનામહોર જમા કરાવ્યા બાદ વીધાતા ચીત્રગુપ્ત તમારો ચોપડો જોયા બાદ એનું NOC આપે અને પછી દસ કાઉન્ટર પર બેઠેલા કોઈ પણ એક યમરાજ પાસે એ NOC રજુ કરવાનું. ત્યાં તમને ઍડ્મીશન–સ્લીપ મળે અને એક ચોકીદાર સ્વર્ગસ્થાને તમારા માટે અનામત રખાયેલા મહેલમાં લઈ જાય. સ્વર્ગના આ નસીબવંતાએ ત્યાં કશું કરવાનું નહીં, માત્ર સ્વર્ગના દેવ ઈન્દ્રને પ્રણામ કર્યા બાદ તેના આર્શીવાદ મેળવીને પછી માત્ર ખાઈપીને મોજ કરવાની. અપ્સરાઓનાં નાચગાન જોવાનાં. જ્યાં કદી મૃત્યુ નથી, કાયમનું અમરત્વ જ છે.
પણ જે કાઉન્ટર મને અલૉટ કરવામાં આવ્યું હતું એ યમરાજે એમ કહીને મારું NOC રીજેક્ટ કર્યું કે તમે ગયા ભવમાં સાપ હતા અને અનેક પશુ–પ્રાણી અને મનુષ્યોને દંશ દઈને મોતને ઘાટ ઉતાર્યાં હતાં! બીજા કાઉન્ટર પરના યમરાજે પણ સ્વર્ગમાં દાખલ થવા દેવાની એમ કહીને ના પાડી કે તમે તો ગયા ભવમાં વાઘ હતા અને અનેકોને ફાડી ખાધા હતા. એમ કરતાં–કરતાં દસેય યમરાજો ચીત્રગુપ્તના મારા NOCને એમ કહીને નકારતા ગયા કે હું આ અને આગળના ભવોમાં વીંછી, મગર, રીંછ, કીલર માખી, મચ્છર, કીડો, મંકોડો કે હડકાયો કુતરો હતો.
મેં દલીલ કરી કે માણસ તરીકે તો મેં કોઈ ખોટું કામ કર્યું નથી ઉલટું; માનવસેવા માટે મેં મારી જાત ઘસી નાખી છે અને એટલે જ ચીત્રગુપ્તે મારો ચોપડો જોઈને જ મને NOC આપ્યું છે. પણ યમરાજાઓએ મને કહી દીધું કે અમે તો તમારા આગળના દસ જ જન્મોનાં કર્મો કૅરી–ફૉર્વર્ડ કરીને એન્ટ્રી આપીએ છીએ, નહીં કે તમારા ચોરાસી લાખ યોનીમાંથી પસાર થયેલા જન્મોની તપાસ કરીએ છીએ. મેં ઈન્દ્રદેવને આ નીર્ણયોની સામે NOC જોડી રીટ પીટીશન કરીને દાદ માગી; પણ તેમણે કહેવડાવ્યું કે અમારે ત્યાં સ્વર્ગમાં કોઈ અદાલત જ નથી એટલે હું દીલગીર છું કે તમારી રીટ પીટીશન હું સાંભળી શકતો નથી. પૃથ્વીલોકમાં તો પુણ્યશાળી કે પાપી જે કોઈ મરે છે તેના વારસદારો તેના નામની આગળ સ્વર્ગસ્થ (સ્વર્ગમાં બીરાજેલા) જોડી દે છે.
આમ નીરાશ થઈને હું પાછો મારા પુષ્પકમાં બેઠો, જે મને નરકમાં લઈ ગયું. ત્યાં તો દરવાને જ મને કહી દીધું કે તમારી પૃથ્વી પરથી હજારમાંથી 999 મનુષ્યોને સ્વર્ગદ્વારેથી પરત કરીને અહીં મોકલવામાં આવે છે, જેથી એ બધાને સમાવવા માટે અમારી પાસે જગ્યા જ નથી.
આમ હું ફરી બેઠો પુષ્પકમાં. પૃથ્વી પર પાછો જઈ ભુત બનીને ભમવા માટે; પણ વીમાન ધરતીથી હજારેક ફીટ ઉપર હતું ત્યાં જ તુટી પડ્યું અને હું હવામાં જ ફંગોળાઈને એક ભટકતો આત્મા બની ગયો.
હું અત્યંત ત્રસ્ત હતો અને હજી સપનામાં જ હતો. મેં મારી પત્ની અને બાળકોને મારા ભયાનક દુ:સ્વપ્નની વાત કરી, જે તેમણે હસવામાં કાઢી નાખી અને કહ્યું કે આવાં સપનાં સાચાં પડતાં નથી; પણ મારું મન ન માન્યું અને મને ડીપ્રેશન આવી ગયું. તેઓ મને એક મનોચીકીત્સક પાસે લઈ ગયા અને પંદરેક દીવસની સારવાર પછી હું સમ્પુર્ણ સ્વસ્થ થઈ ગયો. પણ હજી સપનું પુરું નહોતું થયું અને મારી દ્વીધા મારો પીછો છોડતી નહોતી.
મારું ભ્રમનિસરન કરી શકે એવા મારા એક વીદ્વાન નીવૃત્ત પ્રૉફેસર કે જેમણે આ વીષયમાં વર્ષો સુધી સંશોધન કર્યું છે તેમને મળ્યો અને સ્વપ્નકથની સંભળાવી.
મને કહે, મુરખ, તને સપનામાં આવો અનુભવ થયો; પણ જીવતા–જાગતા, હાલતા–ચાલતા કરોડો માણસો સ્વર્ગનાં સપનાં જોતાં–જોતાં નરકથી ડરતા હોય છે, જે એક મોટો ભ્રમ હોય છે. વાસ્તવીકતા શું છે એ સાંભળ :
ઈશ્વરને આધીન લોકો તો દૃઢપણે માનતા હોય છે કે ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંયે ફરકતું નથી. જીવનભર ભુંડાં, ઘોર પાતકો આચરનારા મનુષ્યો અમનચમન કરતા જોવા મળે છે અને સત્કર્મી, સત્યવક્તા, પ્રામાણીકપણે પરોપકારી અને પુણ્યશાળી માણસો જીવનભર દુ:ખી રહે છે એવું કેમ? એક ફીલસુફે કહ્યું છે કે ‘સત્ય ફાંસીને માંચડે લટકે છે, જ્યારે જુઠ રાજગાદીએ વીરાજી શાસન કરે છે. અંધકાર ફેલાવતી વ્યક્તી (ધર્મગુરુ કે સંતમહંત) પુજાય છે અને તેમની સામે દક્ષીણાનો ઢગલો થાય છે.’ ભક્તો તો કહેશે કે ઈશ્વર તો સવર્વ્યાપી અને સર્વજ્ઞ છે, તે ભુંડાં કર્મોની સજા કર્યા વીના કોઈને નહીં છોડે; પણ ખરેખર તો ઈશ્વર ગયા ભવની શીક્ષા આ ભવ માટે અનામત રાખે છે. એટલે કે લુચ્ચાલફંગાઓને લહેર કરવા દઈને પ્રામાણીક અને સત્યાચરણને વરેલાઓને દુ:ખી થવા દે છે. આની સામે જો બદમાશને અદાલતમાં ખડો કરવામાં આવે તો ઘણે ભાગે તેની હયાતીમાં જ તેને સજા થાય છે. માણસની અદાલત આવતા ભવની ઉધારી નથી આપતી. કોઈ સર્જનને પુછો કે તેણે સેંકડો લોકો પર વાઢકાપ કરી એમાં તેમને કોઈનો આત્મા દેખાયો?
બે હજાર વર્ષ પહેલાં ઋષી ચાર્વાકે કહેલું કે ‘ઋણમ્ કૃત્વા ઘૃતમ્ પીબેત’. મતલબ કે ‘કરજ કરીને પણ ઘી પીઓ એટલે કે મોજથી જીવો’. આગળ કહે છે કે ‘ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમન કત:’ એટલે કે ‘દેહ બળી ગયા પછી વળી પુનર્જન્મ કઈ રીતે હોય?’
સો વર્ષ પહેલાં પૃથ્વીની વસ્તી અઢી અજબ હતી, જે આજે સાત અબજ છે. આપણો હીન્દુ ધર્મ કહે છે કે ચોરાસી લાખ યોનીમાં જન્મ–જન્માંતરપર્યંત જન્મીને એક વાર માનવજન્મ મળે છે, એ પણ અગાઉના જન્મોમાં કોઈને દુ:ખ ન આપ્યું હોય તો. આ હીસાબે છેલ્લાં સો વર્ષમાં સાડાચાર અબજ સાપ, વીછી, રીંછ, મગર, શાર્ક, ઉંટ, ગધેડા, વાઘ, સીંહ, દીપડા જેવાં અનેક હીંસક અને અહીંસક પ્રાણીઓ અહીંસક થઈ જઈ પુણ્યશાળી બનીને વધારાના માણસ તરીકે જન્મ્યા.
દસેક હજાર વર્ષ પહેલાં માણસ લગભગ નીર્વસ્ત્ર રહીને જંગલોમાં વીચરતો, શીકાર અને ફળફળાદીથી પેટ ભરતો અને કાચું માંસ ખાઈ લેતો. ધીમે–ધીમે તે બોલતાં શીખ્યો અને અગ્નીનો ઉપયોગ કરતાં શીખ્યો. એક તરફ તેને જંગલી જાનવરોનો ભય રહેતો તો બીજી તરફ તેને કુદરતી આફતો, અતી વરસાદ, વાવાઝોડાં, તોફાનો, વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા, ધરતીકમ્પ, પુર, આગ, ટાઢ, તડકો વગેરેનો પણ સામનો કરવો પડતો હતો. આ બધું કરનાર કોઈ શક્તી હોવી જ જોઈએ એવી તેને ખાતરી થઈ અને એ કલ્પનામાંથી એક કાલ્પનીક ઈશ્વરનો જન્મ થયો. જ્યારે કોઈ ઈશ્વરનો પ્રેમ મેળવવા તેની ભક્તીના પંથે પડે છે ત્યારે તેને દુ:ખી કરવામાં તે કંઈ બાકી રાખતો નથી; છતાં પોતાને તે કઈ રીતે કરુણાસાગર કહેવડાવે છે? પુરુષોને તે વીધુર, સ્ત્રીઓને તે વીધવા અને નીર્દોષ બાળકોને તે અનાથ કેમ બનાવે છે? ધરતીકમ્પ, પુર, દુષ્કાળ, દાવાનળ દ્વારા તે લાખો મનુષ્ય અને પશુ–પંખીનો સંહાર કેમ કરે છે? અબજો પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુઓને તે લાખો શીકારી પ્રાણીઓ–પંખીઓનો ભક્ષ કેમ થવા દે છે? આવા અતી નીર્દય ઈશ્વરને ‘કરુણાસાગર’ શી રીતે કહી શકાય?
પણ આજથી અઢીસો વર્ષ પહેલાં જન્મેલો સુધારક કવી અખો કહી ગયો છે એ યાદ કરો :
એક મુરખને એહવી ટેવ,
પથ્થર એટલા પુજે દેવ;
પાણી દેખી કરે સનાન,
તુલસી દેખી તોડે પાન
અખા એહ મોટો ઉત્પાત,
ઘણા પરમેશ્વર ક્યાંની વાત.
તથાગત બુદ્ધ અને મહાવીર નીરીશ્વરવાદી હતા, પણ બુદ્ધ અને જૈન ધર્મોમાં ધીમે–ધીમે ભગવાનોએ પગપેસારો કર્યો.
19મી સદીના મહાન વીચારક અને તત્ત્વચીંતક બટ્રાર્ન્ડ રસેલે એક સરસ વીધાન કર્યું છે કે ‘આવી ભયંકર પીડાભરી દુનીયા શેતાને બનાવી છે એમ જો કોઈ કહે તો એ કદાચ હું માનું; પરન્તુ પરમકૃપાળુ એવો પરમાત્મા, સવર્શવક્તીમાન એવો ઈશ્વરે આવી દુનીયા બનાવે એ વાત કદાપી માની શકાય એવી નથી.’
માટે મીત્ર, આટલું જાણ્યા પછી તારી સ્વર્ગ–નરક, જનમ–પુનર્જનમની ભ્રમણા ભાંગી કે?
અહીં મારું સપનું તુટ્યું અને હું સફાળો બેઠો થઈ ગયો અને કેટલોક સમય ધ્યાનમાં બેસી રહ્યો. વીદ્વાન મીત્રે કરેલી તાત્ત્વીક દલીલો સમ્પુર્ણપણે મારા મગજમાં ઉતરી ગઈ અને હું સ્વસ્થ ચીત્તે મારી પ્રવૃત્તીઓમાં પ્રવૃત્ત થઈ ગયો.
–ભગવાનજી રૈયાણી
રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 151 ‘જનહીતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.
‘મીડ ડે’ દૈનીક, મુમ્બઈમાં પ્રગટ થતી એમની કટાર ‘ભારત મહાન! મગર કભી કભી’માં તા. 14 જાન્યુઆરી, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મીડ ડે’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone : 98204 03912 Phone (O) : (022) 2614 8872 eMail : fastjustice@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
Very objective, appropriate viewpoint … in my opinion, the real God is in our inner conscience and guides us to act appropriately without any personal gain … 🙋♂️
LikeLiked by 1 person
It is a very good analysis. The God resides in all of us and service and help to others is nothing but a worship to Lord.
I really liked this article. Thanks to Mr. Bhagvanji Raiyani for sharing his views.
Thanks
Pradeep H. Desai
Indianapolis USA
LikeLiked by 1 person
શ્રી ભગવાનજી રૈયાણી ની ગુણાત્મક સુધારક નવી દૃષ્ટી, નવા વીચાર,
નવું ચીન્તન સ રસ છે.
આજે અખાને, ધીરાને અને ભોજાને સાહિત્યકારો તરીકે મૂલવીયે છીયે, પણ હકીકતમાં આ ત્રણે સમાજ સુધારક હતા.
ભોજાભગત રચનાની ભાષા ચાબખા કરતાં અલગ છે
હરિજન હોય તેણે હેત ઘણું રાખવું, નિજ નામ ગ્રાહી નિર્માત રહેવું;
ત્રિવિધના તાપ તે જાપ જરણા કરી, પરહરિ પાપ રામનામ લેવું.
સૌને સરસ કહેવું, પોતાને નરસ થવું, આપ આધિન થઈ દાન દેવું.
મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી, દાતા ભોક્તા હરિ એમ રહેવું.
અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું, ખોલવી ગૂજ તે પાત્ર ખોળી;
દીન વચન દાખવું, ગંભીર મતું રાખવું, વિવેકીને વાત નવ કરવી પહોળી.
અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ તે રાંક દાવે,
ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.
આજે ચાર-પાંચ સદીઓ પછી પણ સમાજમાં આ સંતોએ વર્ણવેલી બદ્દીઓ પ્રવર્તમાન છે. અંધ શ્રધ્ધા નિર્મૂલવાળાઓ દેશને આમાંથી મુક્તિ અપાવવાને બદલે અખા અને ધીરાના સમયમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.
સાંપ્રત સમયે વિદ્વાન સુધારક કહે છે કે-‘ માઓવાદી બુધ્ધિશાળી ,કટ્ટર વિવિધ ધર્મપંથીઓ અને રાજકારણમા આતંકવાદી સંગઠનો આવી બાબતમા કુદી પડ્યા છે.’ આ રીતે ચાબખા સાથે બીજી સટિક પધ્ધતિઓથી ગુણાત્મક પરીવર્તન લાવવું અને તેનો અમલ રેશનાલીસ્ટોએ પોતાનાથી કરવો જોઇએ
LikeLiked by 1 person
બધી ભ્રમણાઓ પછી એક જ ઉપાય…” હું સ્વસ્થ ચીત્તે મારી પ્રવૃત્તીઓમાં પ્રવૃત્ત થઈ ગયો.”
LikeLiked by 2 people
હકીકત એ છે કે મરનાર કઈ યોનિમાં ગયો છે એ હજી સુધી કોઈ શોધી શક્યું નથી. સ્વર્ગ અને નરક એ ભ્રામક કલ્પના છે. મરનાર પોતે પણ કાઇજ જાણી શકતો નથી. એક મુરખને એહવી ટેવ,
પથ્થર એટલા પુજે દેવ;
પાણી દેખી કરે સનાન,
તુલસી દેખી તોડે પાન
અખા એહ મોટો ઉત્પાત,
ઘણા પરમેશ્વર ક્યાંની વાત.
અખા ભગત ઘણુજ કઈ જાય છે.
દેહ બળી ગયા પછી વળી પુનર્જન્મ કઈ રીતે હોય?’ કોણે પૂર્ણજન્મ જોયો છે? ખરું એટલું કે પોતાનમાજ આત્મવિશ્વાસ રાખવો. જયજિનેન્દ્ર
LikeLiked by 1 person
મિત્રો,
રેશનાલીસ્ટ ભગવાનજી રેયાણી…
સ્વપ્નમાં, આપણે વાચકોને સ્વર્ગ અને નર્કની સફર કરાવે છે…..આપણને કહે છે, કે, તમે મારી સાથે ટૂરમાં ચાલી રહ્યા છો. અનુભવ લઇ રહ્યા છો. આ ટૂર તમારી છે….તમે પોતે અનુભવ લઇ રહ્યા છો. સ્વર્ગને દરવાજે ૧૦ યમરાજો પોતપોતાની ઓફીસમાં બેઠા છે અને આપણા જૂના જન્મોના હિસાબો ખોલીને તમારો નવો જન્મ નક્કિ કરે છે. ચોર્યાસી લાખ યોની ??????
હિન્દુઓ આ ચોર્યાસી લાખ યોની વિશે જ વિચારીને કદાચ મરી જાય.
મનુ મહારાજે દરેક માણસ માટે કાયદા ઘડી રાખ્યા છે.. થોડો લાગવગનો ઘંઘો ત્યાં પણ ચાલતો હોય તેવો આભાસ ભગવાનજીને થયો હોય તેવું લાગ્યુ.
સ્વામી સચ્ચિદાનંદજીનુ પુસ્તક…‘ વર્ણવ્યવસ્થા…અઘોગતિનું મૂળ ‘ વાંવા વાચકોને વિનંતિ છે.
ભાગવદ્ ગીતાજીના અઘ્યાય : ૪: શ્લોક : ૧૩માં ભગવાન શ્રીકૃષણ કહે છે કે ચાર વર્ણો તેમણે ઉત્પન્ન કરેલા છે.
અને તે દિવસથી…મનુ મહારાજ…ચારે વર્ણોને હાથમાં રાખીને હિન્દુઓનો સંસાર ચલાવે છે ????????
ત્યારથી સ્વર્ગ અને નર્ક ઉત્તપન્ન્ થયા….પાપ, પૂણય બન્યા….સજા કે ઇનામોનો જન્મ થયો….બીક નો જન્મ માણસમાં થયો….અને તે નર્કની બીકને લઇને બીકણ બન્યો…..બીકમાં ને બીકમાં તે પોતાનું માનવી તરીકેનું જીવન પણ જીવવાનું ભૂલી ગયો…..??????????
Osho said,
” The real question is not whether life exists after death ?
The real question is whether you are alive before death.? ”
Albert Einstein Said,
” Blind belief in authority is the greatest enemy of truth.”
BLIND FAITH , is defined as, ” Belief without true understanding, perception, or discrimination.”
હિન્દુઓ સફળ વેપારી હતાં સામાન્ય લોકોને હસતાં હસતાં લૂટી લેતા હતાં. નવા નવા વેપારો ઉભા કરતાં રહેતાં…આજે પણ તે પ્રક્રિયા ચાલુ છે….છો ને ભણતર વઘ્યુ હોય અને છોકો ખૂબ ભણીને પણ અભણ જેવું જીવતાં હોય છે. દિવસે દિવસે ભગવાનો પેદા થતાં જાય છે. પૂજારી તેને પગલે આવે છે અને ભક્તો ?????? અેક ઢૂંણો હજાર મીલે , દૂર ઢૂંઢો પાસ મીલે……
કથાકારોને કહેવું જોઇઅે કે , ‘ ઉદાહરણ આપવાં તો સહેલાં છે….પણ ઉદાહરણ બનવું ખૂબ મુશ્કેલ છે.‘
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સ્વર્ગ એ લાલચ છે. નરક એ ધમકી છે. કર્મના ફળની કલ્પના કરી એટલે સ્વર્ગ/નરકની કલ્પના કરી. પૂર્વજન્મ/પુન: જન્મની કલ્પના કરી. ફાયદો ધર્મગુરુઓને થયો; કથાકારોને થયો; આશારામને થયો.
લેખકે સ્વપ્નના માધ્યમથી ભ્રાન્તિમાંથી નીકળી જવા કહ્યું છે. લેખકને ધન્યવાદ આપવા જ પડે.
LikeLiked by 1 person