અપંગોના અધીકારો માટે ઝઝુમતો અરમાન અલી

અપંગોના અધીકારો માટે ઝઝુમતો અરમાન અલી

–ફીરોઝ ખાન

ભારતમાં અને વીશ્વના અનેક દેશોમાં કામ કરી શકે તેવા અપંગોને ફેક્ટરીઓ કે ઑફીસોમાં કામ પર રાખવા રાખવા માટે કાયદાઓ બનાવવામો આવ્યા છે; પરન્તુ આવા કાયદાઓનો અમલ ભારતમાં કેટલો થાય છે એ આપણને બધાને ખબર છે. એટલું જ નહીં અપંગોને કામ કરવાના અધીકારો માટે લડતાં લોકો કે સંસ્થાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે એ પણ આપણે જાણીએ છીએ. એમને સહયોગ આપવાના બદલે એમના કામમાં અડચણો વધુ નાખવામાં આવે છે. આજે એક એવા વ્યક્તીની વાત કરવી છે જે પોતે અપંગ છે અને અપંગોના રોજગાર મેળવવાના અધીકારો માટે લડત ચલાવે છે. એમના વીશે વાત કરું એ પહેલાં અમુક જાણકારી આપવી જરુરી છે.

અંગ્રેજીમાં Cerebral palsy નામે થતો રોગને ગુજરાતીમાં ‘મગજનો લકવો’ કહે છે. આ બીમારીમાં બાળકનું મગજ વીક્સીત થતું નથી. શરીર વીકસીત થાય છે; પરન્તુ મગજનો વીકાસ જોઈએ એટલો થતો નથી. ઘણી વખતે આવા લોકો પુખ્ત વયના થયા હોવા છતાં નાના બાળકની જેમ વર્તતા હોય છે. મારા એકદમ નજીકના સગામાં એક ભાઈનો 25 વર્ષનો યુવાન આ બીમારીનો શીકાર છે.

આ બીમારી થવાના અનેક કારણો છે. અમુક કેસ જન્મથી જ થતા હોય છે. અમુક પ્રકરણોમાં બાળક રમતા અથવા બીજા કોઈ કારણસર ક્યાંક પડી ગયું હોય ત્યારે એને મગજમાં માર વાગવાથી આ તકલીફ થાય છે. આવા લોકો લગભગ આજીવન વ્હીલચેર પર રહેતાં હોય છે. મોટેભાગે આવા લોકોને નાભીના નીચેના ભાગનો લકવો થયો હોય છે.

2000ની સાલમાં કેનેડા આવ્યા બાદ મારો અને મારી વાઈફનો પહેલો જૉબ ઓન્ટેરીઓ ફેડરેશન ઑફ સેરેબ્રલ પાલ્સીની ઑફીસમાં મળ્યો હતો. આ સંસ્થા ખુબ જ સુંદર છે. જેમાં આવા દરદીઓની ટ્રીટમેન્ટ અને રીહેબીલીટેશન માટે સધન સારવાર કરવામાં આવે છે. ભારતમાં પણ આવી સંસ્થાઓ છે.

આજે વાત કરવી છે અરમાન અલીની. અરમાન પોતે આ બીમારીનો શીકાર છે. 2011માં ડૉક્ટરોએ એમને ફીટ રહેવા માટે જીમ જોઈન કરવા કહ્યું. ગુવાહાટી (આસામ)માં તેઓ એક જીમમાં ગયા ત્યારે એમને એમ હતું કે સરળતાથી ઍડમીશન મળી જશે; પરન્તુ આ જીમના સંચાલકોએ એમને પ્રવેશ ના આપ્યો. અનેક બહાના બનાવી કહ્યું કે તમને પ્રવેશ નહીં મળે. સૌથી મોટું બહાનું એમની અપંગતાનું બતાવ્યું. પહેલાં ડૉક્ટરનું સર્ટીફીકેટ માંગ્યું. ત્યારબાદ ઓર્થોપેડીક સર્જનનું સર્ટીફીકેટ માંગ્યું. અરમાન અલીએ આ બન્ને સાર્ટીફીકેટ્સ આપ્યા હોવા છતાં એમને પ્રવેશ ના આપ્યો. સંચાલકોએ એમના પર  ‘ફેક’ સર્ટીફીકેટો આપવાનો આરોપ મુક્યો. તેઓ કોર્ટમાં ગયા અને જીતી ગયા. સંચાલકોએ એમને ફક્ત ચાર મહીના માટે મેમ્બર બનાવી આખા વરસની ફી વસુલી.

અરમાન અલી ફરી હાઈકોર્ટ ગયા. એ સમયે અપંગોના અધીકારો માટે કોઈ કાયદો ન હતો. હાઈકોર્ટે જીમ અને સરકારને આદેશ આપ્યો કે અરમાન અલીને અને તેઓ અપંગો માટે જે સંસ્થા ચલાવે છે એને દરેકને રુપીયા 50,000/- ચુકવવા.

40 વર્ષના અરમાન અલી આસામમાં ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડીસેબલ્ડ પીપલ’ સ્રોત : https://ncpedp.org/ નામની સંસ્થાના ઈગ્ઝેક્યુટીવ ડીરેક્ટર છે. તેઓ આજીવન અપંગોના અધીકારો માટે લડત ચલાવી રહ્યા છે. પોતે અપંગ હોવાથી તેઓ સારી રીતે જાણે છે કે સમાજ અપંગો માટે ફક્ત શાબ્દીક લાગણીઓ વ્યક્ત કરે છે કે દયા ખાય છે. તેઓનું કહેવું છે કે તમારે અપંગોની દયા ખાવાને બદલે અપંગોને સ્વમાનભેર જીવવાની તક આપો. એમને ભીખ માગવા મજબુર ન કરો.

2016માં ભારત સરકારે ‘રાઈટ્સ ઓફ પરસન્સ વીથ ડીસેબીલીટી’ કાનુન બનાવ્યો. આ કાયદો બનાવવા માટે સરકારે અરમાન અલીનો સહયોગ લીધો.

અરમાન અલી જે સ્કુલમાં જતાં ત્યાં ટોઈલેટમાં જવા માટે પાંચ–છ પગથીયાં ચડવા પડતા હતા. તેઓ તે પગથીયાં ચડી શકતા ન હતા, તેથી તેઓને બીજી સ્કુલમાં પ્રવેશ મળ્યો; પરન્તુ કમનસીબે તેઓ બીમાર પડ્યાં અને છ મહીના સુધી સ્કુલ ન જવાના કારણે તેઓને સ્કુલમાંથી કાઢી મુકવામાં આવ્યા. આમ છતાં અરમાન અલી હીમ્મત ન હાર્યા. એમણે ‘ડીસ્ટન્સ લર્નીંગ કોર્સીસ’ દ્વારા પોતાનું શીક્ષણ પુરું કર્યું.

અરમાન અલીનું જીવન એક સંગ્રામ જેવું છે. દરેક સમયે સમાજ દ્વારા તેમને અસહયોગ અને સહયોગ બન્ને મળ્યા.

સલામ છે અરમાન અલીની હીમ્મત અને ખંતને.

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 17 સપ્ટેમ્બર, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–11–2021

7 Comments

  1. ‘નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડીસેબલ્ડ પીપલ’ના ઈગ્ઝેક્યુટીવ ડીરેક્ટર અરમાન અલી જેઓ અપંગોના અધીકારો માટે ઝઝુમતો રહ્યો- તેમનો પ્રેરણાદાયી લેખ માટે ધન્યવાદ

    Liked by 1 person

  2. A Noble gentleman, Arman Ali. Salute to him.
    People with narrow religious mentality take note that Arman Ali is a Muslim, thus nobility and goodness is not a monopoly of only one religious group.
    He is a very good human being and I salute to his Humanity and the struggle he is fighting for the rights of disabled people at a national level.

    Liked by 1 person

  3. શ્રી અરમાન અલીજીને હાર્દિક અભિનંદન.
    શ્રી ફિરોઝખાને ટૂકા પણ સચોટ શબ્દોમાં હકિકત બયાન કરીને વાંચનારની આંખ અને હૃદય ખોલી નાંખ્યા. પરંતુ તે કોઇ રીતે કામ લાગ્યા નહિ.
    કુદરતી રીતે જે પેશન્ટ બન્યા જેમનું મગજ કામ નથી કરતું તેવા અરમાન અલીના બગડેલા મગજ માટે વેસ્ટર્ન દુનિયામાં જે માનવતા ભરેલી સારવાર અને નોકરી આપવામાં આવે છે તે ભારતે કરી બતાવ્યુ નહિ. રાક્ષસો બેઠા છે.
    ભારત સરકારે જો કાયદો બનાવ્યો હોય અને તેને કાગળો પર શોભા દેવા માટે જ રાખ્યો હોય તો સરકારને માટે ઘિક્કાર કરવો જોઇઅે. સરકાર પાસે આવા નાગરીકો માટે સારવાર અને માવતા ભરેલાં આચરણ માટેના કાયદા પણ હશે જ. જે તે ડીપાર્ટમેંટના મંત્રીને , પ્રાઇમ મીનીસ્ટર સુઘી લઇ જવો જોઇઅે.
    અમાનુષી વર્તન કરનારને પ્રાઇમ મીનીસ્ટરે સજા કરવી જ જ્ોઇઅે.
    જે કોઇ મિત્ર આ લેખ વાંચે છે તેમાંથી જે કોઇ શક્તિશાળી હોય તેમને વિનંતિ છે કે પ્રાઇમ મીનીસ્ટર સુઘી પહોંચાડે.
    વાતો, વાંચન કામ નહિ લાગે. કામ ચલાવીને જે કોઇ કલ્પરિટ છે તેને સજા થવીજ જોઇઅે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. અરમાન અલી એકલવીર છે.
    ભારતમા કાયદાઓ તો ખૂબ સારા બન્યા છે. એમનો હેતુ પણ સારો છે. પરંતુ દુખની વાત એ છે કે એની અમલબજાવણી જેવી થવી જોઈએ તેવી થતી નથી. સરકારના અધિકારીઓ અને મંત્રીઓ પણ આ બધું જાણેજ છે. વડાપ્રધાન કે સંબંધિત ખાતાના પ્રધાનને લખીને કંઇ નહીં વળે. આ પોલિટિશિયનોને તો ફક્ત ચૂંટણીઓમાં રસ છે.
    ખૈર, આપ સહુના પ્રતિભાવ માટે આપનો અને ભાઈશ્રી ગોવિંદભાઈ મારુનો આભાર.

    Liked by 1 person

  5. અરમાન અલી એકલવીર છે.
    ભારતમા કાયદાઓ તો ખૂબ સારા બન્યા છે. એમનો હેતુ પણ સારો છે. પરંતુ દુખની વાત એ છે કે એની અમલબજાવણી જેવી થવી જોઈએ તેવી થતી નથી. સરકારના અધિકારીઓ અને મંત્રીઓ પણ આ બધું જાણેજ છે. વડાપ્રધાન કે સંબંધિત ખાતાના પ્રધાનને લખીને કંઇ નહીં વળે. આ પોલિટિશિયનોને તો ફક્ત ચૂંટણીઓમાં રસ છે.
    ખૈર, આપ સહુના પ્રતિભાવ માટે આપનો અને ભાઈશ્રી ગોવિંદભાઈ મારુનો આભાર.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s