પ્રેતાત્માઓ તમારામાં પ્રવેશી શકે ખરા?
–ડૉ. મૃગેશ વૈષ્ણવ
સમાજ અને સંસ્કૃતીની અસરથી થતો ‘ડીસોસીએટીવ ડીસ ઓર્ડર’ માત્ર માતાજી આવવાના વર્તન પુરતો જ મર્યાદીત નથી. સામાન્ય રીતે લોકો જે વર્તનને વળગાડના સ્વરુપમાં ખપાવે છે એવા લોકો પણ ‘ડીસોસીએટીવ ડીસ ઑર્ડર’ના દરદીઓ હોય છે. મનોચીકીત્સા વીજ્ઞાનમાં વળગાડના આવા વર્તનને ‘પઝેશન સીન્ડ્રોમ’ના નામે પણ ઓળખાવાય છે.
મારી પાસે ચોવીસ વર્ષની એક પરીણીત સ્ત્રીને લાવવામાં આવી, જેના વીશે કેટલાક ભળતા લોકોએ એવી વાત ફેલાવી હતી કે એ સ્ત્રી રમીલાને તેની સગી ‘મા’ વળગી છે.
રમીલાનાં લગ્ન બે વર્ષથી થયા હતાં અને તેની માતાનું મૃત્યુ દસ વર્ષ પહેલાં થયું હતું. છેલ્લાં દોઢેક વર્ષથી રમીલા એકાએક રાડો પાડવા માંડતી કે…. ‘એ આવી…. મને લઈ જવા માટે આવી… હા…. આ મારી મા મને દેખાય છે. એ મને એની પાસે લઈ જશે… પરન્તુ મારે એની પાસે જવું નથી….. મને એનાથી બચાવો.’ આવું બોલી રમીલા વાળ છુટા કરીને ઘરમાં દોડતી અને ‘બચાવો… બચાવો….’ની બુમો પાડવા લાગતી. રમીલાના શ્વસુરપક્ષના લોકોને રમીલાની આ અવસ્થા કંઈક વીચીત્ર લાગી એટલે ભુવાઓને બતાડ્યું. અને ભુવાઓએ એવું નીદાન કર્યું કે ‘રમીલાની મૃતપ્રાય માતાનો અતૃપ્ત પ્રેતાત્મા તેના શરીરમાં પ્રવેશ કરે છે અને આ પ્રેતાત્મા રમીલાનો જાન લઈને જ રહેશે, એવું લાગે છે.’
રમીલાના શ્વસુરપક્ષના લોકો ડઘાઈ જાય છે અને રમીલાની માતાના પ્રેતાત્માની અવગતી થતી અટકાવવા માટે જાતજાતની વીધીઓ, મંત્ર–તંત્ર કરાવે છે. તાંત્રીકોની આવી વીધીથી થોડો સમય સારું પણ થઈ જાય છે, પરન્તુ ફરી પાછો એ પ્રેતાત્મા એના શરીરમાં પ્રવેશ કરે છે. એટલે રમીલા વીચીત્ર વર્તન કરવા લાગે છે. રમીલાને તેની માતા વળગવાના હુમલાઓ વારંવાર આવવા માંડે છે, એટલે રમીલાની બીમારીનું કારણ મગજનો કોઈ રોગ હોઈ શકે એવું માની તેનું નીદાન કરાવવા મારી પાસે લાવવામાં આવે છે.
રમીલાને આવતા આવા હુમલાઓની વીસ્તૃત માહીતી મેળવતાં જણાય છે કે બે હુમલાઓની વચ્ચે રમીલાનું વર્તન સાવ સામાન્ય હોય છે અને તે પોતાનું બધું જ કામ કરી શકે છે. અને લોકો સાથે સ્વાભાવીક અને સાહજીક રીતે વાતો કરી શકે છે. કેટલીક વાર આવો હુમલો આવ્યા પછી રમીલા ખુબ રડે છે, તો કેટલીક વાર કપડાં ફાડી નાંખે છે કે કોઈકને મારી પણ બેસે છે. દોઢ વર્ષ પહેલાં રમીલાને આવા હુમલાઓ અઠવાડીયે કે પંદર દીવસે આવતા હતા, જ્યારે છેલ્લા બે–ત્રણ મહીનાથી તો રોજ બે–ચાર આવા હુમલાઓ આવતા હતા.
રમીલાને આવતા આવા હુમલાઓનું કારણ જ્ઞાનતંતુની કે મગજના ટેમ્પોરલ લોબની કોઈ બીમારી તો નથી ને તેની ખાતરી કરવા રમીલાનો ઈલેક્ટ્રો એન ડીફેલો ગ્રામ–ઈ.ઈ.જી. અર્થાત્ મગજની પટ્ટી કાઢીને નીદાન કરવામાં આવે છે. જેનાથી ખાતરી થાય છે કે રમીલાના આવા હુમલાઓ આવવાનું કારણ મગજના ટેમ્પોરલ લોબની કોઈ બીમારી નથી.
એટલે રમીલાની આ બીમારીનું કારણ તેના અંતરમનમાં જ રહેલી કોઈ મુંઝવણ હોવી જોઈએ એવું માનવાને કારણ મળે છે, પરન્તુ એના કોઈ પુરાવા મળતા નથી.
રમીલાની માતા સાથેના એના સમ્બન્ધો કેવા હતા તેની પુછપરછ કરતાં જાણવા મળે છે કે રમીલા તેની માતાનું એકમાત્ર સંતાન હતી. અને મા–દીકરી વચ્ચે ઘનીષ્ઠ લાગણીભર્યા સમ્બન્ધો હતા. રમીલા જ્યારે ચૌદ વર્ષની હતી ત્યારે તેની માતાનું અકાળે અવસાન થયું હતું અને ચાર–છ મહીનામાં જ રમીલાના પીતાએ પુનર્લગ્ન કરતાં રમીલાનો ઉછેર તેની સાવકી માએ કર્યો હતો. જોકે સાવકી માતા સાથેના તેના સમ્બન્ધો ઘણા જ સારા હતા. અને સાવકી માતાએ કીશોરાવસ્થાના ઉમ્બરે પગ મુકતી રમીલાને માતૃપ્રેમ અને હુંફ પુરતા પ્રમાણમાં આપ્યા હતા. આમ, પીતૃગૃહે રમીલાને માનસીક તનાવ પહોંચે એવાં કોઈ જ પરીબળો જણાયાં નહીં.
બીજી મહત્ત્વની વાત એ હતી કે રમીલાની માતાને મરી ગયે દશ વર્ષ થયાં હતાં, તો હવે જ એને માતાનો પ્રેતાત્મા શા માટે હેરાન કરે છે? અથવા મનોચીકીત્સા વીજ્ઞાનની ભાષામાં માતાને યાદ કરવાની તેને આટલી મોડેથી જરુર કેમ પડે છે? રમીલાના વર્તમાનના કેવા દર્દનાક સંજોગો રમીલાને તેની મૃત:પાય માતાના પ્રેમ, લાગણી અને હુંફને યાદ કરવા માટે ફરજ પાડે છે? રમીલા કયા પ્રકારની અસલામતીથી પીડાય છે?
રમીલાને આવતા આવા હુમલાઓ લગ્નના છ મહીના પછી શરુ થયા હતા એટલે શ્વસુરપક્ષે કોઈની સાથે મનમેળ ન હોય અને માનસીક તનાવ રહેતો હોય એવી શક્યતાઓ હતી; પરન્તુ હકીકત એ હતી કે રમીલાનો પતી બહારગામ નોકરી કરતો હોવાથી રમીલાને સાસુ–સસરા અને નણંદોની વચ્ચે રહેવાના ખાસ પ્રસંગો જ આવતા નહોતા. આમ, સામાન્ય રીતે જોવા મળે છે તેમ સાસરીયાંઓનો ત્રાસ પણ નહોતો, તો પછી રમીલાની મનોવેદનાનું કારણ શું હતું?
રમીલાના દામ્પત્યજીવન વીશે પુછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે રમીલાનો પતી ખુબ જ પ્રેમાળ હતો અને રમીલાને કોઈ જ પ્રકારની રોકટોક કે અધુરપ અને ઓછપ આવવા દેતો નહોતો.
આમ, પ્રેમાળ પતી, સમજદાર સાસુ, સસરા, મમતાભરી સાવકી મા હોવા છતાં રમીલાને શું દુ:ખ હતું? શી પીડા હતી?
રમીલાની તરુણાવસ્થામાં ઘટેલી કોઈ ઘટના આવા હુમલાઓ માટે જવાબદાર હોઈ શકે એવું માનવાને પુરતાં કારણો હોવાને લીધે રમીલાનો પુર્વ ઈતીહાસ જાણવા, સુષુપ્ત મનની વેદનાને જાણવા માટે તેની ‘નારકો એનાલીસીસ’ દ્વારા સારવાર શરુ કરાઈ.
‘નારકો એનાલીસીસ’ની પ્રક્રીયા દરમીયાન રમીલાના સુષુપ્ત મનના અવરોધો દુર થતાં જ રમીલાની વેદનાને વાચા મળી, જેનાથી રમીલાની અસલામતીનું કારણ જાણી શકાયું.
શરુઆતના સીટીંગ્સમાં તો રમીલા એટલું જ બોલતી હતી કે ‘મારી નાખીશ… એને સાલીને જાનથી મારી નાખીશ…’ આવાં વાક્યો તેની માતા માટે બોલતાં હોય એવું માનવાને કોઈ કારણો નહોતાં. એટલે રમીલા કોને મારી નાખવા માંગે છે એ જાણવા માટે એના સુષુપ્ત મન સાથે વાતચીત કરાઈ.
‘રમીલા… તું કોને મારી નાખવા માંગે છે?’
‘મારી સામે આ દેખાય છે એ સ્ત્રીને….’
‘એ સ્ત્રી કોણ છે? કેવી છે?’
‘એણે આસમાની કલરનું સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યું છે.’
‘શું એ આકૃતી તારી માતાની છે?’
‘ના…. એ છોકરી મારા પતીને મારી પાસેથી છીનવી લેશે.’
‘તારો પતી તો તને અનહદ પ્રેમ કરે છે પછી એને તારી પાસેથી કોણ છીનવી લે?’
‘એ છોકરીને મારો પતી ખુબ જ પ્રેમ કરે છે. એમના પ્રેમપત્રો પણ મેં વાંચ્યા છે.’
‘એ પત્રો તો જુના હોઈ શકે. અત્યારે તારો પતી જો તને ભરપુર પ્રેમ કરતો હોય તો પછી તારે એ જુની વાતોને યાદ કરી હેરાન–પરેશાન થવાની શી જરુર?’
‘ના…. મારો પતી હજી પણ એને એટલો જ પ્રેમ કરે છે. મારાં લગ્ન પછીના એમના પ્રેમપત્રો પણ મેં વાંચ્યા છે. મારો પતી મને ખરેખર પ્રેમ નથી કરતો પણ માત્ર સાચવે છે. એની ફરજ નીભાવે છે.’
આમ, બહારથી બધું જ બરાબર દેખાતું હોવા છતાં રમીલાનું મન વેદનાગ્રસ્ત છે. એને પોતાના વર્તમાનના દર્દને ભુલવા માટે તેને માતાના પ્રેમ અને હુંફની સૌથી વીશેષ જરુરીયાત અત્યારે લાગે છે. એટલે રમીલાને એની મૃત:પાય માની યાદ આવ્યા કરે છે. વર્તમાનના દર્દનાક અને અસલામતીભર્યા સંજોગોથી ખુબ જ દુર તેની માતા પાસે ચાલ્યા જવાનું તેને મન થાય છે.
આમ તો આ પ્રકારની સમસ્યાઓ ઘણી સ્ત્રીઓને હોય છે, પરન્તુ એને કારણે આ બધી જ સ્ત્રીઓને કંઈ આવા હુમલાઓ આવતા નથી. રમીલાને આવા હુમલાઓ આવવાનું કારણ એ હતું કે પોતાના મનમાં રહેલી અસલામતીની વાત તે કોઈને કહી શકતી નહોતી. સાવકી માતા બધી જ રીતે સારી હોવા છતાં પોતાના પતીની આવી પ્રવૃત્તીઓની વાત તેને કરી શકાય કે કેમ એ વાત સ્વીકારવા તેનું મન તૈયાર નહોતું. પીતાની તબીયત નાદુરસ્ત રહેતી હતી એટલે આવી વાત તેમને કરવી પણ ઉચીત લાગતી નહોતી. અને પતીનું બાહ્ય વર્તન એટલું બધું ઠાવકું અને પ્રેમાળ હતું કે આવી વાત કોઈનેય કહે તો તે માનવા માટે કોઈ પણ કદાચ જ તૈયાર થાય.
રમીલાના સુષુપ્ત મનની વેદના જાણ્યા પછી તેના પતી સાથે વાત કરાઈ અને રમીલાના મનમાં અનુભવાતી અસલામતીનું કારણ જણાવાયું, ત્યારે એના પતીએ મને સ્પષ્ટ કહ્યું કે રમીલા આ વાત ઉપર અસલામતી અનુભવતી હોય એ શકય જ નથી. કારણ તેણે પોતે જ લગ્ન પછી રમીલાને ભરપુર પ્રેમ આપી, પુરા વીશ્વાસમાં લઈને પોતાની જાતે જ આ પ્રેમસમ્બન્ધોની માહીતી આપી છે. અને રમીલા એને એટલો બધો પ્રેમ કરે છે કે પતીના સુખને ખાતર પતીને હજી પણ જો પેલી યુવતી જ પસંદ હોય તો તેને મુક્ત કરવા તૈયાર છે.
રમીલાના પતીને એ વાત ગળે ઉતરતી નહોતી કે તે પતીને મુક્ત કરવા તૈયાર હોઈ શકે છે; પરન્તુ પતી પોતાનો જ હોય તો તેને અડધો પતી અર્થાત્ બીજી યુવતીને લગ્ન બાદ પણ ચાહતો પતી સ્વીકાર્ય નથી. અને આ વાત હીમ્મતપુર્વક, સ્પષ્ટતાથી પોતાના પતીને તે કહી શકતી નથી.
પતી માને છે કે પોતાના સુખને ખાતર રમીલા ગમે તેવી કુરબાની આપી શકે તેમ છે; પરન્તુ આ કુરબાની સ્વૈચ્છીક નહીં પણ લાચારીને પરીણામે છે એ વાત પતીને સમજાતી નથી.
આમ, મનમાં સતત મનોમંથન અનુભવતી, અસલામતી અનુભવતી રમીલાનો આશરો માત્ર મૃત:પ્રાય માતા જ છે. એ માતા પાસે પહોંચી જવાના પણ તેને વીચારો આવે છે.
‘ડીસોસીએટીવ’ અવસ્થામાં ઘણીવાર એવું બને છે કે વ્યક્તી જે વીચારે છે એ કહેતી નથી અને જે કહે છે એ વીચારતી નથી. એટલે રમીલાને જ્યારે હુમલો આવે છે ત્યારે ‘મને લઈ જવા માટે આવી છે….. હા…. આ મારી મા મને દેખાય છે. એ મને મારી સાથે લઈ જશે… પરન્તુ મારે એની પાસે જવું નથી… મને બચાવો.’ એવું બોલે છે. એટલે કે વર્તમાન સંજોગોમાં અનુભવાતી અસલામતીમાં તેને માતાની યાદ સવીશેષ આવે છે. તે માતા વીશે સતત વીચારે છે. તે માતા પાસે જવા માગે છે. છુટવા માંગે છે; પરન્તુ હુમલાઓ દરમીયાન બોલે છે એવું કે મા તેને જાણે મારી નાંખવા આવતી હોય. આ કારણે જ રમીલાની આ માનસીક બીમારીને સામાન્ય લોકો રમીલાની મૃત:પાય માતાનો પ્રેતાત્મા તેને વળગ્યો હોય એવું માની પ્રેતને ભગાડવાની પુજા–વીધી, મંત્ર–તંત્ર કરાવે છે.
હકીકતમાં વળગાડ જેવી કોઈ વસ્તુનું અસ્તીત્વ જ નથી. વ્યક્તીને જો કોઈ વળગે છે તે તો તેના પોતાના વીચારો જ વળગે છે. બહારની કોઈ વ્યક્તી કયારેય કોઈનામાં પ્રવેશ કરી શકતી નથી કે વળગી શકતી નથી. અને પ્રેતાત્માઓને તો નાહકના બદનામ કરવામાં આવે છે. હકીકતમાં આપણી આજુબાજુના જીવંત આત્માઓ જ આપણને માનસીક ત્રાસ આપવા માટે એટલા બધા તત્પર હોય છે કે તેમના ત્રાસને કારણે આવતા વીચારો જ આપણને પરેશાન કરે છે.
રમીલા જેવા કીસ્સાઓમાં બીમારીના આવા હુમલાઓ વધે છે, કારણ કે આ પ્રકારનું વર્તન પ્રેતાત્માને કારણે હોય, વળગાડને કારણે હોય એવી આપણા સમાજમાં માન્યતા છે. એટલે જ્યારે આવા હુમલાઓ આવે છે ત્યારે ‘વળગ્યું છે…. બહારનું છે…’ એવી ચર્ચા લોકો કરવા માંડે છે. માનસીક વેદનાથી ગ્રસ્ત વ્યક્તી તેની વેદનાને કારણે ધુણતી હોય છે. જ્યારે લોકો એવું માને છે કે આ વ્યક્તી પ્રેતશક્તીને કારણે ધુણે છે.
લોકો ગમે તેમ માને પણ તનાવગ્રસ્ત વ્યક્તી જે પોતાના મનની મુંઝવણ કોઈની પણ સમક્ષ રજુ નથી કરી શકતી તેને આ એક રસ્તો મળી જાય છે અને આવા હુમલાઓ વેદના વ્યક્ત કરવાનું સાધન બની જાય છે. આમ, વ્યક્તીને, સમાજને અને ભુવાઓને આવા હુમલાઓ સ્વીકાર્ય બની જાય છે. એટલે આવા હુમલાઓ આવ્યા કરે છે.
સમાજ અને સંસ્કૃતીની અસરને કારણે આવતા હુમલાઓને મારા જેવો મનોચીકીત્સક કોઈ એક પ્રકારના માનસીક રોગનું લેબલ મારી અને મનની વેદનાને વાચા આપે એટલે આવા હુમલાઓ અટકી જાય એવું પણ નથી. કારણ જ્યાં સુધી સમાજની માન્યતા ન બદલાય, રુઢીગત ખ્યાલોને ફગાવી ન દેવાય, સત્યનો પુરેપુરો સ્વીકાર ન થાય ત્યાં સુધી આવા હુમલાઓ આવી પણ શકે છે. એટલે જે જરુર છે લોકશીક્ષણની, અન્ધશ્રદ્ધા સામે જનજાગૃતીની.
–ડૉ. મૃગેશ વૈષ્ણવ
લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101/ +91 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/ ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com
ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મુલ્ય : રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
ડૉ. મૃગેશ વૈષ્ણવનો ‘શું કોઈ વ્યક્તી કે પ્રેતાત્મા કોઈનામાં પ્રવેશ કરે કે વળગે? તેમાંય કોઈ પરીણીત સ્ત્રીને તેની સગી ‘મા’ વળગે? શું પ્રેતાત્મા વળગ્યો હોય એવું માની પુજા–વીધી, મંત્ર–તંત્ર કરાવીને પ્રેતને ભગાડી શકાય? પ્રેતાત્માઓ તમારામાં પ્રવેશી શકે ખરા?’જેવા સંવેદનશીલ વિષય પર અભ્યાસપૂર્ણ માહિતી બદલ ધન્યવાદ
આવા રોગની સારવારનો ખર્ચો મોટો હોય છે તેથી પ્રવચનો દ્વારા સમાજને જાગૃત કરી મફત સારવારની વ્યવસ્થા થાય તો સામાન્ય સ્થિતીનાને ઘણી રાહત થાય
LikeLiked by 1 person
ડૉ. મૃગેશ વૈષ્ણવ સમાજની ખુબ ઉત્તમ સેવા કરી રહ્યા છે. તેઓ કહે છે:
“આપણી આજુબાજુના જીવંત આત્માઓ જ આપણને માનસીક ત્રાસ આપવા માટે એટલા બધા તત્પર હોય છે કે તેમના ત્રાસને કારણે આવતા વીચારો જ આપણને પરેશાન કરે છે.” પણ સમાજ એટલો બધો ખોટી માન્યતાઓમાં જકડાયેલો છે કે એમાંથી એનો છુટકારો થવો મુશ્કેલ જ નહીં, અશક્ય જણાય છે. દાખલા તરીકે આ પ્રકારની માનસીક સમસ્યા પશ્ચીમી સંસ્કૃતીમાં પણ હશે, પણ એમાં કોઈ ધુણતાં હોય એવું કદી કોઈએ સાંભળ્યું છે? મને તો અહીં ન્યુઝીલેન્ડમાં લગભગ 47 વર્ષ થવાનાં, પણ આ ધુણવાનું મેં ક્યાંય કદી જોયું નથી.
આ પ્રકારના લેખ મુકીને ગોવીન્દભાઈ પણ ખુબ સારી સેવા કરી રહ્યા છે. આપનો તથા ડૉ. મૃગેશ વૈષ્ણવનો હાર્દીક આભાર.
LikeLiked by 1 person
મિત્રો,
સરસ લેખ.
ડો. મૃગેશે અેક લોકજાગૃતિ માટેનો દાખલો આપ્યો. હવે વિચાર અે આવે છે કે ભારત ગામડાઓથી બનેલો દેશ છે. ગામડાઓમાં ભણતર ઓછું. જો કે છેલ્લા ટઈ વરસોથી કે અગાઉથી ગામડાઓમાં પણ ભણતર વઘેલું છે અને વઘી રહ્યુ છે. રમીલા પતીના પ્રેમપત્રો પણ વાંચતી, સમજતી અને તેનો અર્થ પણ તારવતી. આ કેસમાં ભણતરે તેને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો અને કોઇને પોતાના મનની પરિસ્થિતિ કહેવાનું દૂર રાખીને પોતાના મગજને પેશન્ટ બનાવી દીઘું.
જૂના વિચારવાળા ઘરના વડીલોને કદાચ જૂની પેઢીના વિચારો ભગત, ભૂઓ પાસે લઇ ગયા હશે. અને છેવટે ડોક્ટરને આશરે ગયા.
શાળામાં ભણેલી રમીલા પોતાના અગંત પ્રોબ્લેમને અેટલી હદે જીવતી હતી કે આ પરિસ્થિતિમાં આવી પડી.
જો તેણે પોતાના પ્રમાળ પતીના આચરણની વાત સાસરીઅામાં કહી હોત તો તેનું પોઝીટીવ પરિણામ મળ્યુ હોત.
ઓપન માઇન્ડેડ થવું જોઇઅે. પ્રશ્નોની ચર્ચા થવી જોઇઅે…પ્રશ્નો ઉકેલાઇ જાય…કોઇ પણ રસ્તે….હા કે ના…
ડોક્ટરોનું હોવું ખૂબ જ મદદરુપ બને છે.
લેખ ગમ્યો.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઇ,
આ લેખ મુકવા બદલ અભિનન્દન.ભૂત,પ્રેત વળગાડ વી.જેવી માન્યતાઓ દૂર કરવા માટે જનજાગૃતિ,શિક્ષણ વીગેરેથી જ દૂર કરી શકાય ર્ડા વૈષ્ણવ દ્વારા આપવામાં
આવેલ કિસ્સો અંતર્મનમાં ધરબી રાખેલ લાગણીઓનો આ સ્વરૂપે થતું પ્રગટીકરણ છે.અને માનસિક ચિકિત્સા દ્વારા જ તેનો ઉપાય થઈ શકે.જો મનની દર્દભરી
લાગણીને દબાવી રાખવામાં આવે તો અને રોગનું સાચું નિદાન થાય તો જ દર્દી સાજો થઈ શકે નહિતર ભુવા વી ની ચુંગાલમાં ભરવાનો વારો આવે.
પ્રજ્ઞાજુ દ્વારા કરવામાં આવેલ સૂચન કે આવા રોગની સારવાર મફતમાં કરવામાં આવે તો ઘણા કિસ્સાઓમાં સમયસર દર્દી સાજો થઈ શકે.
સુંદર છણાવટ કરવા બદલ ડોક્ટર સાહેબ ને અભિનન્દન.ગોવિંદભાઇ આવા કિસ્સો જો છેવાડાના ગામડા સુધી પહોંચાડી શકાય તો ઘણા બધા લોકો ને
ગેરમાર્ગે જતા બચાવી શકાય.
રવિન્દ્ર ભોજક
કેનેડા 21-11-2021
LikeLiked by 1 person