સદગુણોની પુર્ણતા એ જ માનવતાની સીદ્ધી

ઈશ્વરનો ભક્ત, ઈશ્વરનો દાસ સદગુણ–સમ્પન્ન હોય છે? આપણામાં માનવતાની, સદગુણોની વૃદ્ધી શા માટે થતી નથી? સદગુણ કોને કહેવા, દુર્ગુણ કેમ ઓળખવા એ આપણે જાણીએ છીએ?

સદગુણોની પુર્ણતા એ જ માનવતાની સીદ્ધી

–કેદારનાથજી

માણસ ગમે તેટલો સદગુણી હોય, ગમે તેટલી પ્રામાણીકતા, સત્યનીષ્ઠા અને કર્તવ્યબુદ્ધીથી પોતાનો સંસાર ચલાવતો હોય તો પણ જ્યાં સુધી તે ભજનપુજન કરતો નથી, જટા, મુંડન કે એવું કોઈ બાહ્ય ચીહ્ન ધારણ કરતો નથી, ગીતા, કુરાન, પુરાણ, બાઈબલ જેવા ગ્રંથોનું પઠન કરતો નથી, આસન પ્રાણાયામ, ધૌતિ જેવી ક્રીયાઓ કરતો નથી અથવા ચમત્કાર વીશે તેની ખ્યાતી નથી, સારાંશ, આવો કોઈ બાહ્યાચાર તેની પાસે નથી, કીંવા લોકોની મનોકામના સીદ્ધ કરી આપવાના સામર્થ્ય વીષેનો ભ્રમ તે ફેલાવી શકતો નથી ત્યાં સુધી તેને આપણે વંદ્ય કે શ્રેષ્ઠ સમજતા નથી. પવીત્રતા અને ચારીત્ર્યરુપી મનુષ્યત્વનાં ખરાં લક્ષણો આપણને અનુકરણીય કે આદરણીય જણાતાં નથી, પણ સાધુત્વનો કેવળ બાહ્યાચાર જ આપણને વંદનીય લાગે છે. કર્તવ્યનીષ્ઠ અને ઉદારચરીત ગૃહસ્થાશ્રમી માણસની આપણને કંઈ કીમ્મત જણાતી નથી, પરન્તુ વૈરાગ્યનો કેવળ બાહ્યાડંબર જ આપણને પુજનીય લાગે છે. આ પરથી મને હમ્મેશાં લાગે છે અને હું કહું છું કે આપણા સમાજમાં માણસ બનવું કઠણ છે, પણ દેવ, ઈશ્વર બનવું સહેલું છે અને આ સ્થીતીને લીધે આપણામાં માનવતાની, સદગુણોની વૃદ્ધી થઈ નથી. માનવતાને પોતાનું જીવનધ્યેય માનીને તે સીદ્ધ કરવાની પાછળ આપણે કદી લાગ્યા નથી. ભગવદ્ભક્તીને પ્રધાન માનીને સદગુણોની ઉપાસના અને તેની વૃદ્ધી કરનારા કેટલાક સંતો આપણામાં થઈ ગયા, પણ તેમનામાં સદગુણો હતા, તેમનામાં માનવી ગુણોનો વીકાસ થયેલો હતો એના કરતાં તેઓ ઈશ્વર સાથે તદ્રુપ થયેલા હતા અને તેમને ઈશ્વરસહાય હોવાથી તેઓ ગમે તેવો ચમત્કાર કરી શકતા હતા એવી તેમને વીષેની લોકશ્રદ્ધા જ તેમના પુજ્યપણાનું કારણ હતી અને હજુયે છે એવું લોકમાનસનું નીરીક્ષણ કરતાં લક્ષમાં આવે છે. પ્રત્યક્ષ સજ્જનતા કરતાં બાહ્યાડમ્બર અને ચમત્કાર વીષેના ભ્રમને લીધે આપણા સમાજમાં આ વીષયમાં દંભ અને ભોળપણ વધતાં ગયાં છે. આવી આપણી મન:સ્થીતીને લીધે સાધુ કહેવડાવનારા અને મનાયેલા લોકોનો દંભ જીવનભર ચાલી શકે છે. તેમના મરણ પછી સમાધીઓ બાંધવામાં આવે છે, તેના પર તેમની ઓછીવત્તી પ્રસીદ્ધીના પ્રમાણમાં નાનાં કે મોટાં ભવ્ય મન્દીરો ઉભાં કરવામાં આવે છે અને તે સ્થાનો તીર્થક્ષેત્રો મનાય છે, અને પછી ત્યાં હજારો યાત્રીઓ પુણ્ય મેળવવા કે કામનીક હેતુથી જવા લાગે છે. આપણા લોકોમાં પહેલેથી કામનીક ભક્તીની પરમ્પરા ચાલતી આવી છે. તેને લીધે મરણ પામેલો સાધુ સમાધીમાં જાગ્રતપણે વાસ કરે છે અને આપણે તેની સમાધીનું દર્શન લઈએ, સમાધી આગળ કંઈક દક્ષીણા, થોડી મીઠાઈ, કેળાં વગેરે ખાદ્યપદાર્થ મુકીએ, થોડી સ્તુતી કરીએ અને વધારામાં તેના નામે થોડું દાનધર્મ કરીએ એટલે તે આપણી અભીષ્ટ કામના ખાતરીથી પુરી કરે છે એવી લોકશ્રદ્ધા છે. આમાં સાધુના સામર્થ્યનો ખરેખર કંઈ જ સમ્બન્ધ નથી. સમાધી સાચા સાધુની હોય કે દાંભીકની હોય, આપણી અભીષ્ટ કામના પુરી થવામાં સમાધીપુજનનો કંઈ સમ્બન્ધ નથી, એ આપણે પારમ્પરીક શ્રદ્ધાના ઉભરામાં અને કામનાવીષયક વ્યાકુળતાને લીધે થયેલા બુદ્ધીભ્રમમાં ઓળખી શકતા નથી. વીવેક આપણને સુઝતો નથી. સમાધી સાચા સાધુની હોય તો તે ભક્તી, જ્ઞાન, સત્યની ઉપાસના, મનની શુદ્ધી અને સદગુણોનો ઉત્કર્ષ સાધીને જીવન સાર્થક કરી ગયેલ હોય છે. તેનો સમાધી સાથે, મન્દીર સાથે અથવા આપણા કરેલા પુજન કે સ્તુતી સાથે કશો સમ્બન્ધ નથી. અને દાંભીક પણ બહારથી સાધુત્વનો ડોળ કરનારાની અને કેટલાક ભોળા લોકોની શ્રદ્ધાને લીધે પ્રસીદ્ધી પામેલાની સમાધી હોય તો તે પણ મર્યા પછી લોકોની કામના પુરી શકતો નથી. આમ છતાં કામનીક ભક્તીના આવા પ્રકારો સમાજમાં રુઢ છે. તેમાં કેવળ અશીક્ષીત યા ભોળો સમાજ જ ભળેલો હોય છે એમ નથી; પણ સારા શીક્ષીત કહેવડાવનાર પણ તેમાં આગેવાની લઈને આ બધા પ્રકારોને ઉત્તેજન આપે છે. આમાં ભક્તીનો અંશ કેટલો, સમાજની અન્ધશ્રદ્ધા અને ભોળપણ કેટલાં, તથા જેમને આ પ્રકારો અને સ્થીતીમાંથી દ્રવ્ય, પ્રતીષ્ઠા, માન અને બીજા ભૌતીક લાભ મળે છે એવા શીક્ષીત–અશીક્ષીત લોકોનાં ધુર્તપણું અને કપટ કેટલાં એ શોધી કાઢવું કઠણ છે.

આપણે બાહ્યભક્તીને જેટલું મહત્ત્વ આપીએ છીએ તેટલું સદગુણોને તેમ જ પવીત્રતા, સદાચાર અને શીલને આપતા નથી એ વાત લક્ષમાં આવે એ આ વીષે આટલું સવીસ્તર લખવાનો ઉદ્દેશ છે. સત્યની ઉપાસના કરતાં કોઈ દેવતાની ભક્તીનો પ્રઘાત આપણને સારો લાગે છે. ચમત્કાર કરનારાને આપણે જેટલા માનીએ છીએ તેટલા માનવી સદગુણોથી સમ્પન્નને માનતા નથી. ત્યાગી વૈરાગીને આપણે માનીએ છીએ તે પણ આપણી કામનાસીદ્ધી માટે અને તેમનું પુણ્ય આપણને ઉપયોગી થઈ પડે એ આશાથી. તેમના ત્યાગ અને વૈરાગ્યને આપણે અનુકરણીય માનતા નથી. બહુજનસમાજની આ સ્થીતી છે.

આવી પારમ્પરીક શ્રદ્ધાને લીધે આપણને હજુ માનવતાની કીમ્મત સમજાતી નથી. સજ્જનતા તરફ આપણું લક્ષ જતું નથી. આવી સ્થીતીમાં પણ કંઈક સદ્ભાગ્યનો ઉદય થયાનાં ચીહ્નો દેખાવા લાગ્યાં છે. આગેવાનોમાં અને કેટલાક વીશીષ્ટ લોકોમાં હવે ‘માનવતા’ શબ્દ પ્રચારમાં આવવા લાગ્યો છે. તે પર ભાર આપવામાં આવે છે. મોક્ષનું મહત્ત્વ ઓછું થવા લાગ્યું છે અને બધાના કલ્યાણમાં આપણું કલ્યાણ છે એવી સામુદાયીક કલ્યાણની ભાષા વપરાવા લાગી છે. ભુદાન અને રાજકારણમાં હવે માનવતા અને સામુદાયીક ધ્યેયની દૃષ્ટીથી વીચાર થવા લાગ્યો છે. દેશભક્તી, રાષ્ટ્રભક્તી વગેરેમાંયે હવે માનવતા તરફ લક્ષ જવા લાગ્યું છે. રાજ્યના રાજ્યપાલો અને પ્રધાનો પણ હવે માનવતાના મહત્ત્વને વર્ણવવા લાગ્યા છે. મારા જેવાને આ સદ્ભાગ્યનું લક્ષણ જણાય છે.

લગભગ સાઠ વર્ષના દેશવીષયક સાર્વજનીક ચળવળના ઈતીહાસનું વત્તાઓછા પ્રમાણમાં મને સ્મરણ છે. તેમાં ‘માનવતા’ એ શબ્દને કીમ્મત આપવામાં આવી હતી એવું મને યાદ નથી. ત્રીસપાંત્રીસ વર્ષ પહેલાંના સમયની સ્થીતી હજુ મારી નજર સમક્ષ જ છે. તે સમયે પણ આગેવાન તરીકે મનાયેલા, દેશના સુખદુ:ખનો વીચાર કરનારા અને દેશકલ્યાણની ચળવળમાં ભાગ લેનારા મંડળમાંયે માનવતાને મહત્ત્વ નહોતું. માનવતા એ આદર્શ તરીકે માનવા જેવી એક અવસ્થા છે, એ એક મહાન ઉચ્ચ ધ્યેય છે એ વાત કોઈને ગળે ઉતરી નહોતી. રામ અને શ્રીકૃષ્ણને મારા જેવો માણસ અવતાર ન માનતાં આદર્શ પુરુષ, મહાન પુરુષ માને છે. બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, તુકારામ અને રામદાસે પણ સાધના કરતાં કરતાં જીવનમાં ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી હતી એવું મારું કથન તે વખતે કોઈને રુચતું નહોતું. વ્યક્તીગત કલ્યાણ યા વૈયક્તીક મોક્ષની કલ્પના કે માન્યતામાં માનવતાની દૃષ્ટીથી સંકુચીતતા છે એ વીચાર તે સમયે કોઈને માન્ય થતો નહોતો; પણ અત્યારે આગેવાન લોકોનેય આ વાત ગળે ઉતરવા લાગી છે એ આનન્દની વાત છે. ‘ગળે ઉતરવા લાગી છે’ એ મારું કથન તપાસતાં કેટલું સાચું ઠરશે એ કહી શકાય નહીં, કારણ કે તે વીષે ખાતરી થવા માટે હજુ કેટલોક સમય જવો જોઈશે. નાનાં બાળકો મોટા મોટા શબ્દો તેમનો અર્થ ન સમજાતાંયે બોલે છે. તે શબ્દોનો અર્થ કેટલો વ્યાપક છે, અર્થમાં કેટલું ગાંભીર્ય અને સામર્થ્ય છે એ ન જાણતાં તેઓ તેનો ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપયોગ પણ કરે છે. આ પરથી કેવળ શબ્દોચ્ચાર કર્યાથી તેનો અર્થ લક્ષમાં આવ્યો છે એમ કહી શકાય નહીં, કારણ કે હજુયે આપણા માનવંતા આગેવાનો કોઈ તીર્થને તો કોઈ શાસ્ત્રગ્રંથોને, કોઈ સમાધીને તો કોઈ ગંગાસ્નાનને કે કોઈ હીમાલયની યાત્રાને મહત્ત્વ આપે છે. તેમાંયે ભક્તીનો અંશ કેટલો અને લોકપ્રીયતા કે મનોરંજનનો હેતુ કેટલો તે મારા જેવાને ઠરાવવું કઠણ છે. ‘બધી ભુમી પરમેશ્વરની છે’ એવું ઠસાવ્યા સીવાય જેમને સામાજીક ન્યાય ગળે ઉતરતો નથી તેમના લક્ષમાં માનવતાનું મહત્ત્વ કેટલું છે તે શોધી કાઢવું કઠણ છે.

તથાપી ગમે તે હોય, આજે આપણે જે શબ્દ બોલીએ છીએ તે નાનાં બાળકોની જેમ અર્થ ન સમજતાં બોલતા હોઈએ તોયે એટલી વાત સ્પષ્ટપણે સાચી છે કે માનવતા એ આપણું જીવનધ્યેય બન્યા વગર અને તે સીદ્ધ થાય એ રીતે વર્ત્યા વગર આપણે માટે બીજો રસ્તો નથી. તે સીવાય આપણે માણસ બની શકીશું નહીં. માનવતાના માર્ગમાં આપણે ગમે તેટલા પાછળ હોઈએ, તે આદર્શના પ્રમાણમાં આજ આપણે ઘણી અવનત સ્થીતીમાં છીએ એમ માનીએ તોયે માનવતાના માર્ગે જ આપણે જવું જોઈએ એવું આપણે દૃઢપણે સમજવું જોઈએ. માનવતાની વ્યાખ્યા પુર્ણપણે આપણા લક્ષમાં આવી ન હોય, માનવતાની પુર્ણતા પર્યંત આજે આપણી નજર પહોંચી શકતી ન હોય તોયે તે માટે આપણે આદર્શ બદલવાનું કે તે વીષે અશ્રદ્ધા રાખવાનું કારણ નથી. આપણે આજે આ વીષયમાં ગમે તેટલા અજ્ઞાની હોઈએ તોયે આપણી આજની સ્થીતી કરતાં માનવતાની દૃષ્ટીથી કઈ સ્થીતી ઉચ્ચ અને ઉદાત્ત છે એ આપણે ઓળખી શકીએ છીએ. પ્રગતી કઈ અને અવગતી કઈ એ આપણા લક્ષમાં આવી શકે છે. આટલું જ્ઞાન માનવતાના માર્ગે ચાલવા માટે આપણને પુરતું છે. સદગુણ કોને કહેવા, દુર્ગુણ કેમ ઓળખવા એ આપણે જાણીએ છીએ. મનની શુદ્ધી–અશુદ્ધીને આપણે સમજીએ છીએ. આપણાં સંકટ, અડચણ અને આપત્તીમાં બીજાની જે સહાનુભુતી અને સહાય ઉપયોગી થઈ પડી અને જેનાથી આપણે સરળ અને ન્યાયમાર્ગે તે બધામાંથી પાર પડ્યા તે સહાનુભુતી અને સહાયની કીમ્મત આપણે સમજીએ છીએ. બીજાની તે સહૃદયતાને આપણે ઓળખી શકીએ છીએ, તેને આપણે સદગુણો સમજીએ છીએ. આ પરથી આપણે સદગુણોને જાણીએ છીએ, માનવતાને ઓળખીએ છીએ. બીજાઓ તરફથી થતા સદ્વર્તનનો આપણે લાભ લઈએ છીએ તે પરથી માનવતા જીવનને, સમાજને કેટલી ઉપયોગી અને જરુરી છે તે આપણે સમજી શકીએ છીએ. એટલું સમજીને આપણે પોતાનું વર્તન તે પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણા તરફથી માનવતાની ઉપાસના થતી રહેશે. આ માર્ગે નીશ્ચયપુર્વક જેમ જેમ આપણે આગળ જઈએ તેમ તેમ આગળનો માર્ગ સહેજે દેખાશે. રાતે અંધારામાં જતાં ઉપયોગી થવા માટે હાથમાં લીધેલી બત્તી આપણને ઈચ્છીત સ્થાન સુધીનો બધો રસ્તો એકદમ બતાવી શકતી નથી તોયે આપણા માર્ગમાં આગળ દશવીશ પગલાં સુધી તેનો પ્રકાશ જ્યાં સુધી પહોંચે છે તેટલો માર્ગ ચાલ્યા પછી, આગળનો તેટલો જ માર્ગ આપણને દૃષ્ટીગોચર થાય છે. આવી રીતે દરેક વખતે દૃષ્ટીગોચર થતા માર્ગે ચાલીને આપણે આગળ ને આગળ જઈએ છીએ અને છેવટે નક્કી કરેલા સ્થળે જઈ પહોંચીએ છીએ. તે જ અનુભવ આપણે આ માર્ગમાં ઉપયોગમાં લઈએ તો તેમાં આપણે ખાતરીથી યશસ્વી થઈશું એમાં શંકા નથી.

આ પ્રમાણે જીવનમાં યશસ્વી થવા માટે પહેલાં આપણે પોતાનું ધ્યેય વીવેકપુર્વક નક્કી કરવું જોઈએ અને પછી સાવધપણે ધૈર્ય અને દૃઢતાથી આપણે ધ્યેયના માર્ગે ચાલવું જોઈએ. આપણે આજે માણસ તરીકે જગતમાં ફરતા હોઈએ તોયે આપણામાં જ્યાં સુધી માનવતા ન આવે, સદગુણો પ્રાપ્ત કરીને તે આપણો સ્વભાવ ન બને ત્યાં સુધી આપણે કેવળ શરીરથી માણસ છીએ એટલું જ. માણસ બાળકરુપે જન્મે છે. પછી તેનાં અંગઉપાંગોનો, કર્મેન્દ્રીયોનો અને જ્ઞાનેન્દ્રીયોનો વીકાસ થતાં થતાં તે શરીરથી માણસ બને છે, પરન્તુ ખરું જોતાં બુદ્ધી અને મનના વીકાસથી જ તેનામાં માનવતા આવે છે અને તે વધતી જાય છે. સદગુણોને લઈને બુદ્ધી અને મનનો વીકાસ પ્રકટ થાય છે. તે સદગુણોની પુર્ણતા એ જ માનવતાની સીદ્ધી. તે માટે જ માણસનો જન્મ છે. આ સીદ્ધી જેને પ્રાપ્ત થઈ હોય તેને કોઈએ ‘નારાયણ’ કહ્યો હશે. આ કરતાં ‘નારાયણપણુ’ કંઈ વીશેષ નથી. ‘નારાયણપણું એટલે ‘ભગવાન’ નહીં. વીશ્વનાં સુત્રો ચલાવવાનું તેનું કામ નથી. સત્યની અને સદગુણોની ઉપાસના એ જ તેનું જીવનકાર્ય અને માનવતાની પુર્ણતા એ જ તેની જીવનસીદ્ધી.

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ –380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/– (ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/12/2021

4 Comments

  1. આ.કેદારનાથજીની ‘પ્રત્યક્ષ સજ્જનતા કરતાં બાહ્યાડમ્બર અને ચમત્કાર વીષેના ભ્રમને લીધે આપણા સમાજમાં આ વીષયમાં દંભ અને ભોળપણ વધતાં ગયાં છે’ સટિક વાતે ટૂંકમા સમજાવી અને માનવતાની સીદ્ધી સદગુણોની પુર્ણતા પ્રેરણાદાયી વાત

    ધન્યવાદ

    Liked by 1 person

  2. સદગુણોની પૂર્ણતા અે જ માનવતાની સીદ્ઘી ?
    સાથે સાથે પ્ુજ્ય કેદારનાથજી બીજા સવાલો પણ પૂછે છે….ઇશ્વરનો ભક્ત, ઇશ્વરનો દાસ, સદગુણસંપન્ન હોય છે ?
    આપણામાં માનવતાની, સદગુણોની વૃઘ્ઘિ શા માટે થતી નથી ? સદગુણ કોને કહેવા ? દુર્ગુણ કેમ ઓળખવા અે આપણે જાણીઅે છીઅે ? તેમણે ત્રણ શબ્દોને સદગુણના પ્રતિનીઘી જેવા લેખ્યા છે…તે છે…પ્રમાણિકતા, સત્યનીસ્થા અને કર્તવ્યબુઘ્ઘિ.
    લેખ ખંતથી વાંચી ગયો…..અને પરિણામ સ્વરુપ અેક ભક્તિ રચના મગજમાં આવી….આ રચનાના અેકે અેક શબ્દ જે માણસ પોતાના જીવનમાં ઉતારીને જીવે તે…માનવ જ બને..માનવતાને જ જીવે….માણસ…માનવતાનો પ્રતિનીઘિ જ બની જાય. સદગુણોની ઓળખ આ ભજનમાંથી મળી જ જાય છે. દુર્ગુણઈ તે સદગુણોથી વિરુઘ્ઘમા થતાં કર્મો જ હોય.
    નરસિંહ મહેતા રચીત….( હું આખુ ભજન જ લખુ છું.)

    વૈષ્ણવજન તો તેને કહીઅે, જે પીડ પરાઇ જાણે રે;
    પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે.

    સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
    વાચ, કાછ, મન નિશ્ચળ રાખે, ઘન ઘન જનની તેની રે.

    સમદ્રષ્ટિ અને તૃઽણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
    જિખ્વા થકી અસત્ય ના બોલે, પરઘન નવ ઝાલે હાથ રે.

    મોહ માયા વ્યાપે નહિ તેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે;
    રામનામશું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.

    વણલોભી ને કપટસહિત છે, કામક્રોઘ નિવાર્યા રે;
    ભણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ ઇકોતેર તાર્યા.

    આપણા પુરાણા ગ્રંથોમાં ઘણી પ્રભુ વિનંતિૉ મળે છે…દા.ત. ( ઋ. ૧: ૧૦; ૨૫ : ૧.)
    ભદ્રં નો અપિ વાતય મનો દક્ષમુત ક્રતમ્.

    ‘ હે દેવ, મારા મનને શુભ સંકલ્પવાળું બનાવો
    અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો
    અને અમારી બૂઘ્ઘિને શુભ વિચાર કરતી બનાવો. ‘
    અને…..
    આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:

    અમને કલ્યાણકારી કર્મો સર્વ દિશાઅેથી પ્રાપ્ત થતાં રહો. ( ઋ. ૧ : ૮૯ : ૧ )
    અને
    મનસ: કામમાકૂર્તિ વાચ: સત્યમશીય
    મારા મનના સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ,
    મારી વાણી સત્ય વ્યવહાર કરવાને શક્તિમાન થાઓ.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. ખરેખર , આ મુજબનું જીવન જીવવું જોઈએ. પર દુઃખે દુઃખી થાય તે માનવ ….

      Liked by 1 person

  3. Very learned article teaches us to be real human – Amrut Hazari has explained in short giving Narsinh famous full bhajan & Rugved quotes as below -:
    ( ઋ. ૧: ૧૦; ૨૫ : ૧.)
    1.ભદ્રં નો અપિ વાતય મનો દક્ષમુત ક્રતમ્.

    ‘ હે દેવ, મારા મનને શુભ સંકલ્પવાળું બનાવો
    અમારા અંતરાત્માને શુભ કર્મ કરનાર બનાવો
    અને અમારી બૂઘ્ઘિને શુભ વિચાર કરતી બનાવો. ‘
    અને…..
    ( ઋ. ૧ : ૮૯ : ૧ )
    2.આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વત:

    અમને કલ્યાણકારી કર્મો સર્વ દિશાઅેથી પ્રાપ્ત થતાં રહો.
    અને
    3.મનસ: કામમાકૂર્તિ વાચ: સત્યમશીય
    મારા મનના સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ,
    મારી વાણી સત્ય વ્યવહાર કરવાને શક્તિમાન થાઓ.

    Liked by 1 person

Leave a comment