સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે? (અંતીમ ભાગ–2)

‘સેક્યુલર સ્ટેટ’ એટલે શું? ધર્મ સાથે સેક્યુલરીઝમને શો વાંધો છે? સેક્યુલરીઝમનું મહત્ત્વ શું છે?

સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે?

(અંતીમ ભાગ)

– રમેશ સવાણી

[સેક્યુલર વેલ્યુઝ એટલે શું? શા માટે? (ભાગ–1) માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/01/28/ramesh-savani-49/ ]

રામાયણ, મહાભારતની કથાઓ હાલના પ્રશ્નો ઉકેલવા સમર્થ છે તેવું કથાકારો રટણ કરે છે. સમ્પ્રદાયો, ધર્મગુરુઓ, હમ્મેશાં સ્થગીતતા ઈચ્છે છે. તેઓ ભારપુર્વક કહે છે કે જીવવા માટે શ્રદ્ધા જરુરી છે. જીવવા માટે દર્શન, વીચાર જરુરી છે, શ્રદ્ધા નહીં, સ્થગીતતા નહીં, પ્રગતીશીલતા જરુરી છે. સેક્યુલર સ્ટેટ માનવકલ્યાણ વધારે અસરકારક રીતે કરી શકે. અશોક કે ગાયકવાડ જેવા રાજાઓ કે સામ્યવાદી શાસન માનવકલ્યાણ ન કરી શકે? ના. કારણ કે આ રાજયતંત્રોની મુળભુત વીચારણા માણસને હમ્મેશાં સાધન તરીકે ગણે છે, સાધ્ય તરીકે નહીં. માનવહીતને ગૌણ સ્થાન આપી, પોતાની વીચારસરણીને કે દૈવી પ્રેરણાને પ્રથમ સ્થાન આપે છે ત્યારે માનવકલ્યાણ ગૌણ બને છે. લોકશાહી સીવાયનાં શાસનતંત્રો કાં તો દૈવી અધીકારો કે પ્રેરણાથી શાસીત હોય છે અથવા કોઈ ચોક્કસ મુળભુતતાવાદી જડ વીચારસરણીથી માનવકલ્યાણને ચરીતાર્થ કરવું હોય તો તેને આભાસી માનવેતર પ્રલોભનોથી મુક્ત રાખવું પડે. ‘સેક્યુલર સ્ટેટ’ આ કામ સહેલાઈથી કરી શકે. ‘રીલીજીયસ નેશનલીઝમ’ નહીં. ‘સેક્યુલર નેશનલીઝમ’ જોઈએ. પાકીસ્તાનની રાષ્ટ્રીય ઓળખ ઈસ્લામ છે, જ્યારે ભારતની રાષ્ટ્રીય ઓળખ સેક્યુલરીઝમ છે.

ધર્મનીરપેક્ષ રાજ્યની ખોટી વ્યાખ્યાને આપણે અનુસરી રહ્યા છીએ. સ્મીથે કહ્યું કે ‘ધર્મનીરપેક્ષ રાજ્ય, એક એવું રાજ્ય છે, જેમાં વ્યક્તી તથા સંસ્થાને સમ્પુર્ણ ધાર્મીક સ્વાતન્ત્ર્ય હોય, એમાં દરેક નાગરીક પ્રત્યે તેના ધર્મથી નીરપેક્ષ રીતે જ વર્તાવ કરવામાં આવે, તે બંધારણથી કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલું ન હોય અને જે કોઈ ધર્મને ટેકો ન આપે, તેમ કોઈ પણ ધર્મમાં દખલ ન કરે.’ આ વ્યાખ્યા સેક્યુલર સ્ટેટના મુળભુત હેતુને જ મારી નાખે છે. વાસ્તવમાં રાજયે ધર્મમાં માથું મારવું જ જોઈએ. ધર્મના આદેશો માનવગૌરવને ભંગ કરનારા હોય, માનવઅધીકારો વીરુદ્ધના હોય ત્યારે સેક્યુલર સ્ટેટ મૌન ધારણ કરી શકે નહીં. લોકોનાં કોઈ પણ ઐહીક હીતો સાથે ધાર્મીક માન્યતાઓ સંઘર્ષમાં આવે, ત્યારે રાજ્યે ધાર્મીક ફરમાનોનું સમ્પુર્ણ ઉલ્લંઘન કરવું જ જોઈએ. ‘સર્વધર્મ સમભાવ’ના સીદ્ધાંત હેઠળ ધાર્મીક સ્વાતન્ત્ર્ય અને બીનદખલગીરીનો જરીપુરાણો રીવાજ પ્રભુત્વ ધરાવે છે જેથી પ્રજાહીત જોખમાય, સામાજીક ન્યાય અને માનવગૌરવનું ખંડન જ થાય. સર્જક રમણ પાઠકના મતાનુસાર ‘સેક્યુલર સ્ટેટ’ એટલે : (1) રાજ્યવ્યવસ્થાનું સર્વોપરી સર્વપ્રથમ અને અંતીમ ધ્યેય પ્રજા સુખાકારી જ હોય. તેથી આ ધ્યેયપ્રાપ્તીને આડે આવતી તમામ પ્રવૃત્તીઓ ઉપર, ધાર્મીક પ્રવૃત્તી સહીત, સમ્પુર્ણ પ્રતીબંધ હોય. (2) રાજ્યની સમગ્ર પ્રજાને એક જ નામે ઓળખવામાં આવે, એટલે કે ધાર્મીક લેબલ વડે જ્યાં કોઈ પણ જુથને ઓળખવામાં ન આવે, અર્થાત્ પ્રજાનો કોઈ ભાગ ક્યો ધર્મ પાળે છે એ બાબતની સમ્પુર્ણ અવગણના કરવામાં આવે. (3) રાજ્ય કોઈ પણ પ્રકારના પારલૌકીક સુખ કે હીતમાં માને નહીં અને આવી પારલૌકીક કે આધ્યાત્મીક પ્રાપ્તીની દૃષ્ટીએ થતી પ્રજાની તમામ પ્રવૃત્તી ઉપર પ્રતીબંધ મુકવામાં આવે. (4) રાજયની સર્વોપરી સત્તા કોઈ પણ ધર્મમાં માનતી ન હોવી જોઈએ અને એના આશ્રયે કશો ધાર્મીક કાર્યક્રમ યોજાય. મંત્રીઓ, પ્રધાનો, ન્યાયાધીશો, ગવર્નરો કે રાષ્ટ્રપતી કોઈ જાહેર ધાર્મીક કાર્યક્રમમાં ભાગ ન લે. (5) ધર્મને ધોરણે કોઈને લાભ કે ગેરલાભ ન અપાય. (6) રાજયતન્ત્ર કેવળ પ્રજાના ઐહીક સુખોની જ દરકાર કરે, તેમાં કોઈ કાનુન કે કોઈ વ્યવસ્થા એવાં ન હોય, જે ધાર્મીક હીતોના સમર્થક હોય. (7) જાહેર ધાર્મીક પ્રવૃત્તી પર પ્રતીબંધ હોય. (8) ધાર્મીક શીક્ષણ આપવા પર પ્રતીબંધ હોય. ધાર્મીક સંસ્થાઓને શીક્ષણ સંસ્થા સ્થાપવાની મનાઈ હોય. શીક્ષણ સંસ્થાઓમાં પ્રાર્થનાઓ રાખવા પર પ્રતીબંધ હોય. અભ્યાસક્રમોમાં ધર્મ, પંથો કે ધર્મપુરુષોનો ઉલ્લેખ પ્રતીબંધીત હોય.

સેક્યુલરાઈઝેશનનો અર્થ ‘સેક્યુલર પરીસ્થીતી’ સુધી પહોંચવાની પ્રક્રીયા છે. આ પ્રક્રીયા ધર્મને સેક્યુલર વીરોધી ગણીને જાહેર કે રાજકીય જીવનમાં તેનો ક્રમશ: હ્રાસ થાય તેમ ઈચ્છે છે. એટલું જ નહીં, સેક્યુલરાઈઝેશન એવા કોઈ પણ ‘વાદ’ કે ‘વીચારસરણીઓ’નો હ્રાસ કરવાનું ઈચ્છે છે કે જે ‘માનવ’ને ગૌણ બનાવી તેનો સાધન તરીકે ઉપયોગ કરે. ધર્મ સાથે સેક્યુલરીઝમને મુખ્ય વાંધો આ કારણે જ છે.

એક ગેરસમજણ એવી છે કે સેક્યુલરીઝમ એ બહુધર્મવાસી દેશમાં દરેક ધર્મનું અસ્તીત્વ ટકાવી રાખીને, પ્રજાને શાંતીપુર્ણ સહઅસ્તીત્વ પુરું પાડવાનું એક સાધન છે. વાસ્તવમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ સેક્યુલરીઝમ એટલું જ પ્રસ્તુત છે જેટલું અનેક ધર્મો પાળતી પ્રજામાં. તુર્કી અને મેક્સીકો આનાં ઉદાહરણો છે. ભારતમાં સેક્યુલરીઝમ કોમી સંઘર્ષ કે તનાવ નીવારવાના નીષેધક પરીબળ તરીકે નહીં; પરન્તુ વાસ્તવીક પ્રજાકલ્યાણના ધ્યેય તરીકે વીચારવાનું છે. ‘સર્વધર્મ સમભાવ’ના મુદ્રાલેખવાળા સેક્યુલરીઝમ વીના ભારત નાશ પામશે, ટુકડા થઈ જશે એ ખ્યાલ ગેરસમજવાળો છે. ઐહીક બાબતોની આડે જ્યારે ધર્મ કે ધાર્મીક ક્રીયાકાંડો આવે ત્યારે સેક્યુલર સ્ટેટ દ્વારા તેનો વીરોધ કરવો જ જોઈએ, પ્રતીબંધ મુકવો જ જોઈએ, ‘સર્વધર્મસમભાવ’ના બહાના હેઠળ સામાજીક અને રાજકીય જીવનમાં ધાર્મીક પ્રદુષણ ચલાવી લેવાય નહીં, ‘રથયાત્રા’ કે ‘તાજીયા’ ચલાવી લેવાય નહીં. પછાત કે અશીક્ષીત સમુદાયને પરમ્પરાગત જીવનશૈલી મુજબ જીવવાની કહેવાતી સ્વતન્ત્રતા આપવી એ આપખુદ સત્તાને કાયમ ટકાવવાનું એક સુનીયોજીત ષડ્યન્ત્ર છે. ઓરવેલ ‘1984’માં કહે છે કે પછાતવર્ગોને તેમના તમામ ધાર્મીક ક્રીયાકાંડોમાં રાજ્ય નીરપેક્ષ છે તેવી ખાતરી અપાતી. પાર્ટીનું સુત્ર હતું. ‘પછાતો અને પ્રાણીઓ મુક્ત છે.’ આમ કોઈની હાનીકારક જીવનશૈલીમાં તટસ્થ રહેવું કે મદદરુપ બનવું એ પણ એક વ્યવસ્થીતપણે રચાતા આપખુદ તન્ત્રના કાર્યક્રમનો એક ભાગ છે.

પ્રખર રાષ્ટ્રવાદી મહમદ કરીમ ચાગલા પોતાની આત્મકથામાં નોંધે છે : ‘આજે સેક્યુલરીઝમ આપણા બંધારણમાંથી ભુંસી શકાય તેમ નથી. તે તો અક્ષય છે. કાયદાના ખ્યાલ અનુસાર સેક્યુલરીઝમનો અર્થ છે, કાયદા સમક્ષ સૌની સમાનતા અને કાયદાના અમલમાં એક નાગરીક અને બીજા નાગરીક વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ ન હોય. સૌને સમાન તક મળે અને નાગરીકોમાં પ્રથમ વર્ગના અને બીજા વર્ગના એવા વર્ગીકરણ ન હોય, પણ મારા મતે સેક્યુલરીઝમમાં આ કરતાં ઘણું વધારે છે. સેક્યુલરીઝમ મનનું એક વલણ છે અને હૃદયનો એક ગુણ છે. તે સ્વભાવની, દૃષ્ટીબીન્દુની અને લાગણીની પણ એક બાબત છે. સેક્યુલર દૃષ્ટીકોણવાળો મનુષ્ય બીજી વ્યક્તીઓને માત્ર મનુષ્ય તરીકે જ જુએ છે. હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી તરીકે નહીં; પણ કેવળ એક માનવી તરીકે જુએ છે.’

સેક્યુલરીઝમનું મહત્ત્વ કબીરના શબ્દોમાં જોઈએ :

જો તોહી કર્તા વર્ણ વીચારા,
જન્મત તીન દંડ અનુસારા.
જો તુમ બ્રામ્હન બ્રામ્હની જાએ,
ઔર રાહ તુમ કાહે ન આએ.
જો તુ તુરક તુરકીની જાયા,
પેટે કાહે ન સુનત કરાયા.

જો સર્જનહારે જ તારી જાત નક્કી કરેલી હોત તો શુદ્ર, બ્રાહ્મણ, મુસલમાન ત્રણે જુદી જુદી લાકડીઓની જેમ જુદા જ જન્મ્યા હોત! અરે, જો તુ જન્મથી જ શ્રેષ્ઠ બ્રાહ્મણીને પેટે જન્મેલો બ્રાહ્મણ હોય તો તું આ દુનીયામાં જનેતાની કુખને બદલે બીજે કોઈ ખાસ રસ્તેથી શા માટે ન આવ્યો? અને જો તું જન્મથી જ મુસ્લીમ સ્ત્રીને પેટે મુસલમાન જન્મ્યો હો તો પછી જનેતાના પેટમાં હતો ત્યારે જ શા માટે તારી સુન્નત કરાવી ન લીધી? અર્થાત્ આ બાહ્ય કોમ ને ધર્મના ભેદો વ્યર્થ છે.

(સમાપ્ત)

–રમેશ સવાણી

શ્રી રમેશ સવાણી લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 31–01–2022

4 Comments

  1. જ્યારે ભારતની રાષ્ટ્રીય ઓળખ સેક્યુલરીઝમ છે.
    Not true at all.
    It was included in Constitution by Indira Gandhi in emergency when opposition leaders where jailed. In original constitution this secular word was not there.
    Thanks

    Liked by 1 person


  2. ‘સેક્યુલરીઝમ મનનું એક વલણ છે અને હૃદયનો એક ગુણ છે. તે સ્વભાવની, દૃષ્ટીબીન્દુની અને લાગણીની પણ એક બાબત છે. સેક્યુલર દૃષ્ટીકોણવાળો મનુષ્ય બીજી વ્યક્તીઓને માત્ર મનુષ્ય તરીકે જ જુએ છે. હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી તરીકે નહીં; પણ કેવળ એક માનવી તરીકે જુએ છે.’
    ખૂબ સુંદર પ્રેરણાદાયી આદર્શવાદી વાત જે કબિર જેવા અનેક સંતોએ કરી છે ! અનેકોએ અપનાવી પણ છે. સાંપ્રત સમયે ‘સેક્યુલરીઝમ’ શબ્દ બદનામ થયો છે.જેનો અર્થ દરેક પોતાની રીતે પોતાને લાભ થાય તે માટે કરે છે.
    આ વાત કાયદાના કડક વલણથી નહીં પણ સમજાવટથી થઇ શકે.

    Liked by 1 person

  3. ખુબ સુંદર લેખ. ધન્યવાદ અને આભાર ગોવીન્દભાઈ આપનો તથા રમેશભાઈનો. જો ભારત ધર્મનીરપેક્ષ રાજ્ય હોય તો હીન્દુ ધર્મ અને ઈસ્લામ ધર્મ અનુસાર અંગ્રેજોએ બનાવેલા કાયદા હજુ કેમ ચાલુ રહ્યા છે? દુનીયાના બીજા કોઈ દેશમાં આ રીતે જુદા જુદા ધર્મ અનુસાર કાયદા ખરા? કાયદા તો બધાને એકસરખી રીતે લાગુ પડવા જોઈએ, નહીં કે ધર્મ મુજબ.

    Liked by 1 person

  4. વાહ સવાણી સાહેબ, ખરેખર આવી સુંદર સેક્યુલારીઝમની વ્‍યાખ્‍યા પહેલી વાર જોઇ – જાણી. સેક્યુલારીઝમ અને ધર્મ એક સાથે ટકી શકે નહીં અને જ્યાં વિરોધ થાય ત્‍યાં ધર્મએ સેક્યુલારીઝમને નમતું આપવું જોઇએ એવો સાર નીકળેે છે.
    ભારત એવું સેક્યુલર ક્યારે થશે?

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s