ઠાકોરજીનથી થાવું ઘડવૈયા મારે

શું સંતવાણીના નામે કથાકાર બાવાઓ આપણને ‘ભક્તીરસ’ના નશામાં ડુબાવી દે છે? શું આપણે જગતના ચૌટામાં વધુમાં વધુ કામચોર, દંભી, ઈર્ષ્યાખોર અને સ્વાર્થી છીએ? શું પપુધધુઓ વગર મહેનતે સમાજનું લોહી ચુસતાં પેસ્ટ (જંતુ) કે જળો (પેરેસાઈટ) છે?

ઠાકોરજીનથી થાવું ઘડવૈયા મારે

–ભગવાનજી રૈયાણી 

મારી રોજનીશીની તારીખ ૨૩ જુલાઈ, 2009માંથી એ જ દીવસે કોઈક છાપામાં વાંચેલી નોંધ છે :

દુઆ ભી તકદીર બદલ સકતી હૈ. સમસ્યાઓસે પરેશાન તુરંત સમાધાન.
ખુલ્લા ચેલેન્જ – બારાહ ઘંટેમેં 100 ટકા સમાધાન ગારંટી કે સાથ.
જૈસે નૌકરી, કારોબારીમેં લાભ, કર્જમુક્તી, પ્રેમવીવાહ, પ્યારમેં ધોખા,
સૌતન પરેશાની, શત્રુ પરેશાની, તલાક, ગૃહકલેશ, કોર્ટ મેટર, સંતાન પ્રાપ્તી,
કરણી બાધા, મુઠકરણી એવં વશીકરણ એ ટુ ઝેડ તુરંત સમાધાન.
●સ્પેશ્યાલીસ્ટ આદીલ શાહ, બાંદરા (વેસ્ટ)●

છાપાની આ સ્લીપ મેં બાંદરા પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ ઈન્સ્પેક્ટરને આપીને આ બાબાની ધરપકડ કરીને જેલમાં નાખવાનું કહ્યું. ત્યાં તો ‘હપ્તા’નું રાજ હતું.

આપણા દેશની વાત કરીએ તો અસાધારણ વૈજ્ઞાનીક પ્રગતીની સાથે સાથે વહેમ અને અન્ધશ્રદ્ધા સમાંતર ચાલે છે. અમુક વૈજ્ઞાનીકો રોકેટ અને સેટેલાઈટ ચઢાવતા પહેલાં પુજા કરે છે. જેમને આપણે સેટેલાઈટમેન કહીએ છીએ એવા આપણા ટોચના વૈજ્ઞાનીક અને રાષ્ટ્રપતી (2002–2007) અબ્દુલ કલામ લીખીત ‘ટર્નીંગ પોઈન્ટસ’ પુસ્તીકા મારી સામે પડી છે. છેલ્લા પ્રકરણનું મથાળું છે ‘આફ્ટરવર્ડ’. જેમાં તેઓ ઑક્ટોબર, 1999ની મધરાતે કોઈ આચાર્ય મહાપ્રજ્ઞના આશીર્વાદ લેવા જાય છે. તેમણે સત્યસાંઈબાબાના આશીર્વાદ પણ મેળવ્યા છે.

વહેમ અને અન્ધશ્રદ્ધાને નાથવાનો સમગ્ર ભારતનો સૌથી અસરકારક કાનુન મહારાષ્ટ્રમાં છે. ‘હ્યુમન સેક્રીફાઈસ એન્ડ અધર ઈનહ્યુમન, એવીલ એન્ડ અઘોરી પ્રેક્ટીસીસ એન્ડ બ્લેક મેજીક એકટ, 2013’.

આ કાયદો લાવવાનો યશ માત્ર અને માત્ર એક જ વ્યક્તીને જાય છે જેમનું નામ છે ડૉ. નરેન્દ્ર દાભોલકર. એમની ‘અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’એ આવો કાનુન લાવવા માટે સરકારને સમજાવવા માટે દસ વરસ સુધી શેરીઓમાં ઉતરીને આખા રાજ્યમાં લડત ચલાવી. કાયદો બનાવવાનું બીલ તો ધારાસભા પાસે 2005માં જ આવી ગયું; પણ અન્ધશ્રદ્ધાળુ પક્ષો અને પ્રતીપક્ષોએ એને સતત અટકાવ્યા કર્યું. 20મી ઓગસ્ટ, 2013નો એ કાળો દીવસ. બાઈક પર બે મારાઓ આવ્યા અને ધડાધડ ગોળીઓ છોડીને સરીયામ રસ્તા પર ડૉ. દાભોલકરની હત્યા કરી. સતારાવાસી ડૉકટરે ડૉક્ટરી છોડીને અન્ધશ્રદ્ધા સામે લડતાં લડતાં શહીદી વહોરી. ખુનીઓ હજી પકડાયા નથી.

સરકાર સફાળી જાગી અને એ જ વરસે આ વહેમ વીરોધી કાયદો બનાવ્યો. આવો જ કાયદો કર્ણાટક સરકારે બનાવ્યો. બીહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરીસા, રાજસ્થાન અને આસામમાં પણ આવા કાયદા બન્યા છે. ગુજરાત અને કેન્દ્ર સરકારને આવો કોઈ કાનુન બનાવવાનું હજુ સુઝયું નથી.

આપણે જાણીએ છીએ કે આવા કાયદાઓ અલમારીઓમાં ધુળ ખાતા પડ્યા રહે છે. કોઈ પણ દીવસે સવારના 6–7 વાગ્યે ટીવી ઓન કરો તો તમને સંતવાણીના નામે અડધો ડઝન ચેનલો પ૨ કથાકાર બાવાઓ ઉપદેશકોના રુપમાં જોવા મળશે. મારા તમારા કરતાં તેઓ વધારે વાક્પટુઓ હોય છે. ભગવાન, ધર્મ, કર્મ, નીતીમત્તા, માનવસેવા, પાપ, પાખંડ, પુજા, કર્મકાંડ, દેવ, દાનવ અને સ્વર્ગ-નરકની ભેળસેળીયા ભાષામાં પૌરાણીક કથાઓને તેઓ ટુચકાઓના મરી-મસાલા દ્વારા એવી રસાળ શૈલીમાં રજુ કરે છે કે આપણને ‘ભક્તીરસ’ના નશામાં ડુબાવી દે.

આવું બધું સાંભળીને ખરેખર આચરણમાં ઉતારીએ તો તો આપણે બધા નીતીમાન, સદાચારી, કામગરા, દેશપ્રેમી અને માનવતાવાદી બની જઈએ; પણ આપણે તો જગતના ચૌટામાં વધુમાં વધુ કામચોર, દંભી, ઈર્ષ્યાખોર અને સ્વાર્થી બનતા જઈએ છીએ.

પ્રાચીન સંસ્કૃતી અને સભ્યતામાં જ્ઞાનત્રીવેણી એની સોળે કળાએ ખીલી. વેદો, રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતા જેવાં સર્જનોની તોલે આવે એવાં સાહીત્યો ત્યારબાદ ક્યારેય સર્જાયાં નથી. ત્યારે બ્રાહ્મણો સીવાય કોઈને ભણવાનો અધીકાર નહોતો. તેઓ બધા ભણતા પણ નહીં અને ભણતા એ બધા કાંઈ વીદ્વાન નહોતા થઈ શકતા. તેઓ તો ‘દયા પ્રભુની’ કહીને લોટ માગીને કે પોતે પણ ન સમજી શકે એવા અગડંબગડં સંસ્કૃતમાં લગ્ન અને અન્ય વીધીઓ દ્વારા પેટ ભરતા. તેમને કોઈ ઉત્પાદક મહેનત તો કરવી હોતી નથી. પરમપુજ્ય ધર્મધુરંધરો જેમને અમે પપુધધુઓ કહીએ છીએ તેઓ વગર મહેનતે સમાજનું લોહી ચુસતાં પેસ્ટ (જંતુ) કે જળો (પેરેસાઈટ) છે, 95 ટકા.

દોઢસો વરસ પહેલાંનો જસ્ટીસ આર્નોલ્ડ દ્વારા અપાયેલ બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો યાદ કરશો તો તમારા રુંવાડાં ઉભાં થઈ જશે.

કરસનદાસ મુળજી નામના એક સમાજ સુધારક મુમ્બઈની એક હવેલીના મુખ્યાજી જદુનાથ મહારાજની દેહલીલાની સામે કોર્ટે ચડ્યા. ન્યાયાધીશ જોસેફ આર્નોલ્ડે ચુકાદામાં એવું લખ્યું કે વૈષ્ણવોમાં ખળભળાટ મચાવી દીધો.

મુખ્ય સાક્ષી ડૉ. ધીરજ રામે કહ્યું કે સેવકીઓ સાથેના વ્યભીચારથી એમને ચાંદીનું દર્દ થયેલું અને તેઓ મારી પાસે દવા કરાવવા આવતા.

આ ચુકાદામાંથી કંઈક શીખવાને બદલે આ દૈહીક ભ્રષ્ટાચારે તો હવે માઝા મુકી છે.

ખ્રીસ્તીઓના બીશપ, પેસ્તર્સ, એવાંજીકલ્સ ચાઈલ્ડ સેક્સમાં સંડોવાય છે. સ્વામીનારાયણ અને જૈન સાધુઓની ચારીત્ર્ય ભ્રષ્ટતાના જગજાહેર કીસ્સાઓ અને આગેવાનો દ્વારા થતા ઢાંક પીછોડાઓ પણ આમ વાત છે; પણ જેમનું દેશવીદેશમાં હજારો લાખો અનુયાયીઓનું નેટવર્ક છે એવા ‘મહાન’ ભગવાન બની બેઠેલા સેલ્ફ સ્ટાઈલ્ડ ગોડમેન વીશે અંતમાં થોડી વાત કરી લઈએ એ પહેલાં તાજેતરમાં જ વાંચેલા બે સમાચારોનાં મથાળાં વાંચી લઈએ :

નાગીન ડાન્સ કરીને કોરાના પર ઉપચાર : પોલીસે તાંત્રીકની ધરપકડ કરી.

ફ્રાંસના પત્રકારનો કટાક્ષ : ભારતમાં કરોડો દેવતાઓ, પરંતુ ઑક્સીજનનું ઉત્પાદન નથી કરી શકતા.

દીકરીઓને વાસનાથી અભડાવીને જેલયાત્રા કરનાર મહાત્માઓ.

સ્વામી પ્રેમાનંદે એક છોકરીને ગર્ભવતી બનાવી. એમના છ અનુયાયીઓએ 13 છોકરીઓ સાથે કુકર્મો કર્યા.

આશારામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ સેક્સકાંડમાં બન્ને જેલમાં.

સંત રામપાલના આશ્રમમાંથી પાંચ સ્ત્રીઓનાં શબ મળ્યાં.

પરમહંસ નીત્યાનંદે આરતી રાવ નામની મહીલા પર વર્ષો સુધી રેપ કર્યો.

સ્વામી અમૃત ચૈતન્ય ત્રણ કીશોરીઓને પોતાની વાસનાનો ભોગ બનાવી.

સ્વામી ભીમાનંદના આશ્રમમાંથી સેક્સ રેકેટ પકડાયું.

અમેરીકાની પ્રખ્યાત એકટ્રેસ મીયા ફેરોએ કહ્યું કે મહર્ષી મહેશ યોગીએ તેમની છેડતી કરી હતી.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ’ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ’ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.

‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 23 મે, 2021ના રોજ પ્રગટ થયેલ આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભુમી પ્રવાસી’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floor, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone: [O] (022) 2614 8872 eMail: fastjustice@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,   ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–02–2022

7 Comments

  1. દુઆ ભી તકદીર બદલ સકતી હૈ. સમસ્યાઓસે પરેશાન તુરંત સમાધાન.
    બારાહ ઘંટેમેં 100 ટકા સમાધાન ગારંટી કે સાથ.
    જૈસે નૌકરી, કારોબારીમેં લાભ, કર્જમુક્તી, પ્રેમવીવાહ, પ્યારમેં ધોખા,

    આવા ધતિંગ પાકિસ્તાન માં પણ થઈ રહ્યા છે અને પ્રગતિશીલ દેશો એટલે કે ઉત્તર અમેરિકા ના દેશો માં પણ થઈ રહ્યા છે. જ્યાં સુધી અંધશ્રદ્ધા માં માનનારાઓ નું અસ્તિત્વ હશે, ત્યાં સુધી આવા ધતીંગો ચાલતા રહેશે. મારા અનુભવ અનુસાર કેવળ અરબ દેશો માં આવા ધતીંગો પર સંપુર્ણ પાબંદી છે. ત્યાં કોઈ તકસાધુ આવી રીત ની જાહેરાતો કરી ને પોતાનો ગોરખ ધંધો નથી ચલાવી શકતો. કેનેડા માં તો એક ચર્ચ તરફ થી પણ આવી જાહેરાત પ્રગટ થયેલ હતી.

    Liked by 1 person

  2. ‘ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે’ શીર્ષક જોતા જ મનમા કવિ ‘દાદ’નુ રેશનલ ભજન મનમા ગુજ્યું
    મારે ઠાકોરજી નથી થાવું !
    ટોચોમાં ટાંચણું લઇ, ભાઇ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,
    ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..
    હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું.
    બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં; કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..
    પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
    કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..
    ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું.
    નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..
    બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
    શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..
    કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું.
    મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..
    મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું.
    રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને ‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..
    ભજનનો ભાવાર્થ નીચે મુજબ છે
    ટાંચણું લઈને પથ્થરમાંથી ઠાકોરજીની મૂર્તિ બનાવતા ઘડવૈયાને પથ્થર કહે છે મારે ઠાકોરજી નથી થાવું પણ યુધ્ધમાં મરાયેલા યોધ્ધાનો પાળિયો ( પાળિયો – શુરવીરના મરણસ્થાન પર ખોડાતો પથ્થર જ્યાં નાળીયેર વધેરાય છે) થાવું છે. એ કેવો યોદ્ધો ? કે જેનું માથું કપાય ગયા પછી પણ કાયામાંથી જીવ જતો નથી ને તેનું ધડ લડ્યા કરે છે.
    હવન, યજ્ઞ, જાપ કરીને મૂર્તિ સ્થાપના થાય છે એવી રીતે મારે નથી પધરાવું પણ એવા દીકરાના કુમળા હાથે પધરાવું છે કે જેણે પોતાના બાપનું મોઢું નથી જોયું. અહી કવિ, સગર્ભા પત્નીને મૂકી રણમેદાન પર મરનાર યોદ્ધાનો ઉલ્લેખ કરે છે. શહીદ બાપના મૃત્યુ બાદ જન્મેલા દીકરાના હાથે બાપનો પાળિયો થઈ ખોડાવું છે.
    ઠાકોરજીને પહેરાવાતા રંગીન વાઘામાં નથી વીંટળાવું પણ રણમેદાન ઉપર લડતા જે લોહી કાઢ્યા હતા તેના રંગ જેવા સિંદૂરે રંગાવું છે.
    ગોમતીજી, જમનાજી કે ગંગા ના જળથી નથી નહાવું પણ શુરવીર યોદ્ધાનો પાળિયો થઈ વિજોગણના આંસુડે નહાવું છે. અહી કવિ, પતિના પાળિયે જઈ આંસુ સારતી યુવાન વિધવાનો ઉલ્લેખ કરે છે.
    બંધ મંદિરમાં નથી પુરાવું પણ ખુલ્લા મેદાનમાં જાવું છે. બધા શુરવીરોની ખાંભીઓ (પાળિયા) સાથે ખોડાવું છે.
    ઠાકોરજી થઈ મારે કપટી જગતના ગીતોથી નથી ફુલાવું પણ સિંધૂડા રાગ સાંભળવા છે. સૌરાષ્ટ્રમાં ધીંગાણા (લડાઈ) ની શરૂવાતમાં ઢોલ શરણાઈનાં સિંધૂડા રાગ વગાડવામાં આવતા જે સાંભળી શૂરાઓમાં એવું જોમ ચડતું કે તેના મુડદાં પણ બોલવા લાગે. જુના રીવાજ મુજબ, સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં હોળી પછી પાળિયાઓ (શૂરા પુરા) પાસે સિંધૂડા વગાડવામાં આવે છે.
    મારે રંગબેરંગી મૂર્તિઓમાં નથી ચિતરાવું. રુદયામાં જ બધા રંગ ઘૂંટાયેલા છે તેને બહારના રંગોની જરૂર નથી.
    ‘દુઆ ભી તકદીર ….’સ્પેશ્યાલીસ્ટ આદીલ શાહ, બાંદરા (વેસ્ટ)ની જાહેરાત સામે ‘ત્યાં તો ‘હપ્તા’નું રાજ હતું’ જેવી વાતથી દુઃખ થયુ.રેશનાલીસ્ટ આ અંગે લાચારી અનુભવે છે!આપણા ટોચના વૈજ્ઞાનીક અને રાષ્ટ્રપતી અબ્દુલ કલામ .. મધરાતે કોઈ આચાર્ય મહાપ્રજ્ઞના આશીર્વાદ લેવા જાય છે. તેમણે સત્યસાંઈબાબાના આશીર્વાદ પણ મેળવ્યા છે.વાત અમને રેશનલ લાગે છે આ શ્રધ્ધાનો વિષય છે જેમા રાષ્ટ્રપતી અબ્દુલ કલામને શ્રધ્ધા હોય તેને અંધશ્રધ્ધા ન કહી શકાય
    ડૉ. દાભોલકરની અન્ધશ્રદ્ધા સામે લડતાં લડતાં શહીદી વહોરી તેમને કોટી વંદન .
    ઠગો દ્વારા અન્ધશ્રદ્ધા અને આચરાતા પાપો સામે લડવુ જરુરી છે પણ દરેક ધર્મોમા ઠગો દ્વારા અંધશ્રધ્ધા અને પાપાચાર કરે તે માટે સાધુ સંતો દ્વારા દરેક ધર્મમા સાધના કરાવી સદ માર્ગે વાળવામા આવે તેઓને બદનામ કરવા ન જોઇએ

    Liked by 1 person

  3. The greatest humanity and awakening the blind people I appreciate your job for removing the orthodox and dogmas of Brahmin culture

    Liked by 1 person

  4. Very thoughtful article make us aware of deep rooted Andhshraddha in society & heinous act of murder of Dhabkolkat ji.
    We all are aware of sexual harrasment by so called religious leaders since ages.
    Comments of French – thatvthese 33 crore dev can’t creat oxygen.
    Also as commented by our learned friends this “Badi’ is wide spread through out world except in nation where people are heavily penalised upto death.
    Thx Govindbhai for getting permission from author & concerned news paper to reprint for our awareness time to time .

    Liked by 1 person

  5. ખરેખર ખુબજ પ્રેરણાદાયી લેખ છે,જેમાંથી સમાજ ને યોગ્ય રાહ મળી શકે,
    ઘોડાઘણાં અંશે લગભગ બધા જ દેશો માં આવું ચાલતું હશે,પરંતુ આપણા દેશ માં આ કંઈક વધારે ચાલે છે,અને સૌથી મહત્વની બાબત તો એ છે કે ખુલ્લેઆમ લોકોને છેતરવાની જાહેરાત કરનારા ઓને કાયદા નો પણ કોઈ ડર નથી,અને જો કોઈ જાગૃત નાગરીક આ બાબતે કંઈક કાર્યવાહી કરીને તેના પાંખડ ને ખુલ્લો કરવાનો પ્રયાસ કરે છે તો બહુમત લોક તેની વિરુદ્ધ માં હોય છે,અનેઘણી વાર તો આવા જાગૃત માણસ ની ઉપર જીવલેણ હુમલાઓ પણ થતા હોય છે,જેમકે હમણાં જ સત્ય શોધક ના શ્રી પંડ્યા સાહેબ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, કોઈ ચોક્કસ કાનૂન ના હોવાથી તેને કોઈ ભય પણ નથી,
    માટે આવા લોકોના ખપ્પર માંથી બહાર નીકળવાનો રસ્તો યોગ્ય શિક્ષણ છે,શિક્ષીત માણસ થોડી ઘણી તો વિચાર સરણી ધરાવતો હશે એવી આશા રાખી શકાય

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s