લગ્નપુર્વે સેક્સનો અનુભવ જરુરી છે?

મારી પત્ની મારી નજીક આવવાનું ટાળે છે. કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. શું દરેક પાનમસાલા ખાનારના જીવનમાં આવું બનતું હશે? પત્નીને કઈ રીતે સમજાવવી? ડૉ. મુકુલ ચોકસીએ આજના ઉપક્રમમાં  15 પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે..

2

લગ્નપુર્વે સેક્સનો અનુભવ જરુરી છે?

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’1 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/04/11/dr-mukul-choksi-20/ ]

પ્રશ્ન : મારાં લગ્નને પાંચ વર્ષ થવા આવ્યાં છે. જ્યારે મારાં લગ્ન થયાં ત્યારે હું બાવીસ વર્ષની હતી. તેમ છતાં અત્યંત શરમાળ અને સંકોચશીલ હતી. પતી સાથે શરીરસુખ માણવા જેમ તેમ તૈયાર થતી. ક્યારેક આ કારણે અમારે ઝગડો પણ થતો. મને પોતાને જ ત્યારે સેક્સ અંગે વીશેષ રુચી નહોતી, પરન્તુ લગ્ન પછી ધીમે ધીમે એ રુચી કેળવાતી ગઈ અને આજે એટલી હદે આવીને ઉભી છું કે, મને નીયમીત જાતીયસુખ વગર ચાલતું નથી. તો શું હું વીકૃત થઈ જવા માંડી છું?

ઉત્તર : આપની અંગત ઘટના ઘણી સ્ત્રીઓના જીવનની અંગત ઘટનાને મળતી આવે છે. આ સ્ત્રીની જાતીયતાનું એક લક્ષણ છે, કે કામવાસના વર્ષો જતાં વધુ પ્રબળ બને છે. પુરુષોમાં મહત્તમ કામુકતા સોળથી એકવીસ એટલે કે શરુઆતનાં વર્ષોમાં જોવા મળે છે. અલબત્ત, આ સામાન્ય લક્ષણ છે. જેમાં અનેક અપવાદો સમ્ભવી શકે છે. આપની કામવીષયક જરુરીયાતને વીકૃતી ગણી શકાય નહીં.

પ્રશ્ન : મારી ઉમ્મર વીસ વર્ષની છે. ત્રણ વર્ષથી મારા એંગેજમેન્ટ થયા છે. મારા ફીયાન્સ સાથે હું ફરવા તથા ફીલ્મ જોવા જાઉં છું. તે મને સ્પર્શ તથા આલીંગન કરે છે. અમે સેક્સ ભોગવતા નથી. મારી મુંઝવણ એ છે કે, તે મને હોઠે ચુંબન કરતો નથી, સંકોચને કારણે હું પણ તેને તેમ કરી શકતી નથી. અથવા તેમ કરવા માટે આગ્રહ કરી શકતી નથી. હજુ લગ્નને તો ખાસ્સાં બે વર્ષની વાર છે. શું ત્યાં સુધી આમ જ રહેશે? તે આવું કેમ કરતો હશે?

ઉત્તર : જેમ સ્ત્રીઓ સંકોચશીલ હોય છે તેમ કેટલાક પુરુષો પણ સંકોચશીલ હોય છે. ચુંબન એ પ્રણયની આગવી અને સાહજીક અભીવ્યકીત છે. પણ કામસમ્બન્ધોમાં કોને ‘મર્યાદાપુર્ણ’ વ્યવહાર કહેવો અને કોને ‘મર્યાદા ઉલ્લંઘાયેલો’ વ્યવહાર કહેવો તે સ્પષ્ટ નથી. દરેકના મનમાં આ અંગે ચીત્રવીચીત્ર ખ્યાલો હોય છે. જેમ કે કેટલાંક એવું માને છે કે, ગુપ્તાંગોને સીધો સ્પર્શ ન કરવો, બાકી કંઈ પણ થઈ શકે. તો કેટલાંક માને છે કે, અનાવૃત્ત ના થવું. પહેરેલ કપડે ભલે ઉત્તેજીત થવાય. આપણું સેન્સર બોર્ડ એમ માને છે કે, હોઠથી હોઠ સાથેના સીધા ચુંબનનાં દૃશ્યો ઉત્તેજક કહેવાય પણ આજકાલ ફીલ્મોમાં આવતી ઢાંકપીછોડાવાળી અર્ધનગ્નતા ઉત્તેજક ન કહેવાય. જેઓ હજુ લગ્ન કરવાના બાકી પણ વીવાહ કે પ્રેમબન્ધનથી જોડાયેલા છે તેવાં યુગલોમાં આવી સમસ્યાઓ ઘણીવાર ઉદ્ભવે છે. કેમ કે બન્ને જણા અલગ પરીવેશમાંથી ભીન્ન સંસ્કાર, વીચાર લઈને આવ્યા હોય છે. બેમાંથી એક જણ એમ માને કે, ચુંબન કે સમાગમ કે જનન સ્પર્શ કરવામાં ખોટું નથી અને બીજી વ્યક્તી એમ માને કે, આવું ન કરવું જોઈએ. ત્યારે મુશ્કેલી ઉદ્ભવે છે.

પણ ખરું કારણ બેઉ વચ્ચેના કૉમ્યુનીકેશનનો અભાવ હોય છે. તમે આ વીષયની ચર્ચા કેમ નથી કરતા? તમારી લાગણી એમને સ્પષ્ટપણે જણાવો અને એ અંગે પૃચ્છા કરો એમાં કશું ખોટું નથી. ખરી મુશ્કેલી ત્યારે પડે છે, જ્યારે છોકરો કે છોકરી બેઉ સંકોચશીલ હોય અને બેઉ મનોમન એવું વીચારતા હોય કે, હું ચુંબન કે સેક્સની માંગણી કરી બેસીશ, તો મારો થનાર જીવનસાથી મારે માટે શું વીચારશે? આ તબક્કે આપ આટલું કરી શકો. પહેલું એ કે, તમારો થનાર પતી તમારામાં પુરતો રસ લે છે કે નહીં એ વાતની ખાતરી કરો. જો એમ હોય તો ચીંતાનું કોઈ કારણ નથી. તમને ચુંબન ગમે છે એ વાત એમને વાતવાતમાં જણાવી દો અને બની શકે તો જે વસ્તુની તમે તમારા ભાવી પતી પાસેથી મેળવવાની ઈચ્છા રાખો છો તે તેમને સામેથી આપવાની શુભ શરુઆત કરો. તમારાં બેઉ વચ્ચેનો ‘કૉમ્યુનીકેશન ગૅપ’ બરફની પાટ જેવો જણાય છે. એમાં તમે પહેલ કરીને એક નાની તીરાડ પાડો. કદાચ આખે આખી બરફની લાદી તુટી જશે. હા! જો આપનો થનાર પતી એમ માનતો હોય કે, લગ્નપુર્વે કશીય છુટછાટો લેવી ન જોઈએ, તો વાત અલગ છે; પણ આ વાતનીય બેઉ વચ્ચે સુમેળપુર્ણ ચર્ચા થઈ જવી જોઈએ.

પ્રશ્ન : શું સ્નાન કરતાં કરતાં સેક્સ માણી શકાય ખરો?

ઉત્તર : હા, પ્રયોગ ખાતર કોઈ એવું કરે તો એમાં નુકસાન નથી.

પ્રશ્ન : હું હજી હમણાં જ લગ્નગ્રંથીથી જોડાયો છું. મારી પત્નીને સહશયન બાદ નીર્વસ્ત્ર અવસ્થામાં જ ઉંઘી જવાની ટેવ છે. એનાથી કોઈ નુકસાન ખરું?

ઉત્તર : ના.

પ્રશ્ન : શું સમાગમ પુર્વે સ્તનો સાથે છેડછાડ–ચેષ્ટા કરવાથી તેની પુષ્ટતા ઓછી થઈ જશે?

ઉત્તર : ના.

પ્રશ્ન : મને રાત્રે જમ્યા પછી પાનમસાલા ખાવાની આદત છે. હમણાં જ ત્રીસ વર્ષની ઉમ્મરે મારાં લગ્ન થયાં છે. મારી પત્ની સારું ભણેલી છે. તે મારી નજીક આવવાનું ટાળે છે. કહે છે કે મારા મોઢામાંથી વાસ આવે છે. ખાસ કરીને ચુંબન અને વધુ નીકટતાની ક્ષણોમાં આવું બને છે. તે ખુબ અકળાઈ ઉઠે છે. શું દરેક પાનમસાલા ખાનારના જીવનમાં આવું બનતું હશે? પત્નીનાં જાતીય સહયોગ વગર જીવન અકારું લાગે છે. શું કરવું તે સમજાતું નથી. પત્નીને બહુ સમજાવી જોઈ પણ માનતી નથી. એને કઈ રીતે સમજાવવી?

ઉત્તર : આપની પત્નીને ખરેખર ત્રાસ થતો હોય એ શક્ય છે. જો પત્નીને આપના મોંમાંથી આવતી દુર્ગંધ સામે જ વાંધો હોય તો તમે તમારી આ (કુ) ટેવનો સમય બદલી શકો. એ બદલી શકાય એમ ન હોય તો જાતીય સમ્પર્કનો સમયબદલી શકો. મોઢામાં ઈલાયચી, આમળાં કે પીપરમીન્ટ જેવાં દુર્ગંધ રહીત વસ્તુઓ ટુંક સમય માટે રાખીને મમળાવી શકો. આપ પત્નીને ટેવાઈ જવા માટે સમજાવવાનું માંડી વાળો. કેમ કે ટેવ સુધારવાની વધારે જરુર આપને છે. બને તો કોઈ સારા વ્યસનમુક્તી કેન્દ્ર કે નીષ્ણાતની સલાહ લો. આપનું વ્યસન છુટશે તો પત્નીના સામીપ્ય સીવાય પણ બીજા અનેક ફાયદાઓ આપને થશે.

પ્રશ્ન : અમારી સુહાગરાત્રે સમાગમ વખતે પત્નીને સહેજ પણ લોહી નીકળ્યું નહોતું, તો મને શંકા છે કે, લગ્ન પહેલાં એને કોઈક સાથે સમ્બન્ધ હશે? શું દરેક કુંવારી સ્ત્રીને તેનાં જીવનનાં પ્રથમ મીલનમાં લોહી નીકળવું જરુરી છે?

ઉત્તર : યોનીમાર્ગનું મુખ એક પાતળા પટલ નામે ‘હાઈમેન’થી આચ્છાદીત થયેલું હોય છે. શરીરને માટે અન્ય કોઈ રીતે ઉપયોગી નથી એવા આ યોનીપટલ દરેક સ્ત્રીનાં યોનીમુખ ઉપર એકસરખી રીતે ફેલાયેલો જોવા નથી મળતો. તેનાં આકાર, કદ, લંબાઈ, પહોળાઈ વગેરે વ્યક્તીએ વ્યક્તીએ બદલાય છે. ક્રીબ્રીફોર્મ, એન્યુલર વગેરે જુદા જુદા પ્રકારનાં યોનીપટલો સમ્ભવી શકે છે. કેટલાક સમાજોમાં આ યોનીપટલ અક્ષત, વણભેદાયેલો હોવાનું જરુરી મનાય છે. અને લગ્ન સમયે જો સ્ત્રીનો યોનીપટલ ભેદાયેલો જણાય તો તેને પોતાને ઘરે પાછી વાળવામાં આવે છે. અથવા તો સજા કે હાંસીને પાત્ર બનાવવામાં આવે છે. અમુક પછાત જાતીઓમાં આવી સ્ત્રીઓને દંડરુપે રીતસર મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું પણ નોંધાયું છે. આધુનીક જપાન તથા ઈટાલી જેવા દેશોમાં આજે પણ ઘણા પ્લાસ્ટીક સર્જન યોનીપટલ (હાઈમેન)ની રીકન્કસ્ટ્રક્ટીવ સર્જરી કરીને તેને ફરીથી અક્ષત કરવામાં વ્યસ્ત રહે છે, જેથી જે તે વીવાહીત સ્ત્રીઓનાં પતીદેવો લગ્નની રાત્રે પોતાની પત્નીનું કૌમાર્ય ખંડીત થયું હોવાનું જાણી ન શકે.

પરન્તુ આ કરુણ વાસ્તવીકતા પાછળ રહેલી હકીકત એ છે કે, ડૉક્ટરો કેવળ સ્ત્રીને તપાસીને તે કુંવારી છે કે કેમ તે પુરતી ચોકસાઈપુર્વક કહી શક્તા નથી. યોનીપટલ અક્ષત હોય કે ભેદાયેલો હોય…. એ સ્ત્રીનાં જાતીય વર્તન વીશે યોગ્યપ્રકાશ નથી પાડી શકતો. કમનસીબે કેટલીક છોકરીઓ અધુરા યોનીપટલ સાથે યા ક્યારેક યોનીપટલ વીના જ જન્મે છે. વળી નાની ઉમ્મરે કસરતો, ઉછળકુદ, ભારે શારીરીક વ્યાયામ કે એવી હરકતોથી પણ યોનીપટલ ભેદાઈ જઈ યા તુટી જઈ શકે છે. યોનીમાર્ગમાં અંગુલી યા અન્ય પદાર્થોની અવરજવરથી પણ પટલ ખેંચાઈ જઈ શકે છે. યોનીમાર્ગમાં મોટા ટેમ્પુન્સ મુકવાથીય આવું થઈ શકે છે.

આથી ઉલટું, સમાગમ થયો હોય તેવી સ્ત્રીને યોનીપટલ ભેદાયો જ હોય તેવુંય જરુરી નથી. ક્યારેક પટલ સહેજ ખેંચાઈને જ રહી જાય છે.

આમ બેઉ રીતે જોતાં અક્ષત કે ભેદાયેલો યોનીપટલ ઉપરથી ‘અક્ષત’, ‘કૌમાર્ય’ કે ‘ખંડીત કૌમાર્ય’ પુરવાર કરવા ભલભલું કરવામાં આવે છે. આને લીધે અનેક સ્ત્રીઓ અકારણ સહન કરે છે. અને અનેક લગ્નો વીચ્છેદમાં પરીણમે છે. જેમાં યોનીપટલનું પરીક્ષણ ન થતું હોય અને પરસ્પરની વીશ્વસનીયતા ઉપર લગ્નજીવનનું મંડાણ થયેલું હોય એવી મનોદશાવાળા સમાજની રચના થવી જરુરી છે.

જેવું યોનીપટલનું છે તેવું જ સુહાગરાત્રે બ્લીડીંગ થવા/ન થવા અંગે તથા પીડા થવા/ન થવા અંગેનું છે. અમુક અજ્ઞાની પુરુષો ‘સ્ત્રીને પ્રથમ સમાગમે દર્દ કે રક્તસ્ત્રાવ થવા જ જોઈએ’– એવી પોતાની ખોટી માન્યતાઓને આધારે નીચી પાડે છે. અને તેણીએ ન કરેલી ભુલોની સજા તેને ફરમાવે છે. પોતાની પત્નીનાં યોનીપટલ પરીક્ષણ પરથી જ તેના ચારીત્ર્ય અંગે શંકા કરતા પુરુષોએ સમજવું જોઈએ કે, યોનીમાર્ગ દ્વારા સમાગમ કર્યા વીનાય સ્ત્રી ચરમસીમાએ પહોંચી શકતી હોય છે. અને સામે છેડે નાની ઉમ્મરે ક્યારેક અંગુલી દ્વારા કેવળ હસ્તમૈથુન જેવી નીર્દોષ પ્રક્રીયા કરનાર પણ અકારણ ગુનેગાર માનીને દંડાઈ જતી હોય છે.

પ્રશ્ન : મળોત્સર્જન દરમીયાન વીર્યનાં એક બે ટીપાં નીકળી જાય છે. હું હજી નાનો છું અને કુંવારો છું તો આમ થતું અટકાવવા શું કરવું એ જણાવશો.

ઉત્તર : આ પ્રશ્ન સમજવામાં પ્રો. ડૉ. પ્રકાશ કોઠારીએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમના કહેવા મુજબ ભારતીય શૌચાલયોમાંની બેઠક–વ્યવસ્થાને કારણે આમ બને છે. ઉભડક બેસવાથી પગોનું દબાણ મળમાર્ગ ઉપર અને ત્યાંથી યુરેથ્રા પ્રોસ્ટેટ ઉપર આવે છે. બલ્બોયુરેથ્રલ, કાઉપર્સ વગેરે ગ્રંથીઓમાંથી દ્રવેલી ચીકાશ અહીં એકઠી થયેલી હોય છે. જે દબાણ આવતાં મુત્રમાર્ગે ટીપે ટીપે બહાર નીકળી આવે છે. વીદેશમાંની શૌચ–બેઠક વ્યવસ્થા અલગ (કમોડ) પ્રકારની હોવાથી ત્યાં આવું બનતું નથી. એટલું જ નહીં. ભારતીય શૌચાલયમાં પુરુષ મળોત્સર્જન વખતે નીચું જુએ છે. આથી તે ચીંતીત થાય છે. વીદેશમાં કમોડ વ્યવસ્થાને લીધે પુરુષો સામે જુએ છે. આથી ‘જોવાને કારણે થતી’ આ કહેવાતી બીમારીથી તેઓ બચી જાય છે.

આપે આ અંગે કશું જ કરવાની જરુર નથી. ચીંતા પણ નહીં.

પ્રશ્ન : શું વીર્ય પીવાથી પૌરુષ વધે છે? તથા જાતીય તાકાતમાં વધારો થાય છે ખરો? આવો પ્રયોગ મારા કેટલાક મીત્રો કરે છે. તો શું એમ કરવું સલાહભર્યું છે?

ઉત્તર : જી, ના. આવી કોઈ શક્તી વીર્યમાં હોવાનું જણાયું નથી. હકીકતમાં પૌરુષ એ એવી સંકુલ વસ્તુ છે જે કોઈ ખોરાક ખાવા–પીવાથી વધતું કે ઘટતું નથી. આથી આમ કરવાની સલાહ આપી શકાય નહીં.

પ્રશ્ન : મારાં લગ્ન ટુંક સમયમાં થનાર છે. અધુરા ભણતરને કારણે મને શરીર સમ્બન્ધ કઈ રીતે થાય છે એ ખબર નથી. મારે એની વીગતો કઈ રીતે જાણવી?

ઉત્તર : સ્ત્રી–પુરુષનાં શરીર–મીલનને ચાર તબક્કાઓમાં વર્ણવી શકાય. પ્રથમ તબક્કો દેહાકર્ષણનો હોય છે. જ્યારે પતી–પત્ની એકમેકની નીકટ આવે છે. બન્નેના મનમાં કામવાસના જાગૃત થાય છે તથા દેહસંયોગની અદમ્ય લાલસા જાગી ઉઠે છે. બીજા તબકકામાં સ્ત્રી–પુરુષમાં અલગ અલગ અસર દેખાય છે. કામાસક્ત પુરુષ બીજા તબક્કામાં જનનેન્દ્રીયના ઉત્થાનનો અનુભવ કરે છે. અને સ્ત્રી યોનીમાર્ગમાં સ્રાવ, ભીનાશ કે ચીકાશનો અનુભવ કરે છે. આ તમામ સમય સ્પર્શ, ચુંબન, આલીંગન, સાંનીધ્ય, શાબ્દીક વ્યવહાર તથા પરસ્પર હુંફની આપ–લેનો હોય છે. ત્યાર બાદ ત્રીજો તબક્કો યોનીપ્રવેશનો આવે છે. સ્ત્રી–પુરુષનાં જનનાંગો એકમેકમાં પ્રવેશ પામે છે, અને હળવા ઘર્ષણ સહીત ગતીશીલ બને છે. સમાગમની ક્ષણો આગળ વધે છે. અને આનન્દની તીવ્રતા વધતી રહે છે. છેવટે એ ક્ષણ આવી પહોંચે છે જ્યારે સ્ત્રી–પુરુષ (એક સાથે યા વારાફરતી) કામાનન્દની ચરમ સીમાએ પહોંચે છે. એ ક્ષણે પુરુષના વીર્યનું સ્ખલન થાય છે. પહેલા ત્રણ તબક્કાઓ સ્વૈચ્છીક હોય છે. જ્યારે ઓર્ગેઝમનો યા ચરમસીમાનો ચોથો તબક્કો અનૈચ્છીક રીતે, આપમેળે આકાર લે છે. સ્ખલન પુર્ણ થયા બાદ– પુરુષની જનનેન્દ્રીય શીથીલ થતાં જનનાંગો અલગ થાય છે. સ્ખલનની ક્ષણે ઝડપી બનેલા ધબકારા તથા શ્વાસોચ્છ્વાસ મંદ પડે છે. સ્નાયુઓમાં તણાવ ઘટે છે. અને સમાગમ પુર્ણ થાય છે. સામાન્યતઃ શરુઆતના સંવનનનો સમય લાંબો હોય છે. લગ્ન પુર્વે સમ્બન્ધ બાંધતાં યુગલો અથવા તો નવપરીણીતોમાં પહેલો તબક્કો કલાકો સુધીય ચાલી શકે. યોનીપ્રવેશ પછીનો તબક્કો કેટલીક મીનીટોમાં સમેટાતો હોય છે અને સ્ખલનનો તથા ચરણસીમાનો ગાળો સેકંડોમાં પુર્ણ થતો હોય છે. અલબત્ત, આમાં અનેક વેરીએશન્સ શક્ય છે.

પ્રશ્ન : અમે નવપરીણીત છીએ, પણ સમાગમ પહેલાં પ્રેમક્રીડા કરતાં અસ્વસ્થ થઈ જઈએ છીએ. કેમ કે મેં ક્યાંક વાંચ્યું છે કે, સ્ત્રીનાં સ્તનોને ચુંબન કરવાથી સ્તનનું કૅન્સર થઈ જાય છે. આ અંગે સાચી માહીતી આપશો.

ઉત્તર : શરીરના કોઈ ભાગને ચુંબન કરવાથી ત્યાં કેન્સર થતું નથી. સ્તન ઉપર પણ નહીં. યાદ રહે કે સ્તન એ શરીરના અન્ય ભાગ જેવો જ એક ભાગ છે.

પ્રશ્ન : મારા હમણાં જ મેરેજ થયા છે. મેં નીરોધ વાપરવાનું નક્કી કર્યું હતું. પરન્તુ મારો એક મીત્ર કહે છે કે, નીરોધથી તેને પોતાને નપુંસકતાની અસર આવી ગઈ હતી. આથી મેં તેનો ઉપયોગ ન કરવાનું નક્કી કર્યું છે. શું આ વાત સાચી છે કે, નીરોધના ઉપયોગથી નપુંસકતાની અસર આવી જાય છે?

ઉત્તર : ‘જી, ના.’ પુરુષના શીશ્ન ઉપર થોડી મીનીટો માટે એક લેટેક્ષનું કે પાતળા રબરનું આવરણ લગાડવાથી તે નપુંસક નથી થઈ જતો. આપને મળેલ માહીતી સદંતર ખોટી છે. મારા માનવા પ્રમાણે બન્યું હશે એવું કે, આપનો નવપરીણીત મીત્ર લગ્નના શરુઆતના ગાળામાં એકાદવાર નીષ્ફળ ગયો હશે. તે વખતે સંજોગવશાત્ પહેલીવાર જ નીરોધનો ઉપયોગ કર્યો હશે. આથી ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ જેવું થયું હોવું જોઈએ.

વાસ્તવમાં આવું એકાદવાર બનવા પાછળ કેટલાંક ચોક્કસ મનોવૈજ્ઞાનીક કારણો જરુર હોય છે. બને છે એવું કે, પ્રથમવાર નીરોધ વાપરનાર ઘણાં પુરુષો કામક્રીડા પણ પ્રથમ વાર માણી રહ્યા હોય છે. આથી તેઓ સ્વાભાવીક રીતે થોડા ચીંતીત હોવાના જ. નીરોધ કઈ રીતે પહેરવું તે ઘણાંને ખબર નથી હોતી. આથી પહેરતી વખતે થોડી ઘણી ગુંચવણ ઉભી થાય છે. તેમાં સમય લાગે છે. વળી બરાબર પહેરાયું હશે કે કેમ તે અંગે સહેજ શંકા પણ રહે છે. આ બધાંને કારણે મન બીજે વળે છે. ડીસ્ટ્રેકટ થાય છે. જેથી ક્ષણીક પરસ્પરની કામરમતોમાંથી મળતો જાતીય આનન્દ ઘટે છે અને જેને લીધે શીશ્ન ક્ષણેક ઢીલું પડેલું લાગે છે.

જે વ્યક્તી શરીરના આ સાહજીક રીસ્પોન્સને સમજીને આગળ વધે છે, તે ફરી પાછો પુનઃ કામક્રીડાનાં આનન્દમાં પરોવાઈ શકે છે અને સફળતાપુર્વક કામક્રીડાની પુર્ણતાના આરે પહોંચી શકે છે. જેને પોતાના શીશ્નોત્થાનને પળભર મંદ પડેલું જોઈને ચીંતા થઈ આવે છે તેને જ મુશ્કેલી પડે છે. આમ નીરોધ પોતે નહીં પણ તેને કારણે આવેલું ધ્યાનભંગ/ડીસ્ટ્રેકશન સમસ્યારુપ બને છે.

અહીં સહેજ આડવાત કરી લઈએ કે, ફક્ત નીરોધ જ નહીં… અન્ય એવી ઘણી વસ્તુઓ–પ્રવૃત્તીઓ–પરીસ્થીતીઓ હોય છે જેને કારણે વ્યકીતનું ધ્યાન કામાનન્દને બદલે બીજે દોરવાય છે અને જે ક્ષણીક સેક્સની સમસ્યા સરજી શકે છે. જેમ કે શયનખંડના દરવાજા ઉપર ટકોરા થવા, પ્રણયકેલી વખતે ફોન રણકવો, પતીપત્ની વચ્ચે કોઈક વાતની શાબ્દીક ટપાટપી થવી, બહાર કોલાહલ થવો, આસન નક્કી કરવામાં છેલ્લી ઘડીએ ગુંચ થવી, કોઈ અન્ય વ્યવહારીક કામ યાદ આવવું. આ યાદી ખુબ મોટી થઈ શકે; પણ એવા તમામ કીસ્સામાં સૌથી વધુ યાદ રાખવા જેવી વાત એક જ છે કે, આવા કશાય ડીસ્ટ્રેકશન કે ધ્યાનભંગથી કાયમી નપુંસકતા આવી જતી નથી.

પ્રશ્ન : મારી પ્રેયસી મારા કરતાં છ વર્ષ મોટી છે. શું અમે લગ્ન કરીએ તો સેક્સ ભોગવવામાં સફળ થઈશું ખરાં? કે કોઈ મુશ્કેલી આવશે?

ઉત્તર : સેક્સની સફળતા કે નીષ્ફળતાનો આધાર પતી–પત્નીની ઉમ્મરના તફાવત ઉપર નીર્ભર નથી હોતો, સીવાય કે એ તફાવત ખુબ મોટો હોય. તમારી ઉમ્મર વચ્ચેનો તફાવત સામાન્ય ગણાય. વાસ્તવમાં ઘણાં સમાન ઉમ્મર ધરાવતાં યુવક–યુવતીઓ પણ જાતીય સમસ્યાઓથી પીડાતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય પાંચ–સાત વર્ષનો તફાવત હોવા છતાં આનંદીત સેક્સલાઈફ વ્યતીત કરતાં હોય એવાંય ઘણાં દંપતી જોવા મળશે.

પ્રશ્ન : મને લીંગના ઉત્થાનની તકલીફ છે. મને એક મીત્રએ જણાવ્યું છે કે, લીંગ પર ટાઈટ રબરબૅન્ડ બાંધવાથી આ સમસ્યા હલ થઈ જાય છે. શું આ વાત સાચી છે?

ઉત્તર : બીમારી માટે ઘરેલુ નુસખાઓ અજમાવી જોવાની વૃત્તી ક્યારેક જોખમી સાબીત થઈ શકતી હોય છે. શીશ્નોત્થાન માટે રબરબેન્ડ વાપરવાની પદ્ધતી એનું એક દેખીતું ઉદાહરણ છે. હા– આ પદ્ધતી લીંગના રુધીરાભીસરણના સીદ્ધાંત મુજબ અવશ્ય કાર્ય કરે છે. લીંગમાં ધમનીઓ દ્વારા લોહી પહોંચે છે, જેને લીધે ઉત્થાન આવે છે. આ લોહી શીરાઓ દ્વારા લીંગમાંથી શરીરમાં પાછું ફરે છે–જેને લીધે શીશ્ન તેનું ઉત્થાન ગુમાવે છે અને સંકોચાઈ જાય છે. હવે જો બાહ્ય દબાણ દ્વારા કેવળ લોહી પાછું લઈ જતી ધમની દ્વારા લીંગમાં ઉત્થાનને ટકાવવામાં મદદ કરી શકે; પરન્તુ જો આમ કરવામાં યોગ્ય તકેદારીઓ રાખવામાં ન આવે તો ધમનીમાં પણ રુંધાઈ શકે. જેથી લીંગને લોહી મળતું જ અટકી જાય અને નુકસાન થઈ શકે. આમ રબરબૅન્ડનો પ્રયોગ પણ મર્યાદીત ધોરણે નીયમાનુસાર કેવળ તબીબી માર્ગદર્શન હેઠળ જ થવો જોઈએ પણ એના કરતાં વધુ અસરકારક અને બીનજોખમી સારવાર પણ ઉપલબ્ધ હોય છે એ માટે આપ તજજ્ઞની સલાહ લો તો વધુ સારું.

પ્રશ્ન : મારાં લગ્ન આવતે વર્ષ થવાના છે. મેં હજુ સુધી ક્યારેય કામક્રીડાનો અનુભવ લીધો નથી. મારા મીત્રો કહે છે કે, લગ્ન પહેલા સેક્સનો અનુભવ લીધેલો હોવો જોઈએ તો જ ફાવટ અને આવડત આવે. તેઓ બધાંએ પણ લગ્ન પહેલાં ઓળખાણ–પીછાણમાં કે ધંધાદારી સ્ત્રી સાથે સંગ કર્યો હતો. મને ચીંતા થાય છે કે, મેં આવું નથી કર્યું તો મારું શું થશે? વળી હજુ તો મારા વીવાહ પણ થયા નથી! તો શું મારે લગ્નપુર્વે સ્ત્રીસંગ કરવો જ પડશે?

ઉત્તર : જરુરી નથી. સેંકડો લોકો પોતાની જીંદગીનો પ્રથમ સેક્સ લગ્ન પછી જ માણે છે. તેઓ બધા જ કંઈ તકલીફમાં નથી મુકાઈ જતા. પ્રી–મરાઈટલ સેક્સ (લગ્નપુર્વેનો કામ સમ્બન્ધ) આપણા સમાજમાં અવશ્ય પ્રર્વતે છે. પણ જરુરી નથી કે, તેઓ જ લગ્નજીવનમાં સફળ થઈ શકે અને બાકીના નીષ્ફળ! વળી કુદરતી રીતે યૌનસમ્બન્ધ બંધાઈ જાય તે વાત અલગ છે અને જાણીબુઝીને કેવળ ‘મીત્રોના કહેવાથી’ ચેક કરવા સમ્બન્ધ બાંધો તે અલગ વાત છે! જો તમને કોઈ સ્પષ્ટ જાતીય કે ગુહ્યાંગોની દેખીતી બીમારી ન હોય તો આવા કશાય ચેકીંગની જરુર નથી. ઉલટું, ઘણીવાર ચીંતાતુર અવસ્થામાં કેવળ લેવા ખાતર આવો અનુભવ લેવા જવાથી નવી સમસ્યાઓ ઉભી થતી હોય છે. તમે ધીરજ ધરો. તમારી વાગ્દત્તા સીવાય અન્ય કોઈ સાથે અનુભવ લેવાની ઉતાવળ ન કરો. અને મીત્રોની વાતને ઝાઝી ગણતરીમાં ન લો.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL M. CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT–395 007. Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail  : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–04–2022

6 Comments

  1. ડૉ. મુકુલ ચોકસીએ ૧૫ જાતીય પ્રશ્નોના ઉત્તરો આપવા બદલ ધન્યવાદ
    સામાન્ય વ્યક્તીઓને આમાના ઘણાખરા પ્રશ્નોના સાચા ઉકેલ ખબર ન હોય અને તેઓ ખોટી દોરવણીથી પોતાને શારીરિક અને માનસીક નુકશાન કરે છે . કોને ‘મર્યાદાપુર્ણ’ વ્યવહાર કહેવો અને કોને ‘મર્યાદા ઉલ્લંઘાયેલો’ વ્યવહાર કહેવો તે અંગે સમાજના પણ ચોક્કસ ધોરણ નથી તેથી આવા પ્રશ્નો વધુ ગુંચવાય છે. તેઓએ આવા નિષ્ણાતોની સલાહ લેવી જોઇએ. હવે તો ઘણી ખરી સલાહો વિનામુલ્યે મળે છે.
    આવા પ્રશ્નો રેશનલ ગણાય ? તેની ફીકરમા રેશનલ વિચાર ધરાવનાર પણ આવા પ્રશ્નો છેડતા નથી ત્યારે ‘અભીવ્યક્તી’મા આ લેખો છાપવા બદલ શ્રી ગોવીંદભાઇને ધન્યવાદ

    Liked by 2 people

  2. Informative and logical view-point! Even for me (75+), it clarified some of my mis-perceptions (as we never discuss this with anyone)! Thank Dr. Mukul Choksi!

    Liked by 2 people

  3. અભિવ્યક્તી બ્લોગ ઉપર પ્રશ્નો અને લેખક ડોક્ટર મુકુલ ચોકીના ઉત્તરો વાંચીને આ કોમેંટ મુકેલ છે.

    Liked by 1 person

  4. સ્નેહીશ્રી, ગોવિંદભાઇ,
    આ કેવા વિષયો ઉપર તમે આવી ગયા ?
    લગ્ન કરવાના સમયે આવેલા યુવાનોને માટે છે ? અભિવ્યક્તિના મોટેભાગે
    વાંચનારાઓ પરણિત હોય છે…અેવું મારું માનવું છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. BHAISHREE GOVINDBHAI MARU,
    SEX BABATMA DOCTOR MUKUULBHAI CHOKSHINA JAVAB BAHUJ SUNDER RITE SACHOT JAVAB
    APPYA CHHE,TE KHAREKHAR AVKARVA LAYAK ANE SARAL SAMAJVA LAYAK RAJU KARYA TE BADAL
    AAPNE DHANAYAVAD.
    DAREK PRASHNA BAHU SARAS RITE JAVAB SAMAJVA JEVA CHHE. SUHAGRAT AGATYA CHHE PAN AA
    BABATNI THODU JANAVU JARURI HOVU JOEYA.PARANAR VYAKTINE MITRO HOI CHHE ANE TEVONA ANUBHAVE HOI, AITLE TAMANE SAHELU RAHE.MA-BAAP PAN SAMAJAN AAPE !!
    AAJKAL GHANA PUSTAKMATHI PAN CHITRO HOI ANE SAMAJ MALI RAHE AVA ARICLE HOI CHHE.
    EUROPEMA AAJKAL SCHOOLMA SEX BABAT SAMAJ AAPVAMA AVE CHHE. AA BABAT KADACH AAPNA DESHMA AAVKARDAYAK RAHE TO AGATYNU CHHE. NANI UMARMAJ AVU BANEKE SAGARBHA BANI JAI, AITLE PAHELETHIJ SHIKHVAMA AVE TO VIDYARTHI SEX BABATMA SAMAJAN
    RAHE.
    AA MARO ABHIPRAYA CHHE. PRAJOPRATI MATE SEX JARURI HOI CHHE, SAMAGAM ANUBHAVE,
    SARA VICHARTHI BALKONI UTAPATHI SARI RAHE.BAKI TO AA DUNIYA AABJO VARSHOTHI CHALI AVE CHHE ANE CHALTI RAHE AVI SUBHEXA.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s