મૃત્યુ પછીની વીધીઓમાં પરીવર્તન શા માટે થતું નથી?

મરનારના પરીવારને હુંફ/સાંત્વનાની જરુર હોય કે દેખાડો કરવાની? માત્ર દેખાડો કરવો ઉચીત છે? લોકો શું કહેશે એની ચીંતામાં રીવાજોનો ત્રાસ સહન કરવો ઉચીત છે?

મૃત્યુ પછીની વીધીઓમાં
પરીવર્તન શા માટે થતું નથી?

–રમેશ સવાણી

જન્મ એ આનન્દ અને સર્જનનો વીષય છે; જ્યારે મૃત્યુ દુ:ખ અને વીસર્જનનો વીષય છે. 100 વરસની આસપાસ મૃત્યુ થાય તો સંતોષની બાબત છે. સગાં–સમ્બન્ધી/મીત્રોના મૃત્યુ સમયે અને પછીની વીધીઓમાં હાજર રહેવાનો એક સામાજીક રીવાજ છે. મૃત્યુના સમાચાર મળતા લાંબી મુસાફરી કરીને હાજર રહીએ છીએ. સ્મશાનયાત્રા, બેસણું, બારમું, પાણીઢોળ, ખાટલાવીધી,  અસ્થીકુંભ, જમણવાર, લીલ, મનોરથ વગેરે પ્રસંગે હાજર રહેવું પડે છે. પોલીસ વીભાગમાં કામ કરતા હો તો VVIP બંદોબસ્ત ચાલતો હોય/કોમી તંગદીલી હોય/આંદોલન ચાલતા હોય તો રજા પણ ન મળે. સર્વીસ ન કરતા હોય તેવી વ્યક્તીઓને બીજા પ્રશ્નો સતાવતા હોય છે. પરીણામે મૃત્યુ પછીની કોઈ વીધીમાં પહોંચી ન શકાય ત્યારે તે ટીકાપાત્ર બને છે!

સ્મશાનયાત્રા સમયે દોણીમાં સળગતા છાણાં લઈને જવાનો રીવાજ છે; તે હાલના સમયે જરુરી છે? ‘કાણ’માં ખોટું ખોટું રડવાનો રીવાજ છે; તે જરુરી છે? 500 કીલોમીટર દુર જઈને કોગળો કરીને પરત આવવાનું હોય તો એનો અર્થ શો? પોરબંદરમાં મૃત્યુ થાય તો અમેરીકા ફોન કરીને નાહી લેજો; એમ કહેવાનો શો અર્થ? પીપળે ટકો કરવવાની શી જરુર? પાણીઢોળમાં નાનકડી વાછરડીના પુંછડે પાણી રેડવાનો રીવાજ છે; તેનો શું અર્થ છે? કુંવારો દીકરો ગુજરી જાય તો લીલ પરણાવે છે; તે બીનજરુરી નથી? વૈષ્ણવો ‘ઢાઢી લીલા’/‘મનોરથ’ કરે છે; ભોજન કરે છે; તે યોગ્ય છે? ‘દાડો’ ઉચીત છે? નારાયણ બલીની વીધી શા માટે કરે છે? મૃતાત્માની શાંતી માટે કથાની વીધી જરુરી છે?

મરનારના પરીવારને હુંફ/સાંત્વનાની જરુર હોય છે, દેખાડાની નહીં. અનુકુળ સમયે, મરનારના પરીવારને હુંફ અને મદદ કરવી તે સગાંસમ્બન્ધીઓની ફરજ છે, તે નીભાવે તે આવકારદાયક છે; પરન્તુ માત્ર દેખાડો કરવો કેટલા અંશે ઉચીત? સુરતમાં રાત્રી બેસણા થાય છે અને તેમાં મોટી સંખ્યામાં હાજર રહેવાનો રીવાજ થઈ ગયો છે. બેસણામાં ન જઈએ તો આપણા બેસણામાં કોઈ ન આવે–એવો વીચાર શું યોગ્ય છે? મારા પીતા 94 વર્ષની ઉમ્મરે 9 જુલાઈ, 2020ના રોજ સ્વધામ પહોંચી ગયા. કોરોના મહામારીના અનુસંધાને પ્રાર્થનાસભા/બેસણું/કાણ વગેરે લૌકીક ક્રીયાઓ સંપુર્ણ બંધ રાખેલ હતી. સમય–સંજોગો મુજબ રીવાજોમાં પરીવર્તન કરવું જ પડે. સાત વર્ષ પહેલાં, 24 ફેબ્રુઆરી, 2013ના રોજ  મારા માતા ઉજીબા [84] અને પીતા જાદવબાપાના [86] જીવનપર્વ’ની ઉજવણી કરી હતી. તેથી તેમને સંતોષ થયો હતો. ‘જીવનપર્વ’ નીમીત્તે એક એમ્બ્યુલન્સ સેવા [મારુતીવાન] શરુ કરી. જે આજે 2022માં પણ ચાલુ છે. માતા–પીતાની હયાતીમાં તેમની ખુશી માટે જે કરવું હોય તે કરવું જોઈએ; તેમના મૃત્યુ પછીની કોઈ વીધીથી તેમને સંતોષ ન જ થાય!

રુઢીગત રીવાજોથી મરનાર પરીવાર ઉપર આર્થીક બોજો પડે છે. જમણવાર વગેરે રીવાજો  પાછળ જે ખર્ચ થાય છે, તેની પાછળ વ્યાજખોરોની દુકાન ચાલતી હોય છે. આવા રીવાજના કારણે શોષણનું ચક્ર ફરતું રહે છે. હાલના વ્યસ્ત જીવનમાં માણસ પોતાના માટે પણ સમય કાઢી શકતો નથી, ત્યાં રીવાજો માટે સમય કાઢવો અઘરો પડે. સગાં–સમ્બન્ધીઓ પ્રત્યે લાગણી જરુરી છે, રીવાજો પ્રત્યે નહીં! મૃત્યુ પછીની વીધી એક દીવસે જ પુરી કરવામાં આવે; તો મરનારના પરીવાર તથા તેમના સગા–સમ્બન્ધીઓને પણ રાહત રહે. દુ:ખની વાત એ છે કે વીડીયો કોલની સુવીધા હોવા છતાં રુબરુ કાણ–મોંકાણનો રીવાજ વધુ જોર પકડતો જાય છે! મને રૅશનાલીસ્ટ અને નીવૃત પ્રોફેસર જયંતીભાઈ પટેલનો નીયમ ગમ્યો છે; લગ્ન કે મૃત્યુનો પ્રસંગ હોય કે બીજા કોઈ સામાજીક મેળાવડા હોય, જ્યાં 40થી વધુ સભ્યો જમવાના હોય! ત્યાં તેઓ જતા નથી. મારા ગામની બાજુ ગામ–ખીજડીયામાં કોરોનાની બીજી લહેર વેળાએ મૃત્યુના સમયે ખરખરો રાખ્યો; લોકો એકત્ર થયા એથી કુટુંબના જ 6 માણસો ઉપર જતા રહ્યા! રીવાજ માણસને વીવેકહીન બનાવી મુકે છે! સવાલ એ છે કે મૃત્યુ પછીની વીધીઓમાં પરીવર્તન શા માટે થતું નથી? આપણને ધર્મની કાલ્પનીક વાતો ગમે છે; કથાકારોના ગપ્પાં ગમે છે; પરલોકનો રોમાંચ ગમે છે! લોકો શું કહેશે? એની ચીંતામાં રીવાજોનો ત્રાસ સહન કરીએ છીએ. રીવાજમાં સમય મુજબ પરીવર્તન થવું જોઈએ; પરન્તુ રીવાજ તો લકીરના ફકીર જ હોય છે! રીવાજમાં વીજ્ઞાન શોધીએ છીએ પણ વૈજ્ઞાનીક મીજાજનો અનાદર કરીએ છીએ!

–રમેશ સવાણી

તા. 8 જુન, 2022ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/groups/apnaaddagujarati/posts/5553985911331804/ )માંથી,  લેખકના અને ‘ફેસબુક’ના  સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–08–2022

14 Comments

  1. I could not have agree more with your ideas and observation. it’s an old adage that old habits are hard to break. In spite society has to make a rational decision and practical one. This whole system was designed by pandyas to make money. Hope socity will change. Thank you.

    Liked by 1 person

  2. માતા–પીતાની હયાતીમાં તેમની ખુશી માટે જે કરવું હોય તે કરવું જોઈએ; તેમના મૃત્યુ પછીની કોઈ વીધીથી તેમને સંતોષ ન જ થાય!👍🏼✅🙏🏿

    Liked by 1 person

  3. Wonderful, appropriate view-point … a wake-up call against many generations-old traditions that need to be analyzed and followed with reality!

    Liked by 1 person

  4. મૃત્યુ ૬ વર્ષ ના ગરીબ બાળક નું હોય કે ૯૬ વર્ષ ની મહારાણી નું હોય, એ મૃત્યુ જ લેખાશે, અને તે કુદરત નો તથા વિજ્ઞાન નો એક ક્રમ છે, જે આ વિશાળ સુષ્ટિ અસ્તિત્વ માં આવી ત્યાં થી ચાલતું આવી રહ્યું છે, અને ચાલતું જ રહેશે અને તેને કોઈ પણ રોકી નહિ શકે — વિજ્ઞાન પણ નહિ અને પંડિતો, મોલ્વીઓ, પાસ્ટરો પણ નહિ. જાદુ ની વિદ્યા કે આધ્યાત્મિક જ્ઞાન પણ મૃત્ય ને નહિ રોકી શકે.

    મૃત્યુ પછીની વીધીઓ દરેક ધર્મ માં ઘુસી ગયેલ છે, અને તે પાછળ સમય અને નાણા ની બરબાદી જ છે. તાજો દાખલો એ છે કે ૯૬ વર્ષ ની વયે મહારાણી નું મૃત્યુ થયું જાણે જગત પાર આભ તુટી પડ્યું અને વીધીઓ પાછળ અબજો ડોલર નું આંધણ થઈ ગયું.

    માનવજાતે બોધ લેવો રહ્યો કે મૃત્ય અટલ છે, અને તેને સ્વીકારી લો, અને મૃત્યુ પછી સમય અને નાણા ની બરબાદી ન કરો.

    મુસ્લિમ ધર્મશાસ્ત્ર ના એક શ્લોક માં કહેવામમાં આવેલ છે જેનો સાર એ છે કે ” માનવી માટી માં થી પેદા થયેલ, અને પાછો માટી માં જ જશે…………..”

    Liked by 1 person

  5. શ્રી રમેશ સવાણીનો-‘ મરનારના પરીવારને હુંફ/સાંત્વનાની જરુર હોય કે દેખાડો કરવાની? માત્ર દેખાડો કરવો ઉચીત છે? લોકો શું કહેશે એની ચીંતામાં રીવાજોનો ત્રાસ સહન કરવો ઉચીત છે?મૃત્યુ પછીની વીધીઓમાં પરીવર્તન શા માટે થતું નથી?’
    સ રસ લેખ…પણ હવે તો ઘણુ પરીવર્તન થયું છે. સંપૂર્ણ પરીવર્તન થતા વાર લાગશે.
    હવે દેહ દાનના વધુ ફોર્મ ભરાય છે .કોરોના કાળમા શરુ થયેલ ઝુમ પર શોક વ્યક્ત કરવાનો અને ફોન પર બેસણાની વિધી સામન્ય થતી જાય છે.મરનારના સગા વહાલાને સાંત્વન ,અળે તેવા સ્મશાનો થયા છે.
    થોડા ને તકલીફ પડી હોય તો ભ્રષ્ટ પત્રકારો તેના વીડીયો ઉતારી કમાણી કરે છે.
    કેટલા કવિઓ વાહ વાહ માટે શેર લખે
    દબાકે કબ્રમેં ચલે ગયે
    ન દુઆ ન સલામ…
    કંધા તક નહીં દેતા કોઇ હમારી લાશકો
    ખુદા કે દરબારમેં ભી ચલતે જાય ક્યા?

    Liked by 1 person

  6. બહુ સરસ Article -સમાજના કુ- રિવાજો પર પ્રહાર કરનારના Familyને બહુ Nuisances – put up કરવું પડે છે.

    Liked by 1 person

  7. આપની વાત તદ્દન સાચી છે પરંતુ આ બધું, હું પણ બ્રાહ્મણ છઉં, આ બ્રાહ્મણો નું કામ છે. બ્રાહ્મણોની આજીવિકા આ બધા આવા ધાર્મિક કાર્યો ઉપર જ હતી પછી મરણ માં પરણવા માં કે બીજી કોઈ પણ વિધિઓમાં બ્રાહ્મણ વગર વિધિ ન થાય બ્રાહ્મણ પોતાના 1000 રૂપિયા કમાવા માટે થઈને તમને દશ હજાર રૂપિયા નો ખર્ચ કરાવે હવે આજે એનું કમિશન વિચારો તો 1,000 થી વધીને ક્યાંય પણ પહોંચે એવી જ રીતે દસ ગણો તમારો ખર્ચ થઈ જવાનો પણ પોતાનું ધાર્યું કરવા માટે આ બ્રાહ્મણોએ લખેલી, કહેલી વાતો છે, શાસ્ત્રોમાં આવા કોઈ ઉલ્લેખ નથી બ્રાહ્મણોએ પોતાની આજીવિકા માટે અને પોતાના સ્વાર્થ માટે થઈને આવી બધી વિધિ વિધાનો ઉમેરાવી દીધા છે જેથી પોતાનું કામ ચાલે રાખે હવે આગે સે ચલી આતી એ એટલે બાપના કૂવામાં ડૂબી મરવા જેવી વાત છે રેશનલ વિચારધારા કોઈની છે નહીં આગે સે જલ્દી આપીએ એટલે કોઈ નવો વિચાર કરતું નથી બુદ્ધિનો ઉપયોગ કરતા નથી એટલે આ બધું આમ જ ચાલ્યા રાખવાનું છે પછી ડર. જેમ ભગવાન ની શોધ ડર માંથી થઈ એમ પિતૃઓનો ડર, અથવા તો ભૂત થઇ ને નડે તો આવગતિએ જાય તો? આ બધી માન્યતાઓ માણસો ના મગજ માં ઘુસાડી દીધી છે એટલે આમાં સુધારો આવવાની કોઇ શક્યતા જ નથી બુદ્ધિશાળી માણસો રેશનલ વિચારધારા ધરાવતા થાય તો જ આ બધું શક્ય બનશે નહીં તો હોતા હૈ ચલતા હે. આ અને અત્યારે જેમ માણસ પાસે પૈસા વધતો જાય છે, આવકના સ્ત્રોતો વધતા જાય છે એમ એનો ડર પણ વધતો જાય છે કદાચ આ પૈસો પાછો વયો જાય તો? એટલે આવા બધા ધાર્મીક, અંધશ્રદ્ધા ના કાર્યો વધતા જાય છે વધતા જવાના જ છે આપણે કશું જ નથી કરી શકવાના જોવો અને રોવો.

    Liked by 1 person

  8. આ ૨૧મી સદી છે. આ બધા રિવાજોમાં ધરમૂળથી ફેરફારોએ પગ પસેરો કરી લીધો છે. ગામડાઓમાં કદાચ ધીરો હશે પણ શહેરોમાં વાત ન પૂછો !

    ૧. દીકરીઓ અને ઘરની સ્ત્રીઓ સ્મશાને જાય છે. “કાંધ પણ આપે છે”.

    ૨. દીકરો ન હોય તો માતા અથવા પિતાને દીકરી અગ્નિદાહ આપે છે.

    ૩. બારમા યા તેરમાં ની પ્રથા બંધ કરી, માતા અને પિતા પાછળ વિદ્યા દાન કરે છે.

    ૪. રડવાનો, કાને જવાનો કે “મ્હોં વાળવાનો” રિવાજ બંધ થઈ ગયો છે.

    ૫. “બેસણું” કદાચ રાખે તો એક વખત “હોલ” ભાડૅ રાખી ત્યાં રાખે છે.

    ૬. એ દરમિયાન માત્ર ભજનની વ્યવસ્થા હોય છે.

    ૭. ” શોક પાળવાનો” એ તો જાણે ભૂતકાળની વાત બની ગયો છે.

    ૮. દરેક વ્યક્તિ માનસિક રીતે તૈયાર છે, ” મૃત્યુ’ એ સ્વભાવિક છે.

    ૯. જમણવાર ‘જીવતા ઉજવે” છે. કે મરનાર વ્ય્ક્તિ નિહાળે.

    ૧૦. બાકી જનાર પાછળ દુઃખ જેને થવાનું છે, એ રોકવું અશક્ય છે.

    Liked by 1 person

  9. આ બધા રિવાજોમાં ભણેલા પૈસાદાર વર્ગમાં હજુ પણ ચાલુ જ છે. પૈસાદાર વર્ગમાં મોટા મોટા બ્રાહ્મણ આજે પણ ખુબ પૈસા લઇ ઘરથી સ્મશાન સુધીની વિધિ કરાવે છે. જે મધ્યમ વર્ગમાં જોવા મળતું નથી. પણ ભવિષ્ય માં લોભિયા બ્રાહ્મણ જો મધ્યમ વર્ગમાં આ દુષણ ઘૂસાડે તો નવાઈ પામશો નહિ. મેં જાતે જોયેલું છે.

    Liked by 1 person

  10. સમાજમાં સમયે સમયે સુધારા આવે છે દરેક હવે સમય સાથે ચાલવા લાગે લાગે તે જરુરી છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s