સુન મેરે બંધુ રે… ભાઈ રમણ અને રમણભાઈ 

સૌથી મોટાં તે શકરીબહેન ઉર્ફે પુષ્પાબહેન, વચેટ તે બચુડો એટલે કે જેન્તી ને સૌથી નાનો તે શાંતી – રમણ. શાંતીયો તે રમણ ક્યારે થયો તે તો યાદ નથી. શાંતી એના સ્વભાવમાં જ નહીં, રમણભ્રમણ કરી મુકવાનો જ એનો સ્વભાવ.

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું બીજું–2

સુન મેરે બંધુ રે…
ભાઈ રમણ અને રમણભાઈ 

– જયન્ત પાઠક

અંતર્મુખ થઈને જરા અતીતમાં ઉતરી જાઉં છું તો દેખાય છે, કરડ નદીના કાંઠાનું એક ગામ, ગોઠ. ગોઠ ગામમાં પ્રવેશતાં જ ડાબે હાથે બે જોડાજોડ ઉભેલાં નાળીયેરી, ઘર ને… પેલાં ત્રણ ભાઈ–બહેન શકરી, બચુડો ને શાંતીયો. ત્રણે બાળકોના વચમાં બબ્બે વર્ષનું અંતર. સૌથી મોટાં તે શકરીબહેન ઉર્ફે પુષ્પાબહેન, વચેટ તે બચુડો એટલે કે જેન્તી ને સૌથી નાનો તે શાંતી – રમણ. અમારી ત્રીપુટીનાં મસ્તી–તોફાનથી ઘર, ગામ ને વગડો જીવતો–જાગતો. શેરીમાં રમવું. નદીમાં તરવું, ઝાડ ઉપર ચડવું, ડુંગરાઓ ને વગડો ખુંદવાનું અમારું કામ. શાંતીયો સૌથી નાનો તે રમણ ક્યારે થયો તે તો યાદ નથી; પણ પાંચેકની ઉમ્મરે એ નીશાળે બેઠો ત્યારે દફતરમાં નોંધાયું તે તો રમણલાલ હીમ્મતલાલ પાઠક એ ચોક્કસ. ‘રમણ’ નામકરણ પાછળ જે ફોઈબાનો હાથ હોય તે, એમને અભીનન્દન જરુર ઘટે છે. શાંતીલાલ નામ આ વ્યક્તીને શોભે એવું ત્યારેય નહોતું કે આજેય નથી. શાંતી એના સ્વભાવમાં જ નહીં, રમણભ્રમણ કરી મુકવાનો જ એનો સ્વભાવ. હું મનોવીજ્ઞાની કે સ્વભાવચીકીત્સક નથી; છતાં કોણ જાણે કેમ ત્રણ ભાઈઓ–લક્ષ્મીરામ, જયંત ને રમણ–માં મેં ત્રણ ગુણો આરોપી દીધા છે. લક્ષ્મીરામભાઈ – સત્ત્વગુણી, જયંત – તમોગુણી ને રમણ – રજોગુણી. બીજો એક ખ્યાલ પણ સ્થાયી થયો છે : અમારા ત્રણમાં રમણ સૌથી વધારે બુદ્ધીશાળી, તેજસ્વી વીલક્ષણ વીચાર ધરાવનારો. એની બુદ્ધીની વીલક્ષણતાનો એક પ્રસંગ ટાકું : અમારાં એકનાં એક ફોઈબા, દાદાની લાડકી દીકરી ને અવારનવાર પીયરમાં આવે. રમણ ત્યારે એકડો–બગડો શીખતો હતો. ફોઈબાએ સીલેટમાં એકડો કરી આપીને કહ્યું : ‘હવે એની નીચે બગડો કર. રમણ જેનું નામ! કહે : બગડો કરું; પણ એકડો કેવી રીતે ઉથામું? એકડાની નીચે બગડો કરવા માટે એકડાને ઉંચકવો પડેને! બસ મહાયુદ્ધ ચાલ્યું. અર્ધું રુદનમાં ને અર્ધું ક્રોધમાં, રમણ બોલતો જાય : ‘એકડો કેમ ઉથામું!’ કલાકો સુધી એણે ઘર માથે લીધું. તેજસ્વી બુદ્ધીવાળો રમણ ત્યારે તોફાની, કકળાટીયો હઠીલો ને ભણવા કરતાં માસ્તરને પજવવામાં પાવરધો.

આવા સ્વભાવને લીધે મારા કરતાં રમણને ભાગે બાનો માર ખાવાના પ્રસંગો વધારે આવે. બા પાસે ખાવાની કે એવી માગણી કરવાની હોય તો હું રમણને જ આગળ કરું ને બાનો ક્રોધ એને જ સહન કરવાનો આવે, મોટેરાં આ વાત જાણે, એટલે મને ‘શાણી બગલી’ કહે. પામવાનું મારે હોય; પણ માર ખાવાનો રમણને. આવું થાય ત્યારે રમણ ઘરમાંથી ભાગી જાય. બા મને શોધવા મોકલે. એકવાર મેં એને નદીકીનારે આવેલી એક ટેકરી પર બેઠેલો શોધી કાઢ્યો. અમે ઘણીવાર સુધી એકબીજા સાથે બોલ્યા નહીં; પછી હસતા રમતા ઘેર પાછા આવ્યા. બાનો જીવ હેઠો બેઠો.

રમણભાઈ વનવગડામાં મારી સાથે ફરે, નદીમાં તરે. ડુંગરાઓ ચડે, સીમ–ખેતરમાં રખડે; પણ મને હમ્મેશાં એવી લાગણી રહી છે કે આ બધામાં મને જે આનન્દ થતો તેનાથી કંઈ જુદું જ રમણ અનુભવતો. એને પહેલેથી જ મૌલીક વીચારવાની ટેવ, પ્રસંગમાં નહીં, પ્રસંગની આસપાસ જોવાની ટેવ. વર્ષો પછી મેં ‘વનાંચલ’માં મારા બાલ્યકાળની સ્મૃતીઓ લખી ત્યારે રમણભાઈએ એ જ બાલ્યકાળને કેન્દ્રમાં રાખીને ‘ઓથાર’ નવલકથા લખી. હું કદાચ મારી આસપાસની દુનીયાને વીસ્મય ને મૌગ્ધ્યથી જોતો હતો ત્યારે રમણમાં ભય, કુતુહલ ને જગતના વ્યવહારોનું વૈચીત્ર્ય ને વક્રત્વ પ્રવર્તતાં હતાં. બાળપણમાં બહારથી તોફાની ને બોલકો લાગતો હતો; પણ અંદરથી એ ઠાવકો ને વીચારશીલ હતો. એનું મન હમ્મેશાં કોઈ ગુંચમાં ને તેના ઉકેલમાં વ્યસ્ત રહેતું હતું એવી મારી છાપ છે.

બાળપણમાં પીતા ગુમાવ્યા પછી અમારા કુટુમ્બમાં એક પ્રકારની છીન્નભીન્નતાનો આરંભ થયો. બા, મોટાભાઈ, દાદા જેવાં વડીલો હતાં; પણ છેક છેવાડાના પ્રદેશમાં વસતા અમે મોટા થતા ગયા તેમ અનેક પ્રશ્નોમાં અટવાતા ગયા. ભણતરની સમસ્યા, આરોગ્યની સમસ્યા, આર્થીક સમસ્યા – અનેક સમસ્યાઓ વચ્ચે અમારે જીવવાનું આવ્યું. રમણે અનેક સ્થળે સગાંને ત્યાં રહી અભ્યાસ કર્યો. શરીર નબળું, મન અત્યંત સંવેદનશીલ, લગભગ રોગની હદે; પણ સ્વતંત્ર રીતે વીચારવા–વર્તવાની એની ટેવ અક્ષુણ્ણ રહી. અમારા કુટુમ્બમાં જેની સાથે સગાઈ કરવામાં આવેલી તે છોકરીને નહીં પરણાવાનું કહેનાર પહેલો છોકરો રમણ. તે કાળે ઘરનાં વડીલો ને સામેવાળાઓની લાગણીની પરવા કર્યા વગર રમણે ધરાર સગાઈ તોડી. આ પરાક્રમ તેણે ન કર્યું હોત તો સાહીત્યને ને કલાને જે સરોજ પાઠક મળ્યાં તે ન મળ્યાં હોત. એક સામાન્ય ઘરની પણ અત્યંત સંવેદનશીલ ને તીવ્ર બુદ્ધીમત્તા ધરાવતી સરોજ ઉદ્દેશી સાથે એણે માત્ર પ્રમલગ્ન જ ન કર્યું, એને ભણાવી ગણાવી, કેળવી, વીકસાવી એક મોટા ગજાની સાહીત્યકાર અને પ્રૉફેસર બનાવી. આ કાર્ય કરતાં એણે જે આર્થીક, સામાજીક, માનસીક વીટંબણાઓ વેઠી છે તે તે મારા જેવો જે જાણે તે જાણે. કૉલેજકાળમાં બાની કેન્સરની બીમારીમાં એણે ખડેપગે બાની સેવા કરી. મારો તો એ રાહબર. ઉમ્મરે નાનો પણ ડહાપણમાં અને સાહસમાં મારો મોટો ભાઈ. એની પાછળ પાછળ હું ફર્યો છું. એ મુમ્બઈ જાય ને મને બોલાવે, દીલ્હી જાય ને મને દીલ્હી બોલાવે. નવાં નવાં ક્ષેત્રોમાં સાહસ ખેડવાની એની હીમ્મત ગજબની. પત્રકાર થયો. આકાશવાણી પર રહ્યો ને છેવટે અધ્યાપક થયો. બધામાં એ હોશીયાર ગણાયો, પંકાયો. સાહીત્યમાં એણે વાર્તાઓ લખી. વીવેચનો કર્યાં, નવલકથા કરી, નાટકો ભજવ્યાં. ભાષામાં આજેય એના જેટલું જ્ઞાન ને સજ્જતા બહુ ઓછામાં. ખેડે તેની જમીનનો કાયદો આવ્યો ત્યારે અમે અમારા ભાગની બધી જમીન (પચાસેક વીઘાં, દરેકની) ખેડુતોને વગર વળતરે આપી દીધી. ઉહાપોહ થયો, પણ રમણ જેનું નામ, કરીને જ રહ્યો.

ને પછી તો રમણ રમણભાઈ પાઠકની માનવંત ને પ્રેમવંત સંજ્ઞા પામ્યો. આજે તો એ રૅશનાલીસ્ટોનો અગ્રણી, મહાબૌદ્ધીક સત્યશોધક તરીકે ગુજરાતમાં ને દેશમાં સુખ્યાત છે. નાનપણથી જ ગરીબો વચ્ચે જીવેલો તે એનામાં દુઃખીઓ પ્રત્યે અપાર સહાનુભુતી. સામ્યવાદ ભણી એનો ઝુકાવ જાણીતો, પણ પુરો વીવેકબુદ્ધીવાદી, ને છતાં લાગણીશીલતામાં એને કોઈ ન પહોંચે. અમારી વચ્ચેની અતુટ સમ્બન્ધસાંકળ તે આ લાગણી. એ મારો ભાઈ માત્ર નહીં, માત્ર મીત્ર નહીં, અમારાં કુટુમ્બીઓ કહે છે તેમ રામ–લક્ષ્મણની અમારી જોડીનો માત્ર લક્ષ્મણ નહીં. રમણભાઈ ને હું એટલે બે ખોળીયાં પણ જીવ એક. સ્વભાવે સાચાબોલો જ નહીં, આખાબોલો ને કદાચ કડવાબોલો પણ; પણ હૃદયનો નીર્મળ, ઉદાર, અપાર ક્ષમાશીલતા ધરાવનારો. અમે ઘણીવાર લડ્યા છીએ, ઝઘડ્યા છીએ, અબોલા સેવ્યા છે; પણ બધીવાર રમણની લાગણીની જ જીત થાય. કેટલીકવાર તો અમે કલાકો સુધી મુગા જ બેસી રહીએ; પણ એકના મનમાં શું ચાલી રહ્યું છે તેની બીજાને બરાબર ખબર હોય. અમારી વચ્ચે કોઈ આડપડદો નહીં. નાનામાં નાની વાત, નાનામાં નાનું પાપ અમે એકબીજાનું જાણીએ. હું પુછું તો રમણથી જુઠું બોલાય જ નહીં ને રમણ પુછે તો મારાથી ખોટું કહેવાય જ નહીં. હું સાહીત્યનો જીવ. મને એ એક જ ઈન્દ્રીયનું જ્ઞાન. પણ રમણભાઈ તો ભુગોળ ને ખગોળ, મનોવીજ્ઞાન, સેક્સ, નૃવંશશાસ્ત્ર ને તત્ત્વજ્ઞાન – બધું જ જાણે! એવી વાતોમાં હું એનો શીષ્ય. અમારી બે સમાન વૃત્તીઓમાં અતીત રાગ ને હાસ્ય. જુનું સંભારીએ એટલું જ નહીં, જુનાં સ્થળોને જોઈએ, જુનાં પરીચીતોને મળીએ. એને માટે રખડવું પડે તો રખડીએ. એકલા હોઈએ તો કલાકો સુધી હસીએ, ક્યારેક તો આખી રાત હસવામાં જ વીતી જાય.

આવો બહુરંગી માણસ જેને ભાઈ તરીકે સાંપડ્યો હોય તેના નસીબની તો વાત જ શી કરવી! મને થાય છે કે કોઈ અકસ્માતે કરીને આ દુનીયાનું બધું નાશ પામે પણ, રમણભાઈ ને હું હોઈએ તો અમને કશાની ખોટ ના સાલે. દુનીયા અને રમણભાઈ વચ્ચે પસંદગી કરવાની આવે, બેમાંથી એકને રાખવાની વાત આવે તો પેલો અંગ્રેજ જેમ શેકસ્પીયર રાખે ને સામ્રાજયને જવા દે તેમ હું પણ રમણભાઈને રાખું ને દુનીયાને જતી કરું.

રમણભાઈને પંચોતેર થયાં એ વાત એને જોઈને–સાંભળીને કોઈ ન માને. એ જ યુવાનની સ્ફુર્તી, વીચારોની નવીનતા ને તાજગી, કાર્યતત્પરતા, ઉંડા અવાજે મક્કમપણે બોલવાની છટા. પંચોતેર વર્ષ તે પંચાગમાં, રમણભાઈમાં નહીં, નહીં જ. આવા રમણભાઈને મીત્રો કેમ ના હોય! દુશમનો કેમ ના હોય! પ્રેમીઓ કેમ ના હોય! જીવનને એની પુર્ણતામાં જાણવું, માણવું, નાણવું ને સદા પ્રસન્નતાથી સૌને પ્રસન્ન કરવા એ એમનો જીવનમંત્ર. ચમત્કારોમાં નહીં માનનાર રમણભાઈ ખુદ કુદરતનો એક ચમત્કાર છે! એમને શુભેચ્છાઓ!

– જયન્ત પાઠક

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10/10/2022

 

3 Comments

  1. ગોઠ ગામમાં પ્રવેશતાં જ ડાબે હાથે બે જોડાજોડ ઉભેલાં નાળીયેરી, ઘર ને… પેલાં ત્રણ ભાઈ–બહેન શકરી, બચુડો ને શાંતીયો.

    આમ

    … પાંચેકની ઉમ્મરે એ નીશાળે બેઠો ત્યારે દફતરમાં નોંધાયું તે તો રમણલાલ હીમ્મતલાલ પાઠક એ ચોક્કસ.

    Liked by 1 person

  2. મા. ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું બીજું પાસું-‘સુન મેરે બંધુ રે…ભાઈ રમણ અને રમણભાઈ– જયન્ત પાઠક’તેઓના બાળપણની વાતોનુ શ્રી રજનીકુમાર પંડ્યા દ્વારા ખૂબ સ રસ સંકલન અમારા જેવા અનેકો અંગત સંબંધ રાખનારને પણ ન જાણતા તેવી વાતો માણવાની મજા આવી

    Liked by 1 person

  3. જયંત પાઠક નિ કલમેં તેમના લઘુબંધુ રમણ પાઠક ની વાતો બાળપણની અંગત વાતો અને જીવનના અલગ અલગ સમય એકબીજાને નિર્મળ સાથ સંગાથ આપ્યો અને સાચા બોલા કડવા બોલા આખાબોલા રમણભાઈ ના રેખાચિત્ર વાંચીને ખૂબ જ આનંદ થયો.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s