‘૨મણ પાઠકે તમામ મરણોત્તર વીધી કર્યો, તેઓ દંભી છે.’ – એવો પ્રચાર કેટલાંક વીરોધી તત્ત્વોએ કર્યો; ત્યારે ૨.પા.એ કેટલાક મીત્રો જોગ, સાવ અંગત રીતે પાઠવેલો એક પત્ર ટુંકાવીને. – સમ્પાદક, ‘રમણીયમ્’
પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું ત્રીજું–4
કેફીયત :
ગમે તો સ્વીકારો!
– રમણ પાઠક
1. સરોજ પાઠકના અવસાન પ્રસંગે જોરદાર અફવા હતી કે, એમણે આત્મહત્યા કરી છે. ઉપરાંત વળી, કેટલાક કાનમાં કહેતા કે, એના કારણમાં મારા તરફથી ગુજરતો ત્રાસ હતો. આવી પરીસ્થીતીમાં સ્વાભાવીક રીતે જ, હું આઘાતગ્રસ્ત, ભયગ્રસ્ત, શોકગ્રસ્ત ને મુઢ બની ગયેલો. હવે અંતીમવીધી અને તદંતર્ગત નનામી–સજાવટ એ બધુંય મારે જ કરવાનું. અન્ય કોણ કરે? સરોજ પાઠકનું પરીચીત વર્તુળ મોટું, અસંખ્ય સમ્બન્ધીઓ જમા થઈ ગયેલા. એમાં કેટલાંક વ્યવહારદક્ષોએ સમગ્ર કાર્યવીધીનો દોર સ્વયમેવ પોતાને હાથ લઈ લીધેલો. એમાં મારું કંઈ જ ચાલે નહીં અને હા…. ના કરવા જેવા કોઈ હોશકોશ મારામાં રહ્યા જ નહોતા. વળી, એય વધારામાં કે, જીવનમાં એ પ્રથમ જ ઘરનો મરણપ્રસંગ હતો.
પછી મરણોત્તર વીધીનો પ્રશ્ન આવે : દસમા, અગીયારમા, બારમા, તેરમા જેવા. મને એવું કંઈ જ કરવામાં શ્રદ્ધા નહીં; છતાં ફક્ત બે દીવસ, ફરીથી કહું કે ફક્ત બે જ દીવસ – અગીયારમા અને બારમાને દીવસે બ્રાહ્મણને ‘બનતી ઝડપે’ આવો વીધી પતાવવા વીનવ્યો. પછી એ કાર્યક્રમ સદંતર બંધ! કારણ કે મહેમાનો સર્વ ચાલ્યા ગયા હતા. તેરમાનો તો વીધી અગત્યનો ગણાય એ મુદ્દલે ન કર્યો અને એ પછી, આજપર્યંત એવો કોઈ પણ વીધી નહીં.
હવે મુદ્દાની વાત : આત્મહત્યાના શકને આધારે અનેક ભયંકર જોખમો ઉભાં કરી શકાય એવો વાસ્તવીક ભય, કારણ કે મારા વીરોધીઓ ઘણા. એ ઉપરાંત, એ સંદર્ભે વહેમો – ‘જીવ અવગતે ગયા’ જેવા વહેમો ઉભા થાય, જે મારી જીવનરીતી સાથે બહુધા અસમ્મત એવો સમાજ ઉભા કરે અને કંઈ નજીવુંય અનુચીત બને તો, દોષ મારી પુત્રીને માથે ઢોળે અને એને મહેણાંકટાક્ષ સાંભળવા પડે…. બસ. મુખ્ય કારણ આ જ. કારણ કે મારા સંતાનો માટે મને એટલે તો અસીમ પ્રેમ છે કે, એના અહીતનો અણસાર પણ હું અવગણું નહીં. મારે કારણે તો નહીં જ નહીં. એટલે ગમે તે ભોગ આપવા હું સદૈવ તત્પર, મને કોઈ રૅશનાલીસ્ટ કહે યા પરમ દંભી…. Who cares?
આવા બે દીવસના, ફકત દેખાવના ‘નાટક’ સીવાય, મેં કોઈ જ મરણોત્તર વીધી કર્યો નથી. ન ગીતા કે ગરુડપુરાણનું વાચન, ન મુંડન, ન બ્રહ્મભોજન, ન તેરમું, ચૌદમું યા પંદરમું કે ત્યારબાદ ન માસીયો (માસીક વીધી), વરસી (વાર્ષીક), શ્રાદ્ધ, ન પ્રાર્થનાઓ અને જમણ તો એક બ્રાહ્મણનુંય નહીં!
મતલબ કે, આ કોઈનીય લાગણીને માન આપવા જેવું ચીલાચાલુ બહાનું નહોતું. (આત્મહત્યા જેવી ઘટના ચીલાચાલુ હોય જ ક્યાંથી?) છતાં કેટલાક મીત્રો અપપ્રચાર ચલાવે છે; પરન્તુ Just I don’t care! આટલી સ્પષ્ટતા તો ફક્ત મારામાં વીશ્વાસ, સ્નેહ–આદર સેવતા મીત્રો માટે જ, સાવ અંગત રીતે અને વીશેષ તો રૅશનાલીઝમના હીતાર્થે; કારણ કે મારાં વ્યક્તીગત વીચાર–વર્તનથી આ મહાન માનવતાવાદી આંદોલનને હાની ન જ પહોંચવી જોઈએ.
2. ભગવા ધારણ કરીને આશ્રમમાં ચાલ્યો ગયો, એ વીશે થોડી ગેરસમજ પ્રવર્તતી સમજાય છે, તો સ્પષ્ટતા કરું કે, એ આશ્રમ તે વૃદ્ધાશ્રમ હતો – છે. (‘મુની સેવા આશ્રમ’ – ગોરજ) અને આજેય હું દૃઢપણે માનું છું કે, વૃદ્ધ વડીલે સંતાનો પર બોજારુપ બનવાને બદલે, વૃદ્ધાશ્રમમાં જ જઈ, વસવું જોઈએ. (એમાં આધ્યાત્મીકતાનો કોઈ પ્રશ્ન જ નથી.) પહેરવેશ થોડો વીચીત્ર હોવો જોઈએ – એવી મારી ધુન, એના અમુક લાભેય ખરા. એથી, જેમ આજે ગળે ટાઈ બાંધીને ફરું છું; એમ વૃદ્ધાશ્રમ માટે ભગવાં પસંદ કર્યાં. જો કે એથી ગેરસમજ થાય; માટે અન્ય કોઈ વીચીત્ર રંગ પસંદ કર્યો હોત તો બહેતર.
– રમણ પાઠક
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 12/12/2022
ર.પા.’આટલી સ્પષ્ટતા તો ફક્ત મારામાં વીશ્વાસ, સ્નેહ–આદર સેવતા મીત્રો માટે જ, સાવ અંગત રીતે અને વીશેષ તો રૅશનાલીઝમના હીતાર્થે; કારણ કે મારાં વ્યક્તીગત વીચાર–વર્તનથી આ મહાન માનવતાવાદી આંદોલનને હાની ન જ પહોંચવી જોઈએ.’આવો ખુલાસો ન હોત તો પણ તેઓને માટે સદા માન રહ્યુ છે.
તેઓની દરેક વાત સાથે સમ્મત ન હતા-મતભેદ હતો પણ મનભેદ કદી નહી
LikeLiked by 1 person
“‘મુની સેવા આશ્રમ’ – ગોરજ) અને આજેય હું દૃઢપણે માનું છું કે, વૃદ્ધ વડીલે સંતાનો પર બોજારુપ બનવાને બદલે, વૃદ્ધાશ્રમમાં જ જઈ, વસવું જોઈએ. (એમાં આધ્યાત્મીકતાનો કોઈ પ્રશ્ન જ નથી.) ”
“મારાં વ્યક્તીગત વીચાર–વર્તનથી આ મહાન માનવતાવાદી આંદોલનને હાની ન જ પહોંચવી જોઈએ.”
“મને કોઈ રૅશનાલીસ્ટ કહે યા પરમ દંભી…. Who cares?”🙏🙏🙏🙏🙏
LikeLiked by 1 person
અતી થી અતીત સુધી નો લાગણીસભર લેખ સાથે રેશાનાલીઝમ ને નુકશાન ન થાય અને પોતાના અણીશુધધ વિચારોની અવગણના કરી કાર્યક્રમ અરુચિ હોવા છતા લોકો ની બદનામ કરવાની અયોગ્ય વર્તન લીધે આત્મ ને ન ગમતુ કરવુ એજ ર.પા . વેદના જાણી દુખ્ થાય , Who cares.? But Do & Don’t વચ્ચે પીડાદાયક પ્રસંગ, કેડી .
LikeLiked by 1 person
ર. પા. વિષે ની અદ્ભુત જાણકારી આપી. ધન્યવાદ.
LikeLiked by 1 person