જળવાયુ પરીવર્તન : સ્વર્ગ અને નર્કના ત્રીભેટે ઉભેલી દુનીયા

શર્મ અલ–શેખની કૉન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતી તરીકે, 190 દેશો ‘લોસ એન્ડ ડેમેજ’ની જોગવાઈ પર સહમત થયા છે. એ અનુસાર, ભવીષ્યમાં જળવાયુ પરીવર્તનના કારણે આવનારી પ્રાકૃતીક આફતોથી ગરીબ દેશોમાં થનારા જાનમાલનું નુકશાન ભરપાઈ કરવા માટે ધનીક દેશો વૈશ્વીક ફંડ ઉભું કરવા સહમત થયા છે. ક્રાંતીકારી જોગવાઈ છે.

જળવાયુ પરીવર્તન :
સ્વર્ગ અને નર્કના ત્રીભેટે ઉભેલી દુનીયા

– રાજ ગોસ્વામી

અમેરીકાની એક યુનીવર્સીટીમાં ફીલોસૉફીના પ્રૉફેસર જ્યૉર્જ જેમ્સ, એકવાર ઉત્તરાખંડમાં ટીહરી ગઢવાલ જીલ્લામાં રહેતા ‘ચીપકો’ અંદોલનના પ્રણેતા (જેમાં વૃક્ષને કપાતું બચાવા માટે એને વળગીને ઉભા રહી જવાનું) સુંદરલાલ બહુગુણાને મળવા આવ્યા હતા. પ્રૉફેસરે તેમને પુછ્યું હતું કે, ‘મને જીવનની ફીલોસૉફી અને જીવનની ગતીવીધીઓ પાછળની પ્રકૃતીની ફીલોસૉફીમાં રસ છે. પર્યાવરણ માટે લડવાની પ્રેરણા તમને શેમાંથી મળે છે?

‘મારું સમગ્ર ચીંતન,’ સુંદરલાલે આંગળીના વેઢા ગણતાં જવાબ વાળ્યો હતો, “ત્રણ’ અને પાંચએફ’ પર ટકેલું છે. પહેલો ‘એ’ ઑસ્ટેરીટી (કરકસર) માટે છે. પૃથ્વી પર આપણે સરળતાથી જીવવું જોઈએ. બીજો ‘એ’ એટલે ઑલ્ટર્નટીવ (વીકલ્પ) : કરકસર શક્ય ન હોય તો વીકલ્પો શોધવા જોઈએ. ત્રીજો ‘એ’ અફોરેસ્ટેશન (વનીકરણ) માટે છે. પાંચએફ’ આપણા જીવન માટે અનીવાર્ય તત્ત્વો માટે છે, જે આપણને વૃક્ષો આપે છે; ફુડ (ખોરાક) ફોડર (ઘાસ), ફ્યુઅલ (ઈંધણ), ફર્ટીલાઈઝર (ખાતર) અને ફાયબર (રેસા).”

પ્રૉફેસરે તો પછી સુંદરલાલ સાથે વર્ષો સુધી નીયમીત વાતો કરી હતી. એમાંથી 2013માં એક સુંદર પુસ્તક આવ્યું, જેનું નામ હતું;  ‘ઈકોલૉજી ઈઝ પર્મેનન્ટ ઈકૉનૉમી’ (પર્યાવરણ કાયમી અર્થતંત્ર છે). સુંદરલાલ વર્ષોથી કહેતાં આવ્યા હતા કે પર્યાવરણનું તંત્ર દેશના અર્થતંત્રથી ઓછુ મહત્ત્વનું નથી, બલકે પર્યાવરણ હશે તો અર્થતંત્ર હશે. આજે દુનીયાને ભાન થવા લાગ્યું છે કે વધતું તાપમાન, દરીયાઓની વધતી સપાટી અને આત્યંતીક હવામાન વીશ્વના દેશોની સંપત્તીઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માનવીય સ્વાસ્થ્ય અને ઉત્પાદન ક્ષમતાને હાની પહોંચાડી રહ્યું છે. પરીણામે એની અસર અર્થતંત્ર પર પડી રહી છે.

માણસની એક તાસીર છે, એને લાંબા ગાળાના નુકસાનની અપેક્ષાએ ટુંકા ગાળાના ફાયદામાં વધુ રસ હોય છે. માણસને ખબર છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હાનીકારક હોય છે; છતાં તે વ્યસન અપનાવે છે, કેમ? કારણ કે તેને એ પણ ખબર છે કે વ્યસનનું નુકસાન ભવીષ્યમાં થવાનું છે; પણ તત્કાળ તો મજા જ મજા છે. વ્યસનીઓ વ્યસન નથી છોડી શકતા તેનું કારણ જ એ છે કે તેમને એક સીગારેટ કે દારુના એક પેગમાં નુકસાન નથી દેખાતું. ‘આજે પી લઉં, કાલે છોડી દઈશ’ એવી ચતુરાઈમાં તેનું નુકસાન વધતું જાય અને પછી ડૉક્ટરની શરણે જવાનો વારો આવે, ત્યારે મોડું થઈ ગયું હોય.

કંઈક આવું જ પર્યાવરણ અને જળવાયુ–પરીવર્તનના ક્ષેત્રમાં થઈ રહ્યું છે. દાયકાઓથી પુરી દુનીયામાં તેનું એટલું નુકસાન થઈ રહ્યું છે; છતાં માનવજાત પાસે ન તો તેને લઈને ગંભીર ચીંતા છે અથવા કોઈ નક્કર સમાધાન.

આ સન્દર્ભમાં, આ અઠવાડીયે શર્મ અલ–શેખ (ઈજીપ્ત)માં મળી ગયેલી ‘ક્લાઈમેટ ચેન્જ કૉન્ફરસ‘ (COP27– કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ ઑફ ધ યુએનએફસીસીસી), જળવાયુ પરીવર્તન સામેની વૈશ્વીક લડાઈમાં સીમાચીન્હરુપ સાબીત થવાની છે. તેમાં 190 દેશોના 90 વડાઓ અને 35,000 પ્રતીનીધીઓ ઉપસ્થીત હતા. આ કૉન્ફરન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘની નીશ્રામાં 1992થી કાર્યરત છે. આ કૉન્ફરન્સની રચના પૃથ્વી પર વીવીધ માનવીય પ્રવૃત્તીઓમાં ઈંધણ બળવાથી પેદા થતાં ગ્રીનહાઉસ ગેસ એમીશન પર કાબુ મેળવવા માટે કરવામાં આવી હતી.

શર્મ અલશેખની કૉન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતી તરીકે, 190 દેશોલોસ એન્ડ ડેમેજની જોગવાઈ પર સહમત થયા છે. એ અનુસાર, ભવીષ્યમાં જળવાયુ પરીવર્તનના કારણે આવનારી પ્રાકૃતીક આફતોથી ગરીબ દેશોમાં થનારા જાનમાલનું નુકશાન ભરપાઈ કરવા માટે ધનીક દેશો વૈશ્વીક ફંડ ઉભું કરવા સહમત થયા છે. આ ક્રાંતીકારી જોગવાઈ છે. વૈશ્વીક અર્થતંત્રની ખરાબ હાલત છે અને રશીયા–યુક્રેન યુદ્ધે નવા પડકારો ઉભા કર્યા છે તેમાં છતાં તમામ દેશો એક થઈને ભાવી આપદામાં કરોડો લોકોની મદદે આવવા તૈયાર થયા છે.

કૉન્ફરન્સની નીષ્ફળતા ગણાવવી હોય તો તે એ છે કે જીવાશ્મ ઈંધણ (ફોસીલ ફ્યુઅલ)નો ઉપયોગ બંધ કરવાના લક્ષ્ય પર સમજુતી ન થઈ શકી. આરોપ એવો છે કે ઈંધણના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓએ બહુ મોટું લોબીંગ કર્યું હતું અને એમાં તે સફળ નીવડી હતી. ઔદ્યોગીક ક્રાંતીની શરુઆતમાં પૃથ્વીનું તાપમાન જેટલું હતું, તેને 1.5 ડીગ્રી સેલ્સીયસથી વધુ વધવા ન દેવાનો આ કૉન્ફરન્સમાં ફરીથી સંકલ્પ લેવાયો હતો; પરન્તુ સામાજીક કાર્યકરો કહે છે કે તાપમાન વધવાનું કારણ કાર્બનની પેદાશ છે અને એ સૌથી વધુ જીવાશ્મ ઈંધણમાંથી આવે છે, એટલે તેનો ઉપયોગ ન ઘટે તો વૈશ્વીક તાપમાનને રોકવું શક્ય નથી. તાપમાન જો 1.5 ડીગ્રીથી આગળ જાય તો તેનાં ગંભીર પરીણામો આવી શકે છે.

વૈશ્વીક સ્તર પર ભારતનું પ્રતી વ્યક્તી કાર્બન ઉત્સર્જન માત્ર 2.2 ટન છે, જે એની સમકક્ષ દેશો જેવા કે અમેરીકા અને યુરોપીયન યુનીયન કરતાં ઘણું ઓછું છે. ઉત્સર્જન રીપોર્ટ 2022 અનુસાર, ભારત સહીતના પ્રમુખ દેશો જેમ કે ચીન, યુરોપીન યુનીયન, ઈન્ડોનેશીયા, બ્રાઝીલ, રશીયા અને અમેરીકા દુનીયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક છે.

જળવાયુ પરીવર્તનની ભારત પર ગંભીર અસરનું અનુમાન છે. આઈઆઈટી–ગાંધીનગરના એક રીસર્ચ પ્રમાણે, ભારતમાં ગરમીની મોસમમાં લુ અને ચોમાસામાં પુર આવવા જેવી ઘટનાઓમાં ઘણો વધારો થવાની શક્યતા છે. એક અન્ય રીપોર્ટ અનુસાર, પુરા વીશ્વમાં 2015થી 2022નાં વર્ષ ઘણાં ગરમ રહ્યાં હતાં અને આવનારા વર્ષોમાં ભારત, પાકીસ્તાન અને બાંગ્લાદેશમાં એની વરવી અસર જોવા મળશે. પાકીસ્તાનમાં માર્ચ અને એપ્રીલ મહીનામાં રેકોર્ડતોડ ગરમી હતી, જેના પગલે એની ખેતી ખરાબ થઈ ગઈ હતી અને એણે ઘઉંની નીકાસ પર પ્રતીબંધ મુક્યો હતો. એવી જ રીતે ભારતે ચોખાની નીકાસ અટકાવી હતી. આ પ્રતીબંધોના કારણે આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારમાં જોખમ ઉભું થયું છે.

આ કારણોથી જ ભારત આંતરરાષ્ટ્રીય જળવાયુ કૉન્ફરન્સોમાં ઘણું સક્રીય છે. જેમ કે શર્મ અલ–શેખમાં, ભારત એ બાબતે અગ્રેસર હતું કે કાર્બન ઉત્સર્જનને લઈને કોઈ સમજુતી સધાય; પરન્તુ અમેરીકા જેવા વીકસીત દેશ કાનુની પેચમાં ફસાવા માંગતા નથી એટલે વીરોધ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝીલના જૈર બોલસોનારો જેવા નેતાઓ તો જળવાયુ પરીવર્તનને ગપગોળો ગણે છે. જળવાયુ પરીવર્તનને રોકવા માટે 192 દેશોએ કરેલી પેરીસ સંધીમાંથી ટ્રમ્પ વખતે અમેરીકા ખસી પણ ગયું હતું.

ભારતમાં 2021ની સરખામણીમાં કોલસા અને તેલની ખપતમાં 6 ટકાનો વધારો થયો છે, જયારે સૌથી વધુ કાર્બન પેદા કરતો દેશ ચીનમાં ગયા વર્ષમાં ઉત્સર્જનનો દર 1 ટકો ઘટ્યો છે. ત્યાં કોલસાની ખપતમાં પણ વધારો થયો નથી. વૈજ્ઞાનીકો કહે છે કે કોલસાના કારણે થતા ઉત્સર્જનમાં એક ટકાનો પણ વધારો થશે તો તે એક રેકોર્ડ હશે.

વીશ્વમાં હજુ પણ 80 ટકા ઉર્જા જીવાશ્મ ઈંધણમાંથી આવે છે. એનો અર્થ એ થયો કે ઉત્સર્જનમાં વધારો થશે જ. એટલે ઉત્સર્જન ઘટવાની આશા કરવી વ્યવહારુ નથી. અક્ષય ઉર્જા (રીન્યુએબલ એનર્જી) અને સ્વચ્છ ઉર્જા (ક્લીન એનર્જી)ના વીકલ્પનું હજુ બાળપણ ચાલે છે. એનો ઉપાય એ છે કે જે દેશોની વસ્તી ઓછી છે ત્યાં અક્ષય ઉર્જાના વપરાશમાં વધારો કરી શકાય; પરન્તુ મોટી વસ્તીવાળા દેશો માટે વૈકલ્પીક ઉર્જાનું સપનું દાયકો દુર છે. ભારત તો સૌર અને પવન ઉર્જાના મામલે પણ પાછળ છે.

ભારતે શર્મ અલ–શેખમાં એટલા માટે જ કહ્યું હતું કે અમીર દેશો તેમની જીવન શૈલી બદલીને કાર્બન ઉત્સર્જન ઓછુ કરવામાં સહયોગ કરતાં નથી અને વીદેશોમાં સસ્તાં સમાધાનો શોધી રહ્યાં છે. ભારતે કહ્યું કે વીકસીત દેશો કૃષી ક્ષેત્રને નાના કરવાની હીમાયત કરે છે તે કૃષી આધારીત દેશો માટે નુકશાનકારક છે.

જળવાયુ પરીવર્તનની વૈશ્વીક લડાઈમાં, ભારતે પોતાના તરફથી ત્રણ મહત્ત્વના વાયદા કર્યા છે :

  1. ભારત 2005ના સ્તરની સરખામણીએ એની જીડીપીથી થનારા ઉત્સર્જનને 2030 સુધી 45 ટકા ઓછું કરશે.
  2. વર્ષ 2030 સુધી ભારત તેના કુલ વીજળી ઉત્પાદનનું 50 ટકા ઉત્પાદન સ્વચ્છ ઉર્જાથી મેળવશે.
  3. વધારાનાં વૃક્ષો અને જંગલ બનાવીને ભારત 2.5થી 3 અબજ ટન જેટલો વધુ કાર્બનનું શોષણ કરશે.
  4. અમેરીકાના પ્રૉફેસર જ્યોર્જ જેમ્સને પેલા ઈન્ટરવ્યુમાં સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું, “ભારતની પરંપરામાં દરેક ચીજમાં દીવ્યતા છે. દીવ્યતા માત્ર સ્વર્ગમાં નહીં,; પણ પંખીઓમાં, પશુઓમાં, નદી–ઝરણાંમાં, પહાડોમાં અને જંગલનાં વૃક્ષોમાં છે. હવે ચારે બાજુ ટેકનોલૉજી છે. આપણે ડેમ બનાવવા માટે નદીઓને મારી નાખી છે, અને આ બધું માણસની લાલચને સંતોષવા માટે. ગાંધીએ એક જ વાક્યમાં સમજાવ્યું હતું કે ‘સૌની જરુરીયાત પુરી કરવા માટે પ્રકૃતીમાં પુરતું છે; પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.’

લાસ્ટ લાઈન
‘અત્યારે આપણે ભવીષ્યને લુંટીએ છીએ,
વર્તમાનમાં તેને વેચીએ છીએ અને
તેને ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ કહીએ છીએ.’
પોલ હોવકેન
અમેરીકન પર્યાવરણવાદી

– રાજ ગોસ્વામી

મીડ–ડે’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘ક્રોસ લાઈન’માં તા. 27 નવેમ્બર, 2022ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : લેખક સીનીયર પત્રકાર અને રાજકીય વીશ્લેષક છે. ફીડબૅક માટે feedbackgmd@mid-day.com પર લેખકશ્રીનો સંપર્ક કરી શકો છો.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય એની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30–12–2022

8 Comments

  1. સરસ લેખ…સમાચાર ક્યાંય વાચવા ના મળ્યા પહેલી વાર નવીનતમ જાણકારી આ બ્લોગ ઉપર મૂકવા બદલ આભાર

    Liked by 2 people

  2. ” આજે દુનીયાને ભાન થવા લાગ્યું છે કે વધતું તાપમાન, દરીયાઓની વધતી સપાટી અને આત્યંતીક હવામાન વીશ્વના દેશોની સંપત્તીઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માનવીય સ્વાસ્થ્ય અને ઉત્પાદન ક્ષમતાને હાની પહોંચાડી રહ્યું છે. પરીણામે એની અસર અર્થતંત્ર પર પડી રહી છે.” – રાજ ગોસ્વામી

    વધતું તાપમાન ??????? હાલ ની ઘડી તો એના થી ઉલટું થઈ રહ્યું છે અમેરિકા અને કેનેડા માં બરફવર્ષાએ કાળો કેર વર્તાવ્યો છે આ બરફ વર્ષા ને ” વધતા તાપમાન ” સાથે શું લાગે વળગે ? શું આવી કાતિલ બરફ વર્ષા ” વધતા તાપમાન ” થકી રોકી શકાય છે ? આવા ઠંડા દેશો, જ્યાં બરફ વર્ષા ને એક આફત તરીકે જોવા માં આવે છે, તયાં તો ” વધતું તાપમાન ” એક આશીર્વાદ સમાન લેખાય.

    Liked by 2 people

  3. શ્રી રાજ ગોસ્વામીએ – ‘સૌની જરુરીયાત પુરી કરવા માટે પ્રકૃતીમાં પુરતું છે; પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.’ અને ‘અત્યારે આપણે ભવીષ્યને લુંટીએ છીએ,વર્તમાનમાં તેને વેચીએ છીએ અને તેને ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ કહીએ છીએ.’…પોલ હોવકેનની વાતો ખૂબ સૌંદર રીતે સમજાવવા બદલ ધન્યવાદ

    Liked by 3 people

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      ‘જળવાયુ પરીવર્તન : સ્વર્ગ અને નર્કના ત્રીભેટે ઉભેલી દુનીયા’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગોવીન્દ મારુ

      Liked by 1 person

  4. 3A & 5F
    Very valuable document
    Reblogging & circulating link.
    If Ecosystem is balanced then Economy & we all will survive.
    Need fast awareness – which we find in a baby stage today.

    Liked by 2 people

  5. Good Morning

    Sorry for the delay in replying to this issue on Global Warming, Disaster created by us Humans Article.
    Read it with great interest.
    ‘Heaven turned into Hell !’ Who is responsible?

    What a mess we have made of this beautiful Planet! Time to sort it out.
    Every Human Being needs to play their own part to preserve whatever is left: air, water, soil, light (sun) but the last one is very close to my heart: Spiritual Energy, Universal Energy or whatever title one wants to give.
    The whole Saga reminds me of what is already mentioned in our Vedas. Those who have read and heard the fight between Mahishasur and Maa Durga will relate to this destruction very well. It’s not just a Story/Myth or fight narrated in the Markandeya Purana ( This purana is +millions of years old ) …
    We, so called Educated people in 2023 should understand these symbols:
    Humans are Mahishasur
    Mother Earth/ Dharti/ Avnee is Maa Durga or Shakti.
    Our ancestors were very intelligent people , they knew ‘Coding Language’ well before the age of Technology. All our Vedas and Puranas are treasure trove of Knowledge. We must find time to learn them, at least some that are available at hand .
    Please understand that Knowledge is very different from Religion. And I am talking about connecting to the Universal Knowledge of Power.
    I feel very proud to be a Sanatani !

    So what do we expect?
    There has to be some kind of revival.
    Let’s beginagain, sort the mess as best as we can.
    I have already started from my corner.

    Ayigiri Nandini is a beautiful Stotram, try read it, learn the meaning if possible.
    We have to work hard for the Future Generations…

    https://www.greenmesg.org/stotras/durga/mahishasura_mardini_stotram.php

    Here ends my feedback comment for the day!

    Regards,
    Urmila

    PS Due to some personal reasons I have been quite lately but have missed these Blogs.
    Thank you Govindbhai and the Team.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s