એક મુલાકાત – જેવી છે તેવા સ્વરુપે

રમણ પાઠકઆનન્દમાર્ગી’. આનન્દ એ જ જીવનધ્યેય અને જે તેઓ પ્રાપ્ત (ભરપુર) પણ કર્યો. ભાઈ રજનીકુમાર પંડ્યાએ 2–11–1994ની દીવાળીની રાતે મુની આશ્રમ, ગોરજ ખાતે લીધેલ ર.પા.નો ઈન્ટરવ્યુ પ્રસ્તુત છે.

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું નવમું.

એક મુલાકાત – જેવી છે તેવા સ્વરુપે 

–રજનીકુમાર પંડ્યા

ઈરાદો તો એવો મેં સેવ્યો હતો કે રમણભાઈ વીષે હું એક બૃહદ લેખ લખું પણ એને માટે જોઈતી સમયની મોકળાશ નહોતી મળતી – એમના વ્યક્તીત્વને સંકોરીને બાથમાં લેવાનું શક્ય પણ નહોતું લાગતું. છતાં પ્રથમ પગથીયા તરીકે મેં ટેપરેકૉર્ડર પર એમનો ઈન્ટરવ્યુ 2–11–1994ની દીવાળીની રાતે મુની આશ્રમ, ગોરજમાં કર્યો. ભાઈ ઉર્વીશ કોઠારીએ ઘણા ખંતથી એને કાગળ પર ઉતારી પણ આપ્યો – એના પરથી લખવાનું તો ન બન્યું; પણ શબ્દશઃ વાતચીત જ આ રહી :

રજની : રમણભાઈ, આપણે હમણાં જ પેલું ગીત સાંભળ્યું કે.એલ. સાયગલનું ‘જબ દીલ હી તુટ ગયા, અબ જી કે ક્યા કરેંગે?’ તમને એવી કંઈ અનુભુતી થવા માંડી છે?
૨. પા. : Actually એવી તો…. અનુભુતી નથી. કંઈ દીલ તુટે એવું તો બન્યું નથી. પણ પ્રશ્ન એ છે કે ૨. પા. જીવન વીશેની મારી માન્યતા કે અભીગમ જ એવો કે આનન્દ આનન્દ સતત હોવો જોઈએ. કોઈ પણ પ્રકારની નાનીમોટી થ્રીલ અને આપણે થ્રીલ જોઈએ. આપણે મીત્રો, કમ્પની, પ્રેમ કરનારી વ્યક્તીઓ, એમની જોડે આનન્દ મીજલસ, મોજ, મસ્તી કરતા હોઈએ ત્યાં સુધી જીવવાનો અર્થ છે. હવે કાળની ગતી એવી છે કે ધીમેધીમે બધા છુટા પડતા જાય; કેટલાક રસ ગુમાવતા જાય; આપણે પોતે પણ કેટલાંક કાર્યો માટે અશક્ત થતા જઈએ છીએ – શારીરીક રીતે. આ બધા કારણે આપણને એમ થાય કે આ બધી બાજી સમેટી લઈએ તો સારું કારણ કે રમત નીરસ બનવા માંડી છે. જે ચકચુર અવસ્થામાં રમત ખેલતા હતા એ, ધીમે ધીમે એમ લાગે કે, હવે કાંઈક ખેંચીએ છીએ – નીરસ અથવા તો પુરી તન્મયતાથી નથી રમતા, રમવા જેવા સંજોગો નથી રહ્યા. રમવાની આળસ કે કંટાળો એવું કંઈ નથી; પણ જે બાજીના ખેલંદાઓ, જે જાતની બાજી ગોઠવાયેલી હોય અને આપણને રમમાણ કરે એવી જે આબોહવા હોય એમાં ધીમેધીમે કાળ ગાબડાં પાડતો જાય. એટલે આપણને એમ થાય કે હવે ઝડપભેર બધું સુકાઈ રહ્યું છે, વીલાઈ રહ્યું છે, તો પરવારી જઈએ તો સારું. ખરેખર તો પરવારી જઈએ તો સારું એવું પણ નહીં; પણ પરવારી જવાનું નજીક આવ્યું છે તે આપણે સ્વીકારી લેવું પડે.

રજની : તંદુરસ્તીની દૃષ્ટીએ કેમ લાગે છે?
૨. પા. : તંદુરસ્તીની દૃષ્ટીએ… તો… શારીરીક રીતે અત્યારે કોઈ તકલીફ નથી. દાંતમાં કદાચ થોડી તકલીફ થતી હોય તો એના તો ઈલાજો છે. ઈલાજો તો હું મારા પ્રમાદને લીધે નથી કરતો બાકી.

રજની : એટલે જીવલેણ રોગ નહીં પણ ‘મુડલેણ’ રોગ છે.
૨. પા. : હા, માનસીક તો પહેલેથી જ મારું બંધારણ વીષાદમય ખરું જ. આ તો મારા રૅશનાલીસ્ટ જીવનનો અભીગમ એવો પસંદ કર્યો કે આનન્દ એ જીવનનું ધ્યેય છે; પણ મને ન સ્પર્શતી હોય એવી અનેક ઘટનાઓ મને વીષાદ તો પ્રેરે જ, દા.ત. ક્રુરતા, હીંસા, ગરીબી, યાતનાઓ એ બધું નજરથી નજરઅંદાજ – શું કહે છે અને હીન્દીમાં – એ હું કરી શકતો નથી.

રજની : આંખ આડા કાન…
૨. પા. : હા. એક સુર તો કરુણ વાગ્યા જ કરતો હોય આ બધા આનન્દની વચ્ચે. તમે કંઈક પેલામાં લખ્યું હતું ને કે Our sincerest laughter with some pain is fraught આ એના જેવું છે.

રજની : થાક વરતાય છે?
૨. પા. : કંઈ એવો – કોઈ વાર તબીયત બગડી હોય એ સીવાય શારીરીક થાક તો લાગતો નથી. વળી, એટલા સુંદર વાતાવરણમાં છેલ્લાં વીસ–પચીસ વર્ષથી હું જીવું છું કે મને જીવનનો થાક નથી લાગ્યો; પણ રૅશનાલીસ્ટ અને વાસ્તવવાદી હોવાને કારણે ઘણા બધા સંજોગોનો વીચાર કરીને એમ કહું કે હવે અંત નજીક હોય તો સારું. કારણ કે દીન–પ્રતીદીન પરીસ્થીતી બગડતી જાય અને બીજા વૃદ્ધો જેવો હું એક વૃદ્ધ, શુન્યાવકાશમાં બાકી રહેલો, લાચાર, એક જીવવા ખાતર જીવી રહેલો ન બનું એ મારી મોટામાં મોટી મહત્ત્વાકાંક્ષા છે. હજી હું દેખાવમાં, વ્યવહારમાં કે વાણીમાં કે જીવનોલ્લાસમાં વૃદ્ધ થયો નથી. મને કોઈ વૃદ્ધ કહેતું જ નથી. કહે તો મને ખોટું લાગતું નથી. મને કોઈ કાકા કહે તોય વાંધો નહીં.

રજની : દાદા કહે તો?
૨. પા. : હા, દાદા કહે તોય વાંધો નહીં; પણ મારા મીત્રોની સંગતમાં કે બીજાં ગમતાં પાત્રોની સંગતમાં ક્યાંય મારી આ ઉમ્મર વ્યક્ત થતી હોય એમ બનતું નથી. અને એવી અંજલી મને બીજાઓ તરફથી મળે છે આ મારી આત્મપ્રતારણા નથી. બીજાઓ મને એમ જ કહે છે કે તમારા કોઈ વ્યવહારમાં હજી વૃદ્ધત્વની છાયા અમને દેખાતી નથી.

રજની : આપણે પાછી મુળ વાત સાંધીએ કે તમને કોઈ લોકો વૃદ્ધ કહેતા નથી. સાચી વાત છે. અને તમે પોતે પણ એ ફીલ કરતા નથી; પણ એક તરફથી તમે એવું કહો છો કે તમે ફીલ કરતા નથી અને બીજી તરફથી તમે થાક પણ અનુભવો છો, એક પ્રકારનો નીર્વેદ અનુભવો છે. એટલે, તમને શું લાગે છે? બહુ અઘરો, ન પુછાય એવો પ્રશ્ન પુછું છું કે તમને તમારું આયુષ્ય હવે કેટલું લાગે છે?
૨. પા. : આમ કોઈ આકસ્મીક મૃત્યુ ન થાય તો કોઈ રોગ જ એવો નથી થયો કે જે મૃત્યુ લાવી શકે. હવે કોઈ પકડાય તો વાત જુદી છે બાકી પ્રેશર છે કે હાર્ટ ટ્રબલ છે કે ડાયાબીટીસ છે કે કૅન્સર છે – એવું કશું છે નહીં, એટલે શું forecast થઈ શકે?

રજની : જીવવામાં તમને રસ સીંચ્યો હોય, છેલ્લાં વર્ષોમાં, તમારી યુવાની ઓસરી ગયા પછીનાં વર્ષોમાં, એવાં તત્ત્વો – એટલે કે એવા તમારા શોખો અથવા એવી તમારી પ્રવૃત્તીઓ, એવા તમારા મીત્રો, એવાં તમારા સ્વજનો, એવાં તમારાં પાત્રો – થોડુંક એમના વીશે કહો કે જેમણે તમારા જીવનમાં રસ સીંચ્યો હોય.
૨. પા. : એ તો એવું છે કે એક જ શબ્દથી હું વર્ણવી દઉં – એમાં મીત્રો પણ આવી જાય અને બીજું પણ, તમારે શંકા કરવી હોય તો કુશંકા કરવા લાયક પણ આવી જાય! મતલબ કે પ્રેમનો આનન્દ માણ્યો અને જેને આપણે સ્થુળ કે શારીરીક આનન્દો કહીએ; વળી જેને સામાન્ય માણસો રુટીનમાં ન ગણતા હોય એવી જાતની પ્રવૃત્તીઓ : મહેફીલો, મુસાફરી, ગપ્પાંબાજી – આમ માનો કે થ્રીલીંગ, જે નોર્મલ એક્સપીરીયન્સથી કંઈ જુદું હોય એ રીતે આનન્દ લુંટ્યા કરીએ. બાકી, પ્રેમ અને મુસાફરી અને મહેફીલ આ ત્રણમાં મહોબ્બત, મહેફીલ અને મુસાફરી… એ જીવનમાં રંગ લાવતી હોય એવું અત્યાર સુધી અનુભવતો આવ્યો છું. હવે એમાં પછી બંધન આવતાં જાય. મુસાફરી આપણાથી ઓછી થઈ શકે, મહેફીલમાં પણ કદાચ તબીયતને કારણે બીજા પ્રતીબંધો કે આત્મસંયમ પાળવો પડે – એ બધાને કારણે પ્રેમીજનો ધીમેધીમે દુર જતા જાય. સંજોગોવશાત્ દુર થાય. બીજાં કારણો : આપણામાંથી આકર્ષણ ઓછું થાય એવું બને અને એમ ધીમે ધીમે… હું પોતે થાક અનુભવું છું, એમ તમે કીધું – એવું નથી. હું પોતે તો હજી એટલા જ ઉત્સાહથી પ્રવૃત્તી કરવા તૈયાર છું; પણ પ્રવૃત્તી કરવામાં સાથીદારો જોઈએ ને! એ સાથીદારોનો ઉત્સાહ….

રજની : મંદ હોય.
૨. પા. : ટકી શકે અથવા તો મારા એકલામાં ટકી શકે. કદાચ સ્વાભાવીક રીતે જ ઓછોવત્તો થયા કરતો હશે. માણસનો સ્વભાવ જ એવો છે કે એકની એક વસ્તુમાંથી ધીમેધીમે માણસ બીજી દીશા તરફ વળતો જાય. એમ ચાલ્યા કરે. બીજા મારા રસો વીશે પણ કહી દઉં કે સુક્ષ્મ જેને કહેવાય જ્ઞાન – એટલે વાચનનો મને આનન્દ અને વાચન પણ informationવાળું અને આપણે જેને જાતજાતનાં વીજ્ઞાન કહીએ – નેચરલ સાયન્સથી માંડીને સોશીયલ સાયન્સ – તો એના જ્ઞાનમાં પણ મને એટલો જ આનન્દ આવે. એટલે હું આજે પણ ઈતીહાસની ચોપડી કે ભુગોળની ચોપડી બહુ આનન્દથી વાંચું કે જેને વીજ્ઞાન કહેવાય છે ખગોળશાસ્ત્ર, પુરાતત્ત્વ એ બધામાં મને બહુ જ રસ પડે. બાયોલૉજીમાં પણ લગભગ એટલો જ રસ.

રજની : તમે સરોજબહેનના અવસાન પછી કંઈ વધારે પડતા….. એકલા, એકલા, તન્હા….
૨. પા. : ના, એવી તો કોઈ વાત જ નથી; કારણ કે એમના મૃત્યુ પહેલાં છેલ્લાં 19 વર્ષથી તો સંપુર્ણ જુદો રહેતો હતો અને એ પહેલાં પણ અનેક વર્ષો.

રજની : એ તો ફીઝીકલી અલગ રહેતા હતા પણ જે હુંફ…
૨. પા. : ના. એવું કંઈ નહીં. હુંફ મારે આપવી પડતી હતી, મને કંઈ ખાસ મળતી નહીં. એ બહુ બાળક જેવાં હતાં ને હું કશું expect કરતો નહીં. એટલે જેમ બીજા મીત્રો જોડે મહેફીલમાં ગપ્પાં મારીએ એમ એમની જોડે બેસી ગયા હોઈએ તો મહેફીલમાં ગપ્પાં મારીએ. કોઈ સ્વજનત્વની ખાસ વીશેષ હુંફ કહેવાય એ તો હું પીતૃતુલ્ય આપ્યા કરતો. એટલે મને સામા પક્ષ તરફથી ખાસ એવું કશું મળતું નહીં અને એકલતામાં તો એવું ને કે મેં મારી આત્મકથામાં લખ્યું છે તેમ ચાળીસ વર્ષના લગ્નજીવનમાં પંદર જ વર્ષ સાથે રહ્યા. મને એક શોખ જ છે, એકલા રહેવાનો. એમાં જે જાતનો મુક્તી, સ્વતંત્રતાનો આનન્દ આવે છે ને, એનું વ્યસન પડી ગયું છે. રામનારાયણ પાઠકે બનતા સુધી લખ્યું છે. ઘરસંસાર વીશે, એમ કે ખભે બંદુક લઈને ચાલતો હતો જમાદાર, તો એને કહ્યું કે જમાદારસા’બ, બંદુક તો ગાડીમાં મુકી દો! તમે ચાલો તો ભલે ચાલો. તો કહે, ‘નહીં, યે બોઝ સે ઠીક ચલા જાતા હૈ.’ એવી કેટલાક લોકોને આદત પડી ગઈ છે. મને એ આદત નથી. મને એકલા રહેવાનો આનન્દ વધારે આવે.

રજની : હવે મુળ વાત જેના માટે આ ઈન્ટરવ્યુ માટે બેઠો છું એ વાત ખાસ આવે છે, વસીયતની વાત કરવી છે. આપણે તમારી, પહેલાં સ્થુળ વાત કરીએ પછી સુક્ષ્મ વાત કરીએ. સ્થુળમાં, તમારું વસીયત કરવું પડે એવું શું છે?
૨. પા. : વસીયતમાં કોઈ મીલકત નથી; ફક્ત બૅંક બેલેન્સ; બાકી એવું છે ને કે હજારો વર્ષ જુના રીવાજોને વશ થઈને આપણે આધુનીક સમસ્યા, જરુરીયાતો કે કટોકટીને અવગણીને યથાવત્ જીવ્યા કરવાનું ને યથાવત્ મર્યા કરવાનું. એની સામે મારો વીરોધ એક રૅશનાલીસ્ટ તરીકે હોઈ શકે એ સમજો.

રજની : ફરી સમજાવો તમે.
૨. પા. : હજારો વર્ષ જુની પરમ્પરાઓ, રીત–રીવાજો અને આપણે આધુનીક સંદર્ભમાં, અત્યારની કટોકટીના સંદર્ભમાં મુલ્યાંકન કરીને એને બદલવી જોઈએ. એટલે વસીયતનામામાં મુખ્ય સવાલ એ છે કે મને લાકડાથી બાળવો નહીં કે જમીનમાં દાટીને જમીન બગાડવી નહીં. કોઈ ત્રીજી રીતે નીકાલ થવો જોઈએ. મારા વસીયતનામાનું – તમે તો લેખ વાંચ્યો પણ અમે તો રજીસ્ટર્ડ કરાવી આવ્યા હતા – એમાં મુખ્ય હેતુ એ… અમે… એટલે મારા મીત્રો; સરોજબહેન સાથે મારે કોઈ પણ આવા ક્ષેત્રે એવું સહકાર્યકર્તૃત્વ હતું જ નહીં. એટલે એ તો સવાલ જ નહોતો; પણ અમારા રૅશનાલીસ્ટ મીત્રોએ થોડાકે મળીને એક વસીયતનામું તૈયાર કર્યું અને ગવર્નમેન્ટ અથવા કાયદાની રુએ રીતસર જે વીધી કરવી પડે એ કરી; એટલે નોંધાવી આવ્યા. તો એમાં મુખ્ય ઉદ્દેશ અમારાં અંગો બીજા માણસોને કામ લાગે, જે આપણે બાળી દઈએ છીએ ને એ મુડદાની પણ અત્યારે ખરેખર બહુ ડીમાન્ડ છે. કારણ કે મેડીકલ કૉલેજોમાં રોજનાં અમુક મુડદાં જોઈએ તે સહેલાઈથી મળતાં નથી. એ તો સદ્ભાગ્યે આ દેશમાં બેકારો, ભીખારીઓ, લાવારસ માણસોની સંખ્યા ઘણી મોટી છે એટલે એ લોકોના મુડદાં મળે છે. બાકી મુડદાંનો ખરેખર પ્રૉબ્લેમ ઉભો થાય. ચીરવાનાં મુડદાં સહેલાઈથી પ્રાપ્ય નથી હોતાં; કારણ કે મેં કહ્યું તેમ, જુની પરમ્પરાને વશ થઈને માણસો આવી રીતે મેડીકલ કૉલેજને મડદું આપી દેવા તૈયાર થતા નથી. એ લોકો લાકડાંમાં જ બાળે. ઘી હોમે વગેરે વગેરે. હવે વીજળીક ભઠ્ઠીઓ પણ ચાલે છે; પણ હજી એટલી લોકપ્રીય થઈ શકી નથી. સારાસારા ભણેલાગણેલા અને મોટા ગણાતા માણસો પણ મને લાકડાંથી બાળવો એવું વસીયતનામું કરે છે. આ આંખો કામ લાગે છે અને હવે તો બીજાં પણ અંગો ધીમે ધીમે કામ લાગે એવી રીતે મેડીકલ સાયન્સે એટલી પ્રગતી કરી છે, ત્યારે આપણા વસીયતનામાનો હેતુ એ કે ભાઈ કંઈ નહીં તો આ મારી આંખો છે, હાથ છે, પગ છે એ કોઈને કામ લાગે તો એ ચોંટાડી દો. નહીં તો મેડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય એ રીતે અમારું ડેડ બૉડી આપી દેજો અને આ જે લાકડાં છે એને નહીં બાળવાનાં એ બીજો મુદો ભાઈ. તમે વીજળી ભઠ્ઠીમાં બાળો અથવા તો કાંઈ બીજું.

રજની : નદીમાં માણસો વહાવી દે છે.
૨.પા. : નદીમાં વહાવી દે; પણ ગંગા સીવાયની નદીમાં વહાવવાની પાછી મનાઈ હશે. કારણ કે કાયદો એમાં – પોલીસ એમાં દરેક તબક્કે માથું મારતી હોય છે, તો ગંગામાં વહાવી દે તો એમાં ધાર્મીક માન્યતા પ્રમાણે એ લોકો કશું જ કરી શકતા નથી; પણ આપણા ગામની નદીમાં વહાવો તો તરત જ તમારે કંઈક મુશ્કેલીનો સામનો ગામલોકો તરફથી, પોલીસ તરફથી કરવો પડે કે અહીંયાં કેમ મડદું નાખી ગયા! દરીયામાં નાખી દેને બીજા કોઈને ખબર ના પડે અને પ્રાણીઓ ખાઈ જાય એના જેવું ઉત્તમ એક પણ નહીં; કારણ કે બીજા પ્રાણીઓને એમાંથી ખોરાક મળે.

રજની : મરણ પછી શી ગતી છે એમ તમે માનો છો?
ર. પા. : કશી જ નહીં, આ એક મશીન છે અને મશીન બંધ થઈ જાય છે. એમાં કોઈ ગતીય નથી ને પ્રગતીય નથી ને અધોગતીય નથી એવું હું માનું છું.

રજની : આત્મા જેવી કોઈ ચીજ નથી જ એમ તમે સંપુર્ણપણે માનો છો?
૨. પા. હજી સુધી કોઈએ એને જોયો નથી અને મને જોયા વગર કશામાં શ્રદ્ધા બેસવાની નથી.

રજની : પુર્વજન્મ કે પુનઃજન્મ જેવું કશું છે જ નહીં?
૨. પા. : નહીં તો વસ્તી આટલી વધી જ ન જાયને? જો ગણીગણીને પુનર્જન્મ થાય તો…. એકાદ અબજ હતી સો વર્ષ પહેલાં, એમાંથી સીધી પાંચ પર પહોંચી.

રજની : સો વર્ષમાં પાંચ ગણી થઈ ગઈ. હવે એ તો તમારા શરીરની વાત થઈ; પણ બીજા હોલ્ડીંગ જે છે, એમાં એવું શું હોલ્ડીંગ છે વસીયત કરવું પડે તેવું?
૨. પા. : કશું જ નહીં.

રજની : પુસ્તકો?
૨. પા. : ના, એમાં તો મેં એવું કંઈ લખ્યું નથી કે મારાં પુસ્તકોનું આમ કરજો કે મારી રૉયલ્ટી આને આપજો, કારણ કે everybody has enough; જ્યારે એ રકમ તુચ્છ.

રજની : ના; પણ શી તમારી પોતાની ઈચ્છા?
૨. પા. : તમે લઈ લેજો, મને કશી જ એની મોહમાયા નથી.

રજની : પણ એના માટે વ્યવસ્થા તો કરવી પડશેને? atleast કોણ claim કરે એટલા માટે તો તમારે…
૨. પા. : એટલી હદ સુધી એમાં અમે બેકાળજી છીએ. તમને દાખલો એક આપું. આજે જે મેં પરમીશન લખી આપી એ લખવાનો કાયદેસર મને કોઈ અધીકાર નથી; કારણ કે સરોજબહેનના વીલ પ્રમાણે આ બધાની વારસદાર તરીકે મારી ડૉટરને નીમી દીધી છે; પણ અમે આની બહુ પરવા કરતા નથી. એટલે સો ટકા ખાતરી કે આમાં મારી ડૉટર કંઈ વાંધો લેવાની નથી.

રજની : ના; પણ એ બાબતમાં શું કરે, એના ગાઈડ તરીકે તમારે કંઈક કરવું જોઈએ– મારા ફલાણાનું આ કરજો, કપડાંનું આ કરજો, ફ્રીજનું આ કરજો.
૨.પા. : ના, ના, ના. જેને જે કરવું હોય તે કરે. તમને ઠીક લાગે તો તમે આવીને…. આપ મુઆ ફીર ડુબ ગઈ દુનીયા. એની શું કામ ચીંતા કરવાની?

રજની : અને આજે ફલૅટ છે એ તમારા પોતાના નામે છે?
૨. પા. : ના, એ મને લાગે છે, સરોજના નામે છે. એ બધું ‘એકનું’ એક સંતાન છે એને જ જાય.

રજની : વીલ ના કર્યું હોય તો પણ.
૨. પા. : મેં એ જાતનું વીલ કર્યું જ નથી.

રજની : પણ ના, આ તો અમસ્તો કાયદોય એવો જ છેને કે બીજા કોઈ ક્લેઈમ કરી શકે નહીં.
૨.પા. : અને આને કંઈ પ્રોપર્ટી કહેવાય? એની શી વેલ્યુ કે એ બધી ચીંતા કરવાની?

રજની : પણ તમારે ગાઈડન્સ ખાતર આપવું જોઈએ.
૨.પા. : કંઈ ગાઈડન્સની જરુર જ નહીં, એટલી બુદ્ધી તો દરેકને… ધારો કે ચાલો આની હોળી કરીએ – તો હોળી કરે. આપણે મર્યા પછી શી એ બધી ચીંતા?

રજની : અને હવે એક ગંભીર વાત પુછું છું….. તમને તમારું વચન તો યાદ હશે જ. વચનના પાકા માણસ છો એટલે. તમે એમ કહ્યું હતું કે જ્યારે પણ એવું લાગશે કે શરીરનો અંત લાવવો છે ત્યારે હું વીચારપુર્વક એ વસ્તુનો અંત લાવીશ અને ત્યારે તમે મને એટલે કે રજનીકુમાર પંડ્યાને એ વાત અગાઉથી કરશો અને એ બાબતમાં હું અવરોધ નાખીશ નહીં એનું વચન મેં તમને આપ્યું. અને એ આખી છેલ્લી રાત આપણે સાથે બેસીશું – એમ વાત આપણે થઈ છે.
૨.પા. : બરાબર, થઈ છે.

રજની : તમે એ બાબતમાં બહુ ગંભીર છો?
૨. પા. : ચોક્કસ વળી, મારું તો માનવું છે કે આ જીવનનો અંત લાવવો જોઈએ માણસે ઉમ્મર થયા પછી, કારણ કે માણસ માંદો પડે છે અથવા તો અપંગ કે અશક્ત થાય છે ત્યારે ખરેખર બીનજરુરી બીજા પર બોજારુપ… એ કંઈ કામનો તો રહેતો જ નથી. એક માણસ અપંગ થઈને ઘરમાં પડ્યો. ત્યારે બધા જ ખરેખર બોલે નહીં પણ એના મરણની જ રાહ જોતા હોય. એવું થાય એ પહેલાં માણસે સમજીને પોતાની જાતે મરવું… એ બહુ મોટું અને બહુ વીચારપુર્વકનું પગલું ગણાય.

રજની : હા, વાત કરો કે તમે નક્કી કરો તો ક્યારે નક્કી કરો?
૨.પા. : હવે એમાં એવું છે કે દુનીયાનો….

રજની : ક્યારે એટલે હું એમ નથી પુછતો કે કઈ તારીખે…
૨. પા. : ના, ના. હું પણ એ નથી કહેતો, દુનીયાનો એક પણ માણસ જ્યાં સુધી દુઃખી થાય એવું લાગે આપણને – આપણા મૃત્યુથી – ત્યાં સુધી એના પર વીચાર કરવાનો. જ્યારે પછી એમ લાગે કે ખાસ કોઈ દુઃખી થવાનું નથી, માનસીક રીતે તો દુઃખ થાય આપણા સ્વજનોને પણ હવે થોડુંક સહન કરી લેવાનું. કારણ કે એ દીવસ, એક દીવસ તો આવવાનો જ છે. એટલે એવી પરીસ્થીતી ઉભી થાય અને માણસો સમજદાર થઈ જાય એટલે આપણા મૃત્યુને સ્વીકારી શકે એટલે પછી આપણે એ દીવસ નક્કી કરવાનો આવે. અત્યારે પરીસ્થીતી એવી છે કે બે–ચાર વ્યક્તીઓ એવી છે કે જેને ન સમજ પડે આવા કોઈ પગલા બાબતમાં. અને એમને એક જાતની દયાજનક મુંઝવણ થાય કે શું કામ આવું કર્યું? તો એટલા પુરતી થોડીક રાહ જોવાના, બે–ત્રણ વર્ષ, વીચાર ચાલે છે હજુ. બે–ત્રણ વર્ષમાં પતી જતું હોય તો ઉત્તમ – પણ ન થાય તો પછી આપણને કદાચ સંપુર્ણ સ્વતંત્રતા મળશે એવી આશા રાખીએ અત્યારે તો.

રજની : એ તમે કેવી રીતે લાવવા માગો જીવનનો અંત?
૨.પા. : એમાં એવું છે કે હું જીવનનો અંત એ રીતે લાવવા ઈચ્છું કે પાછળવાળાને કોઈ ઝાઝી કડાકુટ સહન ન કરવી પડે. આત્મહત્યા એ એવી વસ્તુ છે કે તેથી પાછળથી અનેક જાતના – હમણાં કંઈ સરકારે કાયદો બદલ્યો છે.

રજની : છુટ છે.
૨.પા. : પણ પ્રયત્ન કરવાની છુટ છે એટલે હું બચી જાઉં તો મને કશું ન થાય. પણ ખરેખર થયા પછી કદાચ આપણે હજી વકીલને પુછવું પડે કે ઘરમાં કરીએ તો શું થાય અને બહેતર છે કે આપણે કોઈ અજાણી જગ્યાએ મરી જઈએ તો ઉત્તરક્રીયાની પણ કશી પંચાત નહીં; પણ એમાં અમારે પેલા વીલની સાથે થોડું conflict થાય છે. તો પછી ડેડ બૉડી હૉસ્પીટલને આપવું – એ કોઈ લે નહીં.

રજની : ના; પણ પછી પેલી વાત થાયને – આપણે છેલ્લે મળવું.
૨.પા. : એ તો થાય. બરાબર છે; પણ નીકળી ગયા પછી તમને શી ખબર પડે કે ક્યાં ગયો. છેલ્લી રાત એટલે કે વ્યક્ત અવસ્થામાં. પછી કદાચ અઠવાડીયુંય જાય અવ્યક્ત અવસ્થામાં મરતાં મરતાં; પણ બીજા માણસોને તકલીફ ન થાય, એવી રીતે મરવાનું બહેતર છે. સરકાર તરફથી આવી સગવડો થવી જોઈએ. તો બહુ સરસ… પણ એટલી પ્રગતીશીલ માનવજાત થતાં તો હજી હજાર વરસ લાગશે. કદાચ હજાર વરસ પછી પણ ન થાય… બાકી સરકાર જ આપણને સગવડ આપે, અરજી કરીએ એટલે કે મારે મરવું છે માટે ઉત્તમમાં ઉત્તમ રસ્તો બતાવો! તો કોઈને કશી કડાકુટ થાય નહીં અને ડેડ બૉડી કામ લાગે એ લોકોને.

રજની : પણ તમે કઈ રીતે ઈચ્છો કે કઈ રીતે મૃત્યુ થાય એ ઓછું પીડાકારક…
૨.પા. : એ તો એવું છેને કે સ્લીપીંગ ટેબ્લેટ્સ કે એવું આવે ને કે જેમાં પહેલાં ઉંઘ આવી જાય અને પછી ઉંઘમાં જ આપણે ખતમ થઈ જઈએ તો પીડાનો પાર્ટ એમાં…

રજની : મોટો ડોઝ લેવો પડે એનો.
ર.પા. : ખબર નથી એમાં. એ તો બધું પુછવું પડે; પણ એમાં કદાચ બે વસ્તુ લેવી પડે – એક ઝેર હોય અને બીજી ઉંઘ માટે હોય. ઉંધ આવવાની લઈએ ને પછી પેલી ઝેરી દવા લઈએ તો બધાં દર્દમાંથી બચી જવાય. કારણ કે દર્દમાં ઘણીવાર માણસો બુમો પાડવા માંડે ને બીજા બધા દવા કરવા માંડે ને દર્દમાં બધું બહુ ઑકવર્ડ થઈ જાય. એટલે એકાંત હોવું જોઈએ અને ઓછામાં ઓછું દર્દ થવું જોઈએ. પોટૅશીયમ સાઈનાઈડ ને એ બધું મળતું નથી બાકી તો બહુ સરળ છે. એ રીતે વીજળીનો શોક લેવાનું પણ સરળ છે પણ એ જો કોઈ આપે તો સારું પડે. જાતે લેવાનું મુશ્કેલ છે.

રજની : તો માની લો કે – દાખલો આપું છું – એ પ્રસંગ પર વીચાર કર્યો હોય તો તમે મને કેવી રીતે જાણ કરો?
૨. પા. : પહેલાં તો મારાં સ્વજનો સ્વીકારે તો મને બહુ જ આનન્દ થાય. એક જ હેન્ડીકેપ એ છે કે મારી ડૉટર છે….

રજની : એ તો શક્ય જ નથી સ્વીકારે એ.
૨. પા. : ના. સ્વીકારે સ્વીકારે, આપણે એને એ રીતે તાલીમ આપી હોય અને એ આપણા વીચારો પચાવતી જ હોય. કારણ કે એક જ સંતાન છે અને એ જાણે આપણા વીચારો તો જેમ વચમાં હું વૃદ્ધાશ્રમમાં ગયો એ સ્વીકારી લીધું કે હા બરાબર છે. આપણે એમને જવા દો. કંટાળ્યા છે દુનીયાથી તેમ કદાચ સ્વીકારી લે. આટલી બધી દલીલો સમજી શકે એટલી બુદ્ધી તો મારી ડૉટરમાં છે એની મને ખાતરી છે. પણ એ લોકોનો એટલો બધો પ્રેમ. આપણને જોઈને જાણે કોઈ મોંઘામાં મોંઘી ને પ્રીયમાં પ્રીય વસ્તુ મળી હોય એટલા બધા ખુશ થતા હોય એટલે આપણને એમ થાય કે એમનો આનન્દ છીનવી લેવાનો આપણને અત્યારે તો અધીકાર નથી.

રજની : પછી તમે શો નીર્ણય કરો? સમજાવો ને હા પાડે પછી શું કરો તમે?
૨. પા. : પછી મારો વીચાર તો એવો કે કોઈ એવા સરસ સ્થળે જઈને – ભલેને આપણું ડેડ બૉડી કદાચ હૉસ્પીટલને ન મળે તો શું થઈ જવાનું હતું? પણ કોઈ હીમાલય જેવા ઉત્તમ, પ્રકૃતીથી રમણીય, એવા કોઈ સ્થળે જો સરસ રીતે મરી શકાતું હોય તો બસ, પછી પ્રાણીઓ ખાય આપણા શરીરને અને પતી જાય. એ પણ એક ઉપયોગીતા છે.

રજની : તમે છેલ્લી રાત્રે કઈ જાતનો આનન્દ કરવા ઈચ્છો?
૨. પા. : ખાઈ–પીને મજા કરવાની! આપણે ભૌતીક આનન્દથી વીશેષ તો કશું માનતા જ નથીને! કંઈ ઓછા રામનામનાં ભજન કરવા બેસવાના છીએ? એટલે ખાવાનું ને પીવાનું પેટ ભરીને વગેરે.

રજની : ફરી પછી તમને કે મને જાણ કરવાનું તમે કઈ રીતે ઈચ્છો?
૨. પા. : હું કહ્યું કે, ‘રજનીભાઈ, આપણે અનેકવાર વાત થઈ છે એ રાત હવે આવી પહોંચી છે. તમારે એ બાબતમાં કંઈ કહેવાનું હોય તો કહો. હું સાંભળી લઉં અને આપણે ચર્ચા કરીએ; પણ જો ન કરો તો સારું. એટલું જ.

રજની : રમણભાઈ, મારે તમને સમ્મતી નથી આપવાની, મારે તમને સાથ આપવાનો છે.
૨. પા. : એ બરાબર છે; પણ જો તમને એવું લાગતું હોય કે એનાથી દુઃખ થાય તો….

રજની : ના, ના, હું તો તમે જતા હો ત્યારે તમને વીદાય આપવાનો. દુઃખ થવાનો આટલી સમજણ પછી કોઈ પ્રશ્ન જ નથી. હું તમને સમજાવવા પણ રોકાઉં નહીં. તમે નીશ્ચય જ્યારે કરો અને હું જાણી લઉં કે શું છે; પણ તમારે હું હા પાડું તો જ તમે જાવ અને ના પાડું તો ન જાવ એવું આપણી બાબતમાં તો નથી જ. એ તો જે શર્વરી કે તર્જની કે મલ્હાર કે મુકેશ – એ લોકોને પુછીને એમની સમ્મતી જોઈએ. મારા કેસમાં તમારે સમ્મતીની જરુર નથી; પણ મારા કીસ્સામાં જાણ કરવાની વાત છે.
૨. પા. : સમજી ગયો, કન્સેન્ટ લેવી અને ઈંટીમેશન આપવી એ બે વચ્ચેનો ભેદ છે.
૨. પા. : બસ, બસ, એ જ.

રજની : બાકીનાને સમ્મતી નહીં પણ માત્ર જાણ જ હોય.
૨. પા. : એવું હોય ને એને પોતાની દુનીયા થઈ જાય ને. આપણા પર ડીપેન્ડ કરતા હોય ત્યારે ઘણું બધું એ હોય. પછી એકદમ ઓછું થઈ જાય. પેલા એક કવીનું વાક્ય બહુ સરસ છે અને બે કવીનાં વાક્યો તમને કહું, “એક તો તમને કહું, સોલ્વે… એમાં કેવી ભરતી ચડે છે અને કેવી ઓટ આવી જાય છે! ‘સોલ્વે’ દરીયાનું નામ છે. પછી એક બીજા કવીનું કહું, એ બીજા કોઈ કવી કદાચ હું પોતે જ છું, બહુ સરસ સુત્ર છે, મને એવો ખ્યાલ છે કે મેં પોતે જ બનાવી કાઢ્યું છે કે પ્રેમ ચંદ્ર જેવો હોય છે. જો એ વધતો ન હોય તો ઘટતો જાય છે; પણ સ્થીર રહેતો નથી. આપણા કેટલા બધા સ્વજનો મરી ગયા? આપણે ચલાવી લીધું ને ભુલી ગયા.”

રજની : ભૌગોલીક દુરતા?
૨. પા. : હા, ભૌગોલીક દુરતા તો બહુ જ કામ કરે છે, ‘વો પાસ થે ફીર ભી દુર રહે’ જેવું નહીં.

રજની : તમને ભાઈ રમણભાઈ, પ્રશ્ન જો કે આમ થોડો નકામા છે પણ પુછું છું.
૨. પા. : પુછો, પુછો!

રજની : કે, નીષ્ફળ કે સફળ જીંદગી ગઈ એવું કંઈ… હું આવ્યો જગતમાં ને શું લઈને જઉં છું. શું બધું સાથે છે ને એવું બધું કંઈક લાગે છે ખરું?
૨. પા. : એમાં એવું છેને કે જીંદગીમાં ધ્યેયો ખાસ રાખેલાં નહીં. ધીમે ધીમે જેમ જેમ ચીંતનાત્મક અભીગમ વધતો ગયો એમ થયું કે સફળ શું વળી! ખાધું પીધું ને મગ્ન કરી એ જ સફળતા. એટલે એ રીતે સફળ, જે વચમાં અડચણોમાં ટાઈમ ગયો એટલા વરસ વેડફાયાં એમ કહી શકાય. બે રીતે નકામાં ગયાં : જીંદગી એક તો તબીયતના કારણે અને અમુક ગાળે આર્થીક મુશ્કેલીના કારણે.

રજની : સાહીત્યમાં જે કર્યું એનો તમને સંતોષ છે?
૨. પા. : એમાં તો મહત્ત્વાકાંક્ષા કદી હતી જ નહીં એટલે સંતોષનો પ્રશ્ન જ નથી. મેં કીધુંને કે મહત્ત્વાકાંક્ષા કદી રાખી જ નહોતી.

રજની : તમને સ્પર્ધાભાવ કોઈ માટે થયો છે કદી?
૨. પા. : નથી થતો, ભાઈ.

રજની : ભલે હવે આ તબક્કે થતો નહીં હોય, પણ…
૨. પા. : નાનપણમાં થતો હશે. એ બધા સાથે ભણનારા છોકરાઓનો થતો હશે. દેખાવડા છોકરાનો થતો હશે. કોઈની પત્ની દેખાવડી હોય તોય થાય. કોઈને સારી ગર્લફ્રેન્ડ મળી હોય તોય થાય. એ બધું તો હું કુદાવી જ ગયો. પછી સુક્ષ્મ સ્પર્ધાભાવ થોડો વખત કદાચ તમારા જેવા મીત્રો માટે રહ્યો હોય તે આત્મચીંતન કરી કરીને કાઢ્યો. પછી એવું બહુ જવલ્લે જ. મારા સ્વભાવમાં જ એ નથી એટલે જવલ્લે જ થાય ત્યારે નક્કી કર્યું કે, આમાં ઈર્ષ્યાનો ભાવ હોય. હવે ફરી બીજી વાર ધ્યાન રાખવું; પણ મારા સ્વભાવમાં પહેલેથી જ ઈર્ષ્યા નહીં. કારણકે થોડી ગુરુતાગ્રંથી જેવું…. આત્મતૃપ્તી જેવું કે આપણે બરાબર છીએ. અભાવ પણ ઓછો આવ્યો છે કે અભાવની પીડા બહુ ઓછી થઈ છે.

રજની : ટુંકમાં તમારો આ ફીલોસોફીકલ એપ્રોચ કેટલાં વરસથી આવ્યો? સમાધાનકારી ગણો કે જે ગણો એ; પણ માનસીક શાંતી આવે એવો – ટુંકમાં.
૨. પા. : ખરેખર તો એના વીશે હું કોન્શીયસ નહોતો, જવાનીમાં તો માણસ ઉછળકુદમાં હોય ને પછી મારી ખરી જવાની જ્યારે ચાલતી હતી એ ગાળામાં હું માંદો પડ્યો. કંઈ વીચીત્ર જાતની માનસીક બીમારી થઈ, ત્યારે મને ચીંતન કરવાનો ઘણો બધો સમય મળ્યો.

રજની : સાઈઠથી પાંસઠ વચ્ચે….
૨. પા. : એ મને થયું એકચ્યુલી 1961માં અને 1967 સુધી ગંભીર રીતે… પણ એ ગાળામાં વીચાર કરવાની મને ઘણી બધી તક મળી. અને તમે કહો છો તેમ ચીંતનાત્મક અભીગમ આવ્યો અને આમ તો મારામાં સમાધાનકારી વૃત્તી ખરી કે તુચ્છ વાતમાં ધ્યાન નહીં આપવું. એક ટાગોરની પંક્તી મારા મગજમાં નાનપણથી બેસી ગયેલી એ હું ઘણાને કહ્યું કે ભાઈ, સુખી થવું હોય તો આ મોટામાં મોટો રસ્તો છે. ટાગોરની અન્ય એક કવીતા છે એમાં એમણે ઈશ્વર પાસે જુદી જુદી શક્તીઓ માંગી છે જેમાં એક પંક્તી મને બહુ ગમતી હતી કે, give me the strength to raise my head high above the daily tritles!

રજની : રોજીંદા જીવનની ક્ષુલ્લક વાતોમાંથી…
૨.પા. : મારું મસ્તક ઉન્નત રાખવાની મને તાકાત આપો એવું. એટલે મને એવું કંઈ નહીં કે આજે આટલા પૈસા ખર્ચાઈ ગયા ને ફલાણો આમ બોલી ગયો એની તો મારા મગજ પર અસર જ નહીં. એટલે એને લીધે હું માનસીક રીતે…

રજની : તો આ અભીગમ તમારો 1967ની સાલ પછી 45 વર્ષની ઉમ્મર પછી સાહજીકપણે પ્રગટ થવા માંડ્યો અને એને તમારા વાચન, મનન અને અનુભવોએ પરીપુષ્ટ કર્યો.
૨. પા. : એવું કોઈ આધ્યાત્મીક વાંચન નહીં. પણ સાયન્સ, રૅશનાલીઝમ, મેં વસીયતનામા પછી પણ એક લેખ લખ્યો છે કે મને વીજ્ઞાન અને એમાંય એસ્ટ્રોનોમી – એણે મને લગભગ વૈરાગી બનાવી દીધો. કારણ કે તમે જો આકાશ વીશે જાણો; જેને આપણે અવકાશ કહીએ એની જે વીરાટતા – અબજોના આંકડામાં જ થતી વાત એ આપણે જો જાણીએને તો આશ્ચર્યની સાથે સાથે આપણી જીંદગીનું બધું એટલું બધું તુચ્છ લાગે કે શું કામ, આના માટે માણસો દુઃખી થતાં હશે? એવું થાય પછી આપણે જન્મ્યા છીએ ને એ બધી વાસ્તવીકતા તો છે જ, તો શું કરવાનું? ખાઈપીને મજા કરવાની. બીજું કશું રહેતું જ નથી. કોઈ પુણ્ય–પાપ, સ્વર્ગ–નરક એવું મગજમાં બેઠું જ નથી. બંગલા બંધાવીને બી જવું નથી ને આપી જવાનો બી સવાલ નથી; એટલે કશું કરવાનું રહેતું જ નથી. રહે એક જ કે આનન્દ કરો. પેલી વીરાટતાને લીધે આપણને આપણી તુચ્છતાનું એવું ભાન થાય કે ક્યાં સો વર્ષનું આયુષ્ય ને એક પાંચ ફુટનો રમણ પાઠક ને એની શી કીમ્મત?

રજની : તમે એક વાક્ય બોલી ગયા વચ્ચે કે સુક્ષ્મ ઈર્ષ્યા – તમારા જેવા મીત્રોની… તો એવો દાખલો યાદ આવે છે કોઈ?
૨. પા. : એમાં છે ને બહુ વરસો પહેલાં થતી હશે ને. એટલે સાલું મગજમાં બેસતું નથી કે કયા ચોક્કસ કારણે; પણ લોને તમારી જ ઈર્ષા વળી – દાખલા તરીકે તમારી ઓળખાણ થઈ ત્યારે! જો કે વધારે એવી જાતની મારી વૃત્તી છે કે મારા મીત્રોને કોઈને લાભ થાયને તો મને આનન્દ થાય, એટલે તમને સ્ટેટ્સમેનનો એવૉર્ડ મળ્યો તો મને કેમ ન મળ્યો એવો વીચાર જ નહીં આવે. આપણે ખુશ પણ છતાં તમારા જેવા મીત્રો એટલે કોઈ જયંતભાઈ કે કોઈના કદાચ, બહુ વર્ષો પહેલાં હું થોડો કાચો હોઈશ ત્યારે થયું હશે તે મીત્રોની વાત છે. ત્યારે તમે તો હતા જ નહીં પીક્ચરમાં; પણ ત્યારના મીત્રો હોય ને એમાં તમારી જેમ દેખાવડો હોય ને કોઈ સારી ગર્લફ્રેન્ડ ધરાવતો હોય, કોઈ આપણા કરતાં સારાં વસ્ત્રો પહેરતો હોય, કોઈને માન–પાન મળતું હોય, આપણે ક્લાસમાં હોઈએ ત્યારે કે કોઈ સંસ્થામાં કામ કરતા હોઈએ ત્યારે કદાચ એવું થતું હશે; પણ હવે નહીં.

રજની : તમને લાગતું નથી કે એ સહજ છે, માણસમાં… થોડીઘણી?
૨. પા. : ઘણું જ સહજ છે. એટલે જ કાઢવું પડે ને? એને માણસ ઓળખે અને એને લાગે જેમ આપણને એમ થાય કે આ વાળ ધોળા થયા છે બે–ચાર. એ નથી સારું લાગતું, કાઢી નાખો એના જેવું છે. વાળ ધોળા થવાના એ તો સહજ જ છે. આપણને થાય કે બે–ચાર જ છે તો કાઢી નાખીએ તો સારું એના જેવું છે. એટલે છે તો સહજ જ. બધાને થાય; પણ પછી થાય કે આપણને શોભાસ્પદ નથી લાગતું, માટે આને કાઢો ને. મને જે ચહેરો મળ્યો છે એ હું બદલી શકતો નથી તો બીજા સારા ચહેરાવાળા જોડે સરખાવીને કામ શું છે?

મતલબ એમાં એવું થાય છે કે એક બહુ સરસ રીતે આપણે એનું સૉલ્યુશન લાવી શકીએ છીએ. આમાં ટાઈમ જ બગાડવાનો આપણી પાસે ક્યાં છે? પેલા કોઈ કે કહ્યું છે કે માનવજાતની પાંચ અબજની વસ્તીને તમે પ્રેમ જો નથી કરી શકતા, તો ધીક્કારવાનો ટાઈમ જ ક્યાંથી કાઢો? એટલે એના જેવું છે. એટલે ચોવીસે કલાક આપણને આનન્દની એટલી તકો છે તો કોઈની ઈર્ષ્યા કરવામાં ટાઈમ ક્યાં બગાડવો? એટલું બધું કરવાનું હોય છેને કે ઘણું થતું નથી એનો જ અફસોસ રહ્યા કરે છે. દા.ત. આપણે એમ માનીએ કે ઘણું ફર્યા; પણ હજુ તો બહુ ફરવાનું બાકી છે.

રજની : એમ નહીં; પણ તમારા આટલા બધા મીત્રો તમને ચાહનારા મળ્યા એનું કારણ તેમને શું લાગે છે?
ર. પા. : એમાં તો જરા આત્મપ્રશંસાથી હું તો મારું પોતાનું સારાપણું, એડજસ્ટ થવાની વૃત્તી, મદદગાર થવાની વૃત્તી, વચનપાલન, બીજાને દુઃખે દુઃખી થવાની વૃત્તી; એને કારણે મીત્રો આપણાથી ખુશ રહે. છતાં બહુ આપણને દુઃખી કરતો હોય તો પછી નાખુશ કરવો પડે. કહેવું પડે કે; નથી ફાવતું દોસ્ત હવે. મહેરબાની કરીને આપણે ન મળીએ તો સારું એવું કોઈને કહેવું પડે; પણ જુજ કીસ્સામાં, હું મનમાં કોઈ મીત્રથી ‘બોર’ થતો હોઉં તો બોલું નહીં એટલે એ તો ખુશ જ રહે, અથવા કોઈની નીર્બળતા જોઉં તોય હું ન બોલું. એ તો ચાલ્યા કરે. પછી પાછો એ શાંતીથી સાંભળવાને રાજી હોય ત્યારે કહી દઈએ. પણ કડવાશ નહીં ઉભી કરવાની.

 [આ મુલાકાત અહીં પુરીઅધુરી, જે ગણીએ તે : વખતે મેં કરેલી નીચેની નોંધ મુલાકાતમાંથી તારવેલા ભાગરુપે જ.] 16–06–1996

રમણ પાઠક આજે સંપુર્ણ સુખી માણસ છે; ક્યાંય દુઃખનો ઓછાયો સુધ્ધાં વરતાતો નથી, એટલા સુખી. એના મુળમાં રૅશનાલીસ્ટ જીવન, વીચાર, વર્તન : એક જ પુત્રી – પછી શક્ય છતાં પુત્રની ઈચ્છા ન રાખી. પુત્રીને મેડીકલમાં એડમીશન મળ્યું; છતાં એની મરજી નહીં. તો કોઈ દબાણ નહીં. એની ઈચ્છા પ્રમાણે જ ભણવા દીધું ને એ જ પ્રમાણે લગ્ન પણ સંપુર્ણ એની જ ઈચ્છાનુસાર, એથી આંતરજ્ઞાતીય અનાવીલ જ્ઞાતીમાં – (જ્ઞાતીએ શ્રીગૌડ બ્રાહ્મણ; પણ સરોજ વળી કચ્છી ભાટીયા) સ્નેહલગ્ન તેણે કર્યાં. એમાં ખર્ચ નહીં, જમણવાર નહીં, ઠઠારો નહીં (એકની એક પુત્રી છતાં એનો કોઈ જ અભરખો નહીં), ધાર્મીક વીધી ટુંકો ને ટચ; તેય કેવળ વેવાઈપક્ષની ઈચ્છા ને યોજના મુજબ.

રમણ પાઠકના રૅશનાલીસ્ટ અભીગમ મુજબ, વડીલ તરીકે કોઈને જ કશી સલાહસુચના કે હુકમ નહીં. બન્ને પક્ષે બીનદરમ્યાનગીરીની જ નીતી. રમણ પાઠક સંપુર્ણ મુક્ત; કોઈની જ રોક–ટોક નહીં. વધુમાં આ સ્વજનો (જમાઈ સહીત) એમને અનહદ ચાહે એટલે જીવન હર્યુંભર્યું. સૌ એમનો પડતો બોલ ઝીલે. શર્વરી સર્વ વાતે સુખી–અત્યંત લાગણીશીલ અને પ્રેમાળ. તેઓ જણાવે છે :

“આમ જેને કશી જ જવાબદારી નહીં; કોઈ પક્ષ પ્રતીની ચીંતા નહીં; મનને ન ગમે એવી વાત કોઈ નીકટની વ્યક્તી તરફથી સાંભળવાની નહીં; ઈચ્છાઓ સામે લેશ માત્ર અવરોધ નહીં, મીત્રો(તમારા જેવા)નો અસીમ પ્રેમ–આદર; લગભગ જાણે કે લાડ લડાવે. પ્રશંસકો–શીષ્યો પણ એટલાં જ પ્રેમ–આદરથી સેવા કરે: કોઈકની મીઠી લાગણી પણ મનભર (આ મુદ્દો ખુબ નજાકતથી, સાવચેતીથી લખવો.) આ બધું જેને મળ્યું હોય; એને દુઃખ હોય જ શેનું? ને ક્યાંથી? (માનવજાતના દુઃખે દુઃખી છું – એ વાત જુદી – ગૌરવની.) અને આ બધાનું જ મુળ રૅશનાલીઝમમાં… કોઈ ધર્મ, સમાજ, નીતી, વ્યવહાર કે એવા કોઈ દબાણથી બીનજરુરી ઉપાધી વહોરવાની જ નહીં. આનન્દો આડે કોઈ કહેવાતી સામાજીક, નૈતીક, ધાર્મીક ગ્રંથીઓ પણ નહીં.” આમ રમણ પાઠક આનન્દમાર્ગી. આનન્દ એ જ જીવનધ્યેય એવું પ્રચારે છે અને જે તેઓ પ્રાપ્ત (ભરપુર) પણ કરી શક્યા છે. તે મેં જાતે જોયું – જાણ્યું છે વગેરે – વગેરે…

– રજનીકુમાર પંડ્યા

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદકસમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23/01/2023

4 Comments

  1. શ્રી રજનીકુમાર પંડ્યાનો સ્વ રમણ પાઠક અંગે ખૂબ સ રસ લેખ
    “‘આનન્દમાર્ગી’. આનન્દ એ જ જીવનધ્યેય એવું પ્રચારે છે અને જે તેઓ પ્રાપ્ત (ભરપુર) પણ કરી શક્યા છે. તે મેં જાતે જોયું – જાણ્યું છે ”
    આ સારભુત વાત તેમના સંપર્કમા અમે પણ અનુભવી છે.તેમની સાથે ચર્ચામા કહેતા-બુદ્ધે તેને શુન્ય કહ્યું અને વેદાંતે તેને બ્રહ્મ કહ્યું.જે આ સત્તા માં વાસ્તવમાં છે નહીં પણ છતા દેખાડે છે તેને વેદાંતીઓએ માયા કહી, અને કપીલમુનીએ પ્રકૃતિ કહી. આ સત્તા નિષ્ક્રીય કે જડ નથી પણ આનંદ સ્વરૂપ છે અને આ પરમાણુઓ કે જેનાથી આપણી બુદ્ધિ પણ બની છે તે બધા તેને લીધે આનંદમય લાગે છે. જ્યારે આપણને સમજાય કે આપણું ખરેખરુ સ્વરૂપ બુદ્ધિ નહીં પણ આ ચૈતન્ય છે ત્યારે આપણને અનહદ આનંદ થાય છે . આ આનંદની વાત તેઓએ રેશનલ લાગતી વાતથી વિચારી,અનુભવી અને તેનો પ્રચાર કર્યો. આપણે સત ચિત આનંદ પરમાત્માના અંશી તેથી આપણુ સ્વરુપ જ આનંદનુ છે.

    Liked by 1 person

    1. ૨-૧૧-૧૯૯૪ નો આ અદભુત ઇન્ટરવ્યૂ વાંચીને ગદગદ થઈ ગયા.
      બધા જ વિચારો 360 ડીગ્રીના જાણવા મળ્યા, પરંતુ ખાસ એ જમાનામાં પોતાનું શરીર હોસ્પિટલમાં અને માનવ જાતના કામમાં આવે તે ભાવના બહુ જ ઉચ્ચ કહેવાય.
      મૃત્યુ ઉપર પણ તેમના વિચારો અદભુત અને અનોખા હતા.
      કોઈને ભારરૂપ ન થઈએ અને હંમેશા આનંદમાં રહીએ અને આનંદ જ વહેંચીએ તેમનો મૂળભૂત મંત્ર હતો.

      Liked by 1 person

    1. ‘એક મુલાકાત – જેવી છે તેવા સ્વરૂપે’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s