પુનર્જન્મની કલ્પના મનોહર ખરી; પણ એનું પ્રમાણ મળતું નથી. એવી કલ્પના કરવાની આવશ્યકતાયે નથી. સ્ટેલીને લાખોને રહેંસી નાખ્યાં, છતાં લાંબું જીવ્યો, છેક સુધી સર્વસત્તાધીશ રહ્યો, તો શું આપણે એમ માનવું કે તેને ફાંસી આવતે જન્મે મળશે? સોક્રેટીસે આજીવન તર્કની અને સત્યની સાધના કરી, તેને ઝેર ખાવાનો વખત આવ્યો. તો શું આપણે મન મનાવવું કે બીજે જન્મે તે શેઠીયો થયો હશે?
હું શેમાં માનું છું?
– ઉદયન ઠક્કર
ગાંધીજીના શબ્દો ઉચ્ચારવાની મારી પાત્રતા નથી, છતાં કહું છું કે ચાર હાથવાળા ઈશ્વરમાં હું માનતો નથી.
માનવીની સમજણ વીકસી નહોતી ત્યારે તે પ્રકૃતીના તત્વોથી ડરતો હતો, ઈન્દ્ર, અગ્ની, વાયુ, વરુણને દેવ ગણતો હતો, રોગચાળાથી ડરીને શીતળાદેવીને પુજતો હતો. જેમ જેમ વીજ્ઞાનનો ઉદય થતો જાય છે, તેમ તેમ આવાં દેવદેવીઓનો અસ્ત થતો જાય છે. મૃત્યુનો ડર હતો એટલે પુનર્જન્મની કલ્પના કરવામાં આવી. મીસરમાં ફારોના મૃત્યુ પછી સેંકડો ગુલામોને તેમની સાથે પીરામીડમાં પુરી દેવામાં આવતા હતા. બુદ્ધને કોઈએ પુછ્યું હતું, ‘મૃત્યુ પછી શું થાય છે?’ તેમનો ઉત્તર હતો, ‘હું મર્યો નથી, એટલે કેમ કહી શકું? બસ એક દીવો છે, જે બુઝાઈ જાય છે.’ હું પણ આવા ‘દીપનીર્વાણ’માં માનું છું. દીવાએ બુઝાયા પછી કશું કરવાનું નથી; પરન્તુ બુઝાયા પહેલાં (ટમટમવાનું નહીં, પણ) ઝળહળવાનું છે!
કેટલાંક દલીલ કરશે, ‘ઈશ્વર ન હોય તો જીવન આવ્યું ક્યાંથી?’ આ તર્ક બરાબર નથી. ‘અહીં સો રુપીયાની નોટ પડી છે, કોણ મુકી ગયું એ ખબર નથી, માટે મગનલાલ મારફતીયા મુકી ગયા હશે’ એવો તર્ક બરાબર કહેવાય? સૃષ્ટીનાં બીજાં રહસ્યોની સાથે ક્રમશ: જીવનના ઉદ્ભવનું રહસ્ય પણ ઉકેલાશે.
વીસમી સદીના છઠ્ઠા દાયકામાં રસાયણશાસ્ત્રી હેરોલ્ડ ઉરેએ ધારણા કરી હતી કે પૃથ્વીના પ્રારંભકાળના વાતાવરણમાં ઝાઝે ભાગે હાઈડ્રોજન હશે, વીજળી અને સુર્યપ્રકાશને લીધે થયેલી રાસાયણીક પ્રક્રીયાથી વીધવીધ મોલીક્યુલ બન્યા હશે. તેમના વીદ્યાર્થી સ્ટેન્લી મીલરે અને આઠમા દાયકામાં કાર્લ સેગને આ દીશામાં પ્રયોગો કર્યા હતા. તેમણે પૃથ્વીના પ્રારંભકાળના વાતાવરણમાં હતા તે વાયુઓનું (હાઈડ્રોજન, હાઈડ્રોજન સલ્ફાઈડ, જળ, એમોનીયા, મીથેન) ચંબુમાં મીશ્રણ કર્યું. પછી તેમાંથી (વીજળીના પર્યાયરુપે) તણખા પસાર કર્યા, અથવા (સુર્યપ્રકાશના પર્યાયરુપે) અલ્ટ્રાવાયોલેટ કીરણ પસાર કર્યાં. પરીણામ શું આવ્યું? ચંબુમાંના વાયુઓનું મીશ્રણ પહેલાં અદ્રશ્યમાન હતું; પરન્તુ તણખા પસાર કર્યાની દસ મીનીટમાં ચંબુની અંદરની સપાટી પર ઘટ્ટ કથ્થઈ દ્રવ્ય બાઝવા લાગ્યું, જેમાં જીવકોષના ઘટક જેવાં પ્રોટીન અને ન્યુક્લેઈક એસીડ હતાં. શું કસનળીમાં જીવનની ઉત્પત્તી કરી શકાઈ છે? ના; પરન્તુ એવાં ઘટકો ઉત્પન્ન થતાં જોવાયાં છે, જેમાંથી કાળક્રમે એકકોષી જીવ બન્યા હોય.
ટુંકમાં, ‘સુર્યચંદ્ર ફરે છે અને મોજાં ઉછળે છે તે ઈશ્વરને કારણે, રોગ થાય છે અને મટે છે તે ઈશ્વરને કારણે, પ્રાણીઓ જીવે છે અને મરે છે તે ઈશ્વરને કારણે’- એવી માન્યતા ઉચીત નથી.
કોઈ પુછશે, ‘ચમત્કારોનું શું?’ મહાન ડચ ફીલસુફ સ્પીનોઝાએ કહ્યું છે કે મોઝીસે પગ મુકતાંવેંત રાતા સમુદ્રનાં ફાડચાં થઈ ગયાં, કે જીસસ ‘સી ઓફ ગેલીલી’ પર ચાલ્યા, એવી બાઈબલમાં લખેલી વાતો સાચી નથી. લોકોને આકર્ષીત કરવા માટે ચમત્કારોની વાતો વહેતી મુકાતી હોય છે. (આવું ઉચ્ચારવા બદલ સ્પીનોઝાને યહુદી ધર્મની બહાર મુકાયા હતા.) હું ચમત્કારોમાં માનતો નથી, હું સ્પીનોઝામાં માનું છું.
હીંદુ ધર્મમાં ‘કર્મના સીદ્ધાંત’ને પ્રતીષ્ઠા મળી છે. આ સીદ્ધાંતમાં (પુર્ણ તો નહીં પણ) આંશીક સત્ય છે. ‘ખેતી કરનારને ધનધાન્ય મળે છે અને લુંટફાટ કરનારને કેદ. સજ્જન સાથે દુર્વ્યવહાર કરતાં દુર્જન પણ ખંચકાય છે. ગુંડો પોતાની દીકરી ધનવાન ગુંડા સાથે નહીં, પણ સામાન્ય સ્થીતીના સદગૃહસ્થ સાથે પરણાવવી પસંદ કરે છે.’ – આટલું સાચું છે.
પરન્તુ પછી બે ડગલાં આગળ વધીને કર્મનો સીદ્ધાંત કહે છે, ‘તમારા સત્કાર્યનું ફળ ન મળ્યું? વાંધો નહીં, આવતે જન્મે મળશે. દુષ્કર્મ કર્યાં ન હોવા છતાં તમને દુ:ખ પડે છે? પુર્વજન્મમાં દુષ્કર્મ કર્યાં હશે.’ પુનર્જન્મની કલ્પના મનોહર ખરી; પણ એનું પ્રમાણ મળતું નથી. એવી કલ્પના કરવાની આવશ્યકતાયે નથી. સ્ટેલીને લાખોને રહેંસી નાખ્યાં, છતાં લાંબું જીવ્યો, છેક સુધી સર્વસત્તાધીશ રહ્યો, તો શું આપણે એમ માનવું કે તેને ફાંસી આવતે જન્મે મળશે? સોક્રેટીસે આજીવન તર્કની અને સત્યની સાધના કરી, તેને ઝેર ખાવાનો વખત આવ્યો. તો શું આપણે મન મનાવવું કે બીજે જન્મે તે શેઠીયો થયો હશે? લોકો સ્ટેલીનના નામ પર થુંકતાં આવ્યાં છે, અને પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રના પ્રણેતા તરીકે સોક્રેટીસને પુજતાં આવ્યાં છે. કર્મનું ફળ તેમની સ્મૃતીને મળે છે. આમ (પુનર્જન્મની કલ્પના વીનાયે) કર્મનો સીદ્ધાંત સાચો ઠરે છે.
જેવું પુનર્જન્મનું તેવું સ્વર્ગ અને નરકનું. ‘હમકો માલુમ હૈ જન્નત કી હકીકત લેકીન/દીલકે ખુશ રખને કો ગાલીબ યે ખયાલ અચ્છા હૈ.’ તમે અન્યનું ભલું કરશો તો તમને આનન્દ થશે. અન્યનું ભલું કરીને કોઈને કહેશો નહીં, તો આનન્દ બેવડાશે. આ તમારું સ્વર્ગ. તમે અન્યનું અહીત કરશો તો અપરાધભાવ અનુભવશો. અન્યનું અહીત કરીને પશ્ચાત્તાપ નહીં કરો, તો અપરાધભાવ બેવડાશે. આ તમારું નરક. આ રીતે આનન્દ કે અપરાધભાવ અનુભવવા, તમારા રંગસુત્રમાં જ છે. માનવી સૌથી શક્તીશાળી ન હોવા છતાં જીવસૃષ્ટી પર આધીપત્ય ભોગવે છે કારણ કે એ સામાજીક પ્રાણી છે. હળીમળીને રહેવાથી, એકમેકનું ભલું કરવાથી, એકમેકનું અહીત ન કરવાથી, તે જીવી શકે છે, વીકસી શકે છે. એક ફીલસુફે લખ્યું છે, ‘જેવા વર્તનની અપેક્ષા તમે અન્ય પાસેથી રાખતા હો, તેવું વર્તન અન્ય સાથે તમે પણ કરો. આ એક વાક્યમાં સંપુર્ણ બાઈબલ સમાઈ જાય છે, બાકીનું કેવળ ટીપણી છે.’
બુદ્ધ ઈશ્વરની વાતોમાં પડતા નથી. તે કહે છે, ‘સંસારમાં દુ:ખો છે, અને મારી પાસે દુ:ખો ઓછા કરવાનો ઉપાય છે. ઈચ્છાઓ ઓછી કરો, દુ:ખો આપમેળે ઓછાં થશે.’ ધારો કે બધી ઈચ્છાઓ પુરી થઈ જાય તો બધાં ખુશ થઈ જાય….. માત્ર એક પળ માટે. વળતી જ પળે પડોશીની પણ ઈચ્છાઓ પુરી થયેલી જોઈને પાછા દુ:ખી થઈ જાય. સુખી થવું છે? તો સરખામણી ન કરો.
કોઈ ખેતીમાં કુશળ હોય છે. (કુશ-ઘાસ- નીંદવામાં પાવરધો, તે‘કુશળ.’) કોઈ સંગીતમાં પ્રવીણ હોય છે. (વીણાવાદનમાં પાવરધો, તે ‘પ્રવીણ.’) કોઈ યુદ્ધમાં શુરોપુરો હોય છે. આપણને મળેલી વીશીષ્ટ શક્તીને ઓળખી લઈ, એનો કસ કાઢવાથી જે મળે, એને સુખ કહે છે. ‘સ્વધર્મે નીધનં શ્રેયો, પરધર્મો ભયાવહ:’ – શ્રીકૃષ્ણને મુખે કહેવાયું હોય કે ડેલ કાર્નેગીને મુખે, સત્ય તો સત્ય છે.
કોઈ પુછશે, ‘વગર વાંકે મને દુ:ખ કેમ પડે છે?’ ભાઈ, સૃષ્ટીની રચના તમને કેંદ્રમાં રાખીને થઈ નથી. હરણનો જીવ બચે, એ દહાડે સીંહ ભુખ્યો રહે છે.
સીધી લીટીના દાખલા ગણતાં બાળક મુંઝાય નહીં માટે તેને ‘કૌનાભાગુસબા’ શબ્દ ગોખાવવામાં આવે છે. સૌથી પહેલાં કૌંસમાં આપેલી રકમ ગણવી, પછી ‘ના’, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળા, અને છેલ્લે બાદબાકી. ‘કૌનાભાગુસબા’ શબ્દ જોડણીકોષમાં નથી, પણ તે યાદ રાખવાથી દાખલો સાચો પડે છે. જીવનનું ધ્યેય છે આનન્દની પ્રાપ્તી. વીચાર, વાણી અને વ્યવહારના કયા ગુણોથી આનન્દની પ્રાપ્તી થાય, એ કોઈને ‘ઈશ્વર’ જેવા ચાવીરુપ શબ્દથી યાદ રહેતું હોય, તો તેણે ઈશ્વરમાં માનવું જોઈએ.
હા, એટલું યાદ રહે કે ‘ઈશ્વર’ ચાર હાથવાળા નથી, પણ ‘કૌનાભાગુસબા’ છે.
– ઉદયન ઠક્કર
‘ગુજરાત ગાર્ડીયન’, દૈનીકની 13 નવેમ્બર, 2022ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘અતીથી કલમે’માંથી આ લેખ, લેખકશ્રીના અને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 31–03–2023
Objective, analytical, appropriate, impressive view-point 👏
LikeLiked by 2 people
ખુબજ સરસ, નવીન સંદર્ભ અને તાજગીસભર
LikeLiked by 2 people
કૌનાભાગુસબા A new convincing way to think about.
જીવનનું ધ્યેય છે આનન્દની પ્રાપ્તી. I agree with you.
Thank you for your perspective.
Regards,
Bharat S. Thakkar, Ph.D.
LikeLiked by 3 people
ઈશ્વર, પરમેશ્વર, ગોડ, અલ્લાહ નું અસ્તિત્વ છે કે નહીં તેને સમજવા પૂર્વે ઍ જાણવું જરૂરી છે કે શું તેનું નામ “ઈશ્વર” કે “પરમેશ્વર”, “ગોડ” કે “અલ્લાહ” જ છે? દરેક ધર્મવાળાઑ ઍ જેને જુદા જુદા નામ આપેલ છે, તે હસ્તી કોણ છે? તેને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીઍ.
ઘડિયાળ ચોક્કસ સમય બતાવે છે, તો તેને બનાવવા માટે ઍક ચોક્કસ કાર્યપદ્દતિ નો ઉપયોગ કરવામાં આવેલ છે. ઘડિયાળ આપમેળે નથી બની ગયેલ. ચોક્કસ કાર્યપદ્દતિ નો ઉપયોગ કરવાવાળો કોઈ પણ હોય શકે છે. તે જ અનુસાર પૃથ્વી સૂર્યની આસપાસ ઍક ચોક્કસ સમયમાં ઍક ચક્કર લગાવે છે, અને તે સમય છે ૩૬૫ દિવસ, ૬ કલાક, ૯ મિનિટ અને ૧૩ સેકન્ડ. આટલો ચોક્કસ સમય શું આપોઆપ ઉત્પન્ન થઈ ગયો, જે હજારો વર્ષ થી ચાલ્યો આવી રહ્યો છે, અને તેમાં ઍક સેકન્ડનો પણ તફાવત નથી થયેલ? આ શું સુચવે છે? આ ચોક્કસ સમયની કામગીરી ઍક ખાસ કાર્યપદ્દતિ થકી કરનાર કોઈ તો હોવો જોઈઍ.
આવી અનેક બાબતો છે જેવી કે કમ્પ્યુટર, મશીનરી, મોટા મોટા વાહનો, વિમાનો સહીત વગેરે. આ સર્વેની કામગીરી એક ખાસ અને ચોક્કસ પદ્દતિ થી ચાલી રહી છે અને ના કે તે આપોઆપ જ ચાલી રહ્યા છે.
તે અનુસાર આ મહાકાય બ્રહભાંડને ચલાવવાની કામગીરી ઍક ખાસ અને ચોક્કસ કાર્ય પદ્દતિ થકી ચલાવનાર કોઈ તો હોવો જોઈઍ. અને આ કામગીરી કરનારાને દરેક ધર્મ વાળાઑ ઍ જુદા જુદા નામ આપી દીધેલ છે. ઍ હસ્તી કોઈ પણ હોય શકે છે, ઍટલે કે કોઈ શક્તિ તો જરૂર છે. ભલે એનું નામ ” વિજ્ઞાન ” કે ” કુદરત ” હોય. આ વિષેતે ખરેખર કોણ છે તેના વિષે પુરી જાણકારી મેળવવી ઍ મનુષ્ય ની વિચાર શક્તિ ની બહાર છે, કારણ કે આ બ્રહભાન્ડ ના અસ્તિત્વને હજારો કે લાખો કે કરોડો વર્ષ થઈ ગયા છે પરંતુ આ ભેદ કે રહસ્ય મનુષ્ય નથી પામી શક્યો કે આ ૧૦૦ ટકા ચોક્કસ કામગીરી કેવી રીતે થઈ રહી છે???
કોઈ પાસે જવાબ હોય તો તેના પર પ્રકાશ પાડવા કૃપા કરશો.
LikeLiked by 2 people
Dear Qasim Abbas bhai,
You are right when you say this:
“તેના વિષે (about God) પુરી જાણકારી મેળવવી ઍ મનુષ્ય ની વિચાર શક્તિ ની બહાર છે”.
Very true indeed.
Man is smaller than a speck of dust in this huge, vast infinite universe.
An ant can perhaps climb a tree, but can it know what is the sun made of?
We must be humble and know our own limitations.
Please stop guessing and study more science (which is a study of Nature).
Subodh Shah.
LikeLiked by 1 person
શ્રી ઉદયન ઠક્કરજીની આ વાત-‘જીવનનું ધ્યેય છે આનન્દની પ્રાપ્તી. વીચાર, વાણી અને વ્યવહારના કયા ગુણોથી આનન્દની પ્રાપ્તી થાય, એ કોઈને ‘ઈશ્વર’ જેવા ચાવીરુપ શબ્દથી યાદ રહેતું હોય, તો તેણે ઈશ્વરમાં માનવું જોઈએ.
હા, એટલું યાદ રહે કે ‘ઈશ્વર’ ચાર હાથવાળા નથી, પણ ‘કૌનાભાગુસબા’ છે.’વાત ગમી હવે આપણે કૌનાભાગુસબા સમજવા પ્રયત્ન કરીએ.ભાગુસબાનો નિયમ એ ગણિત તેમજ આંકડાશાસ્ત્રનો પાયાનો નિયમ છે, જે અંતર્ગત કોઇપણ ગાણિતિક અથવા આંકડાકીય કોયડા અથવા સમીકરણ ને ઉકેલવા માટે સૌથી પહેલા ભાગાકાર (ભા), ત્યારબાદ ગુણાકાર (ગુ), પછી સરવાળો (સ) અને છેલ્લે બાદબાકી (બા) કરવામાં આવે તો અને તો જ સાચો જવાબ મેળવી શકાય.
ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી શબ્દોના પહેલા અક્ષરો (ભા.ગુ.સ.બા.) પરથી આ નિયમનું નામ ભાગુસબાનો નિયમ રાખવામાં આવેલ છે.
ષડ્દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી અને વેદને પ્રમાણ માનનારી છ વિચારપરંપરાઓ. જડ તત્વનું બનેલું જગત, ચેતન તત્વના બનેલા આત્મા અને પરમાત્મા વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ દૃષ્ટિ વિકસી તેનું નામ દર્શન. એ દર્શન જુદા જુદા છ ઋષિઓએ સૂત્રોમાં રજૂ કર્યું છે, તેથી તે છ સૂત્ર-ગ્રંથો ‘ષડ્દર્શન’ એવા નામે ઓળખાય છે. ભારતીય દર્શનો છ છે તે ષડદર્શન તરીકે ઓળખાય છે. ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ, પૂર્વમીમાંસા-ઉત્તરમીમાંસા(વેદાંત) જે વેદને માનતા હોવાથી આસ્તિક દર્શન તરીકે ઓળખાય છે. ન્યાય-વૈશેષિક અને સાંખ્ય-યોગ વેદ પર અંશત: આધારિત છે જ્યારે પૂર્વ અને ઉત્તરમીમાંસા વેદ પર સંપૂર્ણ આધારિત છે. સાંખ્ય અને પૂર્વમીમાંસા ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી.
જૈન, બૌદ્ધ અને ચાર્વાક એ ત્રણ વેદવિરોધી હોવાથી નાસ્તિક દર્શન તરીકે ઓળખાય છે. આ ત્રણેય દર્શનો ઈશ્વરના અસ્તિત્વને પણ સ્વીકારતા નથી. ‘
આ નાસ્તિક દર્શનનુ પણ વિદ્વાન સંતોએ સ્વીકાર્યું છે અને આમા માનનારા જીવનમા સગુણાત્મક પરીવર્તન કરી આનંદ પ્રાપ્ત કરે તે સમાજને સ્વીકાર્ય છે.
LikeLiked by 3 people
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 2 people
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘હું શેમાં માનું છું?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 2 people
‘હું શેમાં માનું છું?’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
ભાઈ ઉદયન ઠક્કરનો આ લેખ ખૂબ જ ગહન છે,
ગાગરમાં સાગર છે.
તેના ઘણા ઉદાહરણો આપણા મિત્રો એ ટાંક્યા છે.
એક છેલ્લું ઉદાહરણ હું આપું છું (ટાંકું છું)
“જેવા વર્તનની અપેક્ષા તમે અન્ય પાસેથી રાખતા હો, તેવું વર્તન અન્ય સાથે તમે પણ કરો. આ એક વાક્યમાં સંપુર્ણ બાઈબલ સમાઈ જાય છે, બાકીનું કેવળ ટીપણી છે.”
LikeLiked by 2 people
This is a great article. Congratulations to the writer and to Govindbhai.
LikeLiked by 1 person