ધર્મ સાથે જીવનના છુટાછેડા
–ગુણવંત શાહ
જલાલુદ્દીન રુમીએ એક સુફી વાર્તા કહી હતી. એક વાર ભલો ઈબ્રાહીમ ગાદી પર બેઠો હતો. અચાનક એને કાને વીચીત્ર અવાજ સંભળાયો. એના મહેલના છાપરા પરથી જે અવાજ સંભળાયો એમાં ડચકારા, ઝુંટાઝુંટ અને ચડસાચડસીનો આભાસ થતો હતો.
ઈબ્રાહીમે બારીની બહાર ડોકું કાઢીને મોટા અવાજે બુમ મારી: ‘અરે! કોણ છે ત્યાં ? આ ઘોંઘાટ શેનો છે ?’ ચોકીદારો તો મુંઝવણમાં પડી ગયા ! એમણે કહ્યું:
‘જહાંપનાહ ! એ તો અમે મહેલના છાપરા પર ચોકી કરવા આંટા મારીએ છીએ’.
ઈબ્રાહીમને આશ્ચર્ય થયું ! એણે પુછયું:
‘ત્યાં તમે કોને પકડવા માગો છો ?’
ચોકીદારોએ વીનયપુર્વક કહ્યું: ‘જહાંપનાહ ! આપણાં ઉંટ ક્યાંક ખોવાઈ ગયાં છે અને અમે તેને ખોળી રહ્યા છીએ.’
ઈબ્રાહીમ કહે: ‘અરે ! શું ઉંટ છાપરા પર ચડી જાય એ શક્ય છે ?’
ચોકીદારોએ કહ્યું: ‘જહાંપનાહ ! અમે તો આપનું જ અનુકરણ કરી રહ્યા છીએ. આપ જો રાજગાદી પર બેસીને અલ્લાહની શોધ કરી શકો છો તો અમે છાપરા પર ઉંટ શોધીએ એમાં શી નવાઈ ?’
ભલો ઈબ્રાહીમ વીચારમાં પડી ગયો !
હીન્દુઓ ભગવદ્ ગીતા વાંચે છે. મુસલમાનો કુરાન વાંચે છે. ખ્રીસ્તીઓ બાઈબલ વાંચે છે. બૌદ્ધો ધમ્મપદ વાંચે છે. જૈનો સમણસુત્તં વાચે છે. એવું તે શું છે કે જે કશુંક વંચાય એની અસર જીવનનના વ્યવહાર પર પડતી નથી ? ક્યારેક તો ધર્મગ્રંથોનું વાચન માણસમાં ધાર્મીક હોવાનું મીથ્યાભીમાન જગાડનારું બની રહે છે. ગીતા વાંચનારાનું જીવન કોરું રહી જાય છે. કુરાન મોઢે હોય તોય જીવનમાં ઝનુનની બોલબાલા ! ધર્મ સાથે જીવનના કેવા છુટાછેડા !
વર્ષો પહેલાં બનેલો એક સાચો પ્રસંગ યાદ આવે છે. મારા ઘરથી થોડાક અન્તરે ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ (જીઈબી)ની હાઉસીંગ કૉલોની છે. એક સાંજે હું ઘરના હીંચકે બેઠો હતો અને એક યુવાન એન્જીનીયર મળવા માટે આવી પહોંચ્યો. એ મારો વાચક હશે એથી અત્યન્ત વીનયપુર્વક એણે પ્રશ્ન પુછયો: ‘સર ! હું કૃષ્ણભક્ત છું અને તમને પણ વાંચું છું. મારે જીવનમાં કૃષ્ણમય બનવા માટે શું કરવું જોઈએ ?’ આવો વજનદાર પ્રશ્ન સાંભળીને હું ઝટ કશુંય બોલી ન શક્યો.
કદાચ ત્યારે મારો મુડ સાવ જુદો હતો. મેં એ યુવાનને કહ્યું: ‘ગીતા વાંચવાનું બન્ધ કરી દેવું જોઈએ.’ મારી આ વાત સાંભળીને એ યુવાન ભારે નીરાશ થયો. એણે કહ્યું: ‘સર ! હું તમારી પાસે બહુ ઉંચી અપેક્ષા સાથે આવ્યો હતો. તમે મને નીરાશ કર્યો છે.’ એ યુવાન જવાની તૈયારીમાં હતો ત્યારે મેં એને મારા જવાબનો મર્મ સમજાવ્યો.
મે કહ્યું: ‘દોસ્ત ! તું એક કામ કર. આવતા છ મહીના સુધી ગીતા બાજુએ મુકી દે. તારી ઑફીસમાં પાંચ મીનીટ વહેલો પહોંચી જજે અને સમય પુરો થાય પછી પાંચ મીનીટ બાદ ઑફીસ છોડજે. ખુરસી પર બેઠો હોય ત્યારે દુરથી કોઈ ગામડીયો વીજળીની મુશ્કેલી અંગે તારી પાસે કામ લઈને આવે ત્યારે તું એનું વાજબી કામ એવી રીતે કરી આપજે, જાણે એ ગામડીયો ગોકુળથી આવેલો કૃષ્ણ જ હોય ! તું આ વાતનો અમલ છ મહીના માટે કર પછી ફરીથી મને મળવા આવજે. તને જરુર સમજાશે કે ગીતા વાંચવાની જરુર નથી. જો તું આ પ્રમાણે ન કરે તો ગીતા વાંચવાનો કોઈ જ અર્થ નથી.’ વર્ષો વીતી ગયાં તોય એ યુવાન હજી મને મળવા આવ્યો નથી.
આ જગતમાં બે ગીતા છે. એક કાગળ પર છપાયેલી પોથીગીતા અને બીજી છે જીવનગીતા. આવું જ કુરાન માટે અને બાઈબલ માટે પણ કહી શકાય. ‘જીવનગીતા’ કે ‘જીવનકુરાન’ વીના ધર્મ પોથીમાંનું રીંગણું બની રહે છે. ધર્મ અને જીવન વચ્ચેના આવા છુટાછેડા થઈ જાય પછી જે બચે છે એ કેવળ બાહ્યાચાર છે. સાધુ ગીતા જીવે છે. ફકીર કુરાન જીવે છે. ગીતા કે કુરાન કંઠસ્થ કરવામાં મીથ્યાભીમાન રહેલું છે. ધર્મગ્રન્થોનો પોપટપાઠ માણસનો અહંકાર વધારે છે.
ભારતમાં રોજે રોજ નવાં નવાં ધર્મસ્થાન બન્ધાતાં જ રહે છે. મન્દીરોની કે મસ્જીદોની સંખ્યા વધે તેમ ધર્મનું આચરણ વધે છે ખરું ? નવાં મન્દીરો બન્ધાય એ સાથે સરેરાશ પ્રામાણીકતા વધે છે ખરી ? નવી મસ્જીદો બન્ધાય એ સાથે નીતીમય જીવન ઉદય પામે છે ખરું ? કદાચ આપણે છાપરા પર ચડી ગયેલા ઉંટને શોધી રહ્યા છીએ ! ભલો ઈબ્રાહીમ હજી જીવતો છે.
એક્સ–રે
હે શીવ !
મારાં ત્રણ પાપ બદલ મને ક્ષમા કરજો:
♦ હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભુલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
♦ હું સતત તમારો વીચાર કરું છું; કારણ કે
હું ભુલી જાઉં છું કે તમે તો વીચારથી પર છો !
♦ હું તમને પ્રાર્થના કરું ત્યારે ભુલી જાઉં છું
કે તમે તો શબ્દથી પર છો !
–આદી શંકરાચાર્ય
– ગુણવંતભાઈ શાહ
‘ચીત્રલેખા’ (તા. ૨૮ માર્ચ, ૨૦૧૧) સાપ્તાહીકમાં વર્ષોથી પ્રગટ થતી એમની, લોકપ્રીય કટાર ‘કાર્ડીયોગ્રામ’માંથી સાભાર.. લેખકશ્રી અને ‘ચીત્રલેખા’ના સૌજન્યથી..
લેખક–સંપર્ક:
શ્રી ગુણવંતભાઈ શાહ, ‘ટહુકો’ -૧૩૯-વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા – ૩૯૦ ૦૨૦ – ભારત ફોન: (0265) 2340673
♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/
વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..
અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર (નવસારી). પોસ્ટ : એરુ એ. સી. – 396450 જીલ્લો : નવસારી. સેલફોન : 9974062600 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 25–08–2011
શ્રી ગુણવંતભાઈનો લેખ વિચારપૂર્વકનો અને વિચારપ્રેરક ન હોય તો જ નવાઈ લાગે. જો કે ગુણવંતભાઈ પાસેથી જ શીખ્યો છું કે કોઈ વાત સીધે સીધી સ્વીકારીન લેવી વિચાર કરવો અને જરૂર પડ્યે તેમાં ફેરફાર કરવો:
સાધુ ગીતા જીવે છે. ફકીર કુરાન જીવે છે.
આ વિચાર સામે એટલું કહેવાનું મન થાય છે કે
ગીતા જીવે તે સાધુ છે. કુરાન જીવે તે ફકીર છે.
LikeLike
very very good sir, write more about KSHAPANA not for jain releted for every atma releted. Arun shah
LikeLike
It is a good article to read but I ful agree with Atul Janis’s comment. Geeta & Kuran are very good to read & get information but it helps only when it is implemented in our daily life.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLike
જ્યાં સુધી “માનવતા” નો અર્થ ધર્મ કરીએ ત્યાં સુધી જીવન સાથે ધર્મ કહો કે ધર્મ સાથે જીવન કહો બંને એકજ છે અને તે એકબીજાના પર્યાય છે. ધર્મ ગ્રંથો લખવાનું કારણજ માનવીના હૃદય-મસ્તિષ્કમાં માનવતા સ્થાપવાનું છે. દયા, પ્રેમ, શ્રદ્ધા એ હૃદયના ગુણો છે જ્યારે “વિવેક” એ મસ્તિષ્કનો ગુણ છે. આ ચારેય ગુણો માણસને માનવતા એટલેકે ધર્મ તરફ વાળે છે. વિવેક વગરનો પાળેલો ધર્મ અધર્મ બની જાય છે.
હવે આપણા અહિ, ધર્મનો સામાન્ય અર્થ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બુદ્ધ, જૈન વિગેરે થાય છે. આ બધાને ધર્મ નહિ પણ સંપ્રદાયો કહી શકાય. વળી પાછા હિંદુઓમાં તો સેંકડોની સખ્યામાં પેટા-સંપ્રદાયો અને તેના પણ પેટા-સંપ્રદાયો થયા અને આ બધા સંપ્રદાયો અલગતાવાદી અને આજીવિકાવાદી હોય, અપવાદ સિવાય, લોક-કલ્યાણના કામો એટલેકે માનવતા કામો કરતા નથી. એટલે એનો સીધો અર્થ થાય કે ધર્મનું પાલન કરતા નથી. કોઈપણ સંપ્રદાયને અનુસરવું હોય તો તેના નિયમો તથા ગુરુની આજ્ઞા પાળવી પડે. આ સમ્રદાયોનું મોટામાં મોટું શસ્ત્ર છે, “મોક્ષ” જે કોઇએ જોયો નથી અને કદાચ કોઇએ જોયો
હોય તો કહેવા આવ્યો નથી. આ ઝાંઝવાના જળે તો કંઈ કેટલાનાયે જીવન બરબાદ કર્યા છે, તે તો બધાને ખબરજ છે, અહિ પુરાવા આપવાની જરૂર નથી, ન્યુઝ પેપરમાં સમાચાર વાંચી લેવા.
જ્યાં સુધી ધર્મ થકી માનવતાનું કામ થાય ત્યાં સુધી ધર્મના, જીવન સાથેના છૂટા છેડા કરવા મુશ્કેલ છે અને આથી ઊલટું સમજવું.
LikeLike
શ્રી ભીખુભાઈ,
આપની સાથે સંમત છું કે ‘માનવતા’ને ધર્મ માનીએ તો ધર્મ અને જીવન એકબીજાંના પર્યાય છે. પરંતુ, અહીં શ્રી ગુણવંતભાઈ માત્ર સંપ્રદાયોની જ વાત કરે છે. વળી, એમ ધારી લે છે કે ધર્મગ્રંથોમાં એવું કઈંક નવું છે કે એનું વાચન કરવું જ જોઈએ. એમનું આ વાક્ય જૂઓઃ ” ગીતા વાંચનારાનું જીવન કોરું રહી જાય છે. કુરાન મોઢે હોય તોય જીવનમાં ઝનુનની બોલબાલા ! ધર્મ સાથે જીવનના કેવા છુટાછેડા !”
અહીં એમણે ગીતા વાંચ્યા પછી પણ વાંચનારનું જીવન કોરૂં રહી જવાનું લખ્યું છે. ગીતા ન વાંચનારનું શું? બીજા ધર્મના લોકો ગીતા ન જ વાંચે. મને ખાતરી છે કે ૯૯ ટકા હિન્દુઓએ પણ ગીતા વાંચી નથી, બહુ બહુ તો પાઠ કર્યો હશે. આપણે એમ સમજવું કે ગીતા ન વાંચનારનું જીવન તો કોરૂં જ છે? આ લેખકનો અભિપ્રાય થયો.
આ વાક્યના ઉત્તરાર્ધમાં જ દેખાય છે કે ગુણવંતભાઈ સંપ્રદાયો કે કોમો વિશે અમુક અભિપ્રાયો ધરાવે છે. આવી ધારણાને આપ કહો છો એવા ‘માનવતા’ના ધર્મના માપદંડ પર ચકાસવી જોઇએ.
બાકી, એક સપાટે, એક જ વાક્યમાં, એક શ્વાસે ગીતા, કુરાન, બાઇબલ, જે જાણીતાં નામો લેવાં હોય તે લઈ લો, એમાંથી અતાર્કિક અને સાંપ્રદાયિક માન્યતાઓ ઝળક્યા વિના રહેતી નથી. જ્યાં સુધી આપણે ધર્મગ્રંથો અલગ હોવાને કારણે માણસને માણસ કરતાં જુદો માનતા રહીએ ત્યાં સુધી આવી મીઠી ગોળીઓ સારી લાગે.
મૂળ સત્ય એ છે કે માણસ પહેલાં આવ્યો, ધર્મ અથવા ધર્મો પછી આવ્યા.ગુણવંતભાઈએ આ સત્ય પર ભાર મૂક્યો હોત તો સારૂં થાત.
LikeLike
મને વાંચવાનું ગમ્યું. જી.ઈ.બી.ના કર્મચારી વાળો પ્રસંગ ઘણો ગમ્યો. આભાર શાહ સાહેબ અને મારુભાઈ.
પંકજ
LikeLike
Very nice.
LikeLike
love to read your article.and i am asso fan of Shree Gunvant Shah.Thanks.
LikeLike
It is true. Read the book and put it in to practice.
The story of Camel and Karmachari give wonderful
message for “Dharmik” life.
visit
http://www.pravinash.wordpress.com
LikeLike
માનવનો ધર્મ તો છે માનવતા.ગીતા નહીં તો ગીતા વાંચવાથી કે ન વાંચવાથી શું ફરક પડે ?
જીવનમાં મનવતા સાચવી રાખવા માટે તો શ્રવણ,મનન અને નિદિધ્યાસ સાથે લગ્ન કરવાની
જરુર છે.
કારણ
શ્રવણં,મનનં,નિદિધ્યાસં
કૃત્વા ત્રયોતત્ ભવતિ વિકાસં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં
ત્યકત્વા એકોપિ ભવતિ વિકારં
શ્રવણં,મનનં,નિદિધ્યાસં
ત્યકત્વા ત્રયોતત્ ભવતિ વિનાશં
LikeLike
Shri Gunvantbhai.
I liked your article.Gita,Kuran Or Mahavir Vani’s Granths have been written by
those who first practiced in their own life and after that narrated their views .
If people of all religion put these virtues in their own day to day life then this
existing universe will become heaven.
Now Religion have just become a daily routine.You have nicely narrated example of an Engineer.If We all in our daily life practically behave as per our inner concious and believe that MANAV DHARM is the only DHARM.
Prakash Mehta
LikeLike
તિલક કરતા ત્રેપન થયા, માળા કરતા ગયા,
તીરથ કરતા થાકયા ચરણ તોયે ન થયા હરિને શરણ.
LikeLike
જીવનમાં ઉતારવા જેવું સત્ય. Thanks!
LikeLike