વીધવા અને ત્યક્તા મહીલાઓ પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ?

વીધવા અને ત્યક્તા મહીલાઓ

પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ?

–રોહીત શાહ

વૈધવ્ય એ કુદરતી બાબત છે, જ્યારે પતીથી છુટા પડવું એ માનવસર્જીત બાબત છે. પહેલી સ્થીતીમાં લોકોની ચપટી સીમ્પથી મળે છે; પરન્તુ બીજી પરીસ્થીતીમાં તો પારાવાર બદનામી અને ટીકાઓનો સામનો કરવો પડે છે

મૅરેજ પછી સ્ત્રીના જીવનમાં આવતી સૌથી વધુ દુ:ખદ પરીસ્થીતીઓ બે છે : વૈધવ્ય અને ત્યક્તા.

આ બે દુ:ખદ પરીસ્થીતીઓમાં પહેલી પરીસ્થીતી પ્રાકૃતીક છે અને બીજી પરીસ્થીતી માનવસર્જીત છે.

લગ્ન વખતે કોઈ પણ સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ એવા આશીર્વાદ અપાય છે એમાં સ્ત્રીને પ્રથમ દુ:ખદ પરીસ્થીતી (વૈધવ્ય)થી બચાવવાની વાત છે. તેના જીવનમાં વૈધવ્યના તાપ–પરીતાપ અને સન્તાપ ન આવે એવા આશીર્વાદ અપાય છે. પુરુષપ્રધાન સમાજ રચનામાં સ્ત્રીનું સૌભાગ્ય પુરુષ હોય એ સ્વાભાવીક જ છે. એ સૌભાગ્ય અખંડ રહે એટલે કે પુરુષ (પતી) દીર્ઘાયુષી બને એવો પક્ષપાત પણ એમાંથી સંભળાય છે.

ઘણા વડીલો માને છે કે પાછલી વયે વીધુર થયેલો પુરુષ વીધવા સ્ત્રી કરતાં વધારે રીબાઈ–રીબાઈને જીવતો હોય છે. સ્ત્રી વીધવા થઈ હશે તોય તદ્દન ઓશીયાળી નહીં થાય. બહુ–બહુ તો થોડી આર્થીક સમસ્યાઓ નડે એટલું જ; પરન્તુ બાકીનાં કામકાજ જાતે કરીને તે સમાધાન કરી લેશે. પુરુષને ન તો રસોઈ કરતાં આવડે, ન કપડાં–વાસણ જેવું ઘરકામ આવડે. પાછલી ઉમ્મરે સન્તાનો સાથે વીધુર પુરુષોનો મેળ ન જામે તો આર્થીક રીતે ગમે તેટલો સુખી હોય તોય પુરુષ ડગલે ને પગલે દુ:ખી થતો જ રહે છે. વીધવા સ્ત્રી ગરીબ હશે તો પારકા ઘરે વાસણ–કપડાં કે રસોઈનું કામ કરી આપીનેય પોતાનો નીર્વાહ કરી લેશે. વીધવા માતાએ પોતાનાં બે કે ત્રણ–ચાર સન્તાનોને ઉછેર્યાં હોય, ભણાવ્યાં–ગણાવ્યાં હોય એવું ઘણે ઠેકાણે જોવા મળે છે. વીધુર પુરુષને જો નાનાં સન્તાનોની જવાબદારી હશે તો તેણે મોટે ભાગે સેકન્ડ મૅરેજ કરી જ લીધાં હશે !

વીધવા થવું અને ત્યક્તા થવું આ બે બાબતોમાં પ્રથમ બાબત માટે સમાજ થોડો ઉદાર અને સહાનુભુતીસભર વ્યવહાર રાખે છે જ્યારે બીજી બાબત માટે સમાજ (ભલે કશું સત્ય જાણતો ન હોય) ટીકાખોર બની જાય છે. પુરુષનો દોષ હશે તોય બદનામી તો ઘણું ખરું ત્યક્તા સ્ત્રીની જ થશે.

અલબત્ત, મૅરેજ પછી એક–બે વર્ષમાં જ પતીનું અવસાન થાય તો સ્ત્રીને ‘કાળમુખી’, ‘છપ્પરપગી’, અને ‘અભાગણી’ જેવાં વીશેષણોથી હડધુત કરવાની ક્રુરતા પણ આપણો સમાજ બતાવતો હતો. નાની ઉમ્મરે પતીના અવસાન માટે પત્નીને (તેનાં અપશુકનીયાળ પગલાં–આગમનને) દોષીત માનવામાં આવતી હતી. એવી વીધવાને સાસરીયાં મહેણાં–ટોણાં મારીને તેના પર ત્રાસ ગુજારતાં. તેના પુનર્લગ્ન કરાવવાની વાત તો દુર રહી; તેનું જીવવું હરામ કરી મુકવામાં આવતું ! એક તરફ કુદરતે તેનો લાઈફ–પાર્ટનર નાની ઉમ્મરે છીનવી લઈને તેના હૈયાને જખમી કર્યું હોય, એ જખમ પર સમાજના કહેવાતા ઠેકેદારો અને કઠોર સાસરીયાં મહેણાં–ટોણાંનું મીઠું ભભરાવતાં હોય, એવી ક્ષણે તે યુવાન વીધવાને કેવી પીડા થતી હશે !

હા, જો કોઈ સ્ત્રી મોટી ઉમ્મરે વીધવા થઈ હશે તો સમાજ તેના પ્રત્યે સહાનુભુતી બતાવશે. તેને બીચારી–બાપડી કહીને મદદ પણ કરશે. જો તેનાં સન્તાનો સંસ્કારી હશે અને ઠરીઠામ થયેલાં હશે તો તેવી વીધવા સ્ત્રીને ઝાઝા સન્તાપ નહીં પજવે. જ્ઞાતીબન્ધુઓ, આડોશ–પાડોશના લોકો, સાસરીયાં અને સ્વજનો ઉપરાન્ત પીયર પક્ષ તરફથી પણ વીધવા સ્ત્રીને હુંફ–રાહત મળતાં રહેતાં હોય છે.

વીધવા કરતાં ત્યક્તા સ્ત્રીની દશા ભારે ભુંડી હોય છે. ત્યજાયેલી સ્ત્રી ગમે તેટલી સંસ્કારી હશે તો પણ તેને ચારીત્ર્યહીનનું લેબલ લાગી જશે. લોકો છાની રીતે ટીકાઓ કરવા માંડશે. ‘બહેનબાનાં લખ્ખણ પહેલેથી જ ખરાબ હતાં. તેના પતીએ તેને તગેડી મુકી!’ એટલું જ નહીં; જો ત્યક્તા સ્ત્રી યુવાન અને થોડીક રુપાળી હશે તો હવસખોર પુરુષોનાં ઝુંડ તેને ઘેરી વળશે. ઉપર–ઉપરથી તેને હેલ્પ કરવાનો ઢોંગ કરશે, તેના પ્રત્યે સહાનુભુતી રહેશે. ત્યક્તા સ્ત્રીઓનો પક્ષ લેનારું ભાગ્યે જ કોઈ મળી આવતું હોય છે. જો તેવી સ્ત્રી કોઈ પરાયા પુરુષની બદદાનતનો શીકાર બની હશે તો સમાજ તે સ્ત્રીની ટીકા કરવામાં ઓર ક્રુર થઈ જશે. સમાજ કહેશે : ‘તેના આ કુચરીતરને કારણે તેના પતીએ તેને તગેડી મુકી તોય હજી તે સુધરી નથી ! હજી તો તે કેટલાય પુરુષોના પડખે જઈને પોતાનું મોઢું કાળું કરાવતી રહે છે !’ તેને રાંડ–રંડી જેવાં હલકાં વીશેષણોથી ઉતારી પાડવામાં આવશે.

આપણે ત્યાં અગ્નીપરીક્ષા આપવાની હોય કે સતી થવાનું હોય એ બધું સ્ત્રીઓ માટે જ હોય છે. આજે પણ અગ્નીપરીક્ષાઓમાંથી અનેક સ્ત્રીઓને સતત પસાર થવું જ પડતું હોય છે. આજની એજ્યુકેટેડ અને વર્કીંગ વુમન હવે પહેલાંના જેટલી ઓશીયાળી–પરાવલમ્બી રહી નથી. વળી, કાનુન પણ તેને હેલ્પ કરે છે એટલે આજની સ્ત્રી પ્રમાણમાં ખુબ સેલ્ફ–ઈન્ડીપેન્ડન્ટ બની છે. તે કોઈના માથે બોજરુપ નથી બનતી; ઉલટાનું આખા પરીવારનો બોજ નીર્વાહ કરવાની ક્ષમતા તે બતાવે છે ! તો પણ બૉસ ! ત્યક્તા સ્ત્રીએ તો સમાજની ટીકાઓનાં તીર આરપાર વેઠવાં જ પડતાં હોય છે. બહુ ઓછી સ્ત્રીઓ બીન્દાસ થઈને જીવતી હોય છે. બીન્દાસ સ્ત્રીને સમાજની કશી પરવા નથી હોતી કે બદનામીનો તેને ભય નથી હોતો.

સમાજ ક્યાંથી ટકશે ?

ત્યક્તા સ્ત્રીઓ પ્રત્યે સમાજે તટસ્થ વ્યવહાર કરવાનું શીખવું જોઈએ. જો સ્ત્રીનો વાંક હોય, તેણે કંઈ ખોટું કર્યું હોય અને તેના પતીએ તેનો ત્યાગ કર્યો હોય તો તેવી સ્ત્રીને પ્રાયશ્ચીત્ત કરવાની તક આપવી જોઈએ. સ્નેહ અને સહાનુભુતીપુર્વક તેની પાછલી જીન્દગી વીતી શકે એવી વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. જો પતી કે સાસરીયાં દોષીત હોય તો તેમને તે સ્ત્રી તરફ સારો વ્યવહાર કરવા સમજાવવાં જોઈએ. લગ્ન ભલે વ્યક્તીગત બાબત છે; પરન્તુ આખરે તો એ એક સમાજ–વ્યવસ્થા છે. એનો આદર નહીં થાય તો સમાજ ક્યાંથી ટકી શકશે ?

ના હેલ્પ, ના હુંફ !

ઘણી વખત ત્યક્તા સ્ત્રીને તેનાં સાસરીયાં તરફથી જે નહોર માર્યાં હોય છે એના ઉઝરડા તેને લાઈફ–ટાઈમ દઝાડ્યા કરતા હોય છે. ક્યારેક તો જડ પીયરીયાં પણ ત્યક્તા સ્ત્રી માટે સહાનુભુતી રાખતાં ન હોય એવું બને છે. પીયરમાં મા–બાપ હોય તો ચપટી હુંફ કદાચ મળી જાય; પણ મા–બાપ ન હોય અને ભાઈ–ભાભીના શરણે જઈને રહેવાનું હોય ત્યારે તેને ભાગ્યે જ આવકાર અને હુંફ મળતાં હોય છે. જે બહેન સાથે બાળપણમાં ભરપુર મસ્તી–તોફાન કર્યાં હોય, જેને હાથે રાખડી બન્ધાવીને પોતે રાજી–રાજી થતો હોય, તે જ બહેન ત્યક્તા બનીને આવે તો ભાઈ પણ મોઢું મચકોડતો હોય છે ! સાસરે રહેતી સુખી બહેન પ્રત્યે ભાઈઓ ગમે તેટલું વહાલ વરસાવતા હશે; પરન્તુ કોઈ દુર્ભાગી પળે બહેનને ભાઈની હેલ્પ કે હુંફ જોઈતી હશે, ત્યારે ભાઈ ભાગ્યે જ તેની સાથે રહેશે ! ક્યારેક ભાઈ ઈચ્છે તો પણ ભાભી રીમોટ કન્ટ્રોલ દ્વારા ભાઈના મોઢે ‘ના’ પડાવી દે છે અને બહેનને સ્વતન્ત્ર–એકલાં રહેવાનું કહી દેવામાં આવે છે. ઘણી ત્યક્તા સ્ત્રીઓને બે–બે, ત્રણ–ત્રણ ભાઈઓ હોવા છતાં એકલાં રહીને ઢસરડા કરવા પડે છે. (જો કે કેટલીક રંગીન–શોખીન મીજાજની સ્ત્રીઓ સ્વતન્ત્ર રહેવાનું જ પસન્દ કરતી હોય છે.)

–રોહીત શાહ 

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ફ્રાઈડે-ફલક (26એપ્રીલ, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–09–2016

 

14 Comments

  1. હજુયે અમદાવાદમાં આવું છે કે? લોકો આટાઅટલા લેખો વાંચે છે તે કેમ સુધરતા નથી? હં તો એમ માનતો હતો કે ઍટલિસ્ટ આપણા ગુજરાતીઓ તો આવા લેખો વર્ષોથી વાંચી વાંચીને સુધરી ગયા છે. પણ કાંઈ અસર જ નૈ ને. લેખો લખીએ કે ના લખીયે શું ફેર પડે?
    બાકી મેં તો મારી એક નોવેલમાં ઠોકી દીધું છે કે અખંડ સૌભાગ્યના આશીર્વાદ જ ખોટા છે. વરની ઉમ્મર મોટી હોય તો ભલે એ વહેલો લાંબો થતો. ઈન્સ્યુરન્સ હોવો જોઈએ.
    અને ત્યક્તા? હૅલ વીથ હીમ. તુ નહિ ઓર સહી.

    Liked by 1 person

  2. Khub saras lekh rohitbhai.
    Samaj ma haju pan aa dushano chalej chhe ane darek samaj ma te samaj ane vyakti ni aarthik sthiti par aadhar rakhe chhe ke kone ketlu palan ( sahan ) karvu hindu jya pan hoi aa badha ku rivajo ne dharma sathe jodi didha chhe .

    Liked by 1 person

  3. Very good article. But people will not change their attitude. Though few change. Even people who read religious books have similar views.
    I have seen people avoiding to see widow ‘s face while going out or doing some cerimonial events

    Liked by 1 person

  4. રોહિત શાહનો લેખ ગમ્યો. જો કે હવે સ્વનિર્ભર બ્હેનો વિધવા કે ત્યક્તા હોય તો પણ સ્વતંત્ર અને ખુમારીથી જીવન નિભાવતી થઈ છે અને સમાજ પણ એનાથી અનુકૂળ થતો જાય છે એ ખુશીની બાબત છે.

    Liked by 1 person

  5. ખુબ જ સુંદર લેખ. આજે પણ સમાજ મા આ બધુ આપણી આસપાસ જોવા મળે જ છે. આ સમાજ ને સુધારવા માટે આપનો આ લેખ જરુર ઉપયોગી બનશે…

    Liked by 2 people

  6. મિત્રો,
    શ્રી રોહિતભાઇ શાહે, ૧૮મી સદીમાં રાજ રામમોહન રાયઅે ( જન્મ: ૧૭૭૪…મૃત્યુ:…૧૮૩૨) વિરોઘ કુરીવાજો ઉપર ઉઠાવેલો તેને અને તે પછી કેટ કેટલાં સુઘારાવાદીઓઅે કરેલાં પ્રયત્નોને ૨૧મી સદીમાં નવા પ્રયત્ન રુપે આ લેખ લખ્યો છે. આજ સુઘીમા બહુ નજીવો ફાયદો દેખાયો છે. રોહિતભાઇઅે ભારતની વિઘવાઓને જ આ લેખમાં સમાવ્યા છે અને તે પણ મોટેભાગે…હિન્દુ વિઘવાઓને.
    આપણે ઇસ્ટર્ન અને વેસ્ટર્ન વર્લ્ડની વાત વિચારીઅે…૨૧મી સદીમાં જ્યારે આ લેખ લખાયો છે…તો જોઇશું કે વેસ્ટર્ન વર્લ્ડમા વિઘવાઓનું જીવન ત્રાસદાયક કદાપી નહોતું અને નથી. તેમને પુરી આઝાદી છે. ભારતમાં…આખા ભારતમાં આજે પણ વિઘવા સ્ત્રીની જીંદગી દોજખ બની રહેલી છે. ઉત્તરના મંદિરોમાં દાસીનું જીવન જીવતી સ્ત્રીઓની જીંદગી માટે જો દરેક વિચારકે જાણવું હોય તો પ્લીઝ…ગો ટુ ગુગલ અને અેન્ટર..” Life of a widow in India” and you will have many reports…when you read…you will feel ashamed. Also enter, ” Sufferings of widows in Hinduism.” and you will have research papers. My request is not to avoid these reports. I do not see anything that is reality of life of a widow in India & Hinduism in the article written by Mr. Rohit Shah.
    We have not come out of the inhuman rituals or cultural activities which are cruel. BBC & Time.com has been writing on this subject with live photographs. Many many Hindi & Bengoli films have been showing this subject.
    Also બાળવિઘવા. બાલિકાબોઘુ ફિલ્મે દુનિયા ગજવી હતી. અમે હિન્દુઓનું કલ્ચર દુનિયામા બેસ્ટ…અમે દુનિયાને તે બઘુ જ આપેલું છે જે વેસ્ટર્ન વર્લ્ડ વિજ્ઞાન અાજે દુનિયાને આપી રહ્યુ છે.???????????? શ્મશાન વૈરાગ્યમાં જીવતી પ્રજા પાસે શું અેક્સપેક્ટ રખાય ? મોરારી બાપુ અને તેમના જેવા બીજા કથાકારોની શું અે ફરજ નથી બનતી કે રામાયણ અને મહાભારત કે ગીતાના અેક ને અેક ગીતો ગાયા કરે તેમાંથી બહાર નિકળે અને વિઘવાઓની જીંદગી સુઘારવાના કર્મો કરે? કથા કરો અને પૈસા કમાવો. કારણકે મની ઇઝ સુપરપાવર.
    ઘર્મે તેના ફોલોઅર્સના મગજ અેવા તો ભરી દીઘા છે કે સ્ત્રીને પોતાને પણ ઘર્મે કહેવાતા કહેલાં રસ્તે જ ચાલવું છે.
    આપણી ભૂલોનો સ્વીકાર કરો અને બીજે કશેથી જો સારું મળતું હોય તો તેને સ્વીકારો. સુપીરીરીયાતી કોમ્પલેક્ષમાંથી બહાર આવો.
    રાજા રામ મોહન રાયની જીંદગી ઉપરના લેખો વાંચવા માટે વિનંતિ છે. રીસર્ચ કરો ખૂબ ખૂબ માહિતિસભર આર્ટીકલો વાંચવા મળશે. દુનિયા બઘી આ વાત જાણે છે, ફક્ત ભારત, તેના પોલીટીશીયનો, સામાજીક કાર્યકરો ( થોડા સિવાય…અને તે થોડાની માફી માંગું છું), અને કહેવાતા હિન્દુ ઘર્મના કહેવાતા જીવનના નિયમોને અંઘશ્રઘ્ઘાથી જીવનમાં ઉતારનાર હિન્દુઓ નથી જાણતા અથવા અજાણપણાનો ઢોંગ કરે છે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. મિત્રો,
    કહેવાનું રહી ગયું કે આજે મેં બે આર્ટીકલો મારા ફેસબુકમા મુક્યા છે જે વિઘવાઓની જીંદગીને સંબોઘે છે. જેને સગવડ હોય તેમને વિનંતિ છે કે જરુરથી વાંચે અે શેર કરે. આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. I’m 100 % agree with AMRUT HAJZARI .
    Peli pankti yaad aave chhe.
    HAJU KEM LOKO KATHA SAMBHLE CHHE,
    VITELA SAMAY NI VYATHA SAMBHALE CHHE.
    GAYU TE BHULI JA THAYU TE BHULI JA ,
    JIVAN TO VAHETA SAMAY MA MALE CHHE.
    Pan aapna ( kahevata gnyani ) bapu swami kathakaro karmakandi brahmano deshne 18 mi sadi ma pachha laijavani koshish maj hoi chhe .

    Liked by 1 person

  9. વિધવા અને ત્યક્તાની જિંદગીમાં ડોકીયુ કરવાની સમાજ હિંમત કરતો નથી. કારણ કે આ ભારત છે. પારંપરિક પરિસ્થિતિમાં જ વિધવાઓ અને ત્યક્તાઓ રહે તેવુ ચાલ્યુ આવ્યુ છે. ખુદ વિધવાઓએ અને ખુદ ત્યક્તાઓએ જડ અને રૂઢીચુસ્ત સમાજની પરવા કર્યા વિના રૂઆબદાર જિંદગી જીવવા ગમતા પુરુષ સાથે લીવ ઇન થવુ પડશે. સમાજ કંઇ કરવાનો નથી. ખુશીઓની શોધ ખુદમાં કરવી પડશે. વિધવા કે ત્યક્તાના લેબલો સમાજ લગાડે છે. સ્ત્રી જ્યારે સર્જક હોય ત્યારે તેની જિંદગીમાં કોઇપણ ઉંમરે વિધવા/ત્યક્તા થવાથી ગભરાવાની જરૂર નથી,બલ્કી હિંમત રાખીને દિલની જુબાન સમજનાર દિલરૂબા સાથે દોસ્તી કરવી પડશે. સમાજ જે કહે તે કહેવા દો. ટીકા થાય તેટલી થવા દો . મંઝીલ સુધી પહોંચવા મનસુબો મક્ક્મ જોઇશે.
    રોહિતભાઇના લેખમાં દમ છે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી “કર્મ” , હિંમતનગર

    Liked by 1 person

  10. રોહીતભાઈના લેખો ખુબ જ મનનીય સમયની સાથેના જીવનમાં ઉતારવા જેવા હોય જ છે. પણ આપણને ફક્ત તો વાંચવામાં જ રસ હોય છે.. ખરેખર મહિલાઓની દુશ્મન મહિલાઓ જ હોય છે. જો કોઈ વિધવા બહેને કદાચ સફેદ રંગની સાદી ન પહેરી હોય ! કદાચ માથે ચાંદલો કર્યો હોય !!,અગર પુરુષો જોડે જરૂરી વાતચીત કરતી હોય !!
    તો પરિસ્થિતિ શું હોય ??? સમાજની કે એ વર્ગની માથાભારે ડાન્ડમાં ડાન્ડ સ્ત્રી તરત જ
    એ લાચાર વિધવા બહેનનું ધનોત પનોત કાઢવામાં સહેજ પણ કચાસ નથી છોડતી. ત્યારે અન્ય મહિલાઓ ફક્ત આ તમાશો જોવામાં બસ મશગુલ.
    મેં જાણેલી એક ઘટનામાં, એક બહેનના પતિના મૃતદેહને અગ્નીસસ્કાર માટે લઇ ગયા ત્યાર પછી તરત જ શિયાળાનિ ઠંડીમાં એ વિધવા બહેનનિ ચૂડી તોડવાની વિધિમાં ખુલ્લામાં પાણી રેડવામાં આવેલું. અંતે પેલી વિધવા બહેનને ન્યુમોનીયા થઇ ગયેલો.
    જો પાણી ના રેડ્યું હોત ચૂડી ના ફોડી હોત તો કોઈ જ અનર્થ ના થાત કેમ ખરુંને !!!

    Liked by 2 people

  11. રોહિત શાહ ની વાત વાંચી
    વિધવા પ્રત્યે માણસોને હજી થોડી ઘણી હમ દર્દી હોય છે . પણ ત્યક્તા પ્રત્યે ઓછી સહાનુ ભુતી હોય છે . કહેવત પણ એવી છે કે ” રાંડેલી આણીએ પણ છાંડેલી નો આણીએ “

    Liked by 1 person

Leave a comment