માસીકસ્રાવ પાછળનું વીજ્ઞાન સમજીએ… પરમ્પરાગત અન્ધશ્રદ્ધા દુર કરીએ…

માસીકસ્રાવ પાછળનું વીજ્ઞાન સમજીએ…

પરમ્પરાગત અન્ધશ્રદ્ધા દુર કરીએ…

–સુનીલ શાહ

માસીકસ્રાવ, માસીકધર્મ, ઋતુસ્રાવ, રજોદર્શન, માસીક આવવું, માસીકમાં બેસવું, રજસ્વલા, ઋતુચક્ર જેવા જાતજાતના શબ્દો સ્ત્રીના જાતીય જીવન સાથે સમ્બન્ધ ધરાવે છે. ઉપર જણાવેલા તમામ શબ્દો સ્ત્રીના શરીરમાં થતી એક પ્રક્રીયા દર્શાવે છે. જેનાથી આપણે સહુ પરીચીત તો છીએ જ; પણ આ પ્રક્રીયા પાછળનું વીજ્ઞાન જાણવાની બેદરકારીથી કેટલીક અન્ધશ્રદ્ધા અને વહેમો પ્રચલીત થયા છે.

સામાન્ય તરુણ કે યુવાનને જાણ હોય છે કે, ઘરમાં માતા કે બહેનને અથવા કુટુમ્બની કોઈ સ્ત્રીને દર મહીને યોનીમાંથી રક્તસ્રાવ થાય છે. ત્રણ–ચાર દીવસ આ પ્રક્રીયા ચાલે છે. મોટે ભાગે ધાર્મીક અને પરમ્પરાગત માન્યતા મુજબ આ દીવસો દરમીયાન તે સ્ત્રી ધાર્મીક પ્રસંગોમાં ભાગ લઈ શકતી નથી. ઈશ્વરના દર્શન કરી શકતી નથી કે પ્રસાદ ખાઈ શકતી નથી! સાથે સાથે ઘરમાં રસોડે કે પાણીના માટલે તેને અડકવા પર ચુસ્ત ધાર્મીક કુટુમ્બોમાં મનાઈ હોય છે. જો માસીકસ્રાવ દરમીયાન સ્ત્રી રસોડે અડકે (રસોઈ બનાવે) કે અન્ય સ્ત્રી કે પુરુષને અડકે તો ‘પાપ’ લાગે!

વર્ષો પૂર્વે કેટલાંક કુટુંબોમાં માસીકસ્રાવના ચાર દીવસ દરમીયાન સ્ત્રીએ કંતાનના ગોદડા પર કે જુની ફાટેલી, ગંધાતી ગોદડી પર સુવું પડતું હતું. તેની પાસેથી કોઈ વસ્તુ લેવી હોય કે આપવી હોય તો સીધો સ્પર્શ કરી શકાતો નહોતો. તે વસ્તુ નીચે મુકી દે પછી આપણે તેને લઈ શકીએ, આપણા હાથમાંની વસ્તુ કોઈ ઠેકાણે મુકીએ પછી જ તે લઈ શકે..!! (જો કે, સમય બદલાંતા હવે થોડીક જાગૃતી આવી છે; પણ કેટલાંક સમાજમાં હજી અમુક જડ માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે, જે દુ:ખદ છે..)

માસીકસ્રાવના દીવસોમાં સ્ત્રીનું સ્થાન એક અસ્પૃશ્ય જેવું જ હોય છે. તે અન્યની સાથે સોફા પર, હીંચકા પર બેસી શકે નહીં. તેના શરીરમાંના અદૃશ્ય કીરણો જાણે અન્યને હાની પહોંચાડવાના હોય તેટલી હદે તેને અસ્પૃશ્ય ગણવામાં આવે છે! અથાણા જેવી બારમાસીક વસ્તુ તેની હાજરીમાં ન કાઢી શકાય કે પાપડ પણ ન વણી શકાય; કારણ કે તેનાથી અથાણા–પાપડ બગડી જાય! આવી સ્ત્રીઓનો છાંયો (પડછાયો!) યા તેના શરીરમાંનાં કોઈ ચમત્કારીક કીરણો અથાણાને બગાડતાં હશે!?

જેને અપવીત્ર ઘટના ગણવામાં આવે છે એ ‘માસીકસ્રાવ’ ખરેખર તો સ્ત્રીત્વની નીશાની છે. આ અંગેની વૈજ્ઞાનીક સમજ અને સ્ત્રી સાથે અસ્પૃશ્ય વ્યવહાર કરવા પાછળનું કારણ સમજી લઈએ.

છોકરો કે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે તેના શરીરમાં કેટલાંક અંત:સ્રાવો (હોરમોન્સ) સક્રીય થાય છે. છોકરાને દાઢી–મુછ ઉગવાની શરુઆત થાય, વીર્ય પેદા થવાની શરુઆત થાય છે. તો સ્ત્રીનો છાતીનો ભાગ વીકસવાની અને ઋતુસ્રાવની શરુઆત થાય છે. સામાન્ય રીતે 13–14 વર્ષની છોકરીને ઋતુસ્રાવની શરુઆત થાય છે જે દર મહીને(અમુક સંજોગો સીવાય) ચાલુ રહે છે. લગભગ 40–45 વર્ષની ઉમ્મર સુધી માસીક સ્ત્રાવ ચાલુ રહે છે.

સ્ત્રીના જાતીય અવયવોમાં યોનીમાર્ગ, અંડાશય, અંડવાહીની, ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડાશય (ઓવરી)માં લગભગ દર 28 દીવસે એક અંડકોશ પરીપકવ થવાની શરુઆત સાથે જ ગર્ભાશયમાં લોહીના કોષો ભરાવાની શરુઆત થાય છે. આ દીવસો દરમીયાન સંભોગ વડે યોનીમાં વીર્ય દાખલ થાય અને તેમાં રહેલા લાખો શુક્ર કોષો પૈકી કોઈ એક શુક્રકોષ અમુક સંયોગોમાં પેલા અંડકોષ સાથે જોડાણ કરે અને અંડકોષને ફળદ્રુપ કરે તો તેનો વીકાસ થાય અને ગર્ભ બને.

અહીં અંત:સ્રાવની કામગીરી સમજવાની જરુર છે. અંડકોષ ઓવરીમાં તૈયાર થાય ત્યારે તે ફળદ્રુપ થવાનો એમ માનીને જ અંત:સ્રાવની કામગીરી શરુ થાય છે. અંડકોષ ફળદ્રુપ થાય તો તેને પોષણની જરુર પડે તે માટે ગર્ભાશયના પાતળા પડ (કોષો)માં રુધીર ભરાવાની કામગીરી શરુ થાઈ જાય છે. પરન્તુ શુક્રકોષ સાથે મીલન ન થાય કે અન્ય કારણોસર અંડકોષનું ફલન ન થાય તો તે યોનીમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તેના માટે ગર્ભાશયમાં તૈયાર કરેલી વ્યવસ્થા નકામી જાય છે.

ધીમે ધીમે વ્યવસ્થા તુટવા માંડે છે અને ગર્ભાશયમાં ભરાયેલું લોહી કચરારુપે ગર્ભાશયમાંથી યોનીમાર્ગમાં અને ત્યાંથી સ્ત્રીના દેહમાંથી બહાર નીકળે છે. લોહી બહાર નીકળે તે ‘રજોદર્શન’ કે ‘માસીકસ્રાવ’ તરીકે ઓળખાય છે. લગભગ ત્રણેક દીવસ છુટક છુટક યોની વાટે રુધીર બહાર આવે છે. જે વખતે શુક્રકોષ અને અંડકોષનું મીલન થઈ ફલન થાય, ગર્ભ બને ત્યાથી પ્રસવ થાય ત્યાં સુધી સ્ત્રીને માસીક આવતું નથી. ગર્ભાશયમાં પોષણની કામગીરી બજાવતા અંત:સ્રાવો ગર્ભ રહેતાં જ ધાવણ બનાવવાની કામગીરીમાં લાગી જાય છે. તેથી બાળક ધાવતું હોય ત્યાં સુધી સ્ત્રીને માસીક આવવાની શક્યતા નહીવત્ થઈ જાય છે.

આમ, શુક્રકોષ દ્વારા ફળદ્રુપ થવાની રાહ જોતો અંડકોષ ફળદ્રુપ ન થવાથી યોની વાટે બહાર નીકળી જાય અને તેને માટેની તૈયારી રુપે ગર્ભાશયમાં જે લોહી ભરાયું હોય તે અંડકોષમાં જવાથી યોની વાટે બહાર આવી જાય તે પ્રક્રીયા માસીકસ્રાવ (મેન્સીસ ટાઈમ) તરીકે ઓળખાય છે. આમ, આ એક શારીરીક, કુદરતી પ્રક્રીયા જ માત્ર છે.

સાદી ભાષામાં આટલી વૈજ્ઞાનીક સમજ પછી માસીકમાં બેઠેલી સ્ત્રી સાથે જોડાયેલી (આ લેખની શરુઆતમાં જણાવેલી) ખોટી માન્યતાઓ ચર્ચીએ :

માસીકસ્રાવ ત્રણ–ચાર દીવસ દરમીયાન લોહી બહાર નીકળવાની પ્રક્રીયાથી સ્ત્રી બેચેની અનુભવે છે. કમર અને પેટની નીચે (ગર્ભાશયમાં) સતત દુ:ખાવો શરુ થાય છે. શારીરીક અને માનસીક કમજોરી અનુભવાય છે. કોઈ કામમાં સ્ત્રીની રુચી રહેતી નથી. એટલે સુધી કે તે પુરુષ સાથે જાતીય સમ્પર્ક પણ ટાળે છે. સ્ત્રીની આ અવસ્થા સમજવાની કુટુમ્બની દરેક વ્યક્તીની ફરજ છે. તે બરાબર બજાવાય તે હેતુથી ધર્મમાં આવી સ્ત્રીઓને આ ત્રણ–ચાર દીવસ દરમીયાન રસોડે કે પાણીના માટલાને અડકવા પર પ્રતીબન્ધ મુકી દીધો. તેની સાથે ‘પાપ લાગે..’ની વાત જોડી દીધી તેથી કોઈ સાસુ, નણન્દ કે પતી પાપ વહોરવાને બદલે સ્ત્રીને આરામ જ આપે ને? પણ નહીં; એવું બન્યું નહીં. માત્ર રસોઈ જ નહીં કરવાની, બાકી વાસણ, કપડાં–પોતાં કરવાના… વગેરે કપરાં શારીરીક શ્રમ માંગતા કાર્યો તેને કરવાના રહ્યાં. આમ ઉલટું થતાં મુળભુત હેતુ ન સર્યો. કોઈ પણ વાતને સાચી વૈજ્ઞાનીક રીતે સમજ્યા વગર ધર્માચાર સાથે ભેળવી દેવાય ત્યારે આમ જ થાય. એટલું જ નહીં; આનાથી અન્ધશ્રદ્ધા પણ ફેલાય છે. સ્ત્રીની રુચી ન હોય તે બરાબર; પણ રુચી થાય તો તેને કામ કરવા પર કે અન્ય પ્રવૃત્તી પર પ્રતીબન્ધ ન જ હોવો જોઈએ. ઘરમાં અન્ય કોઈ રસોઈ કરનાર હોય જ નહીં તો ધાર્મીક માન્યતાને પકડી રાખીને ભુખ્યા રહેવાનું કે પડોશીને ત્યાંથી કોઈ સ્ત્રીને રાંધવા બોલાવવાની બાબત વીચારણા માંગી લે છે.

રજસ્વલા સ્ત્રીની હાજરીમાં પાપડ–અથાણાં બગડી જવાની વાતમાં કશું તથ્ય નથી. વળી સ્ત્રીને કંતાનના કે ગાભાના ફાટેલા, ગંધાતા ગોદડા પર સુવાની ફરજ પડાય તે ક્યાંનો ન્યાય? તેમાં કયું ધર્માચરણ કહેવાય?

ટુંકમાં, માસીકસ્રાવ દરમીયાન શક્ય હોય ત્યાં સુધી સ્ત્રીને આરામ આપવાની મુળ વાત છે તેને પાપ–પુણ્ય સાથે જોડાવાની કે તેનાથી રસોડે અડકાઈ જાય તો બુમ–બરાડા પાડવાની કે, પ્રાયશ્ચીતરુપે ઉપવાસ કરવા–કરાવવાની કશી જરુર નથી.

વૈજ્ઞાનીક અને માનવીય દૃષ્ટીએ યોગ્ય હોય એવી બાબતોનું ધર્મ દ્વારા પાલન કરાવી શકાય છે; પણ તેમાં અન્ધશ્રદ્ધા ફેલાવાનું પુરુ જોખમ રહેલું છે. પ્રજાને સીધી વૈજ્ઞાનીક સમજ અપાય અને ધર્મની અવૈજ્ઞાનીક દખલગીરી બંધ થાય તો જ માનસ પરીવર્તન તરફ આગળ વધી શકાય.

– સુનીલ શાહ

નીવૃત્ત આચાર્ય, વીજ્ઞાનશીક્ષકકવીશ્રી સુનીલ શાહનો લેખ નવગુજરાત ટાઈમ્સ દૈનીકમાં તા. 14, જુન, 1992ના રોજ પ્રગટ થયો હતો. લેખકશ્રીના અને નવગુજરાત ટાઈમ્સ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : શ્રી. સુનીલ શાહ, નોર્થ–101, ન્યુઝ એવન્યુ એપાર્ટમૅન્ટ, આનન્દમહલ રોડ, અડાજણ, સુરત – 395009 સેલફોન : 94268 91670 .મેઈલ : sunilshah101@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–12–2017

11 Comments

    1. દરેક લેખના અંતે લેખ અને લેખક અંગે સઘળી માહીતી આપવામાં આવે છે. આ લેખ ‘નવગુજરાત ટાઈમ્સ’ દૈનીકમાં તા. 14, જુન, 1992ના રોજ પ્રગટ થયો હતો. લેખના ત્રીજા ફકરાને અંતે કૌંસમાં (જો કે, સમય બદલાંતા હવે થોડીક જાગૃતી આવી છે; પણ કેટલાંક સમાજમાં હજી અમુક જડ માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે, જે દુ:ખદ છે..) સ્પષ્ટતા કરવામાં આવી જ છે. કેટલાંક રુઢીચુસ્ત સમાજમાં આજેય આ જડ માન્યતાઓ પ્રવર્તે છે. જડ માન્યતાઓને કારણે માસીકસ્ત્રાવના દીવસો દરમીયાન એક સુક્ષીત દીકરી– તેના પીયરમાં રહેવા જતી હોવાનું મારી જાણમાં છે. જેથી આ લેખ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
      ધન્યવાદ..

      Like

      1. સમાજ જે ઝડપથી બદલાય છે એ ઝડપથી કેટલાક જ્ઞાનીઓની માનસિકતા બદલાતી નથી. આજની છોકરીઓ જૂના જમાનાના શિક્ષકો કરતાં વધુ જ્ઞાન ધરાવતી હોય છે. કેટલાક વર્ષોથી લીંબુ મરચાના જગતનાંથી પોતેજ બહાર આવતા નથી. સમય ક્ષણે ક્ષણે બદલાતો જાય છે. ભારતના પરિવારોની અજ્ઞાનતાને કારણે થયેલી કોમેન્ટ બદલ ક્ષમા યાચના.

        Liked by 1 person

  1. આપણા ‘મહાન’ પૂર્વજો આપણા શરીરોની રચના (એનેટોમી anatomy) અને પ્રક્રિયા (ફિઝિયોલોજી physiology) સમજ્યા જ નહોતા કે તે સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. (કદાચ એટલા માટે કે મોક્ષ મેળવવા માટે તેની જરુર નહોતી.) પરિણામે આપણી પૌરાણિક વાર્તાઓમાં એવું ઘણું આવે છે કે ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના’. જેવી કે કોઈ કુમારિકાના પુત્રનો જન્મ તેના કાનમાંથી થયો હતો. માસિકધર્મ વિશેનું અજ્ઞાન પણ આ જ કારણે પ્રચલિત રહ્યું હતું.

    Liked by 1 person

  2. informative article-for few who still believe in this old tradition in some pockets of cities where there is nuclear family. and still it must be prevalent in remote villages,

    Liked by 1 person

  3. સ્નેહી પ્રવિણભાઇના સવાલને હું રીપીટ કરું છું.

    થોડી વઘારે વાત કહી દઉં.

    ભારત જેટલો પછાત દેશ આખી દુનિયામાં કશે પણ જોવા નહિ મળે. ( સુનિલભાઇઅે લેખ લખ્યો અને ગોવિંદભાઇઅે છાપી પણ દીઘો, ૨૧મી સદીમાં )

    જે સમયની આ વાત લખવામાં આવી છે ત્યારની વાત કરીઅે.

    આફ્રિકાના કે ભારતના જંગલના પ્રદેશોમાં આવી આભડછતની વાત કોઇ કરતું નહિ. કુદરતી પ્રક્રિયા સમજીને જીવન રેગ્યલર તેવા જંગલના પ્રદેશોમાં પણ ચાલતું.

    દૂર બેસાડવાનો મરખાઇ ભરેલો મરજાદી નિયમ તે જમાનામાં જંગલમાં કોઇ જાણતું પણ નહિ કારણ કે તે વખતે ત્યાં હિંદુ ઘરમ અને તેના વેપારી પ્રણેતાઓ પહોંચ્યા નહતા.

    બીજુ, યુરોપીયન દેશોના લોકો પણ ભારતીય…હિંદુો કરતાં વઘુ સારા હતાં તેમને ત્યાં પણ વેપારી ઘરમીયા નહતા.

    આ મરજાદી શું છે ? આજે પણ ‘ મરજાદી‘ જીવન ચાલતુ હોય તેવું લાગી રહ્યુ છે.

    આજની ભારતીય દિકરીઓ દસ ..બાર વરસની થાય ત્યારથી તેને પોતાના શરીર અને તેમાં થતી પ્રક્રિયાનું નોલેજ પુરુષ લેખક કરતાં વઘુ હોય છે. શાળાઓમાં શીખવવામાં આવે છે.

    આ બાજુ પર બેસવાની વાત ? હા…હા…હા….દિકરીઓને તો શાળાઓમાં તેમના શરીર વિષે શીખવવામાં આવે છે. ખોટી પ્રગનન્સી અટકાવવાના રસ્તા પણ શીખવવામાં આવે છે.

    ગોવિંદભાઇ, પ્લીઝ………….( ખોટુ નહિ લગાડતા….)

    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. રજસ્વલા સ્ત્રીઓ પર ઠોકાયેલા બંધનો અંગે ઘણી જાગ્રુતિ આવી છે. પરંતુ સુનિલભાઈ લેખ વૈજ્ઞાનિક સમજ પૂરી પાડે છે. ઘણો જ સરસ.

    Liked by 1 person

  5. સ્ત્રીઓ જ્યારથી નોકરી કરતી થઇ ત્યારથી તેને ‘ બાજુ પર બેસવાનું ‘ બંઘ થઇ ગયેલું.

    Liked by 1 person

  6. માસીકસ્ત્રાવ, જે ઍક શારીરીક, કુદરતી પ્રક્રીયા જ માત્ર છે, તેના વિષે મુસ્લિમ ધર્મશાસ્ત્ર ના પ્રકરણ ૨ ના શ્લોક ૨૨૨ માં કહેવા માં આવેલ છે કે આ ઍક અસ્વછતા ની સ્થિતિ છે, તે માટે આવી સ્થિતિમાં તેણી ની પાસે ન જતા (શારીરીક સંપર્ક ન કરતા). તેના સિવાય બીજુ કશું પાપ–પુણ્ય ની વાતો જેવું નથી લખેલ.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

Leave a comment