સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવવામાં શાળા–શીક્ષકની ભુમીકા

સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવવામાં

શાળા–શીક્ષકની ભુમીકા

–સુનીલ શાહ

સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ કેળવાય એ માટેના પ્રયત્નો કરાય એવો ભારતના બંધારણની કલમ 51 A(H)માં સ્પષ્ટ રીતે નીર્દેશ છે. ખાસ કરીને ભારતનું ભવીષ્ય શાળાના વર્ગખંડોની ચાર દીવાલો વચ્ચે ઘડાતું હોય ત્યારે વીદ્યાર્થીઓનાં મનોવલણો પુર્વગ્રહ, વહેમ–અન્ધશ્રદ્ધાથી મુકત અને વૈજ્ઞાનીક વીચારસરણી સાથે વીકાસ પામે તે અત્યન્ત જરુરી છે. આ માટે શાળા અને શીક્ષકોની સવીશેષ જવાબદારી છે. શરુઆત શાળાના સંચાલક–મંડળથી થવી જોઈએ. તેમના દ્વારા શાળામાં એવા કોઈ કાર્યક્રમો ઉજવવાની ફરજ ન પડાવી જોઈએ અથવા શાળાના આચાર્ય દ્વારા એવા કોઈ કાર્યક્રમો ન યોજાય કે જે ધાર્મીક હોય અથવા કુરીવાજોને કે અન્ધશ્રદ્ધાને અનુમોદન આપતા હોય. ધર્મ કે ધાર્મીક માન્યતાઓ–પરમ્પરાઓ શાળાનો ભાગ ન જ બનવા જોઈએ. સંચાલક–મંડળના સભ્યો કે શીક્ષકો અમુકતમુક સમ્પ્રદાયમાં માનતા હોય કે કોઈ ધર્મગુરુની કંઠી બાંધનારા હોય તો કમસેકમ એનું પ્રતીબીમ્બ શાળાના કોઈપણ કાર્યક્રમમાં ન જ દેખાવું જોઈએ. જ્યાં સુધી શાળા તરફથી આવા પ્રકારના વીચારો વીદ્યાર્થીઓ પર લાદવાથી દુર રહેવામાં નહીં આવે ત્યાં સુધી સમાજને ખોટી માન્યતાઓમાંથી મુક્ત કરવાની દીશામાં જઈ શકાશે નહીં. શાળાનો શીક્ષક અન્ધશ્રદ્ધા અને વહેમથી મુક્ત હોવો જોઈએ. પોતાની અંગત માન્યતાઓ કે પોતાના અજ્ઞાનનો ભોગ વીદ્યાર્થીઓ ન બને તેની કાળજી લેવાવી જોઈએ. ઘણાં શીક્ષકો (આચાર્ય સહીત), અરે.. વીજ્ઞાનશીક્ષકોના ગળે પણ માદળીયાં કે હાથમાં તાવીજ અને હાથની આંગળીઓમાં ગ્રહોના નંગની વીંટીઓ પહેરેલી જોઈએ ત્યારે તેમના હાથ નીચે ઘડતર પામતાં ભુલકાંઓની દયા આવે છે..!

ભાતભાતની ખોટી માન્યતાઓમાં, કુરીવાજોમાં, ચમત્કારોમાં માનનારા સમાજના મોટા વર્ગની માનસીકતા બદલવા વીદ્યાર્થીઓથી શરુઆત કરીશું તો ભવીષ્યનો સમાજ ધીમે ધીમે વૈજ્ઞાનીક વલણો કેળવતો થઈ શકે. પ્રશ્ન એ થાય કે શીક્ષક આમાં કઈ રીતે અને ક્યારે પોતાની ભુમીકા ભજવી શકે? અભ્યાસક્રમ પુર્ણ કરવાની મથામણ અને ઈતર પ્રવૃત્તીઓની વણઝાર વચ્ચે શીક્ષક આ માટે ક્યાંથી સમય કાઢી શકે? આવા પ્રશ્નો સ્વાભાવીક જ થાય; પરન્તુ આ માટે શીક્ષકે કોઈ અલગ તાસ ફાળવવાની કે કોઈ વ્યાખ્યાન આપવાની બીલકુલ જરુર નથી. ખોટી દીશામાં જઈ રહેલી માનસીકતા કોઈ એક વકતવ્યથી કે કાર્યક્રમથી બદલાતી નથી. સુધારાની પ્રક્રીયા નીરન્તર ચાલતી પ્રક્રીયા છે. બાળક પોતાની શાળામાં જેટલાં વર્ષ રહે તે સમયગાળા દરમ્યાન અભ્યાસક્રમની સાથે સાથે જ સહજ રીતે તેમનામાં વૈજ્ઞાનીક રીતે વીચારવાની ટેવ વીકસાવી શકાય.. દરેક વીષયમાંથી આવાં પ્રકરણો કે મુદ્દાઓ શોધી, આખી વાતને સહજ રીતે સાંકળી લઈ, વીદ્યાર્થીઓ એ દીશામાં વીચારતા થાય એટલું તો કમ સે કમ કરી જ શકાય. એટલું સ્પષ્ટ રીતે સમજાવી શકાય કે સુક્ષ્મ નીરીક્ષણ, પ્રયોગો અને શુદ્ધ તર્કના પાયે વીજ્ઞાને એ સ્પષ્ટપણે સાબીત કર્યું છે કે, શુન્યમાંથી કશું ઉત્પન્ન થતું નથી અને વીશ્વમાં બનતી કોઈપણ ઘટના કાર્યકારણથી પર નથી. અર્થાત્ દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ હોય છે જ.

નવમાં ધોરણના વીજ્ઞાનમાં ‘આપણે શા માટે માંદા પડીએ છીએ?’ નામક પાઠમાં ઘણા રોગોનાં ચોક્કસ કારણો, લક્ષણો આપ્યાં છે. આપણે ત્યાં ખોરાક વીશે ઘણી અન્ધશ્રદ્ધા પ્રવર્તે છે. દા.ત.; કેળું ખાવાથી કે ઠંડુ પાણી પીવાથી શરદી થાય છે. હકીકતે શરદી થવા માટે મોં વાટે શું જાય છે તે મહત્ત્વનું નથી પણ; નાક વાટે શું જાય છે તે મહત્ત્વનું છે. મતલબ કે હવામાં રહેલા વાઈરસ નાક વાટે શરીરમાં પ્રવેશે ત્યારે શરદી થઈ શકે છે, એ વાત સમજાવી શકાય. ‘સજીવોમાં વીવીધતા’ પાઠમાં સાપ વીશેની માહીતીની સાથે ઝેરી–બીનઝેરી સાપ, સાપને કાન નથી હોતા, દુધ એ સાપનો ખોરાક નથી જેવી અગત્યની માહીતી આપી શકાય. ‘ગુરુત્વાકર્ષણ’ વીશે સમજુતી આપતી વખતે ચન્દ્ર, સુર્ય, ભરતી–ઓટના સન્દર્ભે જ્યોતીશશાસ્ત્ર વીજ્ઞાન નથી, એવી સમજુતી આપી શકાય. ‘બ્રહ્માંડ’ વીશે સમજાવતી વખતે સુર્ય તારો છે; ગ્રહ નથી. રાહુ–કેતુ નામના કોઈ ગ્રહો અસ્તીત્વ ધરાવતા નથી, એ બાબતોનો ઉલ્લેખ કરીને, માણસને કોઈ ગ્રહો નડતા નથી એટલો વીચાર વિદ્યાર્થીઓ સમક્ષ જરુર મુકી શકાય. ‘મનુષ્યના પ્રજનનતન્ત્ર’ વીશેના પાઠમાં સ્ત્રીપ્રજનન અંગો ભણાવતી વખતે માસીકસ્ત્રાવની વૈજ્ઞાનીક સમજુતી આપવાની સાથે, માસીકસ્ત્રાવ સાથે જોડાયેલી મુર્ખ માન્યતાઓનો ઉલ્લેખ કરી શકાય. દસમા ધોરણના સમાજવીદ્યામાં ‘ભારતનો સાંસ્કૃતીક વારસો’ એ વીશે વાત કરતી વખતે, નદી તટે પાંગરેલી સંસ્કૃતીના ઉલ્લેખ સાથે પાણીનું મહત્ત્વ દર્શાવી, ગણપતી વીસર્જનથી નદીમાં થતાં પ્રદુષણ વીશે સમજાવી શકાય. ‘આબોહવા અને ઋતુઓ’ વીશે સમજુતી આપતી વખતે વરસાદ પડવાનાં સાચાં કારણો બતાવી યજ્ઞથી કે રાગ મલ્હાર ગાવાથી વરસાદ પડતો નથી, એવી સ્પષ્ટ સમજ આપી શકાય.

આ માત્ર થોડા નમુના છે. શીક્ષક પોતાના વીષયોના શીક્ષણકાર્ય દરમ્યાન સહજતાથી કુરીવાજો, વહેમો, ખોટી માન્યતાઓનો ઉલ્લેખ કરી વીદ્યાર્થીઓ સમક્ષ સાચી, વૈજ્ઞાનીક માહીતી આપી તેની તર્કશક્તી ખીલવવામાં મદદરુપ થઈ શકે. વીદ્યાર્થી પોતાનું મન ખુલ્લું રાખી વીચારવાની ટેવ પાડશે તો ભવીષ્યમાં બનતી ઘટનાઓને વૈજ્ઞાનીક એરણે ચકાસતો થશે. આમ સમાજમાં વૈજ્ઞાનીક અભીગમ ખીલવવામાં શાળા અને શીક્ષક, કોઈની ધાર્મીક લાગણીને ઠેસ પહોંચાડ્યા વગર, ખુબ જ મહત્ત્વની ભુમીકા અદા કરી શકે તેમ છે. શર્ત એટલી જ છે કે, શીક્ષક વહેમ અને અન્ધશ્રદ્ધાથી મુક્ત હોવો જોઈએ. કોઈ પુસ્તક, વીચાર કે વ્યક્તીના સીમીત ચોકઠામાં કેદ રહેવાને બદલે ખુલ્લું મન રાખી વીચારતો હોવો જોઈએ. જેની પાસે ભારતના ભવીષ્યનું નીર્માણ કરવાની બહુ મોટી જવાબદારી છે એ શીક્ષક સમુદાય પાસે આટલી અપેક્ષા તો છે જ.

–સુનીલ શાહ

સુરતનીસત્યશોધક સભા’ના ‘રૅશનલ’ માસીક ‘સત્યાન્વેષણ’ના નવેમ્બર, 2018ના અંકમાં પ્રગટ થયેલો આ લેખ, લેખકના અને ‘સત્યાન્વેષણ’ માસીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. સુનીલ શાહ, નોર્થ–101, ન્યુઝ એવન્યુ એપાર્ટમૅન્ટ, આનન્દમહલ રોડ, અડાજણ, સુરત – 395009 સેલફોન : 94268 91670 .મેઈલ : sunilshah101@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. 

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–11–2018

12 Comments

  1. સરસ લેખ.
    “શર્ત એટલી જ છે કે, શીક્ષક વહેમ અને અન્ધશ્રદ્ધાથી મુક્ત હોવો જોઈએ. કોઈ પુસ્તક, વીચાર કે વ્યક્તીના સીમીત ચોકઠામાં કેદ રહેવાને બદલે ખુલ્લું મન રાખી વીચારતો હોવો જોઈએ. જેની પાસે ભારતના ભવીષ્યનું નીર્માણ કરવાની બહુ મોટી જવાબદારી છે એ શીક્ષક સમુદાય પાસે આટલી અપેક્ષા તો છે જ.”
    આ શરત અને અપેક્ષા પુરી પાડી શકે તેવા શીક્ષકો કેટલા હશે? ઉલટું લાગે છે કે હું જ્યારે દેશમાં શીક્ષક હતો- પચાસેક વર્ષ પહેલાં- ત્યારે જે અંધ માન્યતા ધરાવનારાં શીક્ષક ભાઈબહેનો હતાં તેના કરતાં આજે કદાચ વધુ હશે. અને તેથી જ કદાચ આજે સમગ્ર સમાજમાં પહેલાં કરતાં વધુ ઢોંગી ધાર્મીક ધુતારાઓ જોવા મળે છે.

    Liked by 1 person

  2. દરેક શિક્ષક રેશનાલિસ્ટ હોવો જોઇએ.
    @ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર

    Liked by 2 people

  3. બાળકના જીવનમાં પહેલાં તો ઘરનું વાતાવરણ આવે છે શાળાનું વાતાવરણ તો પછી આવે છે. ઘરમાં જ જો અન્ધવીશ્વાસનું વાતાવરણ હોય તો વ્યક્તી તેનો ભોગ બનતી જ હોય છે. વીગ્નાનીઓ પણ અન્ધવીશ્વાસ ધરાવતા હોય છે તેનું કારણ પણ તેમનો ઉછેર છે.

    Liked by 1 person

  4. Sunil bhai has nicely illustrated while teaching lessons what andh sharaddha -teacher should remove–its really practical way to make scientific attitude of present generation.
    thx govind bhai and sunil bhai

    Liked by 1 person

  5. It is impossible to implement this thought. As our whole political and govt structure is religious oriented. All inaguration functions are performed after religious ritual. When govt is encouraging religeous puja and path how can it be secular in practice. Govt is subsidising pilgrimage places at govt expenses.The morning prayer is also religious in most of school. The directive of Constitution 15 (A 0 H is violated by all political parties. The west Bengal govt is giving subsidy for PUJA mandap. The poor teacher is in trouble if he takes bold steps.

    Liked by 2 people

    1. Very true. Government should not encourage or promote any religious rituals. Poor teacher is worried about his job. We are secular for namesake only.

      Liked by 2 people

  6. “શાળાનો શીક્ષક અન્ધશ્રદ્ધા અને વહેમથી મુક્ત હોવો જોઈએ. પોતાની અંગત માન્યતાઓ કે પોતાના અજ્ઞાનનો ભોગ વીદ્યાર્થીઓ ન બને તેની કાળજી લેવાવી જોઈએ.”

    ઍ બરાબર. સો ટકા સત્ય. પરંતુ ઘરના વડીલો તથા માતા પિતા અંધશ્રધ્ધા માં ઘેરાયેલા હોય, તો ભૂલકાઓ ને વારસા માં અંધશ્રધ્ધા જ મળે છે તેનુ શું?

    Liked by 1 person

  7. સ્નેહી શ્રી સુનીલભાઇઅે.. સરસ વિચારો દર્શાવ્યા. તેમણે…. આ… હોવું જોઇઅે… તે હોવું જોઇઅે…. કહીને કહ્યુ કે તે તે નથી.. તો કેમ નથી ? તે શોઘીઅે. અને તેના નિવારણના પગલાં ભરીઅે. તે તે પગલાં લેવા માટે કોની કોની મદદ જરુરી બનશે તે તે શોઘીઅે… અને તે મેળવીઅે. ભારત, ગુજરાત, અક્ષરતા અને નિરક્ષરતામાં કેટલાં પ્રમાણમાં વહેંચાયેલાં છે ? શિક્ષક કેટલે અંશે તે કર્મ કરવાં શક્તિશાળી છે ? વિજ્ઞાનનો શિક્ષક પોતે અંઘશ્રઘ્ઘામાં માનતો હોય તો ? ભારતમાં ભણતર પોતે સરકારી અને પૈસાવાળાઓનું રમકડું છે. સાચા શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા ચલાવાતી સંસ્થા નથી. મની પાવર અને પોલીટીકલ પાવર દેશને દરેક ક્ષેત્રે ચલાવે છે. લેખ સરસ, સુંદર, શૈક્ષણિક છે પરંતું તે જીવનમાં ઉતારવો રહ્યો… તો જ ઘારેલા પરિણામો મળશે… નહિ તો ?????????
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. અંધશ્રદ્ધા એ સમાજમાં ઊંડે મૂળ સુધી વ્યાપક ફેલાયેલો મહારોગ છે. એના મૂળમાં માણસની અજ્ઞાનતા છે. પ્રિય મિત્ર સુનીલભાઇ એક આદર્શ શિક્ષક અને નિવૃત આચાર્ય છે. એનાથી પણ મોટી વાત એ સતત સજાગ રહેતાં સજ્જન માણસ છે. આ માત્ર એમનાં વિચારો નથી, જીવનભર એમનાં વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં વહેંચેલી વાતો છે.
    આમ તો સુનીલભાઇ એક કવિ તરીકે સુરતમાં વિખ્યાત છે. એમની ગઝલો શહેરમાં અને અનેક મેગેઝીનોમાં ગુંજતી થઈ છે,પરંતુ એમનું ગદ્ય પણ સજાગ રહીને વાંચવું પડે એટલું સબળ હોય છે. ગુજરાતમિત્રમાં પ્રગટ થતાં એમનાં ચર્ચાપત્રો વાચકને વિચારતા કરી મૂકે છે.
    ગોવિંદભાઇ આપના દ્વારા ચલાવાતી જ્ઞાનની આ પરબ દ્વારા મોટું કામ થઈ રહ્યું છે. સૌ મિત્રોને અંતરથી અભિનંદન.

    Liked by 1 person

  9. Khub saras lekh sunil bhai ghar na andhshradhdha bharya vatavaran mathi pan balak ne bahar kadhvani shakti shikshsko pase hovi joiye jyare aaje mota bhagna sikshako potej andhshradhdhalu hoi chhe ,
    Rohit darji nievay ekdam sachi chhe ke sikshak rational hovo joiye je nathi e deshni kamnasibi ganai ane biji vat netao rational hova joiye teno to sadantar abhav chhe sarkare China 🇨🇳 ni jem rationalization mate Budjet fadavavu joiye temaj deshnu bhalu chhe.
    Khuba saras lekh aabhar Govindbhai ane sunil bhai.

    Liked by 1 person

Leave a comment