ચાવાર્ક સુત્રો

બૃહસ્પતી (ચાર્વાક)ને જીવતેજીવ બાળી નાખવામાં આવ્યા હતા..!! ચાર્વાકનું સમ્પુર્ણ સાહીત્ય પણ બાળી નાખવાને કારણે ભારતીય દર્શનોમાંચાર્વાક દર્શનનું પોતીકું કહી શકાય તેવું કોઈ સાહીત્‍ય પ્રાપ્ય નથી; પરન્તુ ‘સનાતન સેવાશ્રમ’, હારીજ (ગુજરાત)ના સ્થાપક અને લેખક શ્રીમદ્ સદાનન્દ સ્‍વામીજીએ તેઓના ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથમાં ચાર્વાક વીશેના પ્રાચીનથી લઈને અર્વાચીન સમય સુધીના ઉદાહરણો, કથનો, વીવીધ ગ્રંથોના અનેક સન્દર્ભો લઈ, તેમણે ચાર્વાક દર્શનની સમજ માટેની ભુમીકા સ્‍પષ્‍ટ કરી છે. તેના સીદ્ધાન્તોને સરળ રીતે સમજાવીને સર્વાંગ સુન્દર ગ્રંથ આપણને લભ્‍ય બનાવ્યો છે. ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રો માટે 13 ‘ચાર્વાક સુત્રો’ અને તેના અર્થ સાદર છે… –ગોવીન્દ મારુ

ચાવાર્ક સુત્રો

–શ્રીમદ્ સદાનન્દ સ્‍વામીજી

1

यावज्जवं सुखं जीवेन्नास्ति मृत्योरगोचर: ।
भस्मी भूतस्य देहस्य पुनरागमनं कृत: ।।

અર્થાત્ કોઈ પણ મનુષ્ય વગેરે પ્રાણી મૃત્યુને અગોચર નથી, સર્વનું યથા સમયે મૃત્યુ થવાનું જ છે માટે જ્યાં સુધી આ શરીરમાં ચેતના છે યાને જીવીત છે. ત્યાં સુધી સુખથી રહેવું જોઈએ અને સુખવૃદ્ધીના કાર્યમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. ચાર ભુતોના સંયોગથી ઘડાયેલો આ દેહ ભસ્મ થઈ જાય છે એ જ દેહ કદી પુનઃ સંસારમાં આવશે નહીં; એટલા માટે આ સંસારમાં જેમ બની શકે તેમ આનન્દમાં રહો. લોકમાં નીતીથી ચાલો, તમારા ઐશ્વર્યને વધારો અને તેથી ઈચ્છીત ભોગોની વૃદ્ધી કરો, આ જ લોક સમજો, કોઈ પરલોક નથી.

જુઓ! પૃથ્‍વી, જલ, અગ્ની અને વાયુ આ ચાર ભુતોના પરીણામથી આ શરીર બન્‍યું છે. એમાં એના જ યોગથી ચૈતન્‍ય ઉત્‍પન્ન થાય છે. બસ! એ જ પ્રકારે જીવ શરીરની સાથે ઉત્‍પન્ન થઈને શરીરના નાશ સાથે નષ્‍ટ થઈ જાય છે; પછી પાપ–પુણ્યનું ફળ કોને મળવાનું છે?

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 05]

2

ततश्च जीवनोपयो ब्राह्मणैर्विहितस्त्र्विह ।
मृतानां प्रेत कार्याणि न त्वन्चद्विधते ववचित् ।।

હે ભોળા માનવો! જેઓ શ્રાદ્ધ, તર્પણ અને દશગાત્રા વગેરે મૃતક ક્રીયાઓ કરે છે. તે બધી બ્રાહ્મણોની આજીવીકા માત્ર છે. ધુર્તોની રચનાઓ છે. તમારી અજ્ઞાનતા અને ભોળપણ જોઈને તેનો લાભ ઉઠાવવા અને ધનહરણ કરવાનો આ ઉપાય રચ્‍યો છે. દશગાત્રના પીંડોથી, દશઅંગ સપીંડી કરવાથી શરીરની સાથે જીવનો મેળ થઈ અંગુષ્ઠ માત્ર શરીર બનીને પછી યમલોકમાં જાય છે તો મરણ સમયે તેમના કહેવા પ્રમાણે યમદુતોનું આવવું વ્‍યર્થ છે. તેર દીવસ પછી જ આવવું જોઈએ અને જો શરીર બની જતું હોય, તો પોતાની સ્ત્રી, સન્તાન અને ઈષ્‍ટદેવોના મોહથી પાછો કેમ નથી આવતો?

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 09]

3

वायज्जीव सुखं जुवेन्नस्ति मृत्योर गोचर ।
भस्मी भूतस्य देहस्य पुनरागमनं कृता ।।

કોઈ પણ પ્રાણી મૃત્‍યુના વીષયની બહાર નથી માટે શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી હમ્મેશાં સુખની જ આકાંક્ષા રાખી સુખમાં રહેવું જોઈએ. કોઈ કહે છે કે ધર્માચરણમાં ઘણું કષ્‍ટ થાય છે અને જો ધર્માચરણનો ત્‍યાગ કરીએ તો બીજા જન્‍મમાં ઘણું દુઃખ વેઠવું પડે છે તેનો જવાબ મહર્ષી ચાર્વાક આ પ્રમાણે આપે છે :

અરે ભોળા માનવો! જેણે ખાધું પીધું અને ભોગવ્‍યું એ આ શરીર મર્યા બાદ નષ્‍ટ થઈ જાય છે તે પાછું જન્‍મ ધારણ કરશે જ નહીં તો પુનર્જન્‍મનો પ્રશ્ન જ નથી. જુઓ! પૃથ્‍વી, જળ, વાયુ અને અગ્ની આ ચાર ભુતોના પરીણામથી શરીર બને છે અને શરીરમાં આ ભુતોના સમ્બન્ધથી જ ચૈતન્‍ય પેદા થાય છે; જેમ તેલમાં દીવેટ મુકી અગ્ની વડે પ્રદીપ્ત કરતાં જ પ્રકાશ પેદા થાય છે અને તેલ ખુટી જતાં પ્રકાશનો નાશ થાય છે. તેમ આ શરીરમાં ચૈતન્‍ય તત્ત્‍વ પણ શરીર સાથે જ ઉત્‍પન્ન થઈ શરીર સાથે જ નાશ પામે છે. તો પછી પાપ અને પુણ્‍યનું ફળ કોને મળવાનું છે? હા! લોકમાં નીતીથી ચાલવું, જીવો ઉપોર દયા રાખવી, કરુણા રાખવી એ મનુષ્‍યનો સ્‍વભાવ છે તેને છોડવો નહીં. તમારા ઐશ્વર્યથી ઈષ્‍ટ સુખને પ્રાપ્ત કરી તેનો ઉપભોગ કરો તેમાં કોઈ દોષ નથી. આ જ લોક છે પરલોક નથી; પરન્તુ પરલોકમાં ઈષ્‍ટસુખ મેળવવાની ઈચ્‍છાથી પુરોહીતોની ભ્રમજાળમાં ફસાઈને વીવીધ પ્રકારના કઠોર તપો અને કલેશો વધારીને આ લોકને નરકાગાર બનાવી દે છે તેઓ મુર્ખ જ છે. અને પરલોકમાં સુખ મેળવવાની અપેક્ષાથી જ ધર્માચરણ કરવું ભુલ ભરેલું છે.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 14]

4

तच्चैतन्य विशिष्टदेह एवं आत्मा देहातिरिक्त ।
आत्मानि प्रमाणा भावात् ।।

આ શરીરમાં આ પૃથ્‍વી આદી ભુતોના સંયોગથી શરીર ઉત્‍પન્ન થઈને સમયાંતરે નષ્‍ટ થઈ જાય છે ત્‍યારે જીવ જેવી કોઈ વસ્‍તુ જુદી થતી નથી, પ્રત્‍યક્ષ દેખાતી નથી અને પ્રત્‍યક્ષ પ્રમાણ આગળ બીજા પરોક્ષ પ્રમાણો ગૌણ ગણવામાં આવે છે; કારણ કે પ્રત્‍યક્ષ વીના અનુમાન વગેરે પણ થઈ શકતું નથી એટલા માટે મુખ્‍ય પ્રત્‍યક્ષની સામે અનુમાન વગેરે ગૌણ હોવાથી તેમનું ગ્રહણ થતું નથી. હે માનવો! તમો મારી આ કટુ છતાં સત્‍ય વાત માનીને પુરોહીતોની વાગ્‍જાળમાં ફસાસો નહીં.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 15]

5

अग्निरुणो जलं शतीं समस्यशस्थिथाउ निल: ।
केनेदं चित्रित तस्मात्सभावामद व्यवस्थिति: ।।

ચાર્વાક મત જગતની ઉત્પત્તી, સ્વાભાવીક માને છે. જે જે સ્વાભાવીક ગુણ છે તે તે દ્રવ્યો સંયુક્ત થઈને સઘળા પદાર્થો બને છે કોઈ જગતનો કર્તા નથી. વીશ્વ આખું જડ અને ચેતન પદાર્થોનું બનેલું છે. એટલે કે વીશ્વ પદાર્થમય છે. અને પદાર્થના આ જથ્થામાં વધારો,  ઘટાડો, સર્જન કે નાશ શક્ય નથી. અને તેથી વૈયક્તીક કે અવૈયક્તીક, કર્તા, સર્જક કે સૃષ્ટાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. અને ઉપલબ્ધ પદાર્થમાંથી જીવન્ત પદાર્થની રાસાયણીક ઉત્પત્તી માટે જરુરી એવા સુયોગ્ય વાતાવરણની પરીસ્થીતીમાં આ જીવન્ત વીકાસ થાય છે બાકી વીશ્વકર્તા જેવું કંઈ નથી.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 17]

6

अग्निहोत्रं गयो वेदास्त्रिदण्डं भस्म गुण्ठनम् ।
बुद्धि पौरुषहीनानां जीविकेति बृहस्पति ।।

અર્થાત્‌ અગ્નીહોત્ર, દંડ, ભસ્મ, માળા ધારણ કરવી, લોકમાં સ્‍વર્ગ–નર્ક અને મોક્ષની લાલચ આપી, ઈશ્વરના નામે લોકોને ભયભીત કરવા અથવા ગેરમાર્ગે દોરવા આ બધી બાબતો એ ધર્મ નથી; પણ બુદ્ધી અને પૌરુષ રહીત માણસોની આજીવીકા માત્ર છે તેમ દેવોના ગુરુ બ્રહસ્‍પતી કહે છે.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 20]

7

मृतानामपि जन्तुनां श्राद्धं ये तृप्तिकारणम् ।
गच्छातामिह जन्तूनां व्यर्थ पाथेयकल्पनम् ।।

જો મૃતાત્‍માઓ શ્રાદ્ધ અને તર્પણ તૃપ્તીકારકર થાય છે તો પરદેશમાં જનારા મુસાફરો માર્ગમાં નીર્વાહ માટે અન્ન, વસ્ત્ર, ધન વગેરે શા માટે લઈ જાય છે? કેમ કે જો મૃતકના નામથી અર્પણ કરેલા પદાર્થો સ્‍વર્ગમાં પહોંચી શકતા હોય તો પરદેશમાં જનાર વ્‍યક્‍તીના સમ્બન્ધી તેમના માટે તર્પણ કરીને તેવા પદાર્થો તેમને કેમ પહોંચાડી શકતા નથી? અને જો એ રીતે તેના નામથી અર્પણ કરેલો પદાર્થ મુસાફરી કરતાં માણસ સુધી આ પૃથ્‍વી પર પણ ન પહોંચી શકતો હોય તો સ્‍વર્ગમાં શી રીતે પહોંચી શકે? અને જો મૃત્‍યુલોકમાં દાન કરવાથી સ્‍વર્ગવાસી તૃપ્ત થાય છે તો તમારા ઘરની અગાસી ઉપર બેઠેલા માણસને આ રીતે અર્પણ કરવાથી કેમ તૃપ્ત કરી શકાતો નથી?

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 27]

8

यावज्जीवेत्सुखंजीवे ऋण कृंत्वा धृतं पिबेत् ।
भस्मी भूतस्य देहस्य पुनरागमनं कृत: ।।

માટે હે ભોળા માનવો! સ્‍વર્ગ–નર્ક–મોક્ષ–લોક–પરલોક વગેરે બાબતોની નાહક ચીંતાઓ છોડી, સ્‍વર્ગ–નર્ક વગેરેની પુરોહીતોએ બીછાવેલી જાળથી મુક્‍ત થઈ આજ લોકમાં સુખથી રહો; અને યથેષ્‍ઠ સુખ વધારવા અહીં જ પ્રયત્‍નશીલ રહો. જો તમારી અલ્‍પતાથી યથેષ્‍ઠ સુખ ન મેળવી શકો તો દેવું કરીને પણ અહીં જ સુખ પ્રાપ્ત કરવું. સ્‍વર્ગની આશા કરતાં વધુ ફળદાયી છે માટે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખમાં જ રહો. આ લોકમાં સુખ મેળવવું અને મેળવવા પ્રયત્‍ન કરવો એ પ્રાણીમાત્રનો સ્‍વભાવ છે. તેનાથી ભીન્ન પ્રવૃત્તી કરવી તે નીસર્ગના નીયમનો ભંગ કરવા બરાબર છે; કારણ કે આ દેહ છુટી ગયા પછી ક્‍યાંયે જતો નથી કે ક્‍યાંયથી પાછો આવતો નથી. તે તો અહીં જ ભસ્‍મીભુત થઈ જાય છે માટે સ્‍વર્ગલોકની ઠગારી આશા છોડી અહીં જ આનન્દ માણી લો; કારણ કે કોઈ જીવતું ફરી આ લોકમાં પુનરાગમન થયું હોય તેનું કોઈ પ્રત્‍યક્ષ કે પરોક્ષ પ્રમાણ નથી.

માટે જે કોઈ લોકો એમ કહે છે કે મૃત્યુ પછી તેનો જીવ પરલોકમાં જાય છે તો એ વાત પણ મીથ્‍યા છે; કારણ કે જો એમ હોત તો કુટુમ્બના મોહથી બદ્ધ થઈ પુનઃ તેના ઘરમાં કેમ નથી આવતો?

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 28]

9

पशुश्चेन्निहत: स्वर्ग ज्योतिष्ठेंमे गमिष्यति ।
स्वपिता यजमानेन तत्र कस्मान हिंस्यते ।।

યજ્ઞમાં નીર્દોષ પશુઓને મારીને હોમ કરતાં લોકોને જોઈ ચાર્વાક કહે છે કે…. હે મનુષ્‍યો! હું તમને સત્‍ય કહું છું કે આવા હીંસક અને નીર્દય યજ્ઞકર્તાઓથી ચેતજો; કારણ કે યજ્ઞમાં પશુને મારીને હોમ કરવાથી જો તે સ્‍વર્ગમાં જતું હોય તો એ યજ્ઞકર્તા પોતાનાં પીતા કે પુત્રને મારીને હોમ કરી સ્‍વર્ગમાં કેમ નથી મોકલતો? આવું સુંદર સ્‍વર્ગીય સુખ પોતે લેવાને બદલે પશુઓને કેમ આપે છે?

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 31]

10

न स्वर्गो नाडपवर्गो वा नैवात्मा पारलौकिक: ।
नैव वर्णाश्रमादीनां क्रियाश्च फलदायिका: ।।

અર્થાત્‌ ચાર્વાક કહે છે કે હે ભોળા માનવો! જરા સાંભળો હું સત્‍ય કહું છું કે કોઈ સ્‍વર્ગ નથી, કોઈ નર્ક નથી, કોઈ પરલોકમાં જનારો આત્‍મા નથી કે કોઈ પરલોક પણ નથી. કોઈ વર્ણાશ્રમ કે વર્ણાવર્ણની ક્રીયા લાભદાયક નથી. આ બધું ધર્મ નથી પણ પુરોહીતોની સ્‍વાર્થજાળ છે તેમાં ફસાસો નહીં.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 35]

11

अश्वस्यात्र हि शिशनन्तु पत्नीग्रावं प्रकिर्तितम् ।
भण्डैसंसीदैत्यरं यैव गाश्चजातं प्रकीर्तितम् ।।

અર્થાત્ ઘોડાના લીંગને સ્ત્રી ગ્રહણ કરે પછી તેની પાસે યજમાનની સ્ત્રી સાથે સમાગમ કરાવવો, કન્‍યાઓ સાથે મશ્‍કરી કરવી વગેરે લખવું એ કોઈ ધુર્તો વીના થઈ શકતું નથી.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 155]

12

मांसानां खादन तद्दन्निशायरसमीतम् ।

અને આ વેદોમાં જે માંસ ખાવાનું લખ્‍યું છે તે વેદભાગ પણ નીશાચરો અર્થાત્‌ રાક્ષસોનો જ  બનાવેલો છે.

[ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 155]

13

त्रयो वेदस्य कर्त्तारो भण्डधूर्त निशाचरा: ।
जर्वारी तुर्करीत्यादि पण्डितानां वय: स्मृतम् ।।

માટે હું કહું છું કે વેદના બનાવનાર ભાંડ, ધુર્ત અને નીશાચરો હોવા જોઈએ અને વેદમાં જણાવેલી જર્ફરી– તુર્ફરી વગેરે વીદ્યાઓએ પંડીતોનું ધુર્તતાયુક્‍ત વચન છે.

[ચાર્વાક્દર્શન (એક સમીક્ષા) ગ્રંથ પેજ નમ્બર : 176]

                            – શ્રીમદ્ સદાનન્દ સ્‍વામીજી

ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથમાંથી, લેખક શ્રીમદ્ સદાનન્દ સ્‍વામીજી અને સંકલનકર્તાઓ સુધાકર ઝાડે (સર્વોદય કાર્યકર), જીગ્નેશ ભટ્ટ (એક વીચારક), અલખનારાયણ ચતુર્વેદી (શાંતી સૈનીક, પદયાત્રી) તેમ જ અનુવાદક  ભાલચન્દ્ર ગોવીન્દ માલસે ના સૌજન્યથી સાભાર…

નોંધ : ચાર્વાક દર્શન (એક સમીક્ષા) ગ્રંથ આઉટ ઑફ પ્રીન્ટ છે.

સમ્પર્ક : અફસોસ, સ્‍વામીજી હવે આપણી વચ્ચે નથી. ‘સનાતન સેવાશ્રમ’, ટીંબા હનુમાન મન્દીર, હારીજ – 384 240, જીલ્લો : પાટણ (ગુજરાત રાજ્ય)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@yahoo.co.in

                                                     

9 Comments

  1. ચાવાર્ક સુત્રો –શ્રીમદ્ સદાનન્દ સ્‍વામીજીનો સ રસ લેખ
    ચાર્વાક એક પ્રકારનો સંપ્રદાય હતો.ચાર્વાક સંપ્રદાય નો હરએક અનુયાયી ચાર્વાક તરીકે ઓળખાતો હતો. એ સમયે ચાર્વાક અને વૈદિક બે સંપ્રદાયો વચ્ચે વૈચારીક યુદ્ધ ચાલતુ રહેતુ હતુ.વૈદિકો ચાર્વાકોના ગ્રંથો દબાવી રાખવા,નષ્ટ કરવા જેવી પ્રવૃત્તિ કરતા હતા.ચાર્વાકો વૈદિકો ઉપર ચાબખા મારતા રહેતા હતા. ચાર્વાકના ગ્રંથોનો વૈદીકોએ નાશ કર્યો હતો. સાથે સાથે એ પછી થઇ ગયેલા એકનાથ,તુકારામ અને દયાનંદ સરસ્વતી જેવા સંતોના ગ્રંથોને પાણીમાં ડુબાડી નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.દયાનંદ સરસ્વતીને તો ખોરાકમાં ઝેર આપવામાં આવ્યું હતું.
    આમા આ સત્ય સમજવાનું છે દરેક આસ્તિક વ્યક્તિ સદાચારી હોતી નથી. દરેક નાસ્તિક વ્યક્તિ દુરાચારી હોતી નથી. નાસ્તિકતાનો અર્થ ભૂંડો માણસ એવો ન હોઇ શકે.પણ કુરીતી, અંધ શ્રધા અને અસત્યને નહિ માનનારો શ્રેષ્ટ પુરૂષ એવો અર્થ થાય છે.
    ધન્યવાદ

    Liked by 1 person

  2. Govindbhai,
    Good article on CHARVAK. I consider him rationalist of his time who openly criticized so called Pandits who were making their bread and butter by creating fear of other side of the world after death.
    Regards,
    Ravindra Bhojak

    Liked by 1 person

  3. તે જમાનામાં આવું જાહેરમાં કહેવું બહુ ભારે હીંમતનું કામ ગણાય. અને જો ચાર્વાકને મારી નાખવામાં આવ્યા હોય તો જે લોકો પોતાની વાત સાબીત કરી ન શકે તેમની એ કાયરતા ગણાય. ચાર્વાકે તો પોતાની વાત સાબીતી સાથે કહી છે. જો અદૃશ્ય સ્વર્ગમાં તમે વસ્તુ પહોંચાડી શકતા હો તો અહીં અગાસીમાં એ જ રીતે કેમ પહોંચાડી શકતા નથી? એ જ સાબીત કરે છે કે તમારી વાત ખોટી છે.
    ખુબ સરસ લેખ. ધન્યવાદ ગોવીન્દભાઈ.

    Liked by 1 person

  4. यावज्जीवेत्सुखंजीवे ऋण कृंत्वा धृतं पिबेत् ।
    भस्मी भूतस्य देहस्य पुनरागमनं कृत: ।।
    ચાર્વાકના ઉપરના સૂત્રમાં અસહિષ્ણુંતા વિશે વરિષ્ઠ નેતા લાલક્રિષ્ણ અ‍ડવાણીજીએ પણ સંસદ માં ખુબ જ સરસ કહ્યું છે. (જોવા માટેની ગુગલ લીંક: https://ar-ar.facebook.com/100360088099066/videos/2755396731383945/)
    ચાર્વાક અને તેમના જેવા ઉત્તમ વિચારકોના અથાગ પ્રયત્નો થકી જનમાનસમાં હવે જાગ્રુતી વધી છે.
    જેઓ પોતાના સ્વાર્થ ખાતર લોકોમાં અંધશ્રધ્ધા, પાપ નો ડર તથા પુણ્યની બીક બતાવીને ઠગાઈનો ધંધો કરે છે એમની સંખ્યા પણ ઘટવા લાગશે. ચાર્વાકના સાહિત્યનો સંપૂર્ણ નાશ કરવા છતા પણ લોકો સુધી પહોંચીને રહ્યું જે એ વાતની સાબિતી આપે છે કે સત્ય ક્યારેય ઢંકાયેલું રહેતું નથી.
    ચાર્વાક્ના સૂત્રો દ્વારા લોકમાનસમાં જાગરુક્તા લાવવાનું સુંદર કાર્ય કરવા બદ્લ લેખક શ્રીમદ્ સદાનન્દ સ્‍વામીજી તથા માનનીય ગોવિંદભાઈ નો ખુબ ખુબ આભાર.

    Liked by 1 person

  5. ખૂબ સરસ લેખ.હજારો વર્ષ પહેલાં ભારત માં આટલું ઉન્નત જ્ઞાન હતું જે આજની નેવું ટકા માનવ જાત આજ પણ જાણતી નથી.અદભુત કામ હતું ચાર્વાક નું.ધૂર્તો ની ધૂર્તતા ને બરાબર પકડી છે જેમાં આજે પણ આખો દેશ ફસાયેલો છે.ખૂબ સરસ કામ ધન્યવાદ.

    Liked by 1 person

  6. ચાર્વાક…
    જે કોઇ પણ જ્ઞાની પોતાના સમય કરતાં વિચારોમાં, કર્મોમાં આગળ હોય તેને સહન કરવાનુ હોય જ છે. ચાર્વાક તે જે જમાનામાં જીવતાં હતાં તે જમાનામાં ચાલતા વિચારો, વ્યવહારો, કરતાં વઘુ સારા વિચારો ઘરાવતા હતાં. પૈસા કમાવા માટે જે લોકો સામાન્યજન ને પોતાની રાહે જીવવા મજબુર કરતાં હતાં તેઓ કરતાં વઘુ સારા અને સાચા…લોજીકલી…પણ સાચા સાબિત થતાં વિચારો ચાર્વાક ઘરાવતા હતાં. અેટલે તેમને અને તેમનાં વિચારોના પુસ્તકોને સળગાવી દીઘા હતાં.
    જૂના યુરોપમાં પણ આજ પ્રવૃત્તિ અને વૃત્તિ કાર્યરત હતી. રોમનોના રાજાઓને પણ તેમના સમયના ત્યાના કહેવાતા પુજારીઓ જે કહે તે કરવું પડતું. ઇશુને પણ ક્રુસીફાઇ કરેલાં. રોમનોમાં બીજા પણ આવા દાખલાઓ ઇતિહાસમાં છે. કહેવાય છે કે સાચુ બોલનાર અને સીઘું ચાલનાર માણસ દુનિયાને હંમેશા કડવો લાગે છે. કોઇ ‘ ચિત્રગુપ્ત ‘ ‘ચોપડા ‘ લખતો નથી…. તમે જ તમારું ‘ ચિત્ર‘ ગુપ્ત રીતે દોરો છો.
    સ્વામી સચ્ચિદાનંદજીને પોતાના રક્ષણ માટે બંડુક રાખવી પડે છે. ચાર્વાકે પોતાના રક્ષણની કોઇ સગવડ રાખી હોત તો આજે ચાર્વાકનું સંપૂર્ણ જ્ઞાન આપણને મળ્યુ હોત.
    સ્વામી સચ્ચિદાનંદજી તેમના પુસ્તક ‘ મારા અનુભવો ‘ માં ભૂમિકા વિભાગમાં લખે છે કે, ‘ ાાજે મારા વિચારો બદલાયા છે. હવે મને મોક્ષની કશી જ ચિંતા નથી થતી. મર્યા પછી જે થવું હોય તે થાય, પણ સૌથી વઘુ ચિંતા વર્તમાન જીવનની થાય છે; મારા જીવનની નહિ, સમજ્ર હિન્દુ પ્રજાના જીવનની. મને તેનું ભવિશ્ય ઉજ્જવળ દેખાતું નથી, કારણ કે તેની ઘર્મવ્યવસ્થા તથા સમાજ વ્યવસ્થા અત્ય;ત ત્રુટિભરી છે……………
    ……………હું પરિવર્તનવાદી છું. વિશ્વ સતત પરિવર્તિત થઇ રહ્યુ છે અેટલે તે નવું, તાજું તથા સત્તાવાળું છે. પ્રાચિનતામાંથી પ્રેરણા નાં તત્વો ગ્રહણ કરવાં જ જોઇઅે, પણ પ્રાચિનપંથી ન થવું જોઇઅે; થવું જોઇઅે અર્વાચિનપંથી. આપણે વર્તમાનમાં જીવવું છે અને ભવિશ્યમાં વિસ્તરવું છે.
    આજે પણ હિન્દુઓમાં જીવનના જુદા જુદા કાર્યો કરવા માટે ‘ ઘાર્મિક વિઘીઓ ‘ કરવામાં આવે જ છે ને ?
    મહર્ષિ ચાર્વાકના સત્યો પણ આજ કહે છે.સ્વામીશ્રી સદાનંદજીના આપણી ઉપરના આ આશિષ માટે આપણે તેમના ઋણી રહીશું. ગોવિંદભાઇના પણ.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. Great Greek philosopher Socrates, was accused of corrupting the youth of Athens & was sentenced to death. He drank the executioner’s cup of poisonous hemlock.
    May be Mark Twain learnt from such experiences….and said, ” Never argue with stupid people. They will drag you down to their level and then beat you with their experience.”
    ચાર્વાકની વાતને ગુજરાતી કવિ મેહુલ મોદી પોતાના શબ્દોમાં સરસ સમજાવે છે.
    ‘ મર્યા પછી તો, ક્યાં જરુર છે કાગવાસની ?
    ચાલુ શ્વાસે જ જરુર છે, સહવાસની.‘
    બીજો સીઘો સાદો દાખલો આપુ.
    નોકરીમાં તમારા બોસ અનુભવે સમજી જાય કે તમારી પાસે તેના કરતાં વઘુ સારું નોલેજ છે તો તેને તમારી બીક લાગવા માંડશે….તમને હેરાન કરીને દુ:ખી કરીને નોકરી છોડાવીને જ જંપશે.
    ચાર્વાક કે સોક્રેટીસ તેમના જમાનાથી ખૂબ આગળ હતાં….તેમનો અંત તેમના વખતના જોહુકમીના હાથે થયેલો.
    માનવ સ્વભાવ??????
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. Good article. Charvark was much ahead of his time, not only that even today the philosophy of Charvark is way ahead of the poplar thoughts in vogue all over the world.
    Good to know that people like Swami Sadanand had admired his thoughts and ideology and published in a book form.
    There are other books available for the people who are interested in further reading.
    Don’t have to go too far, there is a small book by our own N.V. Chavada, “Charvark Darshan” in Gujarati.
    Also a couple of small books
    Charvark Philosophy by Bhupender Hera
    The Philosophy of Lokayata by Bijyananda Kar

    Liked by 1 person

  9. મિત્રો,
    ‘ચાર્વાક‘ તો હરેક જમાનામાં જન્મ લે છે…
    વિક્રમ સંવત ૨૦૭૬માં પણ જન્મેલા હશે જ. તેમની સંખ્યા આંગળીના વભઢે ગણી શકાય એટલી હોય અને તેમના વિરોઘીઓનો મહાસાગર હોય છે. ચાર્વાક ગણને માટે એક જ લાસ્ટને બનાવી શકાય…‘ બીચારા ‘
    ભારતમાં સાચા વિજ્ઞાનીઓ ‘ચાર્વાક બીચારા’ઓ કહેવાય. વૈજ્ઞાનીક શોઘો કરતાં લોકોને ઘાર્મિકતામાં શ્રઘ્ઘા વઘુ હોય છે.
    જ્યારે એવું લાગે કે તેમની શ્રઘ્ઘા ઘારેલું ફળ નથી આપતી ત્યારે વિજ્ઞાને સહારે જાય છે. દા.ત; મેડીકલ સાયન્સને સહારે. (સાચા ડોક્ટરોની વાત કરીએ છીએ; લુચ્ચાઓની નહિ.)
    જ્યોતિષો, સાઘુઓ, બાબાઓ, ભગત, ભૂઆઓ; જેવા વેપારીઓના બીઝનેસ કુદકે ને ભૂસકે વઘે છે.
    વઘુ તો સમજવાનું જ હોય….
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment