માણસને ભગવાન સમજીએ

આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી
પુસ્તકોનું લોકાર્પણ

તા. ૨૫ ડીસેમ્બર, ૨૦૧૫. માનવપ્રેમી ઈસુનો જન્મદીન. દક્ષીણ ગુજરાતના વીદ્વાન શીક્ષણવીદો, સાહીત્ય–રસીકો, લેખકો, તબીબો અને ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાંની ડૉ. શશીકાંત શાહની સાપ્તાહીક બે કૉલમોના વ્યસની–વાચકોથી, અડાજણ, સુરતની ‘સંસ્કાર ભારતી સ્કુલ’નો ઑડીટોરીયમ હૉલ ચીક્કાર હતો. ડૉ. શશીકાંત શાહ લીખીત ‘આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી’ પુસ્તકોનો લોકાર્પણનો કાર્યક્રમ હતો. છાંયડો સંસ્થાના પ્રમુખ શ્રી. ભરતભાઈ શાહની અધ્યક્ષતામાં તે આયોજાયો હતો. આ અગાઉ કોઈ પુસ્તક–લોકાર્પણનો કાર્યક્રમ આટલો સફળ રહ્યો હોય એવું જાણમાં નથી. કાર્યક્રમ પાંચ વાગ્યે એટલે પાંચ વાગ્યે શરુ થાય જ અને સાંજે સાત એટલે સાત વાગ્યે સમાપ્ત થાય જ એવી ધાક–છાપ શશીકાંતભાઈની આખા સુરતમાં. એટલે પાંચમાં પાંચે તો લગભગ પુરો હૉલ ભરચક્ક ! એમાં, કવી–આચાર્ય શ્રી. સુનીલ શાહનું સંચાલન. પછી પુછવું જ શું ? શીરમોર આકર્ષણ તો વલ્લભભાઈના વ્યાખ્યાનનું. સમારંભ સમાપ્ત થતાં સૌ ભાવક–શ્રોતાઓને એ બન્ને પુસ્તકો ભેટ અપાયાં હતાં તે એમનો વીશેષ ઉપક્રમ..

ચીંતક, લેખક અને ઉદ્યોગપતી શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા‘આનન્દનું આકાશ’ અને ‘શાણપણનાં મોતી’ પુસ્તકોનો ઉંડો અભ્યાસ કરી, મુખ્ય વક્તા તરીકે પોતાના પ્રવચનમાં, પુસ્તકોનું વીવીધ ઉદાહરણો સહીત અનોખું રસદર્શન કરાવી, શ્રોતાઓમાં પુસ્તકવાચનની ભુખ સતેજ કરી. અહીં શાહસાહેબને આમ તો બધા ઓળખે; પણ વલ્લભભાઈએ પોતાના ત્રીસ મીનીટના પ્રવચનમાં, શશીકાંતભાઈનો નોખા જ દૃષ્ટીબીંદુથી વીશેષ પરીચય કરાવ્યો. કોઈની પણ સાડાબારી રાખ્યા વીનાની તેમની નીર્ભયતા, સ્પષ્ટભાષીતાને બીરદાવવામાં તેમણે કશી કચાશ ન રાખી. આ પ્રશંસાનાં પુષ્પોનાં તેઓ ખરેખર અધીકારી પણ છે જ. શ્રી. વલ્લભભાઈનું પ્રવચન ખુબ જ પ્રભાવી રહ્યું. ( તે યુ–ટ્યુબ પર મુકાયે સૌને તેની જાણ કરીશ.)

‘આનંદનું આકાશ’ પુસ્તક ‘સન્ડે ઈ.મહેફીલ’ના પ્રણેતા શ્રી. ઉત્તમભાઈ ગજ્જર અને ‘અભીવ્યક્તી’ બ્લોગના બ્લોગર તરીકે ગોવીન્દ મારુને (મને) ડૉ. શાહસાહેબે અર્પણ કર્યું છે. અમ બન્નેને સ્ટેજ પર બોલાવી, સાચે જ દીલના પુરા ભાવથી પુસ્તકો આપી, તેમણે અમારું સન્માન કર્યું. અમે બન્ને એમના આ સદભાવ બદલ ઋણી છીએ..

…ગોવીન્દ મારુ

Sanpan na moti

 લો, હવે વાંચો આજની પોસ્ટ, ડૉ. શશીકાન્ત શાહનો આ જ પુસ્તકનો લેખ ‘માણસને ભગવાન સમજીએ’ લેખના વીચારો માણી, મમળાવી, મીત્રોને મોકલજો; પણ આ લેખ નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર..

માણસને ભગવાન સમજીએ

–ડૉ. શશીકાન્ત શાહ

વીર નર્મદ યુનીવર્સીટીના શીક્ષણ વીભાગમાં હેડ બન્યા પછી, મેં પહેલું કામ મારી ઑફીસના દરવાજે એક બોર્ડ લટકાવવાનું કર્યું; જેના પર લખ્યું હતું : ‘અન્દર પ્રવેશવા માટે અનુમતીની જરુર નથી.’ કલાર્ક અને પટાવાળાને સુચના આપી હતી કે વીદ્યાર્થીઓ, સર્ટીફીકેટ્સની ફોટો કોપી પ્રમાણીત કરાવવા આવે એમને, મારી સહી લઈ, સીક્કા મારી આપી, ત્રણ મીનીટમાં રવાના કરવા. મને મળવા આવવા ઈચ્છતા વીદ્યાર્થીને કે નાગરીકને, દરવાજે ટકોરા માર્યા વગર સીધા ઑફીસમાં પ્રવેશવા દેવા. શીક્ષણ વીભાગમાં કોઈ પણ પ્રકારનાં પ્રમાણપત્રો કે દસ્તાવેજ લેવા આવતા વીદ્યાર્થીને પન્દર–વીસ મીનીટમાં એમનું કામ પતાવીને તરત વીદાય કરવા. ‘કાલે આવજો, ચાર દીવસ પછી તપાસ કરી જજો’ એવા વાયદા કરી કોઈને પણ ધક્કા ખવડાવશો નહીં. સૌને બીજી પણ એક સુચના આપી રાખેલી; ‘ચહેરા પર સ્મીત જાળવી રાખીને વીધાર્થીઓને તમારી સેવા આપજો.’ એમ. ઍડ્.ના ભુતપુર્વ વીદ્યાર્થીઓ કે પીએચ.ડી. કરતા વીદ્યાર્થીઓ મને મળવા આવે ત્યારે એમને મેં સ્પષ્ટ ‘વૉર્નીંગ’ આપી હતી કે : અહીં તમે મારા મહેમાન છો. ચા–નાસ્તાના પૈસા આપવા માટે કદી તમારા ખીસામાં હાથ નાંખશો નહીં… એવું કરવાની કોશીશ, એ મારું અપમાન ગણાશે. આજ–કાલ પીએચ.ડી.નું રજીસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા વીદ્યાર્થીઓ પાસે ત્રણથી પાંચ લાખ રુપીયા આંચકી લેવાનો રીવાજ છે. ભારતની યુનીવર્સીટીઓના સત્તાધીશો કેવા છે અને શું શું કરે છે, આપણે ક્યાં નથી જાણતા ?

હું વીશ્વના પન્દરેક દેશોમાં ફર્યો છું. પાંચ વાર અમેરીકાની મુલાકાત લીધી. ત્યાં પ્રત્યેક કર્મચારી, ચહેરા પર સ્મીત ઓઢીને ફરજ પર હાજર થાય છે, સામે ઉભેલા ગ્રાહકને ‘ભગવાન’ સમજે છે અને આદર સાથે પુછે છે : ‘હું આપની શી સેવા કરી શકું ?’ ગયા અઠવાડીયે સુરતમાં મને એવો અનુભવ થયો. હું વહેલી સવારે એક પ્રોવીઝન સ્ટોરમાં થોડી ચીજવસ્તુઓ ખરીદવા ગયો હતો. દુકાનદાર હજી તો દુકાન ખોલીને ભગવાનની પુજા જ કરી રહ્યો હતો. મને જોઈને તરત પુજા પડતી મુકી, મારી તરફ વળીને, અદબથી પુછ્યું, ‘પ્રભુ ફરમાવો, આપને શું જોઈએ છે ?’ મેં આંખો ચોળીને તપાસી લીધું કે હું સ્વપ્ન તો નથી જોઈ રહ્યોને ! એક ક્ષણ તો હું અમેરીકામાં હોવાનો મને અહેસાસ થયો. મેં દુકાનદારને ભગવાનની પુજા પતાવી દેવા વીનન્તી કરી. તો એમણે કહ્યું; ‘પ્રભુ’, ‘તમારા આંગણે આવેલો ગ્રાહક એ તમારો ભગવાન છે’ એવું ગાંધીજીનું વીધાન મેં દુકાનમાં અમસ્તું નથી લટકાવ્યું. ભગવાનની પુજા એટલા માટે કરવાની કે દુકાનમાં ગ્રાહકો આવે. પણ આપ વગર પુજાએ પધાર્યા છો ! ત્યારે પ્રથમ આપને એટેન્ડ કરવા એ મારી ફરજ બને છે.’

એમ. એડ્. અને પીએચ.ડીમાં જેમના વીદ્યાર્થી બનવાની તક મળી એ અમારા ગુરુજી, ડૉ. ગુણવંત શાહે શીખવેલી ચાર વાતો આજે પણ હૃદયના ઉંડાણમાં દૃઢ રીતે કોતરાઈને પડી છે :

  • જો ઑફીસનો સમય અગીયારનો હોય તો અગીયારમાં પાંચે ઑફીસમાં પહોંચી જજે.
  • ઑફીસ છુટવાનો સમય પાંચનો હોય તો પાંચને પાંચ મીનીટે ઑફીસ છોડવાનું રાખજે.
  • તારા ટેબલ પાસે આવેલા ઈસમનું કામ સ્મીત સાથે કોઈ પણ જાતનો વીલમ્બ કર્યા વગર કરી આપજે.
  • જીન્દગીમાં એક પણ રુપીયાની લાંચ લઈશ નહીં.

આ ચારેચાર સુચનાઓનું મેં અક્ષરશ: પાલન કર્યું.

‘ભારત અને અમેરીકા વચ્ચે તમને મુખ્ય કયો તફાવત જોવા મળ્યો ?’ એવું મને જ્યારે જ્યારે પુછાય છે ત્યારે ત્યારે મેં ક્ષણનોયે વીલમ્બ કર્યા વગર કહ્યું છે : ‘ત્યાં ગ્રાહકને ‘ભગવાન’નો દરજ્જો અપાય છે; જ્યારે અહીં ગ્રાહકને ‘ધક્કે ચડાવવા’નો રીવાજ છે. ત્યાં સામે ઉભેલા નાગરીક સાથે સરકારી કર્મચારી ગુસ્સે થઈને વાત કરે કે ઉદ્ધતાઈથી વર્તે તો નોકરી ગુમાવે છે. અહીં સરકારી કર્મચારી કે બૅન્કનો ઑફીસર, સ્કુલ–કૉલેજનો પ્રીન્સીપાલ કે પોલીસ અધીકારી, સામાન્ય નાગરીક સાથે સ્મીતપુર્ણ વ્યવહાર કરે તો સમજવું કે આજે સુર્ય પશ્ચીમમાં ઉગ્યો છે ! અહીં ફરજ પર બેઠેલો માણસ આખો દીવસ મોબાઈલ ફોન પર ગુટર–ગુ કર્યા કરે તો એનો જવાબ માંગનારું કોઈ નથી.’

ભારતમાં આજે સૌથી મોટી સમસ્યા કઈ છે ? ગ્રાહકના, વીદ્યાર્થીના, ક્લાયન્ટના, પેશન્ટના કે વરીષ્ઠ નાગરીકના આત્મગૌરવને પ્રત્યેક ક્ષણે હણવામાં આવે છે, ઠેસ પહોંચાડવામાં આવે છે. વીદ્યાર્થી પોતાના પ્રીન્સીપાલને કે કુલપતીને મળવા ઈચ્છે છે, દીનદુ:ખીયો નાગરીક પ્રધાનને મળવા ઈચ્છે છે તો દરવાજા પર દ્વારપાળ એમને અટકાવીને કહેશે; ‘સાહેબે અન્દર પ્રવેશવાની મનાઈ ફરમાવી છે.’ તમારે કારણ પુછવાની જરુર નથી. કાં તો સાહેબ ખુશામદખોરોનો દરબાર ભરીને બેઠા હશે; કાં તો ફોન પર એમની અંગત અંગત ગુટર–ગુ ચાલતી હશે. આપણે ત્યાં ગ્રાહકને ભગવાન ગણવાનો રીવાજ નથી. કેટલાક મોટ્ટા સાહેબો મુલાકાતીને દરવાજાની બહાર કલાક–દોઢ કલાક બેસાડી રાખે છે. તેઓ અન્દર કંઈ જ કરતા નથી હોતા, એમની પાસે કોઈ કામ પણ નથી. હા, એમની પાસે એક પ્રશ્ન જરુર છે; ‘કોઈને તરત મુલાકાત આપી દઈએ, તો આપણા મોભાનું શું ?’ મુફલીસ રૈયતને લાગવું જોઈએ કે ‘સાહેબ બહુ મોટા માણસ છે, મારે બહાર બાંકડા પર દોઢ કલાક તો બેસવું પડ્યું !’

સરકારી અમલદારો, પ્રજાના પ્રતીનીધીઓ, પ્રધાનો અને શૈક્ષણીક સંસ્થાઓના વડાઓ સામાન્ય માણસો સાથે, પ્રજાજનો સાથે આદરપુર્વક વર્તે અને માનવતાપુર્ણ વ્યવહાર કરે તો ભારતમાં પણ સ્વર્ગનો અનુભવ થઈ શકે. સરકારી ખુરસીમાં બેઠેલો ઑફીસર એક તરફ કથાઓ સાંભળે છે, ભગવાનની પુજા કરે છે, પથ્થર એટલા દેવ પુજે છે અને બીજી તરફ પોતાનું નીતી– નીયમ પ્રમાણેનું કામ કરાવવા આવેલા માનવ–દેવતાને ધક્કે ચઢાવે છે, એની પાસે લાંચ માંગે છે અને એને હડધુત કરે છે. ઑફીસમાં ઈષ્ટદેવના ફોટા લટકતા હોય અને સામે ઉભેલા દીન નાગરીક સામે ઑફીસર પોતે આખી દુનીયાનો શહેનશાહ હોય એવું વર્તન કરે એ કેટલું ઘૃણાજનક છે ! આપણા દેશને હવે ડૉક્ટર, ઈજનેર, વકીલ કે પ્રૉફેસરની જરુર નથી; સારા અને સાચા ‘માણસો’ની જરુર છે; નેકદીલ, ઈમાનદાર ઈન્સાનોની જરુર છે.

પ્રશ્ન મન્દીરમાં બેઠેલા ભગવાને કે મસ્જીદમાં બેઠેલા ખુદાને રીઝવવાનો અને પ્રસન્ન કરવાનો નથી. પ્રશ્ન તો વીદ્યાર્થીનું, દર્દીનું કે ગ્રાહકનું રુપ ધારણ કરીને, દીન ચહેરા સાથે આપણી સામે ઉભેલા જરુરીયાતમન્દ કૉમનમેનને રાજી રાખવાનો છે, એની ની:સ્વાર્થ સેવા કરવાનો છે. પોતાની દીકરીની જન્મતારીખનો દાખલો લેવા કૉર્પોરેશનની ઑફીસમાં દાખલ થયેલો ગરીબ માણસ ખીસામાં હાથ નાંખ્યા વગર પાંચ મીનીટમાં સર્ટીફીકેટ ખીસામાં મુકીને પ્રસન્ન ચહેરે ઑફીસમાંથી બહાર નીકળતો દેખાય, તેજસ્વી પુત્રનું ઍડ્મીશન લેવા ગયેલા નીમ્ન મધ્યમવર્ગના પીતા એક પણ રુપીયાની લાંચ આપ્યા વગર ઍડ્મીશન મેળવીને શાળામાંથી બહાર નીકળતા દેખાય કે બૅન્કમાં પૈસા ઉપાડવા ગયેલો વરીષ્ઠ નાગરીક વીના વીલંબે ખીસામાં પૈસા મુકીને રસ્તામાં લુંટાયા વગર સલામત રીતે ઘરે પહોંચી જાય એવા ‘રામરાજ્ય’ ની આપણે રાહ જોઈ રહ્યા છીએ. પ્રત્યેક માણસ સંકલ્પ કરે કે; ઉંચો હોદ્દો ધરાવતી ખુરસી પર બેઠા પછી હું, સામે ઉભેલા નાગરીકને ‘ભગવાન’નો દરજ્જો આપીને, એની સાથે માનવતાપુર્ણ વર્તન કરીશ.’ તો પછી સ્વર્ગ મેળવવા પ્રાર્થના કરવાની જરુર રહેશે જ નહીં, અસ્તુ..

મેઘધનુષ

કશું અણધાર્યું, અણગમતું થયું, ત્યારે લખાયું છે;
હૃદય જ્યાં, જ્યારે ભીંસાતું ગયું, ત્યારે લખાયું છે.
બધાયે લખ્યું; મેં પણ લખ્યું બસ, એવું નથી દોસ્તો;
કલમથી રક્ત જ્યારે પણ પડ્યું, ત્યારે લખાયું છે.
...સુનીલ શાહ…
  sunilshah101@gmail.com

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં દર બુધવારે, ડૉ. શશીકાંત શાહની જીવનઘડતરની લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’, વર્ષોથી પ્રગટ થાય છે. તે લેખોમાંથી સારવેલા લેખોનું પુસ્તક તે ‘આનન્દનું આકાશ’. {પ્રકાશક : સમીર શાહ, ‘વ્રજ’ 35, આવીષ્કાર રો હાઉસ, શ્રેણીક પાર્કની બાજુમાં, તાડવાડી, રાંદેર રોડ, સુરત – 395 009  આવૃત્તી : પ્રથમ – ડીસેમ્બર, 2015, પૃષ્ઠસંખ્યા  : 94, મુલ્ય : રુપીયા 60/-)માંથી આ લેખ, લેખકશ્રીના  સૌજન્યથી સાભાર…

સંપર્ક : ડૉ. શશીકાંત શાહ, 35–આવીષ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ,  સુરત – 395 009 ફોન : (0261)277 6011 સેલફોન : 98252 33110 ઈ-મેઈલ : sgshah57@yahoo.co.in

અભીવ્યક્તીઈ.બુક્સ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01/01/2016

21 Comments

  1. સર્વે મિત્રો,
    શરુઆત સૌ મિત્રોને ૨૦૧૬ની સાલને આવકારતાં તંદુરસ્તી, આનંદ અને પ્રોસ્પેરીટી વીશ કરી લઉ.
    પ્રો. શશીકાંત શાહને હાર્દિક અભિનંદન. તેમના વિચારો જીવનમા અને સમાજમાં આચરવા માટે આવતી નવી પેઢીને પહેલા તૈયાર કરવી રહી. જૂની ખડૂશ પેઢીને વિનંતી કરીને નવી રાહ પર ચાલતાં શીખવવું પડે. પરંતુ ટીપે ટીપે સરોવર ભરાય. અમેરિકાના તેમના અનુભવો સાચા છે. ભારતમા…ગુજરાતમાં…..સુરતમાં….કોઇકે તો શરુઆત કરી નો આનંદ. સફળતા મળતી રહે અને વઘતી રહે.
    આભાર.
    અમૃત હઝારી.
    થયો.

    Liked by 1 person

  2. સરસ લેખ. મેં મારા બ્લોગ પર પણ આ બાબત લખ્યું છે. સરકારી કર્મચારીઓનું વર્તન અહીં ન્યુઝીલેન્ડમાં કેવું હોય છે અને આપણે ત્યાં દેશમાં કેવું હોય છે. ભાઈ શશીકાંતનો આ લેખ વાંચી ખુબ આનંદ થયો. ખરેખર તો આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
    હાર્દીક આભાર ગોવીંદભાઈ આપનો અને શશીકાન્તભાઈનો.

    Liked by 1 person

  3. સર્વેને નવા વર્ષની હાર્દીક શુભેચ્છા. બહુ સરસ લેખ છે.દરેકે જીવનમાં ઉતારવો જોઈએ.૩૯ વર્ષ ગુ.વિ.બોર્ડમાં આ રીતેજ સેવા કરીને સાથી કર્મચારીઓને ગ્રાહકોની સેવાકરવાની શીખવાડી છે.

    Liked by 2 people

  4. ગોવિંદભાઈ,
    વહેલી સવારે લેપટોપ ખોલીને તમારા ખૂબ લોકપ્રિય બનેલા બ્લોગ–
    ‘અભિવ્યક્તિ‘માં તમારી સરસ રીતે વ્યક્ત થયેલી લાગણીમાં ભીંજાવાની મજા
    આવી. શાહ સાહેબના પુસ્તકનો સુંદર લેખ વાંચ્યા પછી તે આખું પુસ્તક
    વાંચવાની ઈચ્છા થઈ. તમને અને શાહ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન… તમારો બ્લોગ
    જે રીતે બેસ્ટ સાબિત થયો છે તે રીતે આ પુસ્તક પણ ગુજરાતી ભાષાનું બેસ્ટ
    સેલર પુસ્તક બની રહે એવી હાર્દિક શુભકામના…!
    –દિનેશ પાંચાલ (૧–૦૧–૧૬… સવારે પોણા છ)

    Liked by 1 person

  5. Nek ane imandar nagriko mate ..5 thi 12 dhoran sudhi schools ma Nagriksashtra compulsory 50 passing marks sathe rakhay to sundar parinam na male!…Dukhad hakikat to e chhe ke anhi to sanskrut jeva nirupyogi vishayo 12 science ma rakahy chhe!

    Liked by 1 person

  6. ડૉ.શશીકાંત શાહ સાહેબ નો લેખ ખરેખર ખુબ સરસ છે પ્રેરણા લાયક છે ખાસ કરીને આપને ત્યાં સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવામાં આવેછે પચ્છી દુકાન ખોલી એટલે તુરંત પૂજા કરીએ સાંજે બંધ કરીએ ત્યારે પણ પોજા કરીએ પરંતુ આખો દિવસ ગ્રાહકને લૂટવામાં પાછી પાણી કરતા નથી આપણે જેપણ ધંધો કરીએ છીએ તેમાં મિલાવટ કરીએ છીએ આજે સુદ્ધ હવા પણ મળતી નથી મતલબ કે આપને બધા એકબીજાના સ્વાસ્થ સાથે ચેડા કરીએ છીએ માનવ જીવનને જોખમમાં મુકીએ છીએ અને પછી પૂજા પાઠ કે હોમ હવાન કરીએ છીએ ખરેખર મનુષ્યમાજ ઇસ્વર અલ્લા અને ભગવાન છે માટે પ્રથમ માણસ નેજ ભગવાન સમજવા જોઈએ
    સંઘસેન

    Liked by 1 person

  7. Very well said sir. If that ever happens in India I will move back to my motherland. I moved back to India in 1989 after living in USA for 12 years but got tired of all corruption I had to face for 5 years, so moved back to USA in 1949 where in all government offices I am treated with lots of respect and never have to pay any kind of bribe and the work done by these Govt. employees is so quick and accurate. People working here in banks or any Govt. offices address you as sir and in India its the other way around.
    Keep up the good work Dr. Shah, some day our dreams will come true. Or some day people of India will have to wake up and declare war against these SAHEBS.

    Liked by 1 person

  8. Good advice certainly, who will say “No” to such fine ideas? Without under-estimating the value of this nice article, may I add something, please?

    Gandhiji advised us to treat the customer well; Geeta preaches doing one’s duty. People have preached Humanism since centuries. Did we in India change? No. We just applaud, forget and continue as usual.

    Why are the people in America so good in such matters (as Shri Shashikant bhai rightly observed)? And why are we in India so very different?

    Anybody can preach, but good and serious writers like him need to ask, find out and tell us why this is so. Without that kind of analysis, advice is superfluous and fruitless. Just giving more and better examples of our problems is not called original or real Thinking.

    I admire the author. I met and heard him in America. I like his good ideas.
    Yet, please excuse me for telling this unpleasant truth.
    —Thanks. —Subodh Shah —

    Liked by 1 person

  9. આવા જ વિષય ઉપર મારાં બ્લોગ ઉપર ” વર્ક કલ્ચર હોતી હૈ, ચલતી હૈ, બધું જ નિરાંતે કરવાનું ” ની બે પોસ્ટ મારાં બ્લોગ ઉપર ( 1 ) અને ( 2 ) 30/09/2010 તથા 11-10/2010ના મૂકેલ છે. રસ ધરાવનાર વાચક મિત્રોને વાંચવા વિનંતિ. આ પોસ્ટ મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર, ગોવિંદ ભાઈ !

    Liked by 1 person

  10. Excellent article and big salute to Prof. Shashikantbhai , I think he is doing get service to our society by discussing major problem in our society and giving direction how it can be improved.I liked “Jan Seva Aj Prabhu Seva” and every responsible person should try his level best to serve common man.

    Liked by 1 person

  11. માણસ જ ભગવાન છે- એવું મને જ્યારથી દ્રઢપણે સમજાયું છે ત્યારથી હું પાક્કો રેશનાલીસ્ટ થયો છું. ખુદાની બાંગમાં અને શંકરની ભાંગમાં માનનારા અસંખ્ય લોકોને ” ભગવાન” ક્યારે સમજાશે? ડૉ.શશીકાંત શાહ જેવા લેખકો/માણસો/ભગવાનો સહુને ભેટતા રહે એ જ અપેક્ષા. લેખ સારો છે. આવા લેખો જ્યાં ધરાવાય છે તે અભીવ્યક્તી બ્લોગ એક મંદિરથી કમ નથી. અને એ મંદિરના પૂજારી છે -ગોવિંદ મારુ અને ઉત્તમ ગજ્જર. આભાર………..
    ” અંધશ્રધ્ધાનો વેરી,માનવતાનો પ્રહરી”- રોહિત દરજી”કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

  12. માણસ ભગવાન છે જ. ‘સમજવા’ની જરૂર છે?

    Like

  13. માફ કરજો, મેં ભૂલ કરેલી. અહીં ‘સમજો’ શબ્દ અંગ્રેજી understand ના અર્થમાં છે, assume ના અર્થમાં નહીં.

    Like

  14. સ્વભાવગત કોઈ વાંકીચૂંકી વાત નહીં..કરવા જેવી બધી જ પ્રશસ્તિ થઈ ચૂકી છે. બસ આભાર સહિત આ લેખ રીબ્લોગ કરું છું. ભારતને શાહ જેવા શિક્ષણાધિકારોની જરૂર છે.

    Like

  15. સુરતની જાહોજહાલી સમી આ વૈચારિક અભિયાન પણ જાહોજહાલી છે. સુંદર માનવ ચારિત્ર્ય થકી જ સાચી સુખ શાન્તિ મળે છે…લેખકશ્રી ને શ્રી સુનિલભાઈ સાથે જોડાયેલા આપ સૌ અભિનંદનના અધિકારી છો. ફરજ નિષ્ઠા ને સમર્પણથી જ પ્રભુ રાજી રહે છે…એનો રાજીપો જે સૌરભ છલકાવે છે..એ જ આ પુસ્તકનો પ્રસાદ, એમ કહેવાનું મન થાય છે.

    ભગવાન એટલે શું? પ્રાર્થના એટલે શું? ક્રિયાકાંડ એટલે શું? ..કે બધુ તુત! આવા સવાલો નો વૈજ્ઞાનિક જવાબ યુગ શક્તિ ગાયત્રી દ્વારા માણ્યો. મનો આધ્યાત્મિકતા…આપણે અનેક વિકારોથી ત્રસ્ત છીએ ને તેના કુંડાળામાં ભમીએ છીએ…આ પંચ કલેશોનું( અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ) શમન …એ માટે પરમ શક્તિના શરણ સાથે માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવી..સકારાત્મક ભાવનાઓને બળવત્તર બનાવવી…સંવેદનશીલતા વધે ને પ્રસન્ન ઊર્જાનો પ્રભાવ સર્જનાત્મક થઈ વહે, એવી વ્યવસ્થા ઊભી કરવી. આ પુસ્તકના આ લેખમાંથીની આવી પ્રસાદી ઝીલાઈ..શ્રી ગોવિંદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s