ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ

4_1465683144તસવીર સૌજન્ય : દીવ્ય ભાસ્કર’ દૈનીક

ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ

–રાજ ગોસ્વામી

મથુરામાં ગયા સપ્તાહે 23 લોકોનો જેમાં જીવ ગયો તે અથડામણમાં ધર્મ, રાજકારણ, રીયલ એસ્ટેટ અને ક્રાઈમના છેડા નીકળે એમાં કોઈ આશ્ચર્ય નથી. ભારતમાં પ્રકાર–પ્રકારના સમ્પ્રદાયો નીયમીત રીતે સમાચારો પુરા પાડતા રહે છે. ‘જય ગુરુદેવ’ નામના બાબા (મૃત્યુ : 18મે, 2012)ના અનુયાયી ગણાતા રામવૃક્ષ યાદવે ભારતમાં ક્રાન્તી લાવવા ‘સ્વાધીન સુભાષ ભારત સેના’ નામનો સમાન્તર સમ્પ્રદાય શરુ કર્યો હતો. જેના ભક્તો કરોડો રુપીયાની સરકારી જમીન પર એમનું અતીક્રમણ બચાવવા જતાં પોલીસ અને પ્રશાસન સામે લોહીયાળ જંગ કરી બેઠાં.

એમ તો બાબા જય ગુરુદેવનો આશ્રમ પણ વીવાદો માટે નવો નથી. ઉત્તર પ્રદેશ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ કૉર્પોરેશને આશ્રમ સામે 16 અને મથુરાની આસપાસના ખેડુતોએ 23 કેસ દર્જ કરાવ્યા હતા. આર્કીઓલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયાએ 14 જેટલા પૌરાણીક ટીલા(ટેકરા) ખોદી નાખવા બદલ કેસ કર્યા હતા. 1975માં કટોકટી દરમીયાન બાબા પોલીસની ઝપટમાં ચઢી ગયા હતા અને બે વર્ષ સુધી જેલમાં બન્ધ રહ્યા હતા. એમની મુક્તી પછી ઈન્દીરા ગાંધી મથુરાના આ આશ્રમમાં ‘સોરી’ કહેવા ગયેલાં. બાબાએ ઈન્દીરાને ચુનાવ જીતવાના આશીર્વાદ આપેલા. બાબાના ભક્તો એમની જેલમુક્તીના દીવસને ‘મુક્તી દીવસ’ તરીકે ઉજવે છે અને એ દીવસે સાંજના 3.00 વાગ્યા સુધી ઉપવાસ કરવાનો હોય છે; કારણ કે બાબાને 23 માર્ચ, 1977ના દીવસે સાંજે 3.00 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુરુદેવે ‘દુરદર્શી પાર્ટી’ નામનો એક રાજકીય પક્ષ 1980માં અમદાવાદથી રચ્યો હતો, અને ત્રણ (નીષ્ફળ) ચુનાવ પછી એનો વીંટો વાળી દીધો હતો. ‘અચ્છે દીન’ કંઈ આજકાલના નથી. ઉત્તર પ્રદેશ વીધાનસભા ચુનાવમાં બાબા–પાર્ટીનું સ્લોગન હતું : ‘હું આ દેશને સ્વર્ગ બનાવી દઈશ’.

આ દેશમાં નાના-મોટા, પ્રાદેશીક–રાષ્ટ્રીય રાજકીય પક્ષો આમ નાગરીકોને જીન્દગી બહેતર બનાવવાની પ્રતીજ્ઞા પર ટકે છે. બાબાઓ અને એમના સમ્પ્રદાયો રાજકીય પક્ષોથી ભીન્ન નથી. એ પણ ‘અચ્છે દીન’ના વાયદા પર ફલે–ફુલે છે. 1980 અને 1990ના દાયકામાં ભારતભરનાં શહેરોમાં દીવાલો પર ‘જય ગુરુદેવ આયેંગે’ એવાં સુત્રો વાંચવાં મળતાં હતાં.

2014માં જય ગુરુદેવના આશ્રમની જેમ જ હરીયાણા પોલીસ સામે અથડામણમાં ઉતરેલા ‘સતલોક’ આશ્રમના સ્થાપક ‘બાબા રામપાલે’ પોતાને કબીરના અવતાર ગણાવીને જાહેર કહેલું કે હીન્દુ ત્રીમુર્તી શીવ, વીષ્ણુ અને બ્રહ્મા મીથ્યા–દેવ છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને સાચા-ઈશ્વરનો (સત્ પુરુષનો) રસ્તો પોતે રામપાલ છે. હજારો ભક્તોને એમાં વીશ્વાસ પડી ગયેલો, અને રામપાલ જે દુધમાં નહાતા હતા એમાંથી બનેલી ખીરને ચમત્કારી માની પી જતા હતા. આ લોકો જ મરવા અને મારવા પણ તૈયાર થયા હતા.

કાયદા–કાનુન અને સામાજીક નૈતીકતાથી બચવા માટે રાજનીતીમાં આવેલા અપરાધીઓ, ભ્રષ્ટાચારીઓ, વેપારીઓ અને સ્વાર્થી લોકોને જેમ ‘સાચા જનસેવક’ ન કહી શકાય, તેવી જ રીતે હીન્દુ ધર્મના નામે આશ્રમો ખોલીને બેસી ગયેલા સમ્પ્રદાયી લીડરોને પણ ‘ગુરુ’ કે ‘સન્ત’ કહી ન શકાય. એને હીન્દુવાદ પણ ન કહી શકાય. આ અધર્મ છે. હીન્દુ ધર્મમાં એટલી વીવીધતા છે કે અધર્મ પણ ધર્મના ખભે ચઢીને વૈતરણી પાર ઉતરી જાય છે.

આમ છતાં, શા માટે હજારો–લાખોની સંખ્યામાં લોકો આવા ગુરુઓ અને સમ્પ્રદાયોના અનુયાયી બને છે? કારણ કે આ ગુરુઓ અને બાબાઓ પોતાને તારણહાર તરીકે સ્થાપીત કરવામાં સફળ રહે છે. દુનીયાના તમામ ધર્મોમાંથી માત્ર હીન્દુ ધર્મમાં જ સૌથી વધુ બાબાઓ, સન્તો, બાપુઓ, મહારાજાઓ, ગુરુઓ અને ભગવાનો હોવાનું કારણ એ છે કે, હીન્દુ ધર્મમાં (જે એક્ચુઅલી ધર્મ નથી; પણ સંસ્કૃતી છે), ઈસાઈ, યહુદી અને ઈસ્લામની જેમ મસીહા અથવા મુક્તીદાતા અથવા ઉદ્ધારકની કોઈ ભુમીકા નથી.

સાલ્વેશન અથવા નીર્વાણ અથવા મુક્તી અથવા મોક્ષની ધારણા સર્વલૌકીક અને સર્વકાલીન છે. હીન્દુ ધર્મમાં મોક્ષનો અર્થ જીવન અને મૃત્યુની સાઈકલમાંથી મુક્ત થવાનો છે. એના માટે ત્રણ માર્ગ છે : જ્ઞાન, ભક્તી અને કર્મ. આ ત્રણેય માર્ગ પર જવા માટે શુદ્ધતા, સંયમ, સત્ય, અહીંસા અને કરુણા પુર્વશરત છે. કોઈપણ વ્યક્તી આ ત્રણેમાંથી કોઈ એક માર્ગ પર પુર્વશરત પ્રમાણે ચાલીને પરમતત્ત્વમાં ભળી જઈ શકે છે, અને પુનર્જન્મના ક્રમમાંથી છુટી શકે છે.

હીન્દુ ધર્મમાં આધ્યાત્મીક જીવન એ વ્યક્તીગત પુરુષાર્થનું પરીણામ છે. એના માટે કોઈ તારણહારની ન તો જરુર છે કે ન તો એવો કોઈ તારણહાર છે. આત્મબળ વગર ઉદ્ધાર શક્ય નથી એ હીન્દુ ધર્મનો કેન્દ્રવર્તી વીચાર છે. હીન્દુ ધર્મ માને છે કે માનવ આત્મા પ્રકૃતીના લૌકીક અસ્તીત્વમાં ફસાયેલો છે અને એ અસ્તીત્વમાં એ કર્મોનું નીર્માણ કરે છે. જ્યાં સુધી એ કર્મબદ્ધ છે ત્યાં સુધી એ પુનર્જન્મ લેતો રહે છે. સુખ–દુ:ખ અને સારાં–નરસાં કર્મોની આ નહીં અટકતી સાઈકલમાંથી મુક્ત થવાનો જે માર્ગ બતાવે તે ધર્મ. એ અર્થમાં આપણે ત્યાં ધર્મનો શબ્દશ: અર્થ થાય છે ‘પથ’. ત્યાં કોઈ મદદગાર નથી, કોઈ સંગાથ નથી. જે. કૃષ્ણમુર્તીએ એમના ઓર્ડર ઑફ ધ સ્ટારને વીખેરી નાખતી વખતે આ જ વાત સમજાવતાં કહેલું, ‘સત્ય એક દુર્ગમ ભુમી છે. કોઈ પણ રસ્તેથી, કોઈ પણ ધર્મથી, કોઈ પણ સમ્પ્રદાયથી એ ભુમી પર જઈ શકાતું નથી.’ કૃષ્ણમુર્તીને થીયોસોફીકલ સોસાયટી ઑફ ઈન્ડીયાએ ‘ક્રાઈસ્ટ’ અને ‘મૈત્રેયી’ (બુદ્ધ)ના અવતાર તરીકે ઘોષીત કરેલા. આ અવતારની ભુમીકાને કાયમ માટે ફગાવી દેતી વખતે તેમણે ઉપરની વાતમાં કહેલું, ‘ટ્રુથ ઈઝ અ પાથલેસ લેન્ડ’.

એની સામે બહુ બધી ચોપડીઓ વાંચીને સન્ત બની ગયેલા ઓશો રજનીશે પોતાને ‘ભગવાન’ જાહેર કરેલા કારણ કે એમને ખબર હતી કે સામાન્ય માણસ આત્મબળમાં નબળો છે, પુરુષાર્થમાં કમજોર છે અને એને ઈનસ્ટન્ટ નીર્વાણ જોઈએ છીએ. રજનીશ કહેતા ‘તમે જેવા છો તેવા મારી પાસે આવો. હું તમને મોક્ષ અપાવી દઈશ.’ કૃષ્ણમુર્તી, રમણ મહર્ષી, મહર્ષી અરવીન્દ, બુદ્ધ, મહાવીર કે રામકૃષ્ણ કહેતા કે મોક્ષના માર્ગમાં ગુરુ જ આડખીલી રુપ છે.

ભક્તોને ભવસાગર પાર તરાવી દેવાની પ્રૉમીસરી નોટ તો રામ કે કૃષ્ણ કે અન્ય ઈશ્વરીય અવતારોએ પણ કરી ન હતી. હીન્દુ ધર્મમાં અવતારોની જે ધારણા છે તે પશ્ચીમના મસીહાઈ ખયાલથી સાવ જુદી છે. અબ્રાહ્મીક ધર્મોમાં મસીહાનો અર્થ ‘અભીષીક્ત’ (નીયુક્ત) થાય છે. આ મસીહા એની ઈનાયત કે કૃપાદૃષ્ટીથી જીવાત્માને પાપમાંથી મુક્તી અપાવે છે. અબ્રાહ્મીક ધર્મો (ઈસાઈ, યહુદી અને ઈસ્લામ) મોક્ષ માટે પ્રાયશ્ચીત્ત અને તપશ્ચર્યા જેવા વ્યક્તીગત પુરુષાર્થ તથા મસીહાની દીવ્ય કૃપા બન્નેના સંયોગ પર ભાર મુકે છે.

હીન્દુ ઈશ્વરીય અવતારો અહીં જુદા પડે છે. હીન્દુ અવતારો ધર્મની રક્ષા કરવા (જેથી પ્રત્યેક વ્યક્તી આધ્યાત્મીક પુરુષાર્થ કરી શકે) અને અધર્મનો નાશ કરવા પૃથ્વી પર અવતરે છે. પરમ્પરાગત રીતે આવા દસ અવતારોની કલ્પના છે. આ અવતારો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કોઈ મધ્યસ્થી માટે નથી આવતા. એટલે એ ઈશ્વરના દુત પણ નથી. એ ઈશ્વર જ છે અને પૃથ્વીને અધર્મથી મુક્ત કરીને જતા રહે છે.

ઈશ્વર મનુષ્યની પાપમુક્તી માટે પ્રત્યક્ષ (કે સન્દેશવાહક મારફતે પરોક્ષ) વ્યવહાર કરતા નથી એટલે ‘બાવાઓગુરુઓસન્તોમહારાજો’ એ ખાલી જગ્યામાં બેસી ગયા છે અને પોતાને ઈશ્વરના દુત ગણાવીને એમના અનુયાયીઓને ‘અચ્છે દીન’નાં સપનાં બતાવી રહ્યા છે. ભલા–ભોળા માણસો એમની સામાજીક–પારીવારીક જરુરીયાતો અને મજબુરીઓના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જીન્દગી ત્યજીને પ્રાયશ્ચીત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી. એમને રક્ષણ જોઈએ છે, એમને ‘પુણ્ય’ જોઈએ છે, એમને સ્વર્ગ જોઈએ છે, એમને કરેલાં કર્મોમાં માફી જોઈએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનનાં દર્શન અને ભગવાનની કૃપા જોઈએ છે.

નીર્મલબાબાઓ’ આવી રીતે જ સમોસા અને ચાની સાથે ‘સ્વર્ગ’ અને ‘સુખ’ વહેંચતા હોય છે. સીધા–સાદા લોકોને આવા ઈન્સ્ટન્ટ સુખ ગમે છે; કારણ કે એમાં વ્યક્તીગત પુરુષાર્થની કોઈ જરુર રહેલી નથી. આ જ કારણથી આપણે રાજકારણીઓ પર ભરોસો મુકીએ છીએ; કારણ કે એમણે આપણા વતીથી ધરતી પર સ્વર્ગ લાવવાની કસમ ખાધી હોય છે. રાજકારણમાં તો ખેર ગુણ–અવગુણ જોવાની ગુંજાઈશ હોય છે; પણ સામ્પ્રદાયીક શ્રદ્ધામાં તો આર્મી જેવું આંધળું અનુશાસન જ હોય છે.

એટલા માટે જ ગુરુઓ અને સમ્પ્રદાયોના પોતાની આચાર–સંહીતા, પોતાની ભાષા, પોતાના ડ્રેસ કોડ, પોતાનાં ચીહ્નો અને પોતીકા રીવાજો હોય છે. આર્મીની જેમ જ સમ્પ્રદાયમાં પણ ભય, અપરાધ–બોધ અને ઘમંડ જેવી પ્રબળ લાગણીઓ સક્રીય હોય છે. આપણા જેવા પામર જીવો મોટાભાગે અનુયાયી વૃત્તીવાળા છીએ, અને કો’ક આપણી રક્ષા કરે, દરકાર કરે, સ્વર્ગ–સુખ લઈને આવે એવી ખ્વાહીશમાં ‘ગેંગસ્ટર’થી લઈને ‘ગુરુઓ’ના ચરણે માથું મુકી દઈએ છીએ.

અનુયાયીપણાની આ ટ્રેજેડી અનુયાયીઓ સીવાય બીજા બધાને દેખાય છે. એટલે જ ગુરુઓ અને સમ્પ્રદાયો ફળતા–ફુલતા રહે છે.

–રાજ ગોસ્વામી

ગુજરાતના દૈનીક ‘દીવ્ય ભાસ્કર’ની રવીવારીય પુર્તી ‘રસરંગ’માં, ચીન્તક–લેખક શ્રી. રાજ ગોસ્વામીની અતી લોકપ્રીય કટાર ‘બ્રેકીંગ વ્યુઝ’ વર્ષોથી આઠમે પાને પ્રકાશીત થતી રહે છે. તેમાં રવીવાર તા 12 જુન, 2016ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર..

લેખકસંપર્ક : શ્રી. રાજ ગોસ્વામી   ઈ.મેલ  : rj.goswami007@gmail.com

 

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીયવેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ગોવીન્દ મારુ

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : +919537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર –   uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01/07/2016

 

10 Comments

  1. મિત્રો,
    લેખ વાંચ્યો.
    ઘર્મ (?), અઘર્મ(?),બાબાઓ, બાપુઓ, માતાજીઓ, સ્વામીજીઓ, કથાકારો, વિ…વિ….ના નામે આખો લેખ લખાયો છે. તેઓ સેન્ટરમાં અને ભારતની જેને હિંદુ કહેવાય તે પ્રજા તે ઢોંગીઓની ફરતે હોય તેવો લેખ…નામ સાથે અને તેમના કરતુતોને પ્રકાશમાં લાવવાનો અેક વઘારાનો પ્રયાસ….
    પોલીટીશીયનો અંઘશ્રઘ્ઘાના પાસમાં આ બઘા ઢોંગી, લુટારોઓનો પક્ષ લે છે. તેઓને માથે ચઢાવી દે છે.
    ભણેલા, ગણેલાં, અભણ…ગામડીઅા, શહેરીઓ…પુરુષ, સ્ત્રી્ બાળકો…બઘા જ….વિજ્ઞાનીઓ પણ…..ભક્તો, શ્રઘ્ઘાળુ…ખરે ખર તો અંઘશ્રઘ્ઘાળુ બનીને પેલા ઢોંગીઓને ચઢાવી મારે છે.

    લોભીયા હોય ત્યાં લુટારા ભૂખે નહિ મરે. આ ઢોંગીઓને ગુનેગાર બનાવવા અે જ અન્યાય છે. તેઓ તો પોતાની ઉલ્લુ બનાવવાની શક્તિનો સફળતા પૂર્વક ઉપયોગ કરે છે.

    આખો લેખ હિદુંઓ (?)ઓને સેન્ટરમાં રાખીને લખાયેલો સો વખત રીપીટ થયલો જુદા લીબાસમાં લખાયેલો લેખ છે. બઘા વાંચવા વાળઓ સો વખત આ બઘુ વાંચી ચૂક્યા છે.

    ગુનેગાર: લોકો. કોઇ સુઘરવાના પણ નથી.
    બીજા ગુનેગાર: સરકાર અને તેને ચલાવનાર પોલીટીશીયનો.

    જાગૃત લોકો ન્યાય લેવા માટે પોતે પોતાની કોર્ટ ચાલુ કરે. તે જ સોલ્યુશન.

    આ દુનિયામાં…હિંદુ, મુસ્લીમ, ખ્રિસ્તિ, બૌઘ, જૈન, …..ફક્ત ઘર્મોના નામો છે તેના વડે તેઓ સમાજમાં ઓળખાય છે….
    બાકી તો દુનીયાને અેક તાંતણે બાંઘનાર અેક જ ઘર્મ છે અને તે છે…સ્વાર્થ ઘર્મ.

    અંઘશ્રઘ્ઘાળુઓ પોતાના સ્વાર્થમાં ઢોંગી, લુચ્ચાઓને માથે ચઢાવીને પછી લુટાઇ ગયાના મગરના અાસુ સારે છે..

    .કોઇ દયાને પાત્ર નથી.

    હજારો વરસોથી આ ચાલી અાવતું તુત છે….નરેન્દ્ર મોદીથી પણ સુઘરવાનું નથી………

    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. ખૂબ સચોટ આલેખન..”હજારો વરસોથી આ ચાલી અાવતું તુત છે.” અને “અનુયાયીપણાની આ ટ્રેજેડી અનુયાયીઓ સીવાય બીજા બધાને દેખાય છે. એટલે જ ગુરુઓ અને સમ્પ્રદાયો ફળતા–ફુલતા રહે છે.”

    Liked by 1 person

  3. આ સબ્જેક્ટ ઉપર કોમેંટ લખી તે બાદ યાદ આવ્યુ કે મારે અેક રીક્વેસ્ટ કરવાની રહી ગઇ. અભીવ્યક્તિના વાચક અને લેખક મિત્રો….અેક, ૨૦૧૩માં પ્રકાશીત પુસ્તક ગમે ત્યાંથી પણ મેળવીને વાંચવા વિનંતિ છે……આપણા ઘણા કહેવાતા ઘણા ઘાર્મિક પ્રશ્નો, સત્ય ઘટનાના રુપમાં અને તેનો અેક ભડવીરને હાથ સોલ્યુશન…….

    પુસ્તક: મહારાજ. ( નવલકથાના રુપમાં)
    લેખક : સૌરભ શાહ.
    પ્રકાશક: આર. આર શેઠની કું. લિમીટેડ
    ‘ મહારાજ લાયબલ કેસ‘ પર આઘારિત, ખળભરાટ મચાવતી દસ્તાવેજી નવલકથા. અેક પત્રકાર, અેક પાવરફૂલ ઘર્માચાર્ય અને જંગી રકમનો બદનક્ષીનો દાવો.
    કિંમત: રુ: ૩૨૫.

    પછી અભિવ્યક્તિ ઉપર ચર્ચા કરીઅે. ?

    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. Whenever any human start feeling that he is GOD and asking people to come and let me walk all over your life, then that is where we need to put a full stop to them. I believe there is no such a thing as Human being GOD and GOD svaroop. We all are GOD svaroop. As long as we live our life with ‘Snaatan Satya” as our dharmaa and HUMANITY as our Karmaa, We will experience MOXA in this life…..

    Who as seen next life???

    Liked by 1 person

  5. પ્રિય ગોવિંદભાઇ
    રાજ ગોસ્વામીની વાત વાંચી . ઘણું જાણવા મળ્યું .પણ આ દેશમાં બાવા બાબા ગુરુઓ ને જાહેરમાં મૂંઢ માર મારવો જોઈએ અને એના અનુયાયીઓને એ સાબિત કરાવી દેવું જોઈએ કે આ લોકો તમારું કશું ભલું કરી શકવાના નથી . મારથી એ લોકો પોતેજ કબૂલ કરશે કે હું અજ્ઞાની મૂર્ખ અંધ શ્રદ્ધા વાળાઓને છેતરવાનુંજ કામ કરતો હતો .

    Liked by 1 person

  6. ધર્મ… વળી એ શું? જાતિ હોઇ શકે- માણસ, પંખી,પશુ,પ્રાણી, માછલી, જંતુ વિગેરે..વિગેરે.. માણસ જ હિંદુ,મુસ્લિમ,શીખ,ઇસાઇ,જૈન,ખ્રીસ્તી વિ. ધર્મોને નામે વહેચાઇ ગયો. કોણે આ કર્યુ? વાડાઓના વડાઓએ આ ધર્મના નામનુ ગતકડુ ચલાવ્યે રાખ્યુ છે. ધર્મના નામે ધુતારાઓ ઠગવાનુ કામ કરી રહ્યા છે. ધર્મનુ તૂત જેમને વળગ્યુ છે એ બધા આ ધરતી ઉપર બહુમતીમાં છે. મારા -તમારા જેવા રેશનાલીસ્ટ કેટલા? તેમાં પણ પાક્કા કેટલા? હજુ અવતારોમાં માનતા હોય અને કરોડો દેવતાઓમાં માનતા હોય તેવા પાગલો આપણી આસપાસ છે-તે પણ ભણેલા! માણસ-માણસ વચ્ચે વાડાબંધીની દિવાલો રચનારાઓનુ કોઇ શુ બગાડી લેવાના? પ.પૂ.ધ.ધૂ.ઓનો વિનાશ કોણ કરે?-ભૂકંપ,વાવાઝોડુ કે ફાટેલુ વાદળ?
    છે કોઇ માઇનો લાલ! જે આ ધરતી ઉપરની ધર્મની દિવાલોને તોડી પાડે? ભૌગોલિક પ્રદેશો ભલે અનેક હોય,પરંતુ માનવતા તો ઠેરની ઠેર જ હોવી જોઇએ. એ કદાપિ ભાગલા પાડી શકાવી ના જોઇએ. હજારો વર્ષોથી ચાલી આવતા આ તૂત(ધર્મ)ને તોડી પાડો , જોઇ શુ રહ્યા છો? મિત્રો, જો તમારામાં હિંમત હોય અને અસલી રેશનાલીજમ ફાલ્યુ હોય તો એક કામ કરો- જ્યાં અને જ્યારે તમારે તમારો ધર્મ લખવાનો આવે ત્યારે ધર્મના ખાનામાં – માનવતા લખો/લખાવો. બાકી, રાજ ગોસ્વામીજીએ આ લેખમાં લખેલા ઠગારા-હતા,છે અને રહેશે.
    આવો, ધર્મને નામે માનવતા ના વહેંચીએ…એ અનંત અને એક જ છે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ” ,હિંમતનગર,ગુજરાત મો- 94267 27698

    Liked by 1 person

  7. Rohitbhai, the most people who read this posts are already rationalist people. It is each of us need to educate the masses one at a time.

    Liked by 1 person

  8. Nice article. Poor and uneducated are easily preyed. What have educated learned? Scientific community all over the world is also part of it and still expanding, building temples!

    Liked by 1 person

  9. પ્રિય ગોવિંદભાઇ મારુ
    મને રાજ ગોસ્વામીનો લેખ ગમ્યો .
    હવે કોઈ એવા બાબા ગુરુદેવ પોતાનો મત સ્થાપે કે જેનો સિધ્દ્ધાંત એવો હોય કે અંધશ્રધા ને ઉત્તેજીન આપી લોકોની નબળાઈનો લાભ લઈ , પોતે માલામાલ થઈ જતા હોય એમનો નાશ કરવા મરણિયા સ્વયં સેવકો ઉભા કરે અને આવા બાબાઓનો નાશ કરે અને એના અનુયાયીઓનો પણ નાશ કરે અને અને નાશ કરવામાં આડખીલી રૂપ કોર્ટમાં સાક્ષીઓ આપવા જનારનો પણ નાશ કરે . તો થોડો ફેરફાર થાય બાકી સ્વામી સચ્ચિદાનંદ જેવા હજારો સ્વામીઓ ઉભા થાય તો પણ આ પ્રજા સન્માર્ગે વળે એમ નથી . સ્વામિનારાયણ સંપદાય નાનો કહેવાય એમાં ચાર ફાંટાઓ છે . ક્રિશ્ચિયનના ધર્મમાં પણ હજારોની સંખ્યામાં ફાંટા છે એમાં હજુ સો સ્વસો વર્ષ પહેલા અમેરિકામાં યહોવા વિટનીસ નામનો નવો સમ્પ્રદાય નીકળ્યો છે .તેમના લોકોને ગમે એવા સિધ્દ્ધાંતો છે તેના અનુયાયીઓ ભારતમાં 20 હજાર જેટલા છે . જર્મનીમાં 2 લાખ જેટલા છે .કોઈ એવો સમરડાય નીકળેકે જેને સાધુ થવું હોય એમને પોતાના અંડકોષ કઢાવી નાખવા કેમકે તેઓએ સ્ત્રીઓનો પડછાયો પણ લેવાનો નથી તેના હાથની રસોઈ પણ જમવાની નથી . પછી અંડકોષનો બોજો શા માટે વેંડારવો પડે ? અમેરિકામાં કુતરા બિલાડા ઘોડા ગધેડા પાળેલા હોય છે . તેમના અંડકોષ કાઢી નાખવામાં આવ્યા હોય છે .
    આજ કાલના સાધુઓની કામ ક્રીડા જોઈને
    આખતા કર્યાવીનાનો છોડવો ન કોઈને . આખતા=જેના અંડકોષ કાઢી નાખવામાં આવ્યા હોય આખતા શબ્દ મૂળ ફારસી ભાષાનો છે એવી રીતે સાધ્વી સ્ત્રીઓનું ગર્ભશય પણ કાઢી નાખવું જોઈએ .

    Like

Leave a comment