આધ્યાત્મીક શાંતી એટલે શું…?

27

આધ્યાત્મીક શાંતી એટલે શું…?

        – દીનેશ પાંચાલ

ટ્રેનમાં અમારી સામે ભગવા વસ્ત્રો ધારણ કરેલા એક ‘બાપજી’ બેઠા હતા. તેઓ આધ્યાત્મીક શાંતી વીશે તેમના ચેલાઓને સમજાવી રહ્યા હતા. હું ટ્રેનના ભૌત્તીક ઘોંઘાટ વચ્ચે આધ્યાત્મીક શાંતી વીશે સમજવાની કોશીષ કરી રહ્યો હતો. એક સ્ટેશને ‘બાપજી’ તેમના ચેલા સાથે ઉતરી ગયા. તેમના ગયા પછી મેં તેમના બીજા ચેલાને પુછ્યું– ‘આ આધ્યાત્મીક શાંતી એટલે શું? એમાં માણસને કેવી અનુભુતી થાય છે?’ એમણે જે જવાબ આપ્યો તેની ચર્ચા આપણે કરવાના છીએ. તે પુર્વે એક ચોખવટ કરી લઉં, મેં ક્યારેય આધ્યાત્મીક શાંતી અનુભવી નથી. એવી કોઈ શાંતી માટે મેં કદી ઉમેદવારી પણ નોંધાવી નથી. એથી આધ્યાત્મીક શાંતી પર અભીપ્રાય આપવાની મારી આ ચેષ્ઠા એવી છે, માનો કોઈ અક્ષતયૌવના (કુંવારી કન્યા) જાતીય આનન્દની અનુભુતી કેવી હોય શકે તેના પર વ્યક્તવ્ય આપે!

ચેલાએ કહ્યું– ‘આધ્યાત્મીક શાંતી એટલે બસ પુછો નહીં… એની મજા તો અનુભવ્યે જ સમજાય! ચીત્તને અપાર સુખ મળે… મન મસ્તીથી નાચી ઉઠે… ક્ષણે ક્ષણે સ્વર્ગની સીડી ચઢતા હોય એવું લાગે… તમામ દુન્યવી મોહમાયાથી પર બની મન પ્રભુમય બને!’ એવું એવું એણે ઘણું કહ્યું. મને પ્રશ્ન થયો શું ખરેખર એવું થતું હશે? આટલા બધાં આનન્દો એક સાથે મળતા હશે? માણસ પોતાની સાંસારીક મોહમાયા કે ઐહીક દુઃખોથી ખરેખર મુક્ત થઈ શકતો હશે? ચેલાના જવાબ પછી ઘણા પ્રશ્નો ઉદભવ્યાં. જો આધ્યાત્મીક શાંતીમાં એટલી શક્તી હોય તો ગમે તેવો પ્રખર પ્રભુભક્ત પણ ક્યારેક દુન્યવી દુઃખોથી ત્રાસીને આત્મહત્યા શાથી કરી લે  છે?  એક આધ્યાત્મીક વીદ્યાર્થી નાપાસ થતાં આઘાતનો માર્યો અધમુઓ કેમ થઈ જાય છે? એક વેપારી ધંધામાં ખોટ જતાં રાતા પાણીએ રડી કેમ ઉઠે છે? ઘરડા માબાપ ડગલેને પગલે વહુ દીકરાના હાથે અપમાનીત થઈ મનોમન આક્રંદી ઉઠે છે ત્યારે પેલી આધ્યાત્મીક શાંતી તેમને દુઃખી થતાં કેમ બચાવી શકતી નથી?

દુનીયાના કરોડો શ્રદ્ધાળુઓ ધ્યાન વગેરે દ્વારા આવી શાંતી મળતી હોવાની વાત સ્વીકારે છે. ઠીક છે. એ માર્ગેય માનવીની મનોયાતના ઓછી થઈ શકતી હોય તો કશું ખોટું નથી. કેમ કે આ દુનીયા એક અથાણાની બરણી સમાન છે. એમાં અનેક આસમાની સુલતાની ટેન્શનો કે આઘાતોનો મસાલો ભર્યો છે. માણસ તેમાં અથાણાની જેમ ડુબેલો છે. એથી ભલે તેને એવા આધ્યાત્મીક માર્ગે થોડી રાહત મળતી. પરન્તુ કંઈક એવું સમજાય છે કે એ કહેવાતી આધ્યાત્મીક શાંતીય આખરે તો એક ચૈત્તસીક અવસ્થા જ છે. જેમાં ઈશ્વરીય કૃપા નહીં; પણ મન ભીતરની અતી શ્રદ્ધામાંથી જન્મેલી એક મનલીલા જ કામ કરતી હોય છે. નાસ્તીકોને કદી ધ્યાન લાગતું નથી. કેમ કે નાસ્તીકો કદી ભગવાનમાં માનતા નથી. આસ્તીકોને જ આધ્યાત્મીક શાંતી પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે આસ્તીકોના ચીત્તમાં ભગવાન વીશેના કેટલાંક પરમ્પરાગત વીચારોનો પાયો રચાયેલો છે. એમ કહો કે ભેજવાળા કપડાંને વીદ્યુતના જીવતા વાયરનો સ્પર્શ થતાં જ કરંટ આખા કપડામાં ઝડપથી પ્રસરી જાય છે. પણ કપડુ સુકું હોય ત્યારે એવું થતું નથી. આસ્તીકોના અન્તરનો તાણોવાણો ભક્તીના ભેજથી ભીનો થયેલો હોવાથી ઈશ્વરનો કરંટ તેના રુંવેરુંવે વ્યાપી જાય છે. નાસ્તીકોનો વૈચારીક દેહ ફાઈબરનો હોવાથી આધ્યાત્મીક કરંટ એમાંથી પસાર થઈ શકતો નથી.

ગમે તેમ પરન્તુ આધ્યાત્મીક શાંતી એ મારે મન હમ્મેશાં અનુભુતીશુન્ય પ્રશ્ન રહ્યો છે. એમાં મનની કેવી સ્થીતી રહેતી હશે..? કેવું સુખ મળતું હશે એવાં ઘણાં પ્રશ્નો ઉદ્ભવતાં રહે છે. જો કે અમારા બચુભાઈ કહે છે– ‘ધ્યાન અને આધ્યાત્મીક શાંતી વગેરેની આખી વાત જ બોગસ છે. માણસ દુઃખી હોય તો ક્યાંયથી કશી શાંતી મળતી નથી. સીતાજીનું હરણ થયું હતું ત્યારે એકલા પડેલા રામચન્દ્રજી પારાવાર પીડાયા હતા. દેવ જેવા દેવને આધ્યાત્મીક શાંતી મળી શકતી ના હોય તો માણસ જેવા પામર જીવને ક્યાંથી શાંતી મળી શકે? સૌરાષ્ટ્રના વાવડી ગામે એક વૃદ્ધા જીભ વડે મોતીયો કાઢી આપતી ત્યારેય થોડી મીનીટો માટે આંખે ઘણું સારું લાગતું. આ બધી મનોવૈજ્ઞાનીક માયાજાળ છે. માનવીની પરમ્પરાગત શ્રદ્ધામાંથી જન્મેલી એક મનોદશા માત્ર છે. માણસ ભોગવાદી પ્રકૃતી ધરાવતો જીવ છે. પાંજરામાં પુરાયેલો ઉંદર ખુણેખુણો સુંઘી વળે તેમ આ દુન્યવી દુઃખોથી બચવા માણસે જાતજાતના નશા શોધી કાઢ્યા છે. ભરપુર દારુ પીનારાય ઐહીક દુઃખોથી પર થઈ થોડા સમય માટે અદ્ભુત માનસીક મસ્તી અનુભવે છે. એને શાંતીનો કયો પ્રકાર ગણાવીશું?  (અધોગતીની શાંતી કે આલ્કોહોલીક શાંતી?)

આખરે બધો આધાર માણસના આંતરીક સ્તર પર છે કે તેને કયો નશો પસન્દ છે– બૌદ્ધીક નશો… કે અન્ધશ્રદ્ધાળુ નશો …? કોઈને કલાનો નશો હોય તો તે ખાવા પીવાનું ભુલીને સતત કલામાં મસ્ત રહે છે. કોઈને વ્યસનનો નશો હોય તો તે વ્યસનમાં બરબાદ થઈ જાય છે. તે બરબાદી આપણી દૃષ્ટીએ બરબાદી હોય છે. તેને તો બરબાદીમાંથીય બ્રહ્માનન્દ મળે છે! બીડી પીનારાઓ બીડીને સ્વર્ગની સીડી ગણાવે છે. હમણાં બીડી તમાકુના એક અઠંગ વ્યસનીને ડૉક્ટરે કેન્સરની ચેતવણી આપી. એ ગામડીયા માણસે ડૉક્ટરને મોઢા પર રોકડું પરખાવ્યું –  ‘દાક્તર, મા પૈણવા ગયુ કેન્સર… બીડી તમાકુ હું નહીં છોડું. એ છોડીશ તો કાલે મરતો હોઈશ તો આજે ઉકલી જઈશ! મરવું જ છે તો બીડી પીને મસ્તીથી ના મરું?’

મીરાને મોહનનો નશો હતો. મધર ટેરેસાને માનવતાનો નશો હતો. નરસીંહ મહેતાને કૃષ્ણનો નશો હતો. કહે છે કે નરસીંહ મહેતાને ત્યાં ભગવાને નરસીંહ મહેતાનું રુપ ધારણ કરીને ઘરે ઘી પહોંચાડ્યું હતું. એ જ રીતે ભગવાને શેઠનું રુપ ધારણ કરી નરસીંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ પણ ઉકેલ્યો હતો.

આવું ખરેખર બન્યું હશે ખરું? (સંશયાત્મા વીનસ્યતી) ખેર, જમાનો બહું બદલાઈ ગયો છે. આજે છાતી ઠોકીને એટલું કહી શકાય કે નરસીંહ મહેતા કરતાં દશ ગણી નીષ્ઠાથી ભક્તી કરનારનેય કદી ભગવાન દેખાવાનો નથી. પ્રોમીસ! શાળાના આચાર્યએ માગેલા ડૉનેશનના દશ હજાર કોઈ ગરીબ ભક્ત વતી ભગવાને ચુકવી દીધા હોય એવો કીસ્સો કયાંક અફવા રુપેય સાંભળવા મળ્યો છે ખરો? તમે પ્રખર કૃષ્ણભક્ત હો તો એટલું કરી બતાવો. વનવેમાં ઘુસી જાઓ અને પોલીસને દક્ષીણા આપ્યા વીના કેવળ કૃષ્ણકૃપાથી છુટી બતાવો? ‘નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવીયો’ એવું એક નરસીંહ રચીત ભજનમાં કહેવાયું છે. આજે આપણે એવું કહેવાની સ્થીતીમાં છીએ. ‘મનમોહનના રાજમાં દક્ષીણા દઈ પીછો છોડાવીયો!’

આધ્યાત્મીક શાંતીની મુળ વાત પર આવીએ. આધ્યાત્મીક શાંતી એટલે શું? મને આવડ્યો તેવો સાચો જુઠો જવાબ કંઈક આવો છે. મારા મત મુજબ આધ્યાત્મીક શાંતી એટલે ઈશ્વર જોડેનું વનવે અનુસંધાન! શ્રદ્ધાળુઓના મનોવ્યાપાર કંઈક આવા હોય છે. ઈશ્વરને માણસની પ્રભુભક્તી વહાલી છે. જે માણસ ભગવાનની ભક્તી નથી કરતો તેને ભગવાન પીડે છે. તે ઉપર બેઠો બેઠો દરેકની ભક્તીનો હીસાબ રાખે છે. તેના ચોપડે આપણી ભક્તીનું ક્રેડીટ બેલેન્સ બોલતું હોય તો આપણા દુઃખના દીવસોમાં અમુક તમુક માગણીઓનો ચેક તેની સમક્ષ રજુ કરીએ તો પાસ થઈ જશે એવી ભક્તોને માનસીક ધરપત રહે છે. એ ધરપતનું નામ આધ્યાત્મીક શાંતી!

શ્રદ્ધાળુ માણસ પરમ્પરાગત માન્યતા અનુસાર માનતો હોય છે કે હું મહીનામાં દશ હજાર રામનામના મન્ત્રો લખુ છું, ભુલ્યા વીના સવાર સાંજ આરતી કરું છું, બે મહીને એક સત્યનારાયણની કથા તો ખરી જ… એ સીવાય રામકથામાં પારાયણ નોંધાવી નવ દીવસ કામધંધો બન્ધ રાખી ભગવાનની ભક્તી કરું છું. કાશી, મથુરા, કે આબુ અમ્બાજીની જાત્રાએ જવાનું પણ ચુકતો નથી. અરે, મારા દીકરાને દુધ નથી પીવડાવતો પણ દર પગારમાંથી અમુક તમુક દેવના મન્દીરે રુપીયા સવા એકાવનનો મનીઓર્ડર કરું છું. આટઆટલું કરું છું પછી ભગવાનની શી મજાલ કે તે મારા દુઃખોમાં મને મદદ ના કરે? (સવા એકાવનના ચાંલ્લાની શરમ તો નડે જ ને!)

ટુંકમાં મામલો કંઈક એવો છે કે તમે આખુ વર્ષ વારે તહેવારે ડી.એસ.પી.ને કીલો મીઠાઈના બોક્સ મોકલાવતા રહ્યા હો અને કોઈવાર વનવેમાં જવા બદલ ટ્રાફીક પોલીસ તમારું નામ નોંધે ત્યારે તમે પરસેવે રેબઝેબ નથી થઈ જતાં. તમારા મનને છાને ખુણે એ વાતની ધરપત રહે છે કે ડી.એસ.પી.ને કહીશું એટલે બધું પાર પડી જશે. આખુ વર્ષ મીઠાઈ ખવડાવી છે તે આટલું કામ નહીં કરે? આપણા મન ખુણેની એ ધરપત તે જ આધ્યાત્મીક શાંતી!

લાખ વાતની એક વાત એટલી જ, માણસ પર દુઃખના ડુંગરો તુટી પડે ત્યારે જીન્દગીભર એણે ફેરવેલી માળા, સાંભળેલી રામકથાઓ કે કરેલી ભક્તીનું ભગવાન પાસે તે વળતર ઈચ્છે છે. અમેરીકામાં આખી જીન્દગી ડૉલર કમાતો માણસ ઈન્ડીયામાં આવી ડૉલરનું ઈન્ડીયન કરન્સીમાં રુપાન્તર કરાવે તે રીતે માણસ ભગવાન પ્રત્યેની પોતાની ભક્તીનો જરુર પડ્યે આશીર્વાદમાં ઍન્કેશ કરાવવા પ્રયત્ન કરે છે. અને તેની ગાઢ ભક્તીને કારણે ભગવાન તેને અચુક મદદ કરશે એવી એના દીલમાં અન્ધશ્રદ્ધા પણ હોય છે.

બચુભાઈ જેવા મીત્રો એને બોગસ ગણાવે છે; પરન્તુ એક વાત અવગણી શકાય એમ નથી. દુનીયાના કરોડો લોકો એ કહેવાતી આધ્યાત્મીક શાંતી પાછળ પડ્યા છે. એ શાંતી તેમને મળતી હશે કે નહીં તે ભગવાન જાણે; પણ ઈશ્વર પ્રત્યેની એવી અપાર આસ્થાને કારણે તેમને દુઃખમાં ટકી રહેવાનું મનોવૈજ્ઞાનીક બળ જરુર મળે છે.

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/-)માંનો આ 27મો લેખ, પુસ્તકનાં પાન 92થી 95 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 19/03/2018

26 Comments

  1. વૈગ્નાનીક સત્ય સાર્વજનીક છે માટે તેની સાબીતી આપી શકાય પણ આધ્યાત્મીક અનુભુતી વ્યક્તીગત છે માટે તેની સાબીતી આપી શકાય નહીં તે આપણે સ્વીકારવું જોઈએ પરન્તુ સાથે સાથે એ પણ ખ્યાલમાં રહેવું જોઈએ કે આવી અનુભુતી એ સત્ય નહીં પણ ભ્રાન્તી હોવાની શક્યતા પુરેપુરી છે.

    Liked by 2 people

  2. આ બધો શ્રધ્ધાનો વિષય છે. ભગવાને શેઠનું રુપ ધારણ કરી નરસીંહ મહેતાની પુત્રી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ પણ ઉકેલ્યો હતો. સાચું ખોટું કરનારા આપણે કોણ? લેખ સાથે હું સંપૂર્ણ સહમત નહિ શકું.

    Liked by 1 person

    1. શંકા કરવાની છુટ હોય છતાંયે જો વીશ્વાસ ઉત્પન્ન થાય તો તેનું બીજું નામ છે ‘શ્રધ્ધા’. શંકા કરવાની છુટ ન હોય એટલું જ નહીં પરન્તુ શંકા રાખ્યા વગર બધું જ ગળી જનારને બીરદાવવામાં આવતા હોય તેવા વાતાવરણમાં જન્મેલો વીશ્વાસ એ ‘અન્ધશ્રધ્ધા’ છે.

      Liked by 2 people

  3. It is a good analysis. It is a matter of interpretation. We can experience mental peace or spiritual peace if we try to understand our desires and then try to control or decrease those desires. It is along process but not impossible.

    Thanks,
    Pradeep H. Desai
    USA

    Liked by 2 people

  4. શ્રીમાન દીનેશ પાંચાલ લખે છે:

    “દુનીયાના કરોડો લોકો એ કહેવાતી આધ્યાત્મીક શાંતી પાછળ પડ્યા છે. એ શાંતી તેમને મળતી હશે કે નહીં તે ભગવાન જાણે”

    ખરી આધ્યાત્મીક શાંતી અનુભવવી હોય તો, માનવતા ની કાજે કોઈ દરિદ્રને સહાય કરો અને તેના મુખ પ્રત્યે દ્રષ્ટી કરો, તો તેના મુખ પર આધ્યાત્મીક શાંતી જોઈ શકશો, અને તમે પોતે પણ અમુક અંશે આધ્યાત્મીક શાંતી અનુભવશો.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  5. Spiritual Peace
    Spiritual Happiness
    Spiritual Intelligence
    Spiritual Understanding
    Spiritual Awakening

    All this leads to Ultimate Truth which all human beings seek during their life time.
    The answer lies within. We must understand our inner self instead of searching for Peace around us.
    We all live a stressful life but this so called stress could be turned around in a positive way. All of us have the ability to find that Ultimate Truth, don’t we?
    ‘We have the inner power’ so let’s not waste our time.
    Best wishes!

    Liked by 1 person

  6. I agree with Urmila Sharma’s views. It is a process but the hunger for this starts fro within.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  7. ‘આધ્યાત્મીક શાન્તી’ રમણ પાઠકની નજરે :

    ‘‘જગતમાં,

    જાતજાતના આનન્દો છે;

    પણ એમાં,

    બીજાને આનન્દ આપવાના

    આનન્દ જેવો બીજો

    કોઈ આનન્દ નથી..’’

    વૉટ્સેપ પ્રેષક : વલ્લભ ઈટાલીયા..

    Liked by 2 people

  8. અશાંતિ પેદા થવા દઇ ને પછી શાંતિ શોધવા કરતાં અશાંતિ પેદા જ ન થવા દેવી જોઈએ.
    બધી નહિ તો કેટલીક અશાંતિ દુખતા અંતરાત્માને કારણે થતી હોય છે. કશું ખોટું કે
    ખરાબ કામ થઇ ગયું હોય તો જીવ બળ્યા કરતો હોય. તેથી એવું કશું કરવું જ નહિ કે
    જેનો પસ્તાવો કરવો પડે. ને ભૂલથી થઇ ગયું હોય તો તેનું જે કંઈ પરિણામ આવે તે
    સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. કોઇ સમયે અશાંતિ ચિંતા કરવાથી થાય. પણ
    પરીસ્થીતીનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરતા રહીએ તો મોડા વહેલા શાંતિ મળી શકે.
    2018-03-19 9:20 GMT-04:00

    Liked by 1 person

  9. આધ્યાત્મિક કે સાદી શાંતિ આપણને મળવી દુર્લબ છે છોને આપણે નવધા ભક્તિ કરતા હોઈએ કારણ કે આપણી ભક્તિ નિસ્વાર્થ નથી.મનચોખ્ખું નથી.મન ચંગા તો કથરોટમાં ગંગા આપણે રટવા ખાતર રટીએ છીએ.કથાવગેરેમાં ફોગટ સમય વેડફીએ છીએ તેમાંથી રતિભાર આચરણમાં વર્તાતુંનથી.સરકારી કામકાજ મુજબ આપણને કોઈ મેસેજ કરે તો આપણે બીજાને વાંચ્યા વગર તરત નીચેના મોકલીએ છીએ ને નીચેથી કોઈ મેસેજ મળે કે તરત આપણે ઉપર મોકલી આપીએ છીએ એટલે કારકૂનથી આપણો વિશેષ દરજ્જો મને દેખાતો નથી. એમાં આપણૌ અહમ્ બહુધા સંતોષાતો હશે ક્યાં તો આપણે આપણા વિદ્વતપણાથી બીજાને આંજવા માગતા હોઈએ એવું મારું નમ્ર મંતવ્ય છે अलम् उपदेशेन !

    Liked by 2 people

  10. પહેલાં આપણે જોઇઅે કે આ ‘ આઘ્યાત્મિક‘ શું છે ? પછી તેના દ્વારા મળતી શાંતિ શું છે ?

    કોઇકે કહ્યુ છે કે તે…Spiritual field છે. આ વાતમાં મને કોઇ સમજ નહિ પડી.

    પછી વાંચ્યું કે ‘ અેવું ભાવ જગત જેમાં વસતાં માનવને તે ભાવ જગત…અજ્ઞાનતામાંથી જ્ઞાન…અેટલે કે સંપૂર્ણ ‘ સત્ય‘ તરફ….નજીક…. લઇ જાય તેવું ભાવ જગત. જેમાં માનવી પોતાનાને અને પોતાને પણ ભૂલીને …દુનિયાથી અલિપ્ત બનીને ….કહે કે…‘ ના સુખ હૈ…ના દુ:ખ હૈ….અને મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા….હર ફિક્ર કો ઘૂંઅે મેં ઉડાતા ચલા ગયા….
    અને તે અવસ્થામાં પહોંચ્યા બાદ જો કોઇ શાંતિ મળતી હોય તો તેને ‘ આઘ્યાત્મિક શાંતિ‘ કહેવી જોઇઅે.

    અને મારે મતે તો ‘ મરણ ‘ જ અેક અેવી સ્થિતિ છે જે આઘ્યાત્મિક શાંતિ આપી શકે. ( મારું તારું ભુલાવી ને )

    લેખકે આપેલો ડી.અેસ.પી નો દાખલો…. બ્રાઇબ…લાંચ…આપીને પોતાનું કામ કઢાવીને શાંતિ પ્રાપ્ત કરવી? તેને કઇ આઘ્યાત્મિકતા કહેવી ?

    ગીતાના ત્રીજા અઘ્યાયના શ્લોક નંબર : ૧૦,૧૧,૧૨…યજ્ઞ વડે દેવોને કેવી રીતે સંતુષ્ટ કરવા અને તે દેવ તમને સંતુષ્ટ કરશે જેવી વાત ડી.અેસ.પી.ના દાખલામાં મને દેખાઈ.

    આ સંતુષ્ટતા…સંતોષ….જ પેલી શાંતી તો નથી ને ? ભૌતિક શાંતિ ?

    લેખમાં મને બહુ સમજ ના પડી. હાં જો લેખના ટાઇટલમાં ‘ આઘ્યાત્મિક‘ શબ્દ ના હોત તો કાંઇક સમજ પડતે.

    મારા વિચારો મારા જ છે. મારે જાણવું છે કે કોઇકને તો ગમશે ને !….( ફરી પાછો મોહ આવી આવ્યો !)

    અમૃત હઝારી.

    Liked by 2 people

  11. very nicely said all– “આ દુનીયા એક અથાણાની બરણી સમાન છે. એમાં અનેક આસમાની સુલતાની ટેન્શનો કે આઘાતોનો મસાલો ભર્યો છે. માણસ તેમાં અથાણાની જેમ ડુબેલો છે. એથી ભલે તેને એવા આધ્યાત્મીક માર્ગે થોડી રાહત મળતી”
    this is only question of solace and not real peace-very truely given this upama of Pickle..like it..

    Liked by 1 person

  12. Such a brilliant topic of discussion and very close to my heart.
    Furthermore I would like to add…
    Spiritual Power = Parmatma, God, Super Power, Life-Energy, Spirit or whatever name you wish to give.

    Every human being has an element of this Power known as Atma or Spirit. True?
    I explain to my pupils like this:
    An apple is related to an apple tree. How?
    One small apple has the power or energy to ‘grow’ into a massive tree with abundance of ‘apples-energy’ within each one.
    Thus one human being has the same power as #Parmatma#God#Superpower#Energy for it to grow.
    The only difference is that humans have their brains at their disposal. Use it wisely or loose it on unnecessary search or just ‘follow the crowd’ without questioning.

    Thus what do most humans do?
    S/he looks around everywhere for that Parmatma, Superpower.
    Useless isn’t it?
    Trust in yourself, believe in yourself, follow your inner and you will find that ‘Spiritual Power, Parmatma, Love and Peace.
    You may not find it in Mandir, Mosque, Church or a Gurudwara. These are the mediums or places for us to sit, think, contemplate, meditate and reflect upon…

    The search should be within us. Until we understand ourselves truly, we will never achieve the Ultimate Truth or that Spiritual Power.

    Personally, I believe in myself: I trust that ‘atma’ within me and many-a-times it has brought me Peace and Love, Joy and Happiness. These are but a few personal instances:
    How that child smiles because he understood the Maths Equation
    The Science Experiments we conduct successfully
    To see that disable pupil perform dances on the stage, yessss
    That boy whose mother thought he is useless and is a Lawyer, Doctor, shopkeeper …
    To experience the joy of a person who eats that meal
    That young person who gives a lift to an old lady during the snowstorm
    The girl who says,’I got it now, thank you Miss.’
    And so on…
    We all touch other peoples’ hearts everyday knowingly or unknowingly.
    That is the Ultimate Truth of meeting ‘The power of Parmatma, God Super Power…’
    Spirituality lies in understanding Humanity.
    We don’t have to give money to Charity or visit a Place of Worship all the time. Even a small act of kindness leads us to a higher level of Spirituality.

    Our dedication to our job or work also encompasses the Spiritual Power.

    ‘We define Spiritual Power as faith in a higher power, a consciousness within own self or Atma, offering a sense of peace, contentment, confidence and hope.
    When you are connected with this loving energy in others and or their Atma, you feel good, positive and relaxed.’

    I am an ordinary person like anyone else on this forum and these are my own views from what life has taught me thus far.
    I wish to remain a student all my life to learn from everyone I come across.

    Liked by 1 person

  13. ઉર્મીલાબેનની વાત ઘણી સાચી છે. “યાત્રિક” ફિલમનું એક ગીત છે:

    तूं ढूंढता है जिसको वो सांवरा सलोना रहता है तेरे मनमें |

    તેમાં થોડો ફેરફાર કરીને કહી શકાય:

    लोग ढूंढते हैं जिसको गुरुओं के चरणों में वो सांवरा सलोना रहता है उन के ही मनों में |

    શ્રી Chianbhai Desai સાથે હું સહમત છું. થોડો ફેર એટલો કે ઈશ્વર કંઈ એટલો બધો નવરો ના હોય કે જાતે શેઠનું રુપ લઈને મામેરું કરવા આવે. પણ જુનાગઢના કોઈ શેઠને એવી પ્રેરણા આપે કે તે જઈને મામેરું કરે. આવી પ્રેરણાઓ ઘણા લોકોને થાય છે કે જેઓ બીજાઓને નિસ્વાર્થ ભાવે મદદ કરતા હોય છે. મને પણ આવી મદદ ઘણી વાર મળી છે. તેથી હું ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારું છું. આવા પ્રસંગે ‘વિજ્ઞાન વિજ્ઞાન’ નું રટણ કરવાને બદલે ઈશ્વરનો આભાર માનવામાં મને તો નાનમ નથી લાગતી. જેમને લાગતી હોય તેમની વાત જુદી છે.

    Liked by 1 person

  14. લાઈકનું બટન તો હોય છે – પણ ‘ ડિસલાઈક ‘નું બટન પણ હોવું ના જોઈએ ? !
    લો…. લેખ ના ગમ્યો !!!

    Like

  15. આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સિવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દિવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે વચગાળાના સમયમાં દુષ્કૃત્યો કરતા હોય. તેથી ‘ધ્યાન રાખવા’નું મહત્ત્વ વધારે છે. આપણા કર્મ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી બીજાનું હિત ભલે ન થાય પણ અહિત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહિતનું અહિત ન થાય.

    આધ્યાત્મિક પ્રવૃત્તિને નામે પ્રજાનો ઘણો મોટો સમુદાય નિરુત્પાદક અને પરોપજીવી જીવન ગાળે છે અને દેશની ગરીબી વધારે છે. તે શું યોગ્ય છે?

    Liked by 1 person

  16. દુનીયાના કરોડો લોકો એ કહેવાતી આધ્યાત્મીક શાંતી પાછળ પડ્યા છે. એ શાંતી તેમને મળતી હશે કે નહીં તે ભગવાન જાણે; પણ ઈશ્વર પ્રત્યેની એવી અપાર આસ્થાને કારણે તેમને દુઃખમાં ટકી રહેવાનું મનોવૈજ્ઞાનીક બળ જરુર મળે છે.
    – દીનેશ પાંચાલ

    હા કદાચ એવું જ છે.એમને કોઈક જાતના સહારાની જરૂર રહેતી હશે.આ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.

    Liked by 1 person

  17. પોતાની જાતને છેતરે તેને શાહમૃગ કહેવાય….

    ‘આઘ્યાત્મિક‘ શબ્દની સંઘી છુટી પાડીઅે….આદ્ય + આત્મિક…(.આત્માને લગતું…..)
    Spiritual, pertaining to soul….
    One to whom the soul is the only source of bliss. ( Bliss = પરમ સુખ ), ( Soul = આત્મા )

    ( આત્મા જ પરમ સુખ છે.)
    આત્મોન્નતિ, આઘ્યાત્મિક વિકાસ…..
    ભૌતિક શાંતિને કદાચ ઘણા આત્મિક શાંતિ ગણી લેતા હશે…..
    કદાચ અહિં ‘ આઘ્યાત્મિક‘ શબ્દનો ઉપયોગ, ઘણા વિચારો કરવા પ્રેરે છે.
    કરીઅે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  18. બુધ્ધિ અને તર્ક વડે જે ન જાણી શકાયું તે બધું જ શ્રધ્ધા વડે જાણી શકાશે એવી આશાથી માણસ આધ્યાત્મિકતા તરફ વળે છે. બુધ્ધિ અને તર્કની મર્યાદા તો જાણવી જોઈએ પણ શ્રધ્ધાની મર્યાદા જાણવી પણ ખુબ જ જરુરી છે. મ્રુત્યુ પછી આત્માનું શું થાય છે તેવા અનાવશ્યક પ્રશ્નો કે જેના જવાબ જાણવાની કશી જ જરૂર નથી તે પૂછવા તથા તેમના મનગમતા કાલ્પનિક ઉત્તરોને અપનાવવા એનું જ નામ આધ્યાત્મિકતા? આત્મા પરમાત્માની મોટીમોટી વાતો ને બદલે આપણા રોજીંદા વ્યવહારમાં સૌને ઉપયોગી થાય તેવી બાબતો પર ધ્યાન આપવું જોઈએ કે નહીં?

    આધ્યાત્મિક સાધક હોવાનો દાવો કરવાનો ખાસ ફાયદો એ છે કે પછી નોકરીધંધો કશું જ કરવું ન પડે, સમાજ જ આપણું ભરણપોષણ કરે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s