હવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે!

હવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે!

–ખલીલ ધનતેજવી

તદન રગડા જેવી ભરપુર ઉંઘમાં મચ્છરના એક ચટકે આપણી આંખ ઉઘડી જાય છે. અને બીજી તરફ આપણા આ નેતાઓ પાંસઠ પાંસઠ વર્ષથી આપણને બચકાં ભરે છે! આંચકા પર આંચકા આપે છે છતાં આપણી પાંપણ સુધ્ધાં હાલતી નથી! એવું કેમ?

કોઈ પણ પક્ષને ચીક્કાર મત આપીને સત્તાની ટોચ પહોંચાડી દેતી પ્રજાને ઓળખવી તો દુરની વાત– સમજવી પણ મુશ્કેલ છે. સત્તાની ટોચ પર પહોંચી જનાર જો એમ માનતા હોય કે, પ્રજા હવે આપણી મુઠ્ઠીમાં છે, ત્યારે એ માનસીક ગડથોલું ખાઈ જતા હોય છે! સત્તાવીસ સત્તાવીસ વર્ષ સુધી જેના ગઢ ઉપરથી એક કાંકરી ગબડાવી પાડવાનું મુશ્કેલ જ નહીં અશક્ય લાગતું હતું એવી ઘરખમ કોંગ્રેસને ઈન્દીરા ગાંધી દ્વારા અંગત સ્વાર્થ ખાતર લાદી દેવાયેલી કટોકટીના વીરોધમાં મતદાન કરીને ઘરભેગી કરી દેનાર પ્રજાએ ઈન્દીરા ગાંધીને જે બોધપાઠ આપ્યો હતો તે સર્વલક્ષી હોવા છતાં જનતા મોરચાએ નજર અન્દાઝ કર્યો ત્યારે એ જ પ્રજાએ માત્ર અઢી વર્ષ પછી ઈન્દીરા ગાંધી સહીતની કોંગ્રેસને પુનઃ માનભેર સત્તારુઢ કરી આપી. એટલે પ્રજાનો મીજાજ સમજવાને બદલે પ્રજાને આપણા વગર ચાલતું નથી એવું માનતી કોંગ્રેસ તોરમાં આવી ગઈ! એ પછી એ જ તોરાઈ ભાજપને ભરખી જાય છે. ભુતકાળમાં માત્ર બે જ સાંસદો લઈને પાર્લામેન્ટમાં પ્રવેશનાર ભાજપ ઝાઝેરા રુમ સાથે સત્તારુઢ થયો, એ કોઈને ગમ્યું કે ના ગમ્યું, પણ વાજપેયી વડાપ્રધાન બન્યા એ અડવાણી સીવાય બધાને ગમ્યું હતું. વાજપેયી વડાપ્રધાન થયા અને અડવાણી સવાયા વડાપ્રધાનની ભુમીકામાં રચ્યા પચ્યા રહ્યા, પરીણામે વાજપેયી વપરાયા કરતા વેડફાયા વધુ. એ વેડફાટ જ ભાજપને ભરખી ગયો!

આટલી વાત પરથી પ્રજાની જાગરુકતાનો પુરાવો આપણને મળે છે. 51નું સર્વાંગી જાગૃતતા ક્યાં છે. ઉપર મુજબની તમામ પ્રજાકીય ઘટનાઓ ચુંટણીલક્ષી હતી અને મતદાન પુરતી જ સીમીત રહી છે. ચુંટણીમાં દેખાતી જાગરુકતા ચુંટણી પુર્વે કેમ ક્યાંય વર્તાતી નથી. પક્ષ તમારી પસન્દગીનો હોય પણ એ પક્ષનો ઉમેદવાર તમારી પસન્દગીનો નથી હોતો! તમે પક્ષને ઓળખો છો. પક્ષની નીતી વીશે પણ થોડું–ઘણું તમે જાણો છો; પણ ઉમેદવાર વીશે તમે કશું જાણતા નથી. આપણે ઑફીસમાં સામાન્ય કારકુન અથવા ડ્રાઈવર રાખીએ છીએ ત્યારે એનો બાયોડેટા જોવાનો આગ્રહ રાખીએ છીએ! એ તો ઠીક, ઘરે કામવાળી બાઈ રાખવાની હોય ત્યારે એને પુછીએ છીએ કે અગાઉ કોને ત્યાં કામ કરતી હતી? ત્યાંનું કામ શા માટે છોડી દીધું? વગેરે પ્રશ્નો પુછીએ છીએ  એક કામવાળી રાખવામાં આપણે આટલી સજાગતા દાખવીએ છીએ. પરન્તુ જેને પાંચ વર્ષ સુધી સત્તા અને પાવર સોંપવા જાવ છો. એ ઉમેદવારનો બાયોડેટા તમારી પાસે નથી હોતો છતાં મત આપી આવો છો! જેને રાષ્ટ્રની પરીભાષાનું જ્ઞાન નથી! લોકશાહીના મીજાજથી અજાણ હોય છે! સમાનતા અને બીન સામ્પ્રદાયીકતાની સંવૈધાનીક લાક્ષણીકતાનું સરનામુ જેની પાસે નથી એવા બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ! બધા ખરાબ નથી હોતા. પણ રામના નામે પથરા તર્યા ત્યારથી આજદીન સુધી કોઈનાને કોઈના નામે પથરા ભરીને પાર્લામેન્ટમાં પહોંચી જાય છે. એ પગમાં અથડાય છે. ઠોકરો ખવડાવે છે અને પગના અંગુઠાના નખ ઉખાડી નાંખે છે! ત્યારે આપણે ઉંઘી જતાં હોઈએ છીએ! કારણ કે નખ ઉખડે કે પગ મચકોડાય તો એ જવાબદારી આપણી નથી! મતદાન આપણી  જવાબદારી હતી તે મત આપીને પુરી કરી, હવે શું?

તાજેતરમાં એક વીધાનસભ્યે, પોતે શા માટે પાટલી બદલી, એ વીશે જાહેરમાં ફોડ પાડતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રત્યે મને કોઈ રાગદ્વેષ નહોતો ને ભાજપમાં જવાનો મોહ પણ નહોતો. પણ મને એક જયોતીષીએ કહ્યું કે તમારુ ભાગ્ય બહુ ઉજળવું છે. પણ તમે કોંગ્રેસમાં પડયા રહેશો તો ઉજાસ પામી શકશો નહીં! તમે ભાજપમાં જતા રહો! જ્યોતીષીના કહેવાથી હું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો! હવે તમે જ કહો કે આવા નેતા કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, ચુંટીને મોકલવાને લાયક છે ખરા? જે માણસ પોતાનું ભાગ્ય અને ભવીષ્ય જ્યોતીષીને સોંપીને બેઠો હોય એ પ્રજાનું ભવીષ્ય કઈ રીતે સુધારી શકે? જે માણસ પોતેપોતાનું ભાગ્યનીર્માણ કરી શકતો ન હોય એ રાષ્ટ્રનું કે પ્રજાનું ઘડતર કઈ રીતે કરી શકે? જે માણસને પ્રજાને દોરવણી આપવાની જવાબદારી સોંપવામાં આવે એ જ માણસ અન્ધશ્રધ્ધાના અન્ધકારમાં અટવાયો હોય તો એ તમારા જીવનમાં ચપટી અજવાળું પણ કઈ રીતે પાથરી શકવાનો હતો? આ પરીસ્થીતીના મુળ બહુ ઉંડા છે! સ્વાઈન ફલુ કે દુષ્કાળ જેવી આફતોના નીવારણ માટે વૈજ્ઞાનીકઢબે પગલા લેવાને બદલે કથાઓ અને હવન કરાવતા રહીશું ત્યાં સુધી આ જ પરીસ્થીતી રહેશે!

આપણો નેતા ભલે કાર્યરત ઓછો હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ તો હોવો જ જોઈએ. એમ.એલ.એ. જેવી વ્યક્તી જ્યોતીષીનો ઓશીયાળો થઈ જતો હોય તો એસ.ટી. બસમાં માતાજીનો કે દરગાહનો ફોટો રાખતા અલ્પ શીક્ષીત ડ્રાઈવર અને કંડકટરની ગળચી આપણે કઈ રીતે પકડવાના હતા? અડવાણી દરગાહ પર જઈને લીલા રંગની પાઘડી બંધાવી અને સોનીયા ગાંધી ચાદર ચડાવીને ફોટા પડાવવા અને છપાવવામાં ગૌરવ અનુભવતા હોય તો બસના ડ્રાઈવર–કંડકટર શા માટે એવો ગૌરવના અનુભવે? એ પણ આસ્થાની જ વાત છે ને?

આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે ઝાઝું છેટુ નથી! આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે એક ત્રીજુ રાજકીય તત્વ પ્રવેશ્યું છે. અડવાણી દરગાહ પર જઈને લીલારંગની પાઘડી બંધાવે કે સોનીયા ગાંધી ચાદર ચડાવે, એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા! એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી !

રાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,

ઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા!

–ખલીલ ધનતેજવી

‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં દર રવીવારે પ્રકાશીત થતી રવીપુર્તીની લોકપ્રીય કટાર ‘ખુલ્લા બારણે ટકોરા!’માંથી (તારીખ 15 માર્ચ, 2015ના અંકમાંથી) ‘ગુજરાત સમાચાર’ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. ખલીલ ધનતેજવી, પટેલ ફળીયું, યાકુતપુરા, વડોદરા – 390 006 ફોન : (0265) 251 0600 સેલફોન : 98982 15767 ઈ.મેઈલ : khalil_dhantejvi@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–12–2017

11 Comments

  1. સરસ લેખ. ખુબ ગમ્યો. ગુજરાતમાં અત્યારે ચુંટણીનાં ઢોલ વાગે છે, ત્યારે સમાચારોમાં વાંચવા મળે છે: ફલાણો નેતા અમુક મંદીરમાં માતાના દર્શન કરી આવ્યો કે પેલા નેતાએ અમુકતમુક દેવની આરતી કરી વગેરે. એ બધા મત મેળવવા માટે જ ને? સાચે જ લેખમાં કહ્યું છે તેમ એમાં શ્રદ્ધા પણ નથી, અંધશ્રદ્ધા પણ નથી, જનતાની શુદ્ધ છેતરપીંડી છે.

    Liked by 1 person

  2. જો પક્ષીય રાજકારણ હશે અને જન પ્રતિનિધિ કરતાં પક્ષ મહત્વનો ગણાશે તો પત્થરો પણ તરશે. પક્ષનો નેતા પક્ષ પ્રમુખ હોય. પક્ષનો અવાજ અને નિર્ણયો પક્ષનું મોવડી મંડળ હોય અને સભાનો નેતા મોવડી મંડળ નક્કી કરતું હોય કે પક્ષના સભાસદો નક્કી કરતા હોય ત્યારે પત્થરોને તરાવ્યા સિવાય છૂટકો નથી.

    Liked by 1 person

  3. ચુંટાયા પછી પોતાના વીસ્તારના પ્રતીનીધી અંગત રીતે કેવી રીતે વર્તશે તે અંગેની બાંહેધારી નોટરી સમક્ષ 20 રુપીયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગન્દનામુ કરીને ઉમેદવારો લખી આપે તેવી માંગણી મતદારોએ કરવી જોઈએ. આ માટે પોળ, સોસાયટી અને ફ્લૅટના રહીશોએ સર્વાનુમતે ઠરાવો કરવા જોઈએ કે ‘સોગન્દનામુ નહીં તો મત નહીં’ અને તેની જાણ ઉમેદવારોને કરવી જોઈએ. સોગન્દનામામાં કઈ કલમો રાખવી જોઈએ તે ઉમેદવાર જાતે જ નક્કી કરે અને તેની નકલો મતવીસ્તારમાં વહેંચે. સોગન્દનામાની કલમો ઉપરથી કઈ/કયો ઉમેદવાર સૌથી વધારે લાયક છે તે નક્કી કરી શકાશે.
    પ્રતીનીધી જો સોગન્દનામા મુજબ ન વર્તે તો ‘મતદારોનો વીશ્વાસઘાત કરવા બદલ’ તેમની ઉપર “કૉમન કૉઝ” હેઠળ હાઈકૉર્ટમાં જે તે વીસ્તારનો કોઈ પણ મતદાતા રીટ કરી શકે છે અને તેમાં આ મુજબની દાદ માંગી શકે છે. (1) પ્રતીનીધીનું સભ્યપદ ગૅરકાયદેસર ઠરાવો. (2) આજ દીન સુધી મેળવેલું મહેનતાણું પાછું અપાવો. (3) 6 વર્શ માટે તેઓ કોઈ પણ ચુંટણીમાં ઉમેદવારી કરી ન શકે તેવું ઠરાવો. (4) ઉમેદવારો જુઠાં વચનો આપીને મતદારોને ભોળવે નહીં તે માટે ગાઈડ લાઈન્સ આપો.

    Liked by 2 people

  4. If more than 50% voters of the total voters of the constituency can give affidavit before EC or Judge to call their representative back, then no court can refuse to give verdict in favor of the voters.

    Like

  5. વિક્રમ દલાલની કોમેંટ ગમી. દવે ૧૯૪૦ ની બીજી કોમેંટ ગમી. સોગંદનામા ઉપર વોટ લેનાર અને વોટ આપનાર પોતાના નિતિ નિયમો લખીને હાઇકોર્ટમાં જમા કરાવે અને રીપ્રેઝન્ટેટીવ તે નિયમોનું પાલન ના કરે તો તેને પાછે બોલાવી શકાય તેવો ઠરાવ લખાણમાં લખે…સહિ સિક્કા કરે. તે ઉપરાંત દર ત્રણ મહિને દરેક રીપ્રેઝન્ટેટીવે પોતપોતાના ક્ષેત્રમાં મીટીંગ બોલાવવી અને તેમણે કરેલાં કાર્યોની વિગતો આપવી. તેમની પાસે લખાણમાં લેવું કે પાર્ટી કરતાં નાગરીક પ્રથમ છે. પાર્ટીની તરફેણ ના કરાય જ્યારે લોકસમુદાયનો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય….
    આવાં નિયમો સરકારી સ્ટેંપ પેપર લખાવીને કોર્ટમાં રજીસ્ટર કરાવવા. નાગરીકોના રીપ્રેઝન્ટેટીવ અને ઉમેદવાર બન્નેની સહી હોય.
    આભાર.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. “બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ! ”
    That means we, the voters, are બુડથલ. Forget about everything else— the real problem is that we, the people, are બુડથલ or stupid.
    Why did we become so stupid? THAT, is the big question.
    Does anyone have a good answer ? —-Thanks. —Subodh Shah —

    Liked by 1 person

  7. બહુ સરસ લેખ છે, પણ, મુળ વસ્તુ એ છે કે, પક્ષો ચુંટણી સભાઓ તો ગોઠવે છે, ભરે છે, મેદની પણ ભેગી કરે છે, વગર ગોળ કે ખાંડ નાંખ્યા વગર સુંદર મજાના લાભોના મૃગજળ બતાવે છે, પણ, ક્યાંય કરતાં ક્યાંય ઉમેદવારોના પરિચય કે બાયોડેટાના કલાસ નથી ભરતા, અને મેદનીમાંથી પણ કોઈ જરા જેટલી પણ પૃચ્છા નથી કરતું, અને એજ તો આ પક્ષોને અને ઉમેદવારોને જોઈએ છે. એટલેજ તો પક્ષોને નામે પથરા પણ તરી જાય છે અને લાયક ઉમેદવારોના ગોટલા છોતરા નીકળી જાય છે. લોકોને પણ સાચું કામ કરાવવા કરતાં પણ short cut કામ કરાવવામાં વધુ રસ હોય છે, અને તેથીજ ચુંટણી ટાણે આડેધડ પૈસા ખર્ચનારા અને રાજયના અમલદારો સાથે જેના સંબંધ વધુ સારા તે ફાવી જાય છે.

    બહુ સુંદર લેખ..

    મનસુખલાલ ગાંધી

    ________________________________

    Liked by 1 person

  8. very learned article-thx:
    “એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા! એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી !
    રાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,
    ઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા!”

    Liked by 1 person

  9. સ્નેહી સુબોઘભાઇ,
    તમારા સવાલનો જે જવાબ મારી પાસે છે તે છે…..
    ૧ ) ગરીબાઇ ૨) અભણતા. ૩) પોલીટીકલ ગુંડાગીરી. જેમાં પૈસા અને દારુ અને કદાચ બૈરા…ની લાંચ.
    ગરીબો, માઘ્યમ કક્ષાના પૈસાવાળા , ઓછી આવક અને વઘુ ખરચા. જેવાં લાંચ લેવાને મજબુર બને છે.
    આપણા વાચકો કદાચ બીજા કારણો આપીને વઘુ પ્રકાશ પાડે..
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s