ભગવાન મન્દીરમાં નહીં માણસમાં વસવાનું પસન્દ કરે છે!

22

ભગવાન મન્દીરમાં નહીં; માણસમાં વસવાનું પસન્દ કરે છે!

ધાર્મીક માણસો રામકથામાં બેસીને પુણ્‍ય કમાયાનો સન્તોષ માને છે. કેટલાંક અડસઠ તીર્થની જાત્રા કરીને મોક્ષનું બુકીંગ કરાવ્‍યાનો સન્તોષ માને છે; પણ માણસની મનોભુમીમાં માનવતાના સંસ્‍કારો સીંચાયા હોય તેવી વ્‍યક્‍તીએ પુણ્‍ય કમાવા માટે કાશી–મથુરા સુધી જવું પડતું નથી. ક્‍યારેક ઈશ્વર મન્દીરને બદલે માણસમાં વસવાનું પસન્દ કરે છે. એ આનન્દદાયક સુવીધા છે. માણસના અન્તરમાં માનવતા મહેંકી ઉઠે છે, ત્‍યારે  તેના હૃદયમાં ઈશ્વર પરકાયા પ્રવેશ કરી કોકની જીવનનૌકાને ડુબતી બચાવે છે.

એક રાજાનું દૃષ્ટાંત યાદ આવે છે. રોજ એ ફાટેલો કોટ પહેરી ખુદાની બન્દગી કરતો હતો. એક દીવસ એના મીત્રે તેમ કરવાનું કારણ પુછ્યું. જવાબમાં રાજાએ કહ્યું, ‘રાજા તો હું હમણાં બન્‍યો. તે પહેલાં સાધારણ ગરીબ ઈન્‍સાન હતો. આજની આ અમીરીમાં હું મારી ગઈકાલની ગરીબીને ભુલી ઘમંડી ન બની જાઉં તે માટે આ કોટ બન્દગી વખતે પહેરું છું. અને ખુદાને પ્રાર્થના કરું છું મને તેં અમીરી બક્ષી છે; પણ ક્‍યારેય એવી કુબુદ્ધી ન આપીશ કે હું મારી ભુતકાળની ગરીબી ભુલી જઈને પ્રજાને રંજાડવા માંડુ!’

એ રાજાની જેમ માણસે મૃત્‍યુને નજર સમક્ષ રાખી એક સચ્‍ચાઈ યાદ રાખવાની છે. જીવન ચાર દીવસની ચાંદની જેવું છે. એમાંથી બે ગયા અને બે રહ્યા. એ બે દીવસોમાં થઈ શકે એટલા માનવતાના કામો કરી લઈએ. કોક દુઃખીને મદદરુપ થઈએ, કોક પડતાનો હાથ ઝાલીએ, કોકના ડુબતા વહાણ તારીએ, કોકના આંસુ લુછીએ તો જીવ્‍યું સાર્થક લેખાય! માણસ અમર બનતો નથી, તેના સદ્‌કર્મો તેને અમર બનાવે છે. કોક આપણને ઉપયોગી નીવડ્યું હોય તો આપણે પણ વળતા બે સારા કામો કરી સદ્‌ભાવનું સાટું વાળી દેવું જોઈએ. દુનીયામાં એ રીતે સજ્જનતાનું સરક્‍યુલેશન ચાલુ રહેશે તો દાઉદ ઈબ્રાહીમોનો બહું ગજ નહીં વાગે!

મને એકવાર હાઈવે પર સ્‍કુટર અકસ્‍માત થયો હતો. હું રોડ પર બેભાન થઈને પડ્યો હતો. થયેલું એવું કે એકવાર અમે સ્કુટર પર નવસારી આવી રહ્યા હતા. ખારેલના ડૉ. અશ્વીનભાઈ શાહ અને તેઓના પત્ની ડૉ. હર્ષાબહેન શાહ લગભગ 23 વર્ષથી ખારેલની આજુબાજુના અનેક ગામોના ગરીબ અને આદીવાસી દરદીઓને ની:શુલ્ક સેવા આપીને માનવતાનો મહાયજ્ઞ આરંભ્યો છે. ખારેલ અને આજુબાજુના વીસ્તારના વીકાસ માટે આ દમ્પતી મુકપણે ધરખમ પ્રયત્નો કરી રહ્યા છે (સાંભળવા મુજબ હવે આ દમ્પતી પગાર લીધા વીના માનદ્ સેવા આપે છે). એમની ‘ગ્રામ સેવા ટ્રસ્ટ હૉસ્પીટલ’ ( http://www.gramseva.org/hospitalfacts.asp )ને આપેલું ડૉનેશન સીધું માનવતાના ઉમદા કાર્યમાં ગરીબો માટે વપરાતું હોવાથી દાનનો સદ્ઉપયોગ થાય એવું ઈચ્છતા લોકો માટે ‘ગ્રામ સેવા ટ્રસ્ટ હૉસ્પીટલ’ વીશ્વવાસપાત્ર સ્થળ બની ચુક્યું છે. એથી ડૉ. અશ્વીનભાઈ શાહને મળીને અખબારો અને ઈન્ટરનેટ માટે એક મજેદાર ઈન્ટરવ્યું તૈયાર કરવાની ઈચ્છા હતી. તેઓને મીત્રભાવે મળવા જતાં હતા; પણ મળીએ તે પહેલા જ અમને નેશનલ હાઈ વે પર એક મોટો અકસ્માત થયો, એથી તેઓના દરદી તરીકે ‘ગ્રામ સેવા ટ્રસ્ટ હૉસ્પીટલ’માં મારે દાખલ થવું પડ્યું. મારી નાડીના ધબકારા ઘટી રહ્યાં હતા. માથુ ફાટી જતાં લોહી નીકળતું હતું. પત્‍ની લગભગ ચીસ જેવા અવાજે રાહદારીઓને વીનવતી હતી; પણ કોઈ મદદે આવતું નહોતું. એ સંજોગોમાં એંધળના સેવાભાવી ખેડુત શ્રી. નટુભાઈ પટેલે મને તેમના ટ્રેક્‍ટરમાં ખારેલ હોસ્પીટલ પહોંચાડી મારો જીવ બચાવ્‍યો હતો. કોઈ ટ્રકવાળો મને ટક્કર મારી ચાલ્‍યો ગયો હતો. એક જ દીવસે મને શેતાન અને ભગવાનનો સાથે ભેટો થઈ ગયો હતો. નટુભાઈ મારે માટે બીલકુલ ત્રાહીત વ્‍યક્‍તી હતા! કશી જ ઓળખાણ નહીં; પણ મજાની વાત એ બની કે મને રોડ પર તરફડતો જોઈ એમણે એંધળમાં આવેલા ચંડીકામાતાની માનતા માની– ‘આ તરફડતો માણસ બચી જશે તો હું એને તારા દર્શને લઈ આવીશ!’

મહીનાઓ બાદ હું ઠીક થઈ શક્‍યો ત્‍યારે મને નટુભાઈની માનતાની વાત કહેવામાં આવી. બાધા–આખડીમાં હું આજેય માનતો નથી; પણ ખાસ સમય કાઢીને હું નટુભાઈને મળ્‍યો. એમને ભેટીને હૃદયપુર્વક આભાર માન્‍યો. એમની જોડે ચંડીકામાતાના મન્દીરે જઈ માતાને વન્દન પણ કર્યા.

રૅશનાલીઝમની ડીક્‍શનરી મુજબ કદાચ એ અન્ધશ્રદ્ધા કહેવાય! ભલે કહેવાતી! રોડ પર તરફડી રહેલા એક માણસને જોઈને બીજા માણસના દીલમાં તે બચી જવો જોઈએ એવી સદ્‌ભાવના પ્રગટે અને તે પોતાની દેવીની માનતા રાખે એ બહું મોટી વાત છે. આપણે ભલે બાધા–આખડીમાં ન માનીએ પણ માનવીનાં દીલમાં જન્‍મતી ભલી ભાવનામાં તો અચુક માનીએ છીએ. આજના ક્રુર યુગમાં એક માણસ બીજા માણસનો લોહીનો તરસ્‍યો બન્‍યો છે ત્‍યારે આવી સદ્‌ભાવના રાખનાર માનવતાવાદી માણસોની વસતી આજે બહું ઓછી છે. મને એ દીવસે સમજાયું કે ભગવાનને પ્રાપ્‍ત કરવાની આપણી રીતમાં થોડું મોડીફીકેશન લાવવાની જરુર છે. ભગવાન ક્‍યારેક માણસના રુપમાં જ આપણને મળી જાય છે. મને તે નટુભાઈના સ્‍વરુપે મળ્‍યા. અકસ્‍માતની જાણ થતાં નવસારીના મારા ડૉક્‍ટરમીત્ર અશોક શ્રોફ અને તેમના પત્‍ની જયના શ્રોફ તેમનું કામ પડતું મુકી હૉસ્‍પીટલમાં દોડી આવ્‍યા. તેમણે પૈસા તથા બે–ત્રણ ડૉક્‍ટરોની વ્‍યવસ્‍થા કરી. મારી તે જીવલેણ સ્‍થીતીમાં આવી કૃપા કરનારા હતાં તો સીધા સાદા માણસો જ; પણ મને થયું કે ભગવાન આનાથી જુદો કેવો હોય શકે? સ્‍વામી સચ્‍ચીદાનન્દજીએ કહ્યું છે– ‘મેં ભગવાનને કદી નજરોનજર જોયો નથી પણ જીવનમાં અનેકવાર તેની કૃપા અનુભવી છે!’

હૉસ્‍પીટલના બીછાને મારું મન વીચારતું હતું–  જીવન કુદરતની દેન છે. ભગવાન જોડે માણસને ભક્‍તીભાવનો ગમે તેટલો ગાઢ સમ્બન્ધ હોય છતાં દુઃખમાં માણસને ભગવાન કરતાં ય માણસની વીશેષ જરુર પડે છે. માણસ રોજ મળસ્‍કે પાંચ વાગ્‍યે ઉઠીને ત્રણ કલાક ભગવાનની માળા જપતો હોય; પણ રોડ પર ઘવાયેલાઓને ત્‍યાં જ તરફડતો છોડી આગળ નીકળી જતો હોય, તો એવી ભક્‍તીથી દુનીયાનો કોઈ ભગવાન રાજી થતો નથી. કંઈક એવું સમજાય છે કે માનવજીવનમાં ઈશ્વરભક્‍તી કરતાં માનવતાને જ અગ્રીમતા આપવી જોઈએ.

માનવતાની વાત નીકળી છે ત્‍યારે એક બીજો પ્રસંગ યાદ આવે છે. મારે બેંકમાં કેશીયરની નોકરી હતી. બેંકમાં એક દીવસ એક ગ્રાહકને મારાથી પાંચ હજાર રુપીયા વધારે અપાઈ ગયા. થયેલું એવું કે બેંકના મારા કાઉન્‍ટર પર રોજ જ્‍યાં પચાસ રુપીયાવાળા પેકેટો ગોઠવતો ત્‍યાં સરતચુકથી એકસો રુપીયાવાળી નોટનું પેકેટો ગોઠવી દેવાયા. પાંચ હજારનો ચેક પેમેન્‍ટ માટે આવ્‍યો ત્‍યારે આદતવશ પચાસનુ સમજીને એકસોનુ પેકેટ ગ્રાહકને અપાઈ ગયું. સાંજે હીસાબમાં પાંચ હજાર ખુટ્યા. જીવ અદ્ધર થઈ ગયો. દરેક પાંચ હજાર વાળા ગ્રાહકને ત્‍યાં તપાસ કરવા દોડ્યા; પણ બધાં ગ્રાહકો તરફથી એક જ જવાબ મળતો હતો– ‘અમને સોનું નહીં પચાસનું જ પેકેટ મળ્‍યું હતું!’

મારા દુઃખનો પાર નહોતો. રાત પડી ગઈ હતી. માત્ર એક ગ્રાહકને ત્‍યાં જવાનું બાકી હતું. મીત્ર પંકજ દેસાઈ જોડે તેને ત્‍યાં ગયા. મુળ માણસ હાજર નહોતો. અમે તેની પત્‍નીને કહ્યું– ‘બેંકમાંથી જે પૈસા લાવ્‍યા છો તે બતાવો.’ પત્‍નીએ પચાસને બદલે એકસો રુપીયાવાળી નોટનું પેકેટ કાઢી આપ્‍યું. મારા બત્રીશે કોઠે આનન્દના દીવા સળગી ઉઠ્યા.

પરન્તુ સાચા આનન્દની પરાકાષ્‍ઠા તો ત્‍યારબાદ આવી. પંકજે સ્‍કુટરની પાછળ બેસતાં મને કહ્યું– ‘જલારામના મન્દીર આગળ સ્‍કુટર ઉભું રાખજે. હું જલારામબાપાને ખાસ માનુ છું. અહીં આવતાં પહેલાં મેં જલારામબાપાને પ્રાર્થના કરી હતી  કે પૈસા મળી જશે તો વળતા તારા ચરણોમાં એકાવન રુપીયા ચઢાવી તારા આશીર્વાદ લેવા આવીશ! તું બહાર ઉભો રહેજે… હું માનતા ચઢાવી તુરત આવી જઈશ!’

મીત્રની એ સ્‍નેહસ્‍મૃતી આજે ય યાદ છે. હું મન્દીરે નહોતો જતો અને બાધા–આખડીમાંય નહોતો માનતો એ વાત પંકજ જાણતો હતો. એથી એણે મને મન્દીરમાં આવવા કોઈ ફોર્સ કર્યો નહોતો. આસ્‍તીક્‍તા પ્રત્‍યે આદર ઉપજે એવું કામ મીત્રે કર્યું હતું. ખોવાયેલી વસ્‍તુ ભગવાનની બાધા લેવાથી પાછી મળે કે ના મળે એ જુદી વાત છે; પણ ક્‍યારેક એવા પ્રોસેસમાં સાચા મીત્રો જરુર મળી જાય છે. પંકજ જોડે જલારામ મન્દીરમાં જઈ મેં જલારામબાપાને શ્રદ્ધાપુર્વક નમન કરી કહ્યું– ‘અમારા જેવાઓનેય તમારામાં શ્રદ્ધા જન્‍મે તે માટે દરેક નાસ્‍તીકને પંકજ જેવો એક મીત્ર આપજો!’

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 22મો લેખ, પુસ્તકનાં પાન 76થી 78 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12–02–2018

20 Comments

  1. ૨૦૧૦ માં ભારત ના શ્રી મેહબૂબ દેસાઈ સાહેબે ગુજરાતી માં ઍક લેખ લખેલ હતો ” સાચો ઈસ્લામ ક્યાં છે?”. તે લેખ માં નું ઍક અવતરણ :

    “ખુદા ને પામવાનું ઍક સાધન માનવતા છે”

    ખરી રીતે જોતા દરેક ધર્મ નું મૂળ પરમેશ્વરમાં શ્રદ્ધા અને માનવતા જ છે. આ અનુસાર “માનવતા કરતા કોઈ ધર્મ મહાન નથી”.

    માનવી તેના પરમેશ્વરને પામવા માટે લાખોનો ખર્ચ કરીને લાંબી લાંબી જાત્રા કરે છે, પરંતુ પોતાના હ્રદયમાં ડોકીયું કરીને નથી જોતો, કે ખરી રીતે પરમેશ્વર તો માનવીના હ્રદયમાં માનવતા સ્વરૂપે જ છે.

    કાસીમ અબ્બાસ

    Like

  2. ઈશ્વરમાં શ્રધ્ધા રાખવા કરતાં મનુશ્યમાં શ્રધ્ધા રાખવાથી દુનીયામાં સુખ–શાન્તી પેદા થવાની શક્યતા વધારે રહેલી છે.

    Liked by 1 person

  3. સરસ લેખ.
    આ લેખનો સારાંશ; સત્તર અક્ષરોમાં નીચે !
    ઈશ્વર આમ
    દેખાતો નથી!;કૃપા
    થાય ત્યારેજ!

    Like

  4. ભાઇ શ્રી દિનેશભાઇ, મારી સમજણ પ્રમાણે માણસને જીવવા માટે કોઇક આધાર કે હેતુની જરુર પડે છે. જીનેકે લીએ અૌર પીનેકે લિએ કોઇ બહાના ચાહીએ. માણસની શારીરિક ને માનસિક શકિતની એક મર્યાદા હોય છે. જયારે એની સહનશકિતની બહાર કશુ બને ત્યારે એની કોઇની મદદની જરુર પડે કે જે એનાથી વધારે શકિતશાળી હોય. આસપાસમાંથી સહારો ન મળે ત્યારે એને ભગવાનનુ સ્મરણ થાય છે. પછી એને જે સ્વરુપે મદદ મળે એને એ ભગવાન તરીકે સ્વીકારી લે છે. પછી ભગવાનને નાની મોટી ભેટ ધરાવી ને કે એના દર્શન કરીને ઉપકારનો બદલો વાળી દેવાનો સંતોષ માને છે. ખરેખર તો જેણે તમને મદદ કરી હોય એને યાદ રાખી એવી જ પરિસ્થિતમાં સપડાયેલાને મદદ કરો એ રીતે સારા કામનો સીલસીલો ચાલુ રહે. બાકી ભગવાનને ભેટ કે માનતા પુરી કરો એટલે સદભાવનાનો એ વ્યવહાર ત્યા જ પુરો થઇ જાય. મને તો એવુ જ લાગ્યુ છે કે મંદિર એટલે ભગવાનની બેંક. જ્યા આપણે મુશ્કેલીમાં ઉધાર લેવા જઇએ છીએ ને કામ પાર પડે તો થોડા પૈસા વ્યાજ તરીકે ધરી દઇએ. મંંદિરનો બીજો અર્થ એવો પણ કરી શકાય કે મંદિર એટલે મનની અંદર જવુ. સવારે મંદિરમાં જવુ એટલે સારા સંકલ્પ કરવા. સાંજે મંદિરમાં જવુ એટલે આખા દિવસમાં એ સંકલ્પ પ્રમાણે આપણે જીવ્યા કે નહિ એ તપાસવુ. જેમ વેપારી સાંજે જમાઉધારના પાસા મેળવે. તો માણસને ખબર પડે કે પોતે ક્યા જઇ રહ્યો છે?બાકી પથ્થરના ભગવાન ઉપર માથા ફોડીને આપણી આખી પ્રજા ખાલી થઇ. અરે શંકરના લિંગને બચાવવા હજારો બ્રાહ્મણો શહીદ થઇ ગયા તોય એણે ત્રીજુ નેત્ર! ન ખોલ્યુ. તો ય તમને સમજણ નઆવી કે કયાક કાચુ કપાઇ રહ્યુ છે?

    Like

  5. દીનેશભાઇના આ લેખનું હેડીંગ મને લાગ્યુ કે કાંઇક આવું હોય તો ?

    ( ભગવાન મન્દીરમાં નહીં માણસમાં વસવાનું પસંદ કરે છે.)

    કારણ પહેલાં બતાવું અને પછી મારા વિચાર. ‘ભગવાન પોતે …જીવતા જાગતા હોય અને વિચારતા હોય? અને તે ? વિચારે છે કે હું (?) મંન્દીરને બદલે માણસમાં વસુ તો ?‘

    ભગવાનને દીનેશભાઇ કોઇ જીવતી જાગતી હસ્તી હોય તે પ્રમાણે વર્ણવી છે.

    મારા વિચાર…‘ માનવતા ભગવાનનું એક સ્વરુપ જ છે. ‘ અને પહેલો પેરેગ્રાફ પણ તે વાતને રીપીટ કરે છે….‘ કયારેક ઇશ્વર મન્દીરને બદલે માણસમાં વસવાનું પસંદ કરે છે. એ આનંદદાયક સુવીઘા છે……….જીવન નૈાકાને ડુબતી બચાવે છે.‘ ??????????????????????????????????????????????????????

    જીવતા જાગતા માણસોમાં જ્યારે માનવતાના દર્શન આપણે આંખ સામે જોઇઅે, હાથથી અડકીને સ્પર્શ કરીને તેનો ઉપકાર માની શકીઅે….પગે લાગીને આપણા મનને શાંતી આપીઅે અને કહીઅે…હે ભાઇ આજે મને તમારામાં ભગવાનના…ઇશ્વરનાં દર્શન થયા. ઇશ્વરને મેં કે કોઇઅે જોયો નથી…તેનો અંગત અનુભવ નથી પરંતું તમને મળીને મને વિચાર આવ્યો કે જો ઇશ્વર જેવું કાંઇક હશે તો તે તમારા જેવો જ હોવો જોઇઅે.

    પછી તો દીનેશભાઇઅે માનવતાની…જીવતા જાગતા માણસોમાં જોયેલી માનવતાની વાતો કરી છે…

    પત્થરમાં માનવતા ?

    માનવતા માણસમાં જીવતી હોય અને આપણે તેનો જીવંત સ્પર્શ પણ કરી શકીઅે છીે. જો માણસમાં માનવતાં આપણને જીવતી જાગતી મળતી હોય તોહું તો આત્મનિરીક્ષણ કરીને હું ક્યારે માણસમાંથી માનવ બનું તે જ વિચારુ અને કર્માઘિન બનું.

    શ્રઘ્ઘા અને અંઘશ્રઘ્ઘાની વાત લેખમા જે રીતે કરી છે તે દરેકના પોતાના વિચારો છે.

    માણસે જ માનવ બનવાનું છે. ભગવાન ( ?),માણસમાં વસીને પછી તે માણસને માનવ બનાવતો નથી.

    આપણી આજુબાજુ જે કાંઇ બની રહ્યુ છે તેનો જનક પણ માણસ પોતે જ છે. અને તે બનાવને આરામદાયક બનાવવા માટે પણ આજુબાજુના કોઇક માણસે માનવ બનવાનું છે.

    આ મારા વિચારો છે. કોઇકને ગમે પણ અને ના પણ ગમે. જવાબદારી મારી છે.

    આભાર.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. Such an eye opener anecdote. Yes, we all go through difficulties in our lives but always remember who stands by us when we need help.
    I do agree with the title: We must seek God in Humanity. If we believe that Atma is a little particle of Parmatma, we should turn to another human being with compassion.
    This is my Mission in life. I teach youngsters to help the needy first, do a good deed and it doesn’t matter how small it is, but do it with a smiley face. You will be rewarded automatically, somehow and you don’t even have to keep a Record of your good work.
    Hope this makes sense.
    I am an Educator by Profession thus meet people of all ages.
    Thank you for reading my reply.

    Liked by 1 person

  7. Aa j vastu bija koi sathe bani hot,to ek rationalist tarike tamara reaction aava j hot??!! vishvas nathi thato.Manavata j dharm chhe,e hun pan manu chhu,etle e mudda ne mari vat sathe n jodava vinanti.

    Liked by 1 person

  8. dear maru ji,the all alive are the sign of god head?the only mankind is
    next togod?the animals are ran for the food day and night and become the
    food for others?why?we only giving the reward to mother nature by
    worshiping to new crops in the Holi?the thoughts towards the welfare of
    mass is the sign for the godhead and to become a Ravana for our own welfare
    is called the giant?our thoughts is the reaction of our food ? as we ate as
    we react?what is the reaction of the animals?

    Like

  9. *🌹”જે કર્મ ને સમજે છે એને કોઇ ધર્મ સમજવાની જરૂર નથી.”🌹*

    Liked by 1 person

  10. નહી આવું મંદિરે!પૂજ્યો પણ.
    અંતે તો તું પથ્થર, દેવ!

    Liked by 1 person

  11. સ્‍વામી સચ્‍ચીદાનન્દજીએ કહ્યું છે– ‘મેં ભગવાનને કદી નજરોનજર જોયો નથી પણ જીવનમાં અનેકવાર તેની કૃપા અનુભવી છે!’

    આ સત્ય કથનને અનેક રીતે એ અનુભવી શકાય છે.

    Like

  12. લગભગ બધાના જીવનમાં એવા દિવસો આવતા હોય છે કે જયારે ઘણી વિકટ સમશ્યાઓ એક સાથે આવી જાય અને વ્યક્તિ અત્યન્ત હતાશા અનુભવે. આવે સમયે તે વ્યક્તિ રેશનલ દૃષ્ટિકોણથી વિચારે તો આપઘાત કરવાનું યોગ્ય પણ જણાય. તે વ્યક્તિ જો આપણી સલાહ માંગે અને આપણને પોતાને પણ કોઈ જ ઉપાય ના સૂઝે તો શું કરવું જોઈએ? તેને સંમતિ આપવી, આપઘાત કરવામાં મદદ કરવી કે કોઈ રીતે તેનો વિચાર ફેરવવો? આવે પ્રસંગે ઈશ્વરની કલ્પના, ભલે કાલ્પનિક હોય તો યે, કામ લાગી શકે. તે વ્યક્તિને ઈશ્વર પર શ્રદ્ધા રાખવા સમજાવીને આપઘાત ટાળી શકાય. ઘણું ખરું તો સમય જતાં બધી નહિ તો થોડી આપત્તિઓ આપમેળે હળવી થઇ જતી હોય છે. અને માણસ હાશ અનુભવે છે.

    નાસ્તિકતા ફાવેલા ડાહ્યાઓની અવિચારી કૃતઘ્નતાનું પરિણામ હોઈ શકે છે.

    Like

    1. As I reply before MANAV SEVA AJ PRABHU SEVA! To watch God in every creation, human being. Not in Mandirs only. Just look on Shiv RATRY millions of gallons milk wasted in Pooja. And from same amount millions of poors saved their life. Sorry for my broken poor English. JSK

      Liked by 1 person

      1. Jai Shree Krishna Maganbhai.
        I have understood what you are trying to say.
        Yes, why to waste so much milk, food, money in our Mandirs whilst so many children starve outside the premises. People must open their eyes to realise
        the facts of life. Shradhha doesn’t mean wastage of resources. it’s quite the opposite.

        (‘અભીવ્યક્તી’ની જમણી બાજુએ ‘પ્રતીભાવકો માટે અગત્યની સુચના’ના ક્રમાંક 2 મુજબ લીન્ક અહીંથી કાઢી નાખી છે.. ..ગો.મારુ)

        I can’t write in Gujarati because I don’t have the Fonts on my iPad!

        Liked by 1 person

  13. માનવતા એજ ધર્મ છે. સચ્ચાઈથી જીવવાથી આપોઆપ પરમ તત્ત્વનો એહસાસ થશે ખેતરમાં વાવેતર કરતા પહેલાં તેને સાફસુતરું બનાવવું પડે તેમ “મન” ચોખ્ખું ન હોય તો ભક્તિ ફળતી નથી

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s