પ્રોબ્લેમ કંઈક જુદો જ છે

પશું–પંખીના, અન્ધારાના, વીમાનમાં ઉડવાના, પાણીના, ઈંજેક્શનોના, દવાના, ડૉક્ટરના, ઉંચાઈના, ઉંડાઈના, ખુલ્લી જગ્યાના, બન્ધ જગ્યાના, સ્ટેજ પરથી બોલવાના વગેરે અનેક પ્રકારના ડર (ફોબીયા) લોકોને થતા હોય છે. ‘ફોબીયા’ની કોઈ દવા નથી હોતી. ‘ફોબીયા’ અને તે દુર કરવાની પદ્ધતીઓ વીશેની મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી મેળવવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે..

( ચીત્ર સૌજન્ય : નેટજગત)

પ્રોબ્લેમ કંઈક જુદો જ છે

–ડૉ. મુકુલ ચોકસી

સંદીપ દોડતો દોડતો ઘરમાં ઘુસી ગયો. બારણા બન્ધ કરીને તેણે આંખ મીંચી દીધી. તેની છાતી જોરથી ધડકતી હતી. તેનો શ્વાસ ઝડપથી ચાલતો હતો અને આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. બુટ કાઢ્યા વગર જ તેણે પથારીમાં લમ્બાવ્યું. પન્દર મીનીટ પછી તે શાંત પડ્યો ત્યારે તેને જાત ઉપર ખુબ ગુસ્સો આવ્યો. આજે ફરીવાર તેની પાછળ કુતરાઓ દોડ્યા હતા. તેને પહેલી વાર વીચાર આવ્યો કે આમાં કુતરાઓનો ઉપાય કરવા કરતાં જાતનો ઉપાય કરવાની વધારે જરુર છે.

એ વાતને ત્રણેક વર્ષ થયા હશે. સંદીપ અઠવા લાઈન્સ રહે. તેના મીત્રોને મળવા તેણે રોજ ગોપીપુરા તરફ જવાનું થાય. કેટલીકવાર રાત્રે મોડે સુધી તેઓ ગપ્પા મારતા બેઠા હોય. એક મોડી રાતે ધીમે ધીમે સ્કુટર ચલાવતો સંદીપ ઘર તરફ પાછો ફરતો હતો એવામાં એક કુતરાનો ભસવાનો અવાજ આવ્યો. સંદીપે સ્કુટરની ઝડપ વધારી; પણ એટલામાં તો આસપાસથી આઠ–દસ કુતરાંઓ ધસી આવ્યા. તેમાંના એકે જોરથી છલાંગ મારી અને સંદીપે બેલેન્સ ગુમાવ્યું. તે સ્કુટર સાથે પડ્યો અને તેનું શરીર રસ્તા પર ઘસડાયું. એક કુતરાએ આવીને સંદીપના પગ ઉપર જોરથી બચકું ભરી લીધું અને તેનું પેન્ટ ચીરી કાઢ્યું. સંદીપ હેબતાઈ ગયો. આસપાસથી લોકોએ આવીને તેને ઉભો કર્યો અને નજીકના દવાખાને લઈ ગયા. ત્યારબાદ શરીર પર છએક જગ્યાએ પાટાપીંડી સહીત સંદીપને પન્દર દીવસ રજા પાડવી પડી. ઉપરથી હડકવાના, ધનુરના અને ઘા પાકવાના વગેરેના ઈંજેક્શનો અને રોજના ડ્રેસીંગની પીડાઓ તો અલગ.

તે દીવસથી સંદીપને એકલા જતી વખતે રસ્તે રખડતાં કુતરાંઓનો ખુબ જ ડર લાગતો; પછી તો સંદીપને દુબઈ જવાનું થયું. સંદીપને ભારત પાછા ફર્યાને હજુ તો એક જ મહીનો થયો હતો. પન્દરેક દીવસ પહેલાં રાત્રે થર્ડ શોમાં ફીલ્મ જોઈને તે પાછો ફરતો હતો, ત્યાં રસ્તા વચ્ચે એકબે સુતેલા કુતરાઓને જોવાથી તેને ફરી ધ્રુજારી આવી ગઈ. આ વખતે ફરક એટલો હતો કે પેલો કુતરો તેની પાછળ દોડ્યો નહોતો, તેમ છતાંય સંદીપને ભયંકર ડર લાગ્યો.

અને પછી તો એ ડરફ વધતો જ ચાલ્યો. હવે તો તે દીવસના સમયે પણ ખુબ સાવચેતીપુર્વક બહાર નીકળતો અને રાત પડે એ પહેલા અચુક ઘરે પાછો આવી જતો. ગયા અઠવાડીયાથી તેણે એવો નીયમ જ બનાવી દીધો કે એકલા બહાર કદી ન નીકળવું; પણ એવું ક્યાં સુધી કરી શકાય! મીત્રો કંઈ દરેક વખતે થોડાં તેની સાથે આવી શકે? વળી સંદીપને મીત્રો આગળ પોતાના આવા ડરપોકપણાની વાત કરતાં શરમ પણ ખુબ લાગતી!

તેમાં આજે રાત્રે વરસાદને કારણે ઘરે આવતાં તેને મોડું થઈ ગયું અને ફરી એક કુતરો એની પાછળ દોડ્યો. જો કે તે કરડ્યો નહોતો; પણ તોય સંદીપ આખી રાત ભયથી ધ્રુજતો રહ્યો. અત્યાર સુધી તો તે ઈન્ડીયાને, મહાનગરપાલીકાને અને કુતરાઓને મનમાં ને મનમાં ભાંડતો હતો; પણ આજે તેને લાગ્યું કે પ્રોબ્લેમ કંઈક જુદો જ છે. કુતરાઓ તો આમ જ આડેધડ સૌને ભસતા રહેતા હોય છે; છતાં સુરતીઓ તો મોડે સુધી મસ્તીથી ગલીઓમાં રખડતાં હોય છે. પોતે જ શા માટે આમ ગભરાય છે? બીજે દીવસે તેણે જયદીપને પુછ્યું. જયદીપે ગમ્ભીરતાથી આખી વાત સાંભળીને કહ્યું : ‘મારો એક મીત્ર મનોચીકીત્સક છે. તારે એની સલાહ લેવી જોઈએ. સંદીપને આવું ન ગમ્યું. એણે બહુ અનાકાની કરી; પણ છેવટે જયદીપ તેને પરાણે ત્યાં ઘસડી ગયો.

અલબત્ત, મનોચીકીત્સક સાથે બે કલાક વાતો કર્યા બાદ સંદીપ થોડો હળવો બન્યો. ડૉક્ટરે તેને સમજાવતા કહ્યું, ‘આ એક પ્રકારનો ‘ફોબીયા’ છે. ચોક્કસ ઍનીમલ અંગેનો ફોબીયા. ફોબીયા ખુબ મોટા પ્રમાણમાં જોવા મળતો માનસીક રોગ છે. પશું–પંખીના, અન્ધારાના, વીમાનમાં ઉડવાના, પાણીના, ઈંજેક્શનોના, દવાના, ડૉક્ટરના, ઉંચાઈના, ઉંડાઈના, ખુલ્લી જગ્યાના, બન્ધ જગ્યાના, સ્ટેજ પરથી બોલવાના વગેરે અનેક પ્રકારના ફોબીયા લોકોને થતા હોય છે. તમારા કીસ્સામાં એક વાર કુતરો કરડવાના કારણે ફોબીયા થયો છે; પરન્તુ ઘણા માણસોને કોઈ જ દેખીતા કારણ વગર ફોબીયા થઈ જાય છે.’

બીજા સેશનમાં એથીય વધારે વાતો થઈ. મનોચીકીત્સકે સંદીપને નીરાંતે સાંભળ્યો. તેની ટેવો, તેના બાળપણના પ્રસંગો, તેનો સ્વભાવ વગેરે અનેક વસ્તુઓ વીશે પ્રશ્નો પુછ્યા અને છેલ્લે એક પ્લાન રજુ કર્યો. જે સંદીપને કુતરાની બીકમાંથી દુર કરવા માટેની ટ્રીટમેન્ટના ભાગ રુપે હતો. એ પ્લાન સમજાવતા મનોચીકીત્સકે કહ્યું : ‘તમારે થોડી ધીરજ રાખવી પડશે. આપણે અઠવાડીયે બે વાર મળીશું. સૌ પ્રથમ તમારે એક યાદી તૈયાર કરવાની છે. જેમાં કુતરાઓ સાથેના કયા કયા બનાવોથી તમને કેટલો ડર લાગે છે તેની નોંધ કરવાની છે; પછી એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે કે સૌથી ઓછો ડર ઉત્પન્ન કરતો પ્રસંગ પહેલા અને સૌથી વધુ ડર ઉત્પન્ન કરતો પ્રસંગ છેક છેલ્લે દર્શાવવાનો. એ યાદી લગભગ આવી થશે.

પહેલા કેવળ વીચારવાથી થતા ડરની યાદી :

(1) મીત્રો સાથે હોય ત્યારે નાના પાળેલા ગલુડીયા વીશે વીચારવું (માત્ર સહેજ ડર),

(2) પાળેલા કુતરા સાથે આપણે અકલા હોઈએ એમ વીચારવું (સહેજ વધારે ડર),

(3) ગલીના સુતેલા કુતરા વીશે વીચારવું (હજી સહેજ વધારે ડર),

(4) ગલીના ભસતા, કરડતા કુતરા વીશે વીચારવું (હજી વધારે ડર),

(5) ઘણા બધા કુતરા આપણી પાછળ દોડતા હોય એમ વીચારવું (સારો એવો ડર),

હવે ખરેખર આવું બને તો લાગતા ડરની યાદી :

(6) પાળેલા ગલુડીયાને હાથમાં લઈ રમાડવું (ઘણો ડર),

(7) સાંકળ બાંધેલા કુતરાને સાથે લઈ ફરવા જવું (એથીય વધુ ડર),

(8) કુતરાવાળી ગલીમાં મોડી રાત્રે એકલા ફરવા જવું (રીતસરની ગભરામણ),

(9) ગલીમાં ઘણા કુતરા આપણી પાછળ દોડતા હોય (સૌથી વધુ ગભરામણ).

‘પછી?’ સંદીપ અકળાઈને બોલી ઉઠ્યો. ‘આવું બધું કરવું પડે? મને તો એમ કે તમે દવા આપશો.’

મનોચીકીત્સકે શાંતીથી ઉત્તર આપ્યો, ‘આવા ફોબીયાની કોઈ દવા નથી હોતી. આ પદ્ધતી જ ફોબીયા દુર કરવા માટેની સર્વસમ્મત પદ્ધતી છે. એને ‘સીસ્ટેમેટીક ડીસેન્સીટાઈઝેશન’ કહેવામાં આવે છે, જે બીહેવીયર થેરાપીનો એક પ્રકાર છે. પહેલા હું તમને રીલેકસેશન ટેકનીક્સ શીખવાડીશ, જે આવડી ગયા પછી આપણે આ યાદી શરુ કરીશું. તમારે સમ્પુર્ણ શાંત અને રીલેકસ્ડ અવસ્થામાં આ યાદીની એક પછી એક આઈટમો ભજવવાની રહેશે. દા.ત.; સૌ પ્રથમ નમ્બર એકમાં તમારે રીલેકસ્ડ અવસ્થામાં એવું વીચારવાનું રહેશે કે તમે પાર્ટીમાં કોઈના પાળેલા ગલુડીયાને દુરથી જુઓ છો અને નમ્બર આઠ આવે ત્યારે તમારે રીલેકસ્ડ સ્થીતીમાં ગલીમાં એકલા રખડવા નીકળવાનું રહેશે. આની પાછળનો સીદ્ધાંત એ છે કે માણસ જ્યારે સ્વસ્થ, તાણમુક્ત, રીલેકસ્ડ હોય છે ત્યારે તેણે જો તાણ જન્માવનારી વસ્તુઓનો સામનો કરવાનો આવે તો તે સફળતાપુર્વક કરી શકે છે. અને જો આપણે ઓછી ભયજનક વસ્તુઓનો સામનો પહેલા કરીએ તો પછી ધીમે ધીમે ક્રમશ: વધારે ભયજનક વસ્તુઓનો સામનો કરી શકાતો હોય છે.

પણ મનોચીકીત્સક અને જયદીપનો ઉત્સાહ અને સમજાવટ એળે ગયા કેમ કે સંદીપ પરાણે આ ટ્રીટમેન્ટ માટે તૈયાર થયો હતો અને એક–બે સેશન પછી એણે આવવાનું સદન્તર જ બન્ધ કરી દીધું.

પરન્તુ એવામાં કોઈના માન્યામાં ન આવે એવો એક ચમત્કાર થયો. એક દીવસ મનોચીકીત્સકના ક્લીનીક રુમનો દરવાજો ખુલ્યો અને સંદીપ પોતાની સાથે એક ઉંચા, તગડા આલ્સેશીયન કુતરાને લઈને દાખલ થયો. નવાઈ પમાડે એવું દૃશ્ય હતું. કુતરો કાચાપોચાને બીવડાવી દે તેવો હતો તોય સંદીપ આરામથી તેના ગળા પર હાથ ફેરવતો હતો. તેણે મનોચીકીત્સકને હલો કર્યું અને કહ્યું : ‘સોરી, ડૉક્ટર! તમારી ટ્રીટમેન્ટ મેં અડધેથી છોડી દીધી. આમ પણ મને એમાં વીશ્વાસ નહોતો. એની વે! તમે જોઈ શકો છો કે કોઈ જ પ્રકારની ટ્રીટમેન્ટ વગર હું સારો થઈ ગયો છું!

ડૉક્ટરે આશ્ચર્યભર્યા સ્વરે પુછ્યું, ‘બ્રેવો! મી. સંદીપ! હું એ જ વીચારું છું કે તમે આવું કંઈ રીતે કરી શક્યા. આઈ જસ્ટ કાન્ટ બીલીવ!’

‘એ જ તો ખુબી છે ડૉક્ટર! તમારું વીજ્ઞાન હજુ અધુરું છે. હું તમને આખો પ્રસંગ કહું. ચારેક દીવસ પહેલા રાત્રે ઘરમાં હું એકલો બેઠો બેઠો ટી.વી. જોતો હતો. એવામાં દરવાજો ખખડ્યો. મેં દરવાજો ખોલ્યો પણ કોઈ દેખાયું નહીં. હું એને ખુલ્લો રહેવા દઈ ફરી ટી.વી. જોવા માંડ્યો. એવામાં અચાનક આ કુતરો ઘરમાં દાખલ થયો અને દરવાજો બન્ધ થઈ ગયો. હું તો આઘાતથી થીજી જ ગયો. મારું શરીર ઠંડુ પડવા માંડ્યું. કુતરો તો આમતેમ ફરવા માંડ્યો અને ઘુરકતા ઘુરકતા બધું સુંઘવા માંડ્યો. હું ભાગવા ગયો તો તે મારી નજીક આવી પહોંચ્યો. આથી હું આંખ મીંચીને ત્યાં જ બેસી પડ્યો. મેં વીચાર્યું કે આ યમદુતને અહીં કોણ અને શું કામ છોડી ગયું હશે? મને થયું કે મારું હૃદય બન્ધ પડી જશે. આંખો મીંચીને એક કલાકમાં તો મેં જગતના બધા ધર્મોના, બધા દેવી–દેવતાઓના રટણ કરી નાખ્યા. આમ ને આમ બીજો એક કલાક વીતી ગયો; પછી મારામાં જરાક આશાનો સંચાર થયો કેમ કે તે મને હજુ સુધી કરડ્યો નહતો. મેં આંખો ખોલીને જોયું તો તે હજુય રુમમાં ઘુરકીયા કરતો આંટા મારતો હતો. છેવટે હીમ્મત એકઠી કરીને મેં તેને બુચકાર્યો અને તે મારી પાસે આવ્યો. મે હળવેથી તેને સ્પર્શ કર્યો તો તેણે પુંછડી હલાવી. મેં તેને પંપાળ્યો તો તે શાંત થઈ ગયો. તેણે મને ચાટવાનું શરુ કર્યું સાચું કહું! તે ક્ષણથી જ મારી બીક એકદમ ઓછી થઈ ગઈ. મેં હાથ ધર્યો તો એણે શેકહેન્ડ કર્યું અને પછી તો મારી હીમ્મત ખુલી ગઈ. હું પણ તેની સાથે ગેલગમ્મત કરવા માંડ્યો.’

‘અને આમ તમે સાજા થઈ ગયા, નહીં?’ ડૉક્ટરે પુછ્યું. ‘મને તો એક નવી જીન્દગી મળી સમજો, ડૉક્ટર!’ સંદીપે બોલવાનું ચાલું રાખ્યું. ‘એક અજાણ્યા જ ભાઈનો આ કુતરો છે. તેઓ કોકનું ઘર શોધતા હતા. મેં બારણું ખોલ્યું તો કુતરો ઘરમાં દાખલ થઈ ગયો. મારું ધ્યાન ટી.વી.માં હતું; પછી બારણું કઈ રીતે બન્ધ થયું તે ન સમજાયું. બીચારા પેલા ભાઈ ત્રણ કલાક સુધી કુતરાને શોધતા રહ્યા. મેં પછીથી તેમનો આભાર માન્યો અને કહ્યું કે તમારા કુતરાએ મારી બીક ભાંગી નાંખી. આજે તમને બતાવવા માટે હું એ કુતરાને ખાસ લઈને આવ્યો છું. જુઓ, એ પણ તમારી પાસે આવવા માંગે છે.’

મનોચીકીત્સકે હસતાં હસતાં કહ્યું : ‘ટોમી! કમ ઓન!’ અને કુતરો તેમના ખોળામાં કુદયો; પછી તેમણે કુતરાના ગળે હાથ ફેરવતા કહ્યું, ‘સારું તો મી. સંદીપ, તમે સારા થઈ ગયા છો! ઓલ ધ બેસ્ટ! એ બદલ મારી ફી ચુકવતા જાઓ.’ સંદીપે કહ્યું : એક સેશનની ફી કેવી! તમે મને થોડો સારો કર્યો છે?’ મનોચીકીત્સકે મુછમાં મલકાતાં કહ્યું, ‘એમ? તો પછી મારા કુતરાની ફી આપતા જાવ.’

‘તમારો કુતરો?’ સંદીપ ગુંચવાયો. ‘હાસ્તો વળી. આ મારો ટોમી છે. એને તમારા ઘરમાં મેં જ છોડી મુક્યો હતો. મેં, જયદીપે અને મારા ભાઈએ મળીને આ પ્લાન બનાવ્યો હતો. તે દીવસે જાણી જોઈને જ તમારા ઘરના બધા માણસોને જયદીપે બહાર મોકલી દીધા હતા. મને ખબર હતી કે મારી સુચવેલી ટ્રીટમેન્ટ તમને ફાવે એમ નહોતી. આથી આ નવી ટ્રીટમેન્ટ અજમાવવામાં આવી. આને ‘ફલડીંગ’ અથવા ‘ઈમ્પલોઝન’ કહેવાય છે, જેમાં દર્દીને જેનો ફોબીયા હોય તેની સામે ધરી દેવાનો હોય છે. પેલો અજાણ્યો માણસ મારો ભાઈ હતો. હવે તો ફી આપશો ને?’

સંદીપ અવાચક બનીને જોઈ રહ્યો. તેના મોઢામાંથી આટલા જ શબ્દો નીકળ્યા. ‘થેન્ક્યુ ડૉક્ટર! ‘થેન્ક્યુ ટોમી!’

ફોબીયા

સંદીપને કુતરાનો ડર (ફોબીયા) હતો. વીખ્યાત અમેરીકન લેખીકા એરીકાયુંગે ‘ફીઅર ઑફ ફલાઈંગ’ નામની ચર્ચાસ્પદ નવલકથા લખી હતી. આજકાલ વળી એઈડ્સનો ફીઅર ઠેર ઠેર જોવા મળે છે.

‘ફોબીયા’ એ એક પ્રકારની ‘ન્યરોટીક’ બીમારી છે જેમાં વ્યક્તીને ચોક્કસ વસ્તુ, પરીસ્થીતી કે વાતાવરણનો ડર લાગે છે. જો તેનો સામનો કરવાનો આવે તો વ્યક્તી ખુબ જ અકળામણ, ગભરામણ અનુભવે છે અને હમ્મેશાં તે સ્થીતીને ‘એવોઈડ’ કરવા પ્રયત્ન કરે છે.

‘ફોબીયા’ ત્રણ પ્રકારના હોય છે. ‘સીમ્પલ ફોબીયા’માં વ્યક્તીને પશુ–પંખી, જીવ–જન્તુ કે કોઈ ચોક્કસ વસ્તુનો ડર લાગતો હોય છે. ‘સોશીયલ ફોબીયા’માં ‘પબ્લીક સ્પીકીંગ’ જેવી સામાજીક પરીસ્થીતીઓનો ડર લાગતો હોય છે. અને ‘અગોરાફોબીયા’માં ખુલ્લી જગ્યાઓ અથવા જ્યાંથી ભાગી ન શકાય એવી જગ્યાઓમાંથી એકલા પસાર થવાનો ડર લાગતો હોય છે.

વીમાનમાં ઉડવાનો ‘ફોબીયા’ હોય તો માણસ લાંબા સમય સુધી તેમાં બેસવાનું ટાળીને જીવી શકે છે; પણ વન્દા કે ગરોળીનો ‘ફોબીયા’ હોય તો રોજબરોજનું જીવન જીવવું મુશ્કેલ થઈ પડે છે અને સારવાર લેવી પડતી હોય છે.

બાળકોને ઘણી બધી વસ્તુઓની બીક લાગતી હોય છે; પરન્તુ તેમની ઉમ્મરના પ્રમાણમાં તે નોર્મલ કહેવાય છે. આમાંના ઘણાખરા ભયો તેની ઉમ્મર મોટી થવાને કારણે દુર થઈ જતા હોય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું  મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક આ મનપાંચમના મેળામાં (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/)માંનો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 47થી 527 ઉપરથી ( આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ :  govindmaru@gmail.com

 

6 Comments

  1. This is a very common problem faced by people. I’ve also experinced the same fear but after realized that barking dogs hardly bites a people, and never run from unknown dogs. I have a question that, how to remove the fear of dogs in childrens when they face the same problem?
    Very nice article, Thank you Dr. Mukul Choksi and Mr. Govind Maru.

    Liked by 2 people

  2. Right

    પણ એક વાત નિશ્ચિન્ત છે કે આ પ્રકૃતિ માં કોઈ એવી સમસીયા નથી જેનું સમાધાન ન હોય.

    ફોબિયા એક વૈચારિક રોગ છે જેને મેડિટેશન અને વૈચારિક ચર્ચા થી 100%મટાડી શકાય છે

    Liked by 2 people

  3. મા ડૉ મુકુલભાઇ કાબેલ પ્રેમાળ મનોચિકીત્સક ઉપરાંત રેશનાલિસ્ટ, વિદ્વાન લેખક ,કવિ અને સારા વક્તા પણ છે તેથી વધુ સારી રીતે સમજાવી શકે છે. આ રખડતા કુતરાનો અનુભવ તો ઘણાખરાને હશે જ તેમા અમારા કાકાસસરાજી હડકવામા મૃત્યુ પામેલા તેથી કાળજી રાખવાની વાત આવે ત્યારે મારા ફોબિયામા ગણવામા આવ્યું !તે અંગે રેશનાલિસ્ટ સાથે ચર્ચામા રખડતા કુતરાને મારી નાખવાની વાતે વિરોધ થયો ત્યાર બાદ તેના ખસીકરણની વાત આવી પણ તે ખાસ સફળ થતી ન લાગી.જમતા પહેલા ગાય કુતરાનો ભાગ કઢવાની વાતે તો વાત જ ન થઇ શકે! એવી સંસ્થાઓ છે જે રખડતા કુતરા માટે રોટલા બનાવે છે! અમેરીકામા તો ઘણા સ્નેહીઓને ત્યાં પ્રેમાળ કુતરાઆને તેની કાળજીમા ફરવા લઇ જતી વખતે તેના મળ માટે કોથલી રાખવાનું સહજ સ્વીકારાયલુ છે.આ વાત રેશનાલીસ્ટ સમજાવવામા સફળ થાય તો મોટું કામ થશે.
    ભારતમા આવું ત્યારે અનેક અકસ્માતો જોયા હોવાથી અગાઈરો ફોબિયાઃ થાય છે.માખી મચ્છર વાંદા જોઇ નોસો ફોબિયા થાય છે.સાંકડી ગલીમા ક્લોસ્ટ્રોફોબિયા થાય અને હાઇરાઇઝ બીલ્ડીગની અગાસીની પાળ પર ચઢી પતંગ ચગાવવાની વાતે એક્રો ફોબિયા થાય છે.સંત શ્રી સચ્ચિદાનંદજી કે શ્રી શ્રી રવિશ્ંકરજીને મળવા જવાની વાત આવે તો બાવા-યોગી-ફોબિયાઃની વાતે બાવાઓની વિરુદ્ધ અધ્ધર અધ્ધર બોલી તેમને આસારામ, રજનીશમલ, રાધે મા, જેવા બાવાઓ સાથે સરખાવાય!

    Liked by 1 person

  4. સરસ માહિતી આપતો લેખ ડર દૂર કરવાનો એકજ રસ્તો છે તેનો સામનો કરવો અને તેની વાસ્તવિક્તા ને સમજી લેવી ધન્યવાદ

    Liked by 1 person

  5. ડો. મુકુલ ચોકસીનો આ લેખ સમાજને….ખાસ કરીને ભારતમાં ખૂબ મદદરુપ બની શકે છે. ….ખાસ કરીને મોટા શહેરોમા….પ્રાણઓનો ડર વઘુ અને નાના ગામડાઓમાં મેડિકલ સારવારની બીક વઘુ હોય છે.
    માનસિક રોગના ડોક્ટરો ઘીરજથી સમય લઇને સુંદર પરિણામો…પેશન્ટની ઘીરજ અને સહકારથી , લાવી શકે છે.
    સરસ લેખ.
    અભિવ્યક્તીના મૂળમાં આપણે ‘ અંઘશ્રઘ્ઘાને‘ વિચારીઅે છીઅે.
    આવા સમાજ શિક્ષણના વિષયો પણ મદદરુપ થશે.
    ડો. મુકુલ ચોકસીને હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s