સુર્ય મંડળ

વીશાળ સામ્રાજ્ય ધરાવનાર સુર્ય વીશે આપણને સારી એવી સમજ છે; છતાં ‘કુદરતને સમજીએ’ પુસ્તકના લેખકે સુર્ય, સૌરમંડળ, પ્રકાશમીનીટ, પ્રકાશવર્ષ, સુર્યગ્રહણ અને ચન્દ્રગ્રહણ વીગેરે વીશે જાણકારી આપતો લેખ ‘સુર્યમંડળ’ પ્રસ્તુત છે.

પ્રકરણ : 03

સુર્ય મંડળ

                                                                   – મુરજી ગડા

(‘કુદરતને સમજીએ’ પુસ્તીકના તૃતીય લેખ https://govindmaru.com/2020/03/02/murji-gada-49/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

આપણો સુર્ય, આકાશમાં દેખાતા અગણીત તારાઓમાંનો એક સામાન્ય કદનો તારો માત્ર છે. એ આપણાથી નજીક હોવાથી આટલો તેજસ્વી દેખાય છે. એની આસપાસ ગ્રહો, ઉપગ્રહો, વામનગ્રહો, લઘુગ્રહો, ધુમકેતુ વગેરે ઘણા અવકાશી પીંડ ફરે છે. આ બધું મળીને આપણું સૌરમંડળ બને છે. સૌરમંડળમાં એકમાત્ર સુર્યને જ પોતાનો પ્રકાશ છે. સુર્યમંડળના બીજા બધા અવકાશી પીંડ સુર્ય પ્રકાશને લીધે પ્રકાશતા દેખાય છે.

સુર્યમંડળમાં તેમ જ સમસ્ત બ્રહ્માંડમાં ભંગારના ટુકડાઓ સીવાયનું બધું જ દડા જેવું ગોળ છે. આ ગુરુત્વાકર્ષણને આભારી છે. બધા જ પીંડ પોતાની ધરી ફરતે ફરે છે અને બીજા કોઈ મોટા પીંડની પ્રદક્ષીણા કરે છે. આ ગતી એમને એમની રચના વખતે (એમના જન્મ વખતે) મળી છે અને અન્ત સુધી જળવાઈ રહે છે. એમને એમના નીર્ધારીત સ્થાને રાખતાં બે બળો છે. એક છે સુર્યનું કે અન્ય વીશાળ રચનાનું ગુરુત્વાકર્ષણ, જે કેન્દ્રગામી બળ સર્જે છે. અને બીજું છે કેન્દ્રત્યાગી બળ, જે એમની ગતીને લીધે સર્જાય છે. આ બન્ને બળના સન્તુલનથી બધું જ પોતાની ભ્રમણ કક્ષામાં ફરે છે. કુદરતનો આ અફર નીયમ છે. કોઈ એને બદલાવી શકતું નથી.

આપણા માટે પૃથ્વી ઘણી વીશાળ છે; પણ અવકાશમાં એ રજકણ જેવી છે. સુર્ય પૃથ્વીથી તેર લાખ ગણો મોટો છે. એની અન્દર થતી હાઈડ્રોજનને હીલીયમમાં રુપાંતર કરતી થર્મોન્યુક્લીયર પ્રક્રીયાઓને લીધે એનાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે.

સુર્યની પ્રદક્ષીણા કરતા પીંડોમાંથી આઠ મોટા પીંડ ગ્રહ તરીકે ઓળખાય છે. સુર્યથી શરુ કરીએ તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શની, યુરેનસ ને નેપ્ચ્યુન આ ક્રમમાં આવે છે. આમાંથી પહેલા ચાર ગ્રહ નક્કર, ખડકાળ અને કદમાં નાના છે. છેલ્લા ચાર વાયુના બનેલા મોટા ગ્રહો છે. છેલ્લા બે ગ્રહો નરી આંખે દેખાતા પણ નથી. આશરે 200 વરસ પહેલાં દુરબીનની શોધ થયા પછી એ શોધાયા છે.

સૌથી મોટો ગ્રહ ગુરુ, કદમાં પૃથ્વીથી 1300 ગણો મોટો છે. હાલ છે એનાથી દસ બાર ગણો મોટો હોત તો તે તારો બની શક્યો હોત. તારાઓની જેમ સ્વયંભુ અણુપ્રક્રીયા શરુ થવા ન્યુનત્તમ દ્રવ્ય હોવું જરુરી છે, જે અત્યારના ગુરુમાં નથી. જો હોત, તો આપણે બે સુર્યવાળા સૌરમંડળમાં રહેતા હોત. દરેક વસ્તુના બે પડછાયા પડત. બહુધા દીવસનું અજવાળું હોત, રાત્રી જુજ હોત.

ગ્રહોની આસપાસ ફરતા પીંડ ઉપગ્રહ કહેવાય છે. ચન્દ્ર, એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે. સેટેલાઈટ કહેવાતા માનવસર્જીત ઉપગ્રહો હવે સેંકડોની સંખ્યામાં પૃથ્વીની પ્રદક્ષીણા કરે છે. ગુરુ અને શનીના 60થી વધારે ઉપગ્રહો શોધાયા છે; છતાં હજી વધુ હોઈ શકે છે. બીજા ગ્રહોને પણ ઉપગ્રહો છે. સુર્યમંડળમાં જેટલું દ્રવ્ય છે એમાનું 98 ટકા દ્રવ્ય એકલા સુર્યમાં છે. બાકીના બે ટકામાં બીજું બધું આવી જાય છે.

અન્તરીક્ષને લગતા ઝડપ અને અન્તરના આંકડા એટલા મોટા છે કે એમને આપણાં માપ કામ ન લાગે. પૃથ્વી પર અન્તર કીલોમીટરમાં મપાય છે અને ઝડપ કલાકના દરે મપાય છે. આપણી ટ્રેનની ઝડપ સામાન્યત: કલાકના સો કીલોમીટરની હોય છે. ઉતારુ વીમાનની ઝડપ એના કરતાં દસ ગણી એટલે પ્રતી કલાકે 1000 કીલોમીટર જેટલી હોય છે. માનવસર્જીત અન્તરીક્ષયાનની ઝડપ વીમાન કરતા 40-50 ગણી વધારે હોય છે. જે એક સેકંડના 12-15 કીલોમીટર જેટલી થાય છે. આની સરખામણીમાં પ્રકાશની ઝડપ એક સેકંડમાં લગભગ ત્રણ લાખ કીલોમીટરની છે. અન્તરીક્ષ માટે ખગોળશાસ્ત્રીઓએ અન્તરનું નવું માપ બનાવ્યું છે. એ છે પ્રકાશમીનીટ અને પ્રકાશવર્ષ. એક મીનીટમાં પ્રકાશ 1.8 કરોડ કી.મી. અન્તર કાપે છે તેમ જ એક વર્ષમાં આશરે 9500 અબજ કી.મી. અન્તર કાપે છે. જે એક પ્રકાશવર્ષ કહેવાય છે.

દરરોજ છાપામાં અબજો રુપીયાના ગોટાળો વાંચીને આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે એક અબજનો આંકડો મામુલી લાગવા માંડ્યો છે. મગજમાંથી અબજનું મામુલીપણું દુર કરવા ઘણી સરખામણીઓ કરી શકાય. અત્યારે એટલું કહેવું પુરતું થશે કે આપણને જો એક અબજ મીનીટનું આયુષ્ય મળે તો આપણી 70-80 પેઢીઓ જોઈ શકીએ, જે આશરે બે હજાર વર્ષ થાય છે.

પ્રકાશ મીનીટનું માપ વાપરીને આપણે સૌર મંડળના વીસ્તારને સમજીએ. સુર્યથી પૃથ્વી 15 કરોડ કી.મી. એટલે કે 8.3 પ્રકાશ મીનીટ જેટલી દુર છે. એની સરખામણીએ ગુરુ 45 પ્રકાશ મીનીટ, શની 75 પ્રકાશ મીનીટ, યુરેનસ 160 પ્રકાશ મીનીટ અને નેપ્ચ્યુન 240 પ્રકાશ મીનીટ દુર છે. ચન્દ્ર સાવ નજીક એટલે પૃથ્વીથી માત્ર સવા સેકન્ડ જેટલો દુર છે. સુર્યમંડળના કેટલાક સભ્યો બે પ્રકાશવર્ષ દુર છે એટલે ત્યાં સુધી સુર્યમંડળનો વીસ્તાર છે એમ કહી શકાય.

ખગોળશાસ્ત્રની દૃષ્ટીએ ગ્રહોની જે પણ માહીતી આ લેખમાં આપી છે એનાથી ઘણી જ વધુ માહીતી હવે ઉપલબ્ધ છે. માનવસર્જીત અવકાશયાનોએ બધા જ ગ્રહોની સાવ નજીક જઈ કેટલાયે ફોટા અને અગત્યની માહીતી મોકલી છે. મંગળ પર તો માનવરહીત અવકાશયાનો ઉતર્યા છે અને એના વીષે વીસ્તૃત માહીતી મોકલી છે. જ્યારે ચન્દ્ર ઉપર ઘણા અવકાશયાત્રીઓ જાતે જઈ આવ્યા છે. એક સમયે નવમો ગ્રહ ગણાતા પ્લુટોની નજદીકમાંથી પસાર થઈ અવકાશયાને ઘણી માહીતી મોકલ્યાની ઘટના તાજેતરમાં જ (2015માં) બની છે.

જ્યોતીષશાસ્ત્રની ગ્રહો વીશેની સમજ ખગોળશાસ્ત્રથી સાવ અલગ છે. જ્યોતીષશાસ્ત્ર ગ્રહોને દરેક વ્યક્તી પર જુદી અસર કરતા પદાર્થો કે જીવો તરીકે જુએ છે. જ્યોતીષીઓ વચ્ચે ગ્રહોની અસરના અર્થઘટનમાં મતભેદો જોવા મળે છે, જે એની મર્યાદા પુરવાર કરે છે. જ્યોતીષશાસ્ત્રમાં વર્ણવવામાં આવતા રાહુ અને કેતુ કોઈ મૃત વ્યક્તીઓના આત્મા નથી કે અન્ય ગ્રહો જેવા પથ્થરના કે વાયુના ગોળા પણ નથી. તે ચન્દ્રની પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષાનાં બે કાલ્પનીક બીંદુ માત્ર છે.

પૃથ્વી અને સુર્યની વચ્ચે ચન્દ્ર આવે તો સુર્યગ્રહણ થાય છે. ચન્દ્રના આ સ્થાનને રાહુ નામ આપી દેવાયું છે. ભુતકાળમાં આવી સમજ નહોતી એટલે ગ્રહણ દરમીયાન થોડી મીનીટ માટે સુર્ય ન દેખાતાં, રાહુ સુર્યને ગળી ગયો એમ માનવામાં આવતું હતું. એ જ રીતે જ્યારે સુર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે, બીજા શબ્દોમાં, ચન્દ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે. ચન્દ્રના આ સ્થાનને કેતુ નામ અપાયું છે. અન્તરીક્ષમાં આ બે કાલ્પનીક બીન્દુઓ માત્ર છે.

એ જાણવું જરુરી છે કે સુર્યગ્રહણ હમ્મેશાં અમાસના દીવસે થાય છે; પણ દરેક અમાસે નથી થતું. એ જ રીતે ચન્દ્રગ્રહણ હમ્મેશાં પુનમની રાતે થાય છે; પણ દરેક પુનમે નથી થતું. આની પાછળ પણ ખગોળીય કારણ છે. કોઈ પણ ગ્રહણ માટે સુર્ય, ચન્દ્ર અને પૃથ્વી સીધી લીટીમાં હોવો જરુરી છે. દર મહીને આ સ્થીતી બે વખત આવે છે; કારણ કે ચન્દ્રને પૃથ્વી ફરતે એક આંટો મારતા એક મહીનો લાગે છે; છતાં દર મહીને બે ગ્રહણ ન થવા પાછળ એક વધારાનું પરીમાણ (Dimension) ભાગ ભજવે છે.

ચન્દ્રની પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષા અને પૃથ્વીની સુર્ય ફરતેની ભ્રમણકક્ષા એક જ સપાટીમાં નથી. ચન્દ્રની ભ્રમણકક્ષા ચકડોળની જેમ પાંચ ડીગ્રી જેટલી ઉપર નીચે થાય છે. જ્યારે બન્ને ભ્રમણકક્ષાઓ એક સપાટીમાં આવે ત્યારે જ ગ્રહણ થઈ શકે છે. ગ્રહણ વીષેના પુરાણા ભ્રામક ખ્યાલોની પોકળતા ખુલ્લી પાડવા આટલા વીસ્તારથી વાત કરી છે.

આટલું વીશાળ સામ્રાજ્ય ધરાવનાર સુર્ય અન્તે તો એક તારો માત્ર છે. સૌરમંડળની બહાર નીકળીને તારાઓની દુનીયામાં આવીએ એટલે આવડો મોટો અને આપણા માટે સર્વેસર્વા એવો સુર્ય પોતાનું મહત્ત્વ ગુમાવી દે છે. તારાઓની દુનીયાની સફર કરીએ એ પહેલાં આપણા રોજબરોજના જીવનને વધુ સ્પર્શતા કુદરતના થોડા પાસાઓને જાણીએ.

–મુરજી ગડા

લેખક અને પ્રકાશક શ્રી. મુરજી ગડાનું  પુસ્તક ‘કુદરતને સમજીએ’ પ્રથમ આવૃત્તી : ફેબ્રુઆરી, 2016; પાનાં : 94, મુલ્ય : ની:શુલ્ક)માંનો આ તૃતીય લેખ, પુસ્તકનાં પાન 12થી 15 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : શ્રી. મુરજી ગડા,  1, શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

5 Comments

  1. મા મુરજી ગડા નો સુર્ય મંડળ અભ્યાસુ લેખ
    સર્વેસર્વા એવો સુર્ય પોતાનું મહત્ત્વ ગુમાવી દે છે. તારાઓની દુનીયાની સફરની… રાહ
    આવા વિદ્વાન પણ ‘જ્યોતીષશાસ્ત્રની ગ્રહો વીશેની સમજ ખગોળશાસ્ત્રથી સાવ અલગ છે. જ્યોતીષશાસ્ત્ર ગ્રહોને દરેક વ્યક્તી પર જુદી અસર કરતા પદાર્થો કે જીવો તરીકે જુએ છે’ સ્વીકારી તે શાસ્ત્ર ખોટું છે તેમ નથી ગણતા.

    Liked by 1 person

  2. શ્રી મુરજીભાઇનો લેખ લાંબા સમયે વાંચવા, વિચારવા મળ્યો. આનંદ થયો.
    હિન્દુઓને માટે સૂર્યમંડળનું તેમના જીવનમાં અેક અગત્યનું સ્થાન છે. સૂર્યદેવ અને તેના ગ્રહોની જીવાત્માઓના દૈનિક જીવન ઉપર પડતી અસરો…ભૌતિક, ઇમોશનલ અને જ્યોતિષના વિષયે. શ્રી મૂરજીભાઇઅે ટૂંકા અને પૂર્ણ વાક્યોમાં સૂર્યમંડળને અને સૂર્યને સમજાવ્યા છે ખૂબ ખૂબ આભાર.
    જરુરી કે બીનજરુરી અેવું મારું નોલેજ તે સમજને માટે વઘુ માહિતિ રુપે અહિં આપું છું. સ્વીકારજો.
    વિજ્ઞાન સૂર્યને અેક ઉકળતો ગોળો બતાવે છે…પ્લાઝમા છે. પદાર્થના ત્રણ સ્વરુપો હોય છે. ઘન, પ્રવાહી અને વાયુ. પ્લાઝમા અે આ ત્ર્ણે સ્વરુપોના મિશ્રણથી બનેલું મીક્ષ સ્વરુપ છે. સૂર્યને પણ વિજ્ઞાન અેક સળગતા ગોળાના રુપે બતાવે છે, જેમાં હાયદ્રોજન વાયુ કોનસ્ટન્ટ હિલીયમ વાયુમાં કન્વર્ત થતો રહે છે. ( H2 — He ) અેટલે તે પ્રક્રિયામાં ગરમી ઉત્પ્પન થાય . સાથે સાથે થોડા હેવી કેમીકલો પણ હોય છે જેવાકે કાર્બન…..
    ( Plasma : A state of matter in which an ionized gaseous substance becomes highly electronically conductive. That is happening in Sun.)
    સૂર્યમંડળના ગ્રહો, ઉપગ્રહો અને જે બે ટપકાઓ જેની કોઇ હસ્તિ નથી તેને પૃથ્વિ ઉપર માનવો જ્યોતિષ તરીકે વાપરે છે. તેને પણ કેવી રીતે જોવું તે દર અેક વ્યક્તિની માન્યતાનો સવાલ છે. સાચી વાત છે.
    મૂરજીભાઇ, ગોવિંદભાઇ…બન્નેનો આભાર. આ જ્ઞાન, હર અેક વાચકને માટે તેના જીવનમાં જરુરી છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Friends,
    સૂર્યના પ્લાઝમામા, હાયદ્રોજન ગેસનું હિલીયમ ગેસમાં રુપાંતર થતુ રહે છે આ પ્રક્રિયા સૂર્યશક્તિ ઉત્તપન્ન કરે છે.
    Helium gas is having lowest temperature. We use it for making Balloons. હવામાં ઉડતા બર્થ ડેના ફૂગ્ગા.
    અમૃત હઝારી

    Liked by 1 person

Leave a comment